સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘પ્રબુદ્ધ જીવન’ ૬૬મા વર્ષે


મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના ૧૯૨૯માં થઈ. ‘મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા’ નામના તેના મુખપત્રના તંત્રીપદે જમનાદાસ અ. ગાંધી બે વરસ રહ્યા, પછી મુખપત્રનું નામ ‘પ્રબુદ્ધ જૈન’ રાખવામાં આવ્યું અને રતિલાલ ચી. કોઠારી તંત્રી બન્યા. પણ તે જ વરસે બ્રિટિશ સરકારની દરમિયાનગીરીને કારણે પત્ર બંધ કરવું પડ્યું. ત્યાર પછી ‘તરુણ ભારત’ નામથી નવું મુખપત્ર શરૂ થયું. પણ સંજોગો બદલાતાં ૧૯૩૯માં ‘પ્રબુદ્ધ જૈન’ ફરી શરૂ થયું. તેના તંત્રી મણિલાલ મો. શાહ અને સંપાદક પરમાનંદ કું. કાપડિયા હતા. ૧૯૫૧માં મણિભાઈના અવસાન પછી પરમાનંદભાઈ તંત્રી બન્યા અને કાકા કાલેલકરના સૂચનથી પત્રનું નામ બદલીને ‘પ્રબુદ્ધ જીવન’ રાખવામાં આવ્યું. ૧૯૭૧માં પરમાનંદભાઈનું અવસાન થયું એટલે ચીમનલાલ ચ. શાહે તંત્રીપદ સંભાળ્યું. દરેક અંકે તંત્રીલેખ લખવાની પ્રથા તેમણે પાડી. ૧૯૮૨માં તેમનું અવસાન થતાં તંત્રી તરીકેની જવાબદારી રમણલાલ ચી. શાહને સોંપાઈ. બાવીસ વરસ સુધી તે સ્થાને રહીને, ‘પ્રબુદ્ધ જીવને’ ૨૦૦૫ના જાન્યુઆરી અંકથી ૬૬મા વરસમાં પ્રવેશ કરતાં, ૭૮ ઉંમરે પહોંચેલા રમણભાઈની મદદમાં સહતંત્રી તરીકે ધનવંત શાહની નિમણૂક થઈ છે. આઝાદીની ચળવળમાં ભાગ લેનાર જૈન યુવક સંઘના કાર્યકરોએ આ વિચારપત્રના પાયામાં સ્વતંત્રતા, સ્વાર્પણ અને તટસ્થતાની ભાવના સીંચેલી હતી. જાહેરખબરોનો ટેકો લીધા વિના એકધારું પાંસઠ વરસ સુધી તેનું પ્રકાશન થતું રહ્યું છે અને તેના બધા તંત્રીઓએ માનાર્હ સેવા આપેલી છે. ૬૬મા વરસના પહેલા અંકમાં રમણલાલ શાહ જણાવે છે કે, “તંત્રીલેખ લખવા ઉપરાંત બીજા લેખકોના લેખો પસંદ કરવા, તપાસવા, સુધારવા (અક્ષરો સહિત), પ્રેસને આપવા, બે વાર પ્રૂફ તપાસવાં—આ બધું કાર્ય એકલે હાથે આજ દિવસ સુધી કરતો રહ્યો છું.” બાવીસ વરસ દરમિયાન રમણભાઈએ ૩૦૦થી વધુ તંત્રીલેખો લખ્યા છે અને તેમાંના ઘણાખરા ગ્રંથસ્થ થયા છે. તેઓ કહે છે કે ‘પ્રબુદ્ધ જીવન’નું તંત્રીપદ લેવાનું ન આવ્યું હોત તો પોતાનું આટલું બધું લેખનકાર્ય થયું ન હોત.