સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રજનીશ/આંખ સામે જ!


ઇજિપ્તમાં એક જૂની કહેવત છે કે જે વસ્તુ માણસથી છુપાવવી હોય, તે તેની આંખની સામે મૂકી દો; પછી તે એને જોઈ નહીં શકે. તમને યાદ છે, કેટલા દિવસોથી તમારી પત્નીનો ચહેરો તમે નથી જોયો? ખ્યાલ છે તમને કે તમારી માતાની આંખમાં આંખ પરોવીને ક્યારથી તમે નથી જોયું? પત્ની એટલી મોજૂદ છે, માતા એટલી નજીક છે, પછી જોવાનું શું? પત્ની મરી જાય છે, તો ખબર પડે છે કે એ હતી. પતિ જઈ ચૂક્યો હોય છે ત્યારે યાદ આવે છે કે અરે, આ માણસ આટલો વખત સાથે રહ્યો, પરંતુ પરિચય જ ન થયો! આથી તો લોકો સ્વજનના મરણ ઉપર આટલું રુદન કરે છે. તે રડે છે એ મરણને કારણે નહીં, પણ એટલા માટે કે આટલા દિવસોથી જેની સાથે હતા તેને આંખ ભરીને જોયા પણ નહીં; તેની ધડકનો સાંભળી ન શક્યા; એની સાથે કોઈ પરિચય થઈ ન શક્યો; તે અજાણ્યા જ રહ્યા ને અજાણ્યા જ વિદાય થઈ ગયા! અને હવે તેનો કોઈ ઉપાય નથી. તમારું સ્વજન ચાલ્યું જાય ત્યારે તમે એટલા માટે રડો છો કે એક તક મળી હતી અને ચૂકી ગયા; તેને આપણે પ્રેમ પણ ન કરી શક્યા. ઇજિપ્તના ફકીરો એ વાત કહેતા હતા કે કોઈ ચીજને છુપાવવી હોય તો તેને લોકોની આંખ સામે મૂકી દો. એ ચીજ જેટલી નજીક હોય છે, એટલી જ વધુ ભુલાઈ જાય છે. [‘રજનીશ દર્શન’ માસિક : ૧૯૭૬]