સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હાજી મહમ્મદ અ. શિવજી/‘બોરોડ’થી બીવાનું નથી

Revision as of 12:02, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મારું માનવું છે કે પ્રજાને અમુક પ્રકારનું રુચિકર વાચન જોઈએ છે. પછી તે ‘બોરોડ’ (ઉછીનું લીધેલું) હોય કે ગમે તેવું, તેની તેને દરકાર મુદ્દલ નથી. થોડાક ૧૦૦થી ૨૦૦ સાક્ષરવર્ગનાઓ જ દરકાર રાખી આ આમાંથી લીધું ને પેલું પેલામાંથી લીધું ગણે છે—જેઓ પોતે કદી દોઢિયાં ખર્ચી વાંચતા નથી. આ મારો ઉપરટપકિયો અભિપ્રાય નથી, પણ મજબૂત અનુભવ છે એમ માનશો. તમે અમુક સાક્ષરમંડળમાં બેસો-ઊઠો અને તે લોક આજે ઓલાનું ને કાલે પેલાનું બંગાળી-મરાઠી કે હિન્દી સાહિત્ય વાંચી તે ઉપરથી પકડી પાડી કહે કે આ આમાંથી છે, તો તેની દરકાર ગ્રાહકવર્ગના જનસમાજ સાથે નથી જ સરખાવવાની એ મત ઉપર હું લાંબા વિચાર અને ચાલુ મનન પછી જ આવ્યો છું. શરૂઆતમાં તો હું પણ બધું ‘ઓરિજિનલ’ અને સ્વતંત્ર આવે એ જ વિચારનો હતો. પણ ભાઈજી, તમારે ત્યાંના સાહિત્યમાં તેવા લેખક જ ક્યાં છે? જે લોક ‘છે’ તરીકે ગણાય છે તેઓ પણ ખરેખર ‘નથી જ’. નથી તેમનું વાચન, મનન કે અધ્યયન. તેવામાં એ લોકને આશરે રહેતાં પત્તો ન ખાય. દુનિયાના વિખ્યાત ‘સ્ટ્રેન્ડ મેગેઝીન’નાં પહેલાં પાંચ વર્ષોની ફાઈલો જોશો તો તેમાં રશિયન, ફ્રેન્ચ અને જર્મન લેખોનાં ભાષાંતર જ ભરેલાં છે! બીવાનું ‘બોરોડ’થી નથી. [‘હાજી મહમ્મદ સ્મારકગ્રંથ’]