સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રભાશંકર પટ્ટણી/ઉઘાડી રાખજો બારી!

દુઃખી ને દર્દીઓ કોઈ, ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
ગરીબની દાદ સાંભળવા, અવરના દુઃખને દળવા
તમારાં કર્ણ-નેત્રોની ઉઘાડી રાખજો બારી.
અતિ ઉજાસ કરનારા, તિમિરનો નાશ કરનારા
કિરણને આવવા સારુ, ઉઘાડી રાખજો બારી.
થયેલાં દુષ્ટ કર્મોના, છૂટા જંજીરથી થાવા
જરા સત્કર્મની ન્હાની ઉઘાડી રાખજો બારી.


[‘રા’ કવાટ’ નાટક]