સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ભજનોનો રસાસ્વાદ


માણસની નૈતિક ભાવના પ્રબળ થાય એ જાતની પ્રાર્થનાઓ ગાંધીજીના સત્યાગ્રહાશ્રમમાં ગવાતી. તેનો નાનકડો સંગ્રહ નારાયણ મોરેશ્વર ખરેએ સંપાદિત કરેલો, તે ‘આશ્રમભજનાવલિ’ નામે ૧૯૨૨માં પ્રથમ બહાર પડેલો. આશ્રમનું જીવન જેમ જેમ સમૃદ્ધ થતું ગયું, તેમ તેમ એ ભજન-સંગ્રહનું કદ નવી નવી આવૃત્તિઓ વખતે વધતું ગયું. ૧૯૯૪ના તેના ૨૮મા પુનર્મુદ્રણમાં ૨૦૦થી થોડાં ઓછાં ભજનો છે. તેમાં કોઈ એક સંપ્રદાયનો ખ્યાલ નથી રાખેલો. જ્યાં જ્યાંથી રત્ન મળી ગયાં, ત્યાંથી તેને એકત્રા કરેલાં છે. ઘણા હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી એને આનંદથી વાંચે છે ને તેમાંથી કાંઈક ને કાંઈક નૈતિક આહાર મેળવે છે. ‘આશ્રમભજનાવલિ’નાં ૪૨ ભજનોનો રસાસ્વાદ કરાવતાં પ્રવચનો કાકા કાલેલકરે આપેલાં, તે ‘ભજનાંજલિ’ નામના પુસ્તકરૂપે ૧૯૭૪માં પ્રગટ થયેલાં. [‘ભજનાંજલિ’ પુસ્તિકા : ૧૯૯૬]