સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ગેરસમજ


આપણે જો કોઈની નિંદા સાંભળીએ, તો એમ સમજવું કે કાંઈક ગેરસમજ થઈ છે. સગા કાનનો યે ભરોસો ન કરવો. કહેવા — સાંભળવામાં કેટલીયે ભૂલો થઈ જતી હોય છે. એક જણ એક ભાવનાથી બોલે છે, ને બીજો અન્ય ભાવનાથી સાંભળે છે. એટલે જ્યારે ગેરસમજ થાય ત્યારે પોતાના માનસિક તર્કનો અવિશ્વાસ કરવો જોઈએ, અને સામી વ્યક્તિ તેનો જે અર્થ કરે તેને જ ખરો માનવો જોઈએ; એ પોતે જે કહે તે જ શ્રેષ્ઠ સાબિતી. માણસ પોતાના દોષ કહેવા માંડે ત્યારે સાંભળવા, કારણ કે તેથી દોષ ધોવાય છે; પણ તેથી એમ ન માનવું કે એ કહે છે તેવા દોષ તેનામાં છે જ. પણ એમ માનવું કે એવા દોષનો આભાસ તેને થયો છે તો, ચાલો, એનું નિરાકરણ કરવામાં મદદરૂપ થઈએ.