સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનભાઈ પટેલ/બેભાન અવસ્થામાં પણ...


બાબુભાઈ સાહિત્યના રસિયા. ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ પર અદ્ભુત પ્રભુત્વ. સંસ્કૃતમાં ભવભૂતિ અને કાલિદાસ તેમના પ્રિય કવિઓ. ‘રુકમિણી-વિવાહ’ સંસ્કૃતમાં એવું સરસ ગાય ને સમજાવે કે અમે તેમને વારંવાર તેની ફરમાઈશ કરીએ. ગુજરાતી સાહિત્યમાં પણ છેલ્લામાં છેલ્લી કૃતિઓ સુધીનું વાંચન હોય. છેલ્લાં વરસોમાં શરીર ક્ષીણ થઈ ગયેલું, સ્મૃતિભ્રમ પણ થઈ જાય, ત્યારે એમને મળવા ગયેલો. તો કેમ જાણે શું સૂઝ્યું કે સ્વરાજની લડતનાં ગીતો સંભળાવવા માંડ્યા:

નહીં નમશે રે નહીં નમશે
નિશાન ભૂમિ ભારતનું!

લગભગ બેભાન અવસ્થામાં પણ દેશભકિતનાં ગીતો એમને યાદ આવતાં. અંધકવિ હંસનું પેલું ગીત તો બહુ સુંદર રીતે ગાયું:

ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં!
ઊતર્યાં કાંઈ આથમણે ઓવારે રે,
પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં!