સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/વાઇસરોયની સવારી

From Ekatra Wiki
Revision as of 12:28, 7 October 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તે વખતે લોર્ડ ઇરવીન હિંદના અંગ્રેજ વાઇસરોય હતા. દીનબંધુ એન્ડ્રુઝને એમણે વાત કરેલી કે પોતાની મુદત પૂરી થયે હિંદુસ્તાન છોડતાં પહેલાં શાંતિનિકેતનની મુલાકાત લેવાની તક મળે, તો એમને બહુ ગમશે. એટલે ગુરુદેવે વાઇસરોયને નિમંત્રણ પાઠવ્યું. પછી તો વાઇસરોય-મુલાકાત દરમિયાન આશ્રમમાં ક્યાં ક્યાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવો તેની ચર્ચા કરવા જિલ્લાના કલેક્ટર શાંતિનિકેતન આવી પહોંચ્યા. ગુરુદેવ કહે, મારા આશ્રમમાં પોલીસ ન હોય; કલેક્ટર કહે કે પોલીસ તો રાખવી જ પડશે. એટલે પછી કવિવરે નક્કી કર્યું કે વાઇસરોયને પત્ર લખીને પોતાનું નિમંત્રણ પાછું ખેંચી લેવાની રજા આપવાની વિનંતી કરવી, કારણ કે પોલીસને તો આશ્રમની તપોભૂમિમાં પ્રવેશવા દઈ શકાય જ નહીં. એ જાણીને કલેક્ટર મૂંઝાયા, ને બંગાળ સરકારના મુખ્ય સચિવ સાથે પોતે મસલત કરી લે ત્યાં લગી પત્ર ન લખવાની વિનંતી તેમણે ગુરુદેવને કરી. અંતે, ઠરાવેલી તારીખે વાઇસરોયની સવારી શાંતિનિકેતનમાં આવી અને ગઈ-પોલીસની હાજરી વિના જ.