સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/લોકજીવનનાં સ્પંદનો

          અમદાવાદની સાહિત્ય પરિષદમાં ૧૯૩૪માં પ્રમુખપદેથી ગાંધીજીએ ગુજરાતના લેખકોને ગ્રામજનો માટે સાહિત્ય સર્જવા આદેશ આપ્યો હતો. મારા સાહિત્યસર્જનના પ્રારંભના એ દિવસો હતા. રાષ્ટ્રપિતાએ તે દિવસે અશ્રુસિક્ત કંઠે કરેલી અપીલ મનમાં વસી ગઈ અને ત્યારથી ગ્રામસમાજ સમજી શકે, ઝીલી શકે, લાગણીઓ માણી શકે તેવાં સરલ ગીતો તેમની જ ભાષામાં, પ્રચલિત લોકઢાળોમાં લખવાનું મારું વલણ બંધાયું. ગુજરાતનું ભાતીગળ લોકજીવન! કેવી હૃદયકારી, મનોહર, વૈવિધ્યસભર એની ફૂલગૂંથણી છે! સુખદુઃખ, આનંદઅશ્રુની કેવી અનંત તરંગમાલા! ગામડાનું પરિશ્રમમય જીવન, સરલ ઉલ્લાસ, ઋતુઓની લીલા, ઉત્સવો અને મેળા, દિનભરની પ્રવૃત્તિનો ઈશભજનમાં વિરામ, એ સમૃદ્ધ લોકજીવનનાં સ્પંદનો અહીં સૂર અને શબ્દોમાં ઝીલવાનો પ્રયત્ન છે.


[‘સોનાવરણી સીમ’ પુસ્તક : ૧૯૮૮]