સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/કષ્ટસહનની કિંમત ચૂકવીને


૧૯૦૬ની સાલ સુધી મેં એકલી બુદ્ધિની સમજાવટ પર આધાર રાખ્યો હતો. હું બહુ ઉદ્યોગી સુધારક હતો. હું સત્યનો ઉપાસક રહ્યો એટલે મારી પાસે હકીકતોનું પાકું જ્ઞાન હતું, તેથી હું સરસ લખાણો કરી શકતો. પણ મેં જોયું કે દક્ષિણ આફ્રિકામાં અણીની ઘડી આવી, ત્યારે બુદ્ધિની અસર ન પડી શકી. મારા દેશભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા (જીવડું પણ ક્યારેક સામું થઈ જાય છે), અને વેર લેવાની વાત ચાલતી હતી. મારે [કાં તો] હિંસામાં ભળવાની અથવા તો આપત્તિને પહોંચી વળવાની બીજી કોઈ રીત વચ્ચે પસંદગી કરવાની હતી. અને મને સૂઝી આવ્યું કે માણસાઈને હણનારા કાયદાને તાબે થવાની અમારે ના પાડવી જોઈએ — સરકાર ચાહે ભલે અમને જેલમાં મોકલે. આ રીતે શસ્ત્રયુદ્ધની અવેજરૂપે આ નૈતિક શસ્ત્ર પ્રગટ થયું. તે દિવસથી મારી એ પ્રતીતિ વધતી ગઈ છે કે પ્રજાને પ્રાણસમાન એવી વસ્તુઓ કેવળ સમજાવટથી મળતી નથી, પણ કષ્ટસહનરૂપે કિંમત ચૂકવીને ખરીદવી પડે છે. વિરોધીનો હૃદયપલટો કરવાની અને બુદ્ધિના અવાજ સામે બંધ રહેતા તેના કાન ઉઘાડવાની, શસ્ત્રયુદ્ધના કરતાં અનેક ગણી શક્તિ કષ્ટસહનમાં રહેલી છે. મેં જેટલી અરજીઓ કરી છે અને નિરાશાની સામે પણ જેટલી આશા મેં રાખી છે, તેટલી કોઈએ નહીં રાખી હોય. પણ મેં મનમાં ગાંઠ વાળી છે કે આપણે કંઈક ખરેખરું કામ કરાવવું હોય તો બુદ્ધિને સંતોષીએ એટલું બસ નથી — હૃદયને પણ હલાવવું જોઈએ. હૃદય સુધી સોંસરું પહોંચવાને તો સહનશક્તિ જ જોઈએ. એ માણસનાં અંતરનાં દ્વાર ખુલ્લાં કરે છે. ક્રોધરહિત, દ્વેષરહિત કષ્ટસહનના સૂર્યની સામે કઠણમાં કઠણ હૈયું પીગળવું જ જોઈએ અને જડમાં જડ અજ્ઞાન દૂર થવું જોઈએ. દુષ્ટતાનો દુષ્ટતાથી થતો પ્રતિકાર કેવળ દુષ્ટતામાં વધારો કરે છે. હિંસા સારું કરતી દેખાય છે ત્યારે તે સારું કેવળ તત્પૂરતું હોય છે, અને એ રીતે જે બૂરું કરે છે તે કાયમી હોય છે. ઇતિહાસ શીખવે છે કે જેઓ શુભ હેતુથી પણ લોભિયાઓની સત્તા પશુબળે કરીને પડાવી લે છે, તેઓ પોતે પણ એ જ લોભના ભોગ થયા છે. પરદેશી રાજકર્તા સામે આજે આપણે હિંસા આચરીએ, તો તે પછી એક ડગલું આગળ વધીને, દેશની પ્રગતિમાં આપણને જે નડતરરૂપ લાગે તેવા આપણા પોતાના લોકો સામે પણ હિંસા આચરવાને આપણે તરત જ પ્રેરાઈશું. પચાસ કરતાં પણ વધુ વરસથી હું સતતપણે અહિંસાનું પાલન કરતો આવ્યો છું. જેમની નીતિનો મારે વિરોધ કરવો પડયો છે, તેમના પ્રેમ અને વિશ્વાસનું પાત્ર હું હંમેશાં બન્યો છું, એ બીના મારા જીવનની એક કાયમના સુખની સરવાણી છે. દક્ષિણ આફ્રિકામાં મારું આયુષ્ય લડતમાં વીત્યું, પણ અંગત નાતે ત્યાંના નિવાસીઓએ મારા પર વિશ્વાસ અને મૈત્રી વરસાવેલાં. બ્રિટિશ તંત્રના મારા આવડા મોટા વિરોધ છતાં હજારો અંગ્રેજ સ્ત્રી-પુરુષો મારા પર પ્રેમ રાખી રહ્યાં છે. આ બધો અહિંસાનો વિજય છે. ખરું જોતાં અહિંસાની કસોટી જ એ છે કે અહિંસક લડતમાં કોઈ પક્ષે કડવાશ કે ઝેરવેર પાછળ રહેતાં નથી અને શત્રુઓ મિત્ર બની જાય છે. [‘આપણે સૌ એક પિતાનાં સંતાન’ પુસ્તક]