સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“નહીં પરણું”


એક ભંગી યુવાન રઘા સાથે મારે નાનપણથી ભાઈબંધી. નાના હતા ત્યારે ઘણી જાતની વાતો કરતા, એમાં પરણવાની વાત પણ આવતી. અમને બીજાઓને તો ન પરણવાનો વિચાર જ આવતો નહીં. પણ ત્યારે રઘો કહેતો કે તે પરણવાનો નહિ. અમે કારણ પૂછતા, તો કહેતો: “હું પરણું તો મારી ઘરવાળીને મારે માટી (માંસ) લાવીને આપવી પડે. પણ એ મૂએલા ઢોરની માટી ખાય એ મને ગમે નહીં, અને તેને તો એના વિના ચાલે નહીં. એટલા માટે હું નહીં પરણું.” આ પચાસ વરસ પરની વાત છે. આ રઘો હજી જીવે છે અને તે પરણ્યો નથી. આમ ભંગીમાંયે તપસ્વી છે. તો શું તેને ભંગી કહીને આપણે દૂર ઠેલીશું?