સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નિરંજન ત્રિવેદી/ખોવાયા નથી!

          આથી અમે આખા અમદાવાદના (એક સિવાયના) નીચેના નિરંજન ત્રિવેદીઓ જાહેર કરીએ છીએ કે અમે ખોવાયા નથી. અમારે ઘેર અમે સલામત છીએ. આમ જાહેર કરવાનું કારણ એ છે કે મેડિકલ કૉલેજના એક નિરંજન ત્રિવેદી ગુમ થયા પછી અમારામાંના દરેક નિરંજનનાં સગાંવહાલાંને લોકો પૂછપરછ કરે છે કે “તમારો નિરંજન ખોવાયો છે?” જનતાને વિનંતી કે અમારા બાપાઓને, કાકાઓને, મામાઓને, ફુઆઓને, મિત્રોને તથા ઓળખાણવાળાઓને એવું પૂછપૂછ કરીને હેરાન કરવા નહીં. અમે જીવતાજાગતા, હાજરાહજૂર સલામત છીએ. જેમને ખાતરી કરવી હોય તે આવતા રવિવારે અમારે ઘેર તપાસ કરે. અમને જોવા માટે ખુલ્લા મૂકવામાં આવનાર છે. લિ. નિરંજન ત્રિવેદી (ફલાણી પોળ), નિરંજન ત્રિવેદી (ઢીંકણી પોળ), નિરંજન ત્રિવેદી (રાજકુમાર સોસાયટી), નિરંજન ત્રિવેદી (રાજકુમારી સોસાયટી), નિરંજન ત્રિવેદી (સરકાર રોડ), નિરંજન ત્રિવેદી (જનતા રોડ) તથા બીજા નહીં ખોવાયેલા નિરંજનો વતી.