સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહેન્દ્ર ગો. દેસાઈ/છઠ્ઠા દીકરા

          ૧૯૮૪માં પેન્શન-ધારા વિરુદ્ધ મેં ઉપવાસ કર્યા. મારા ૨૩મા ઉપવાસને દિવસે બાબુભાઈ ૧૪ અગ્રણીઓની સહીઓ સાથેનો એક પત્ર લઈને આવ્યા. પત્રમાં મને વિનંતી કરવામાં આવી હતી કે મારે ઉપવાસ છોડી દેવા, મારો પ્રશ્ન તેઓ ઉપાડી લે છે. મેં એ માન્ય રાખીને ઉપવાસ છોડેલા. આ પેન્શન ધારાનો અમલ ન કરવા માટે સરકાર સાથે વાટાઘાટો, લખાણો, વિવિધ પ્રકારની રજૂઆતો બાદ પણ કાંઈ જ પરિણામ આવ્યું નહીં. બાબુભાઈ નર્મદા અંગેના મંત્રીપદે હતા. તે વખતે પેન્શનધારાનો અમલ શરૂ કરવા માટે પક્ષના ધારાસભ્યોનું અનહદ દબાણ થતું. લોકશાહીમાં બહુમતીના મતને અવગણી ન જ શકાય વગેરે દલીલો થઈ. ‘પેન્શન આપવાનું શરૂ કરવું’ એવું નક્કી થવાની અણી ઉપર હતું. ત્યારે બાબુભાઈએ જાહેર કર્યું કે “બહુમતીને જોરે સિદ્ધાંત વિરુદ્ધનું કામ થવાનું હોય તો હું રાજીનામું આપીશ.” અન્ય બે મંત્રીઓ દીનશા પટેલ ને બાબુભાઈ વાસણવાળાએ પણ આ જ વાત કરી. પરિણામે પેન્શનધારાનો અમલ વળી મોકૂફ રહ્યો. દરબાર ગોપાળદાસ દેસાઈના અમે પાંચ દીકરા હતા, પણ બાબુભાઈ જશભાઈ પટેલ અમારા છઠ્ઠા ભાઈ હતા. એટલે મારાં માતુશ્રી ભકિતબાના અવસાન વખતે તેમને અગ્નિદાહ દેવાની મેં બાબુભાઈને વિનંતી કરેલી.