સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 409: Line 409:


કેવળ ચોરીલૂંટને જ માટે નીકળેલા : પણ બહારવટાના નિયમો પાળનારા : 1. મોવર સંધવાણી : માળિયાનો મિયાણો : ઇ.સ. 1880-86 : વર્ષ છ : બહારવટું પાર પડ્યું. 2. એકલિયો (પુનરવ) : મોવર સંધવાણીનો સમકાલીન. એનું વૃત્તાંત અપ્રકટ છે.
કેવળ ચોરીલૂંટને જ માટે નીકળેલા : પણ બહારવટાના નિયમો પાળનારા : 1. મોવર સંધવાણી : માળિયાનો મિયાણો : ઇ.સ. 1880-86 : વર્ષ છ : બહારવટું પાર પડ્યું. 2. એકલિયો (પુનરવ) : મોવર સંધવાણીનો સમકાલીન. એનું વૃત્તાંત અપ્રકટ છે.
{{Poem2Close}}
{{Poem2Open}}
<center>'''સૌરાષ્ટ્રના રોબિન હૂડ'''</center>
પ્રથમ કોટિના બહારવટિયા વિશે કિનકેઈડ યથાર્થ લખે છે કે <ref>‘ધિ આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’.</ref>
“પહેલા વિભાગના બહારવટિયા વધુમાં વધુ રસભરપૂર છે, અને તેઓ ઇંગ્લન્ડના વહેલા કાળના બહારવટિયાને સારી પેઠે મળતા આવે છે. એ તો યાદ હશે કે જ્યારે હન્ટિંગ્ડનના અમીરની જાગીર રાજા જ્હોનના સગીર-કારોબારમાં ઝૂંટવી લેવામાં આવી, ત્યારે એ અમીર પોતાનાં માણસો એકઠાં કરીને શેરવૂડ વનમાં ચાલ્યો ગયો. અને આજ સુધી પણ ‘રોબિન હૂડ’ નામથી એ ઘરોઘર સુપ્રસિદ્ધ છે. એનો મુખ્ય હેતુ ગુના કરવાનો નહોતો, જોકે સાચોસાચ તો એણે એ જ કામ કર્યા કર્યું હતું. એની ઇચ્છા એ રાજ્યનું શાસન અટકાવી પાડવાની હતી. એ ફાવ્યો અને મધ્યસ્થ સત્તા પાસેથી પોતાની જાગીર તથા પદવી એણે પાછાં મેળવ્યાં.
સૌરાષ્ટ્રના ગરાસિયા બહારવટિયા પણ અચૂક એ જ ધોરણે વર્તન ચલાવતા. તેઓમાંના ઘણાખરા તો કાઠી જાગીરદારો જ હતા, કે જેનાં માલમિલકત વધુ બળિયા પડોશીઓએ ઝુંટવી લીધેલાં. (બધા જ કાઠી નહોતા, કેમ કે હજુ 1902માં જ જ્યુડિશિયલ આસિસ્ટંટે જૂનાગઢ ઉપર બહારવટે નીકળનાર એક મુસલમાન ટોળીને ગુનેગાર ઠરાવેલી).
આ રીતે રઝળી પડેલા કાઠીઓ પોતાના નોકરો ને સંબંધીઓને એકઠા કરી લૂંટફાટ તથા ખૂનખરાબી ચલાવતા કે જેથી છેવટે કાં તો તેઓ નાબૂદ થઈ જતા, અથવા તો અન્યાય કરનારને એમ સમજાતું કે પોતાના તાલુકાનું શાસન ચલાવવા ચાહે તે ભોગે સુલેહ કરવી એ જ એક માર્ગ છે, અને તેથી તે બહારવટિયાને એની જાગીર પાછી સુપરત કરતો. આ દ્વીપકલ્પમાં સંખ્યાબંધ જુદાં જુદાં રાજ્યો હતાં અને એ દરેક રાજ્ય હમેશાં પોતાના તાબાના જાગીરદારને ઓહિયાં કરી જવાનો ડર દેખાડતું હોવાને કારણે આ બહારવટિયાને ઘણી સગવડ પડતી. એને લીધે તમામ જાગીરદારો પોતાના પડોશીને એના ન્યાય મેળવવાના પ્રયાસમાં સહાયભૂત થવા વધુ આતુર રહેતા. ઉપરાંત, તેઓનાં કૃત્યો ગુનારૂપ તેમ જ ક્રૂર હોવા છતાં પણ તેઓની નેમ તો દેશની ચાલુ સ્થિતિ વચ્ચે પોતાના અન્યાય સામે વાજબી દાદ મેળવવાની જ બતી. એ વાતને લીધે પ્રજામત ઘણે ભાગે તેઓના પક્ષમાં ઢળતો અને પ્રજા એ લોકોની માગણી સંતોષાતી જોવા રાજી હતી.”
<center>'''સંતાવાનાં સ્થાન'''</center>
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 11:32, 20 May 2022

