સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અવાજના બાદશાહ


ઝુલફીકાર અલી બુખારી ૧૯૩૭માં આકાશવાણી-મુંબઈના સ્ટેશન ડિરેક્ટર નિમાયેલા. તે પછી ચંદ્રવદન મહેતા તે ખાતામાં જોડાયેલા. બુખારી કાબુલ તરફના, પેશાવરમાં ઊછરી લાહોર કૉલેજમાં ભણેલા. એમને વિશે ચન્દ્રવદન મહેતાએ ‘રેડિયો ગઠરિયાં’ પુસ્તકમાં કહેલું છે : “ઝુલફીકાર અવાજના બાદશાહ. સચોટ, સ્પષ્ટ, મુલાયમ, નજાકતથી ભરેલો, ગંભીર તેમ જ હળવા ભાવોને યથાર્થ પ્રગટ કરનારો અવાજ. એનામાં માણસ પારખવાની સૂઝ ઈશ્વરદત્ત હતી. બુખારીની વાતો કરવાની કળા અજીબ પ્રકારની હતી : ટૂંકાં વાક્યો, રસભરી કહેવતો, શાયરીની લીટીઓ.” ગુજરાતી રેડિયો સ્ટેશનની ચન્દ્રવદન મહેતાને તો ધૂન હતી જ, બુખારીને પણ તે માટે હોંશ હતી. એટલે એ બન્ને ગુજરાતને પ્રવાસે આવેલા. અમદાવાદમાં રેડિયોમથક કરવાનો ઠરાવ ગુજરાતી સાહિત્ય સભાએ પસાર કર્યો, ત્યારે તે બન્ને હાજર હતા. અમદાવાદની મુલાકાત દરમ્યાન પોતાના પર પડેલી છાપનું દર્દભર્યું કાવ્ય બુખારીએ તે સભામાં વાંચેલું : ‘અહેમદાબાદ કે લોગોં ઊઠો!”