સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણ સોની/મૂળ વાત

Revision as of 07:59, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બાળસાહિત્યની આપણે ત્યાં એક સમૃદ્ધ પરંપરા છે. પહેલું નામ તો દલપતરામનું જ યાદ આવે. એ પછી ગિજુભાઈ અને નાનાભાઈએ, મેઘાણીએ, ત્રિભુવન વ્યાસે તથા પછી હરિપ્રસાદ વ્યાસ, રમણલાલ સોની, જીવરામ જોશી વગેરેએ ઘણી પેઢીઓ સુધી બાળકોનાં રસકલ્પના-જાણકારીને પોષ્યાં ને ઉત્તેજ્યાં. ‘બાલમિત્ર’, ‘ચાંદામામા’, ‘ઝગમગ’, ‘રમકડું’ વગેરે સામયિકોએ વિસ્મયરુચિ-સંવર્ધન કર્યું. ‘રામાયણ’-‘મહાભારત’નાં પાત્રો (નાનાભાઈ) અને બકોર પટેલ (હરિપ્રસાદ વ્યાસ), મિયાં ફૂસકી (જીવરામ જોશી), ગલબો શિયાળ (રમણલાલ સોની) જેવી વિવિધ-રસિક પાત્રસૃષ્ટિ ઊભી થઈ. અનુવાદોથી ઇસપ, ગુલિવર, એલિસની અજાયબ દુનિયા પણ ખૂલી ને ગ્રીમબંધુઓની અને વિશ્વની બાળકથા-લોકકથાના ભંડાર ઠલાવાયા. એમાંનું કેટલુંક આજે જૂનું પણ થયું લાગે; એવું કેટલુંક ખરી પડવાનું. આ બધા લેખકો પાસે બાળકના મન-સરસા રહીને કથા કહેવાનાં, કાનમાં સરી જતાં કાવ્યો આપવાનાં કુનેહ અને શક્તિ હતાં. બાળકોનો, મોટેરાંનો પણ, વાચનરસ છલોછલ હતો. પણ છેલ્લા થોડાક દાયકાનું ચિત્ર જુદું છે. દૃશ્ય માધ્યમો આગળ આવી ગયાં છે. બાળપણથી અભ્યાસમાં અંગ્રેજી માધ્યમ પણ ગુજરાતી વાચનની આડે આવેલું છે. પણ મૂળ વાત તો એ કે, આ સમયમાં બાળસાહિત્યની ટકોરાબંધ નીવડે એવી કૃતિઓ કેટલી મળે છે? લખાય છે ને પ્રકાશિત થાય છે તો ઘણું, પણ મહદંશે એ પુસ્તકો કશો આનંદ આપનારાં થયાં છે ખરાં? લથડતા લયવાળાં, ઢંગધડા વિનાના કથા-સંકલનવાળાં, કલ્પનાના વિત્ત વિનાનાં, બાળકોને સમજાય નહીં ને (એથી) એ વિમુખ થઈ રહે એવાં અપારદર્શક શબ્દ-ચોસલાંવાળાં પુષ્કળ કાવ્યો-વાર્તાઓનો કમનસીબ સામનો આપણે કરવાનો આવે છે. સુઘડ ને આકર્ષક મુદ્રણ-નિર્માણ એ પણ બાળસાહિત્યના પ્રકાશન માટેની અગત્યની જરૂરિયાત છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આની સભાનતા વધી છે ખરી. પણ એમાંય ચતુરંગી મુદ્રણ રુચિર ને કલાત્મક ન રહેતાં વૈભવી ચતુરાઈવાળું નર્યું ભપકારૂપ બની રહે છે. (એટલે હવે કેટલાક તો, કોઈ પણ પુસ્તકના આવા ચતુરંગી મુદ્રણથી ઓચાઈ ગયા છે.) નબળી સામગ્રી રંગવૈભવથી આકર્ષક — ને મોંઘી — કરી મૂકવાનું વલણ વધ્યું છે. પ્રકાશનોનું બેહદ વેપારીકરણ થયું છે. બાળસાહિત્યના આકરા પરીક્ષણની જરૂર છે. [‘પ્રત્યક્ષ’ માસિક : ૨૦૦૬]