સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/પ્રતીક્ષા સૂરજની



ડાબી બાજુ, જમણી બાજુ
નજર પહોંચે ત્યાં સુધી
રસ્તા ઉપર, બસમાં, ટ્રેનમાં
મોકળાશ હશે, ખીચોખીચ દુર્ગંધાતી ભીડ નહીં હોય.
શ્વાસ લેવાશે, ચલાશે, થોભી પણ શકાશે
એવો પણ દિવસ ઊગશે!
સિગ્નલ પર
ગાડીની પાછળ દોડતા લાચાર
કરગરતા, દીનહીન, લાચાર હાથ નહીં હોય,
દાતાઓના હાથ ભોંઠા પડશે.
હાથ કહેશે, ‘અમને કામ જોઈએ છે, દાન નહીં.’
હાથ પથ્થરો તોડશે, ભીખ નહીં માગે—
એવો પણ દિવસ ઊગશે!
નહીં હોય ન્યાયાલયો, નહીં હોય કારાગારો,
બંને બાજુથી ફોલી ખાતા નહીં હોય પોલીસો અને વકીલો,
કારણ મિલકત નહીં હોય
અને ગુનો કરનારનું મન નહીં હોય—
એવો પણ દિવસ ઊગશે!
લોટરી અને દારૂનો ધંધો કરતી સરકાર નહીં હોય,
કારણ નશો કરી જાતને ભૂલવા મથતી પ્રજા નહીં હોય
ને એક દિવસમાં કુબેર થવાનાં સ્વપ્નાં જોનારી
આંખો નહીં હોય,
કારણ કુબેર થવાની કોઈ ‘સ્ટૅટસ’ નહીં હોય, ફાયદો નહીં હોય—
એવો પણ દિવસ ઊગશે!
એક માણસ બીજા માણસને પૂછશે નહીં.
‘તારો ધર્મ કયો, તારી જાત કઈ?’
કારણ કોઈ ધર્મ નહીં હોય,
કારણ કોઈ ભય નહીં હોય,
કોઈ સોદાગીરી નહીં હોય ઈશ્વર સાથે,
નમન કરવા માટે કોઈ લાચારી નહીં હોય, લાલચ નહીં હોય.
પછી મંદિર અને મસ્જિદ, ગિરજાઘર ને દેવળ મ્યુઝિયમમાં ફેરવાશે.
ઈશ્વર હશે ગૌરવથી ટટ્ટાર ઊભો રહેનારો,
એના હાથમાં કોઈ એક લોહીતરસી ધજા નહીં હોય—
એવો પણ દિવસ ઊગશે!
એ દિવસના ઊગતા સૂરજને જોવા
આ ગાઢ અંધકારમાં પણ
હું જાગતો રહીશ.