સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“પારકી થાપણ”


સત્યાગ્રહની લડતમાં એક મુસલમાન જુવાનની ધરપકડ થઈ. લોકો એની ઘરડી મા પાસે ગયા અને ખબર આપી કે, સરકાર તમારા દીકરાને જેલમાં લઈ ગઈ. ડોશી તો ખુશ થતાં બોલ્યાં: “અરે ભલા માણસ! એ ક્યાં મારો દીકરો હતો? એ તો ખુદાની અનામત હતી. વખત આવ્યે ખપ લાગે, એ માટે તેણે મારે ત્યાં મૂકી રાખી હતી. હવે ખુદાને એની જરૂર પડી એટલે લઈ ગયા. એને મારા ઘરમાં રાખી મૂકું, તો તો પારકી થાપણ ઓળવી કહેવાય!” [‘મહારાજની વાતો’ પુસ્તક: ૧૯૭૨]