સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/મીણબત્તી


એક દિવસ હજરત અલી સાહેબ રાજ્યના ખજાનાનો હિસાબ કરવા ગયા. રાતનો સમય હતો. મીણબત્તી સળગાવી હિસાબ કરવા બેઠા. થોડી વાર પછી બે સરદારો પોતાના અંગત કામ માટે એમની પાસે આવ્યા. હજરત સાહેબે આંખથી ઇશારો કરી તેમને બેસવા કહ્યું. હિસાબનું કામ પૂરું થયું. હજરત અલીએ મીણબત્તી બુઝાવી નાખી. પોતાના મેજમાંથી બીજી મીણબત્તી કાઢીને સળગાવી. સરદારોને આ જોઈને આશ્ચર્ય થયું, કારણ કે પેલી મીણબત્તી પૂરી થઈ ગઈ ન હતી, જ્યારે અલી સાહેબે તેને બુઝાવીને બીજી સળગાવી હતી. સરદારોએ વિનયપૂર્વક એનું કારણ પૂછ્યું. અલી સાહેબ બોલ્યા, “અત્યાર સુધી હું રાજ્યનું કામ કરતો હતો, તેથી રાજ્યની મીણબત્તી સળગાવી હતી. હવે આપણું અંગત કામ છે, તેથી રાજ્યની મીણબત્તીનો ઉપયોગ કરું તો હું ચોર ઠરું. માટે આપણા કામ સારુ મેં મારી પોતાની મીણબત્તી સળગાવી છે.”