સિગ્નેચર પોયમ્સ/નયણાં – વેણીભાઈ પુરોહિત

From Ekatra Wiki
Revision as of 02:14, 20 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નયણાં

વેણીભાઈ પુરોહિત


ઊનાં રે પાણીનાં અદ્‌ભુત માછલાં—
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીના અદ્‌ભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદ્‌ભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદ્‌ભુત માછલાં.