સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/બાલકાવ્યો

Revision as of 06:12, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાત્સલ્યનાં ગીતો એ માબાપનાં બાળકો તરફનાં કોમળ ભાવનાં ગીતો છે. બાલકાવ્યો એ બાળકોને પોતાને ગાવાનાં અને ભોગવવાનાં ગીતો છે. બાળકના મોંમાં મોટાંઓના બાળક વિશેના ભાવો મૂકવાથી બાલકાવ્ય નથી થઈ જતું. બાલકાવ્ય બાલગમ્ય અને બાલભોગ્ય હોવું જોઈએ. શ્રી ત્રિભુવન વ્યાસે કેટલાંક સારાં બાલકાવ્યો લખ્યાં છે. બીજાં પણ કેટલાંક સારાં લખાયાં છે. પણ આપણાં ઘણાંખરાં ગણાતાં બાલકાવ્યો જોતાં જાણે એમ લાગે છે કે બાળકનું તરવરતું, કૂદાકૂદ કરતું, કૌતુકમય જીવન તેમાં આવતું નથી. કેટલાંક બાલકાવ્યો જોતાં મને બીક લાગે છે કે એ વાંચીને બાળકો ક્યાંક પોતાની સ્વાભાવિક રમત પણ ભૂલી જશે! હું કબૂલ કરું છું કે બાલકાવ્યો લખવાં ઘણાં જ અઘરાં છે.