સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘પુલકિત’


પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે (પુ. લ.) એટલે મરાઠી સાહિત્યની સર્વતોમુખી પ્રતિભા. તે હાસ્યકાર, નાટ્યકાર, ફિલ્મનિર્માતા, સામાજિક કાર્યકર, વક્તા અને અભિનેતા હતા. તેમના જીવનકાળ દરમ્યાન પુ. લ. એક દંતકથારૂપ બની ગયા હતા. વ્યકિતચિત્રોના તેમના પુસ્તક ‘વ્યકિત આણી વલ્લી’ને સાહિત્ય અકાદમી (દિલ્હી)નું ૧૯૬૫નું પારિતોષિક મળેલું. અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ તરીકે તેમની વરણી ૧૯૭૪માં થઈ હતી. મરાઠી પ્રજાના હૃદયસિંહાસન પર બિરાજેલા પુ. લ.નું ૨૦૦૦ની સાલમાં અવસાન થયું. એમનાં ૫૮ જેટલાં મરાઠી પુસ્તકોમાંથી ૨૪ રચના ચૂંટીને અરુણા જાડેજાએ કરેલા અનુવાદનું પુસ્તક સાહિત્ય અકાદમી (દિલ્હી) તરફથી ‘પુલકિત’ નામે પ્રગટ થયું છે (૨૦૦૫): રૂ. ૧૧૦, પાનાં ૨૨૦.