સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રવીણકાંત મો. શાહ/પટાવાળાની પડખે

          બાબુભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા, તે સમયે એક સમારંભ યોજવામાં આવ્યો હતો. ખુલ્લા મેદાનમાં સ્ટેજ બંધાઈ ગયું હતું. મહેમાનો અને પ્રેક્ષકો માટે સેંકડો ખુરશીઓ મુકાઈ ગઈ હતી. મુખ્ય મહેમાનને આવવાની થોડી જ મિનિટો બાકી હતી. એટલામાં મેઘરાજાની પધરામણીના ધડાકા ભડાકા આકાશમાં થવા લાગ્યા. સમારંભનું સ્થળ તાકીદે ખસેડીને બાજુના હોલમાં લઈ જવાની જરૂર ઊભી થઈ. તે સમયે હાજર રહેલ બે-ત્રણ પટાવાળાએ ખુરશીઓ ઊચકીને બાજુના હોલમાં મૂકવા માંડી. બાબુભાઈએ જોયું કે આ બે-ત્રણ પટાવાળા સમયસર અંદર ખુરશીઓ મૂકી નહીં શકે અને હમણાં જ મુખ્ય મહેમાનની સવારી આવી પહોંચશે. ઉપકુલપતિના પોતાના મોભાને બાજુએ મૂકીને બાબુભાઈએ તરત જ ખુરશીઓ ઊચકીને બાજુના હોલમાં મૂકવા માંડી. મુખ્ય મંત્રી તરીકે પોતાને જ્યાં પણ જવાનું હોય ત્યાં તેમનો કાર્યક્રમ બાબુભાઈ પોલીસને જણાવતા નહીં, જેથી પોલીસની રોજ-બ-રોજની કામગીરીમાં દખલ ન પડે. ઉપરાંત પોલીસના ભારે બંદોબસ્તના કારણે તેમના ભાડા-ભથ્થાનો બોજ સામાન્ય લોકોના શિર ઉપર પડે નહીં. તેઓ કહેતા કે, “હું લોકોનો છું. લોકો મારા છે. પછી મારે કોનાથી ડરીને ચાલવાનું?” ગુજરાત વિધાનસભાની ૧૯૭૨ની ચૂંટણીમાં બાબુભાઈ હાર્યા ત્યારે અમે તેમને મળવા ગયેલા. એ સમયે એમના મુખ ઉપર પરાજયના દુખની નાની સરખી રેખા પણ દેખાતી નહોતી અને ખૂબ રસથી કવિ નર્મદનું જીવનચરિત્ર એ વાંચી રહ્યા હતા.