સમુડી/યોગેશ જોષી

યોગેશ જોષી

ગુજરાતીના એક મહત્ત્વના સર્જક યોગેશ જોષી (જ. ૩-૫-૧૯૫૫) વ્યવસાયે એન્જિનીયર. એમ.એસસી. કરીને બીએસએનએલ, અમદાવાદમાં, જુનિયર એન્જિનીયર તરીકે જોડાયા અને ડે. જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. પણ એમનામાં સર્જકતાનો વેગ અને સાતત્ય એવાં રહ્યાં છે કે કવિતા (અવાજનું અજવાળું, ૧૯૮૪થી આખુંય આકાશ માળામાં, ૨૦૧૮); નવલકથા (સમુડી, ૧૯૮૪થી અણધારી યાત્રા, ૨૦૧૧); વાર્તા (હજુય કેટલું દૂર, ૧૯૯૩થી અઢારમો ચહેરો, ૨૦૧૩); ચરિત્ર(મોટી બા); અનુવાદ (મૃત્યુસમીપે); બાળકવિતા-વાર્તાનાં ૧૪ પુસ્તકો; અને ૧૦ સંપાદનો (એમાં સૌથી અગત્યનું તે વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા, ૨૦૦૭, અન્ય સાથે) – એમ ૪૦ જેટલાં પુસ્તકો એમણે આજ સુધીમાં આપ્યાં છે. સર્જક તરીકેની એમની મુખ્ય ઓળખ તે ઊર્મિલક્ષી, નક્કર કલ્પનમય કવિતાના સજ્જ કવિ તરીકેની. અલબત્ત, એમની પ્રત્યેક સ્વરૂપની કોઈ ને કોઈ કૃતિ પુરસ્કૃત થયેલી છે. હાલ યોગેશ જોષી ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક પરબના સંપાદક તરીકે પણ કાર્યરત છે.