બહારવટાંની મીમાંસા

[પ્રવેશક]


પોતાને અને રાજસત્તાને વાંધો પડવાથી કોઈ પણ મનુષ્ય એ રાજસત્તાની અવગણના કરી રાજ્ય બહારની વાટ (માર્ગ) પકડે એનું નામ બહારવ(વા)ટિયો. અંગ્રેજી ભાષામાં એનો પર્યાય શબ્દ છે ‘આઉટલૉ’ : એટલે કાયદાકાનૂનના પ્રદેશની બહાર નીકળી જનાર, કાયદાને અધીન રહેવા ના પાડનાર અને તેને પરિણામે કાયદાના રક્ષણથી પણ વંચિત રહેનાર ઇસમ. જૂના કાળમાં, અને આ કાળમાં, આ દેશમાં તેમ જ અન્ય દેશોમાં, શસ્ત્રધારી કે શસ્ત્રહીન, એવા અનેક બહારવટિયા નીકળેલા છે. તેઓએ રાજસત્તાનાં શાસનોને હંફાવીને પોતાને મળેલ અન્યાયનું નિવારણ મેળવવા અથવા તો પોતાના વેરનો બદલો લેવા સફળ કે નિષ્ફળ યત્નો કરેલા છે. અને અંગ્રેજ રાજ્યના ‘ધારા’ નો અમલ શરૂ થયા પછી બહારવટું એ હિન્દી પીનલ કોડની કલમ 121-અ મુજબનો, વધુમાં વધુ ફાંસીની સજાને પાત્ર ગુનો ઠર્યો છે.

વિરોધી ભાવોનું વાતાવરણ

દેશદેશના ઇતિહાસમાં બહારવટિયાઓનાં પ્રકરણો અતિ આકર્ષક થઈ પડ્યાં છે. ‘બહારવટા’નું વાતાવરણ જ વિલક્ષણ હોય છે. એમાં ઘણા ઘણા પરસ્પરવિરોધી ભાવોનો સંગમ થાય છે. રાજાની આસપાસ વિક્રમ અને વૈભવનું, ઋષિની આસપાસ તપોવનની વિશુદ્ધ શાંતિનું, વિદ્વાનની આસપાસ રસિક વિદ્વત્તાનું, એમ છૂટાં છૂટાં વાતાવરણો ગૂંથાય છે. પણ બહારવટિયાની આસપાસ તો ભિક્ષુકતાની સાથે રાજત્વ, ઘાતકીપણાની સાથે કરુણા, લૂંટારુપણાની સાથે ઔદાર્ય, સંકટોની સાથે ખુશમિજાજી અને છલકપટની સાથે નિર્ભય ખાનદાની, એવાં દ્વંદ્વો લાગી પડેલાં છે. ઘણી વાર તો પ્રજા કોઈ જગદ્વિજેતાનાં મહાન પરાક્રમો કરતાં બહારવટિયાનાં નાનાં નાનાં વીરત્વમાં વધુ રસ લે છે, એની મોજીલી પ્રકૃતિના પ્રસંગો પર હાસ્ય વરસાવે છે, એનાં ઘાતકી કૃત્યો સાંભળીને, પોતાના કોઈ માનીતા આત્મજને ભૂલો કરી હોય એવે ભાવે શોચ અને ઉત્તાપ અનુભવે છે, એની તપશ્ચર્યા પર વારી જાય છે, એની વિપદની વાત આવતાં દયા ખાય છે, એના દોષોને વીસરી જઈ એના પરમાણુ જેવડા ગુણોને પણ પર્વત જેવડા કરી માને છે, વીરત્વની ઘણી ઊંચી કલ્પિત અને અર્ધકલ્પિત ઘટનાઓ એના નામની સાથે જોડી દે છે. સૌરાષ્ટ્ર દેશ એવા બહારવટાના પચરંગી લોક-ઇતિહાસે છલોછલ ભરેલો છે. પ્રથમ આપણે બહારવટાની મીમાંસામાં યુરોપની દૃષ્ટિ સમજીએ, પછી કાઠિયાવાડની વિપુલ કથાસામગ્રીમાં ઊતરીએ.

