સિગ્નેચર પોયમ્સ/બાપુજીનું પહેરણ – રાજેન્દ્ર પટેલ

બાપુજીનું પહેરણ

રાજેન્દ્ર પટેલ


આ ધુળેટીએ
રંગઈ જવાના ડરે
બાપુજીનું જૂનું પહેરણ પહેર્યું.

અને એમના શબ્દો યાદ આવ્યા :
દીકરા, પહેરણ ભલે સાંધેલું હોય.
પણ ચોખ્ખું રાખજે.

દિવસભર રંગાઈ ગયા પછીયે
પહેરણ ખરે જ ચોખ્ખું,
કપાસના ફૂલ જેવું હળવું લાગતું હતું.

સાંજ પડ્યે સમજાયું
આ પહેરણ તો
ના પહેરીનેય પહેરાય એવું,
અને એકવાર પહેર્યા પછી
ક્યારેય ના ઊતરે એવું હતું.

સવારે રોજની જેમ
ઈસ્ત્રીબંધ નવું ખમીસ પહેર્યું
તોય લાગતું રહ્યું
પેલું પહેરણ તો જાણે
હાડમાં હાજરાહજૂર છે!