રંગીલો રોબિન હૂડ

બારમી શતાબ્દીમાં ઇંગ્લન્ડના અરણ્યોમાં રોબિન હૂડ નામનો એક બહારવટિયો થઈ ગયાનું વૃત્તાંત લોકરચિત ગીતકથાઓમાં ને કંઠસ્થ વાતોમાં પ્રચલિત છે. ઇંગ્લન્ડનો ઇતિહાસ આવા કોઈ પણ માનવીના અસ્તિત્વને આધાર આપતો નથી. છતાં એ લૂંટારા વિશે એક-બે નહિ, પણ કુલ આડત્રીસ તો લાંબાં લોકગીતો મુખપરંપરાથી ચાલ્યાં આવે છે. ને હવે તો એ ગીતો અંગ્રેજી સાહિત્યમાં ઊંચું સ્થાન ભોગવે છે. કૌતુકપ્રધાન કથાઓના સુવિખ્યાત લેખક વૉલ્ટર સ્કૉટે આ રોબિન હૂડનું મહોજ્જ્વલ પાત્ર એમની ‘આઈવેનહો’ નામની નવલમાં આલેખ્યું છે. પીકૉક નામના ગ્રંથકારે ‘મેઈડ મેરીઅન’ નામની એક નાની પુસ્તિકામાં રૉબિનની પ્રેમકથા અને અરણ્યમાંની જીવનચર્યા આલેખી છે. આ સમગ્ર સાહિત્યનો સાર આમ છે : ઇંગ્લન્ડના રાજાઓ જંગલમાં પોતાની એકલાની જ લોલુપતા સંતોષવા માટે મૃગયા રમીને હરણાંનું મીઠું માંસ ખાતા પણ અન્ય સહુને માટે ત્યાં મૃગયાની સખત મનાઈ કરતા. એ રાજાના આવા સ્વાર્થી કાયદાનો હમેશાં બેધડક ભંગ કરનાર એક પાવરધો અમીર રાજદ્રોહનો અપરાધી ઠરી, બરાબર પોતાની લગ્નવિધિને વખતે જ પોતાને પકડવા આવનાર રાજસેનાને ઠાર કરી, પોતાના સાથીઓને લઈ અધૂરે લગ્ને બહારવટે ચડ્યો, રોબિન હૂડ નામ ધારણ કર્યું; રાજાના માનીતા મૃગ-માંસની મહેફિલો ઉડાવવા લાગ્યો, ને જંગલના માર્ગો પર ઓડા બાંધી, લૂંટ આદરી દીધી. એ સાચો વીર હતો. ખેડૂતોને અથવા કારીગરોને તે ન સંતાપતો; વિલાસમાં ચકચૂર હૃષ્ટપુષ્ટ શરીરવાળા પાદરીઓને, જુલમી અમીરોને, રાજસત્તાના હાકેમોને અને કંજૂસ શ્રીમંતોને લૂંટતો; અને એ લૂંટના દ્રવ્યને ગરીબોની સહાય અર્થે વાપરતો. એ ‘યુનિવર્સલ ડાર્લિંગ ઑફ ધ કોમન પીપલ’ — જનસમુદાયનો માનીતો’ ગણાતો. એની લૂંટવાની પદ્ધતિ પણ વિલક્ષણ હતી : પ્રથમ પ્રવાસીઓને પકડી, પોતાની સાથે પોતાના અરણ્યભવનમાં લહેરથી પેટભર જમાડતો અને પછી એમની કોથળીઓ ખોલાવતો. કોઈ સામંત સંકટમાં આવી પડી ઉછીનાં નાણાં માગે તો પણ આપતો. તે અજોડ ધનુર્ધારી હતો. ધર્નુધારીઓનું મોટું સૈન્ય એની ચાકરી કરતું. પોતે કુમારિકા મેરીમાતાનો ભક્ત હોઈ સ્ત્રીજનોને ન લૂંટતો, એટલું જ નહિ, પણ સ્ત્રીજનો જેના સંગાથમાં હોય તેવા હરકોઈ પુરુષ પ્રવાસી પર હાથ ન નાખતો. એનો જીવનમંત્ર ‘વીરત્વ અને મજમજાહ’ હતો. એ ‘મેરી આઉટલૉ’ ગણાતો. મૃત્યુકાળે પણ એ ગમગીન નહોતો. એની કરુણામાંથી વિનોદ ઝરતો. આખરે અનેક અદ્ભુત સાહસો દાખવી એ એક ધાર્મિક મઠમાં એક બહેન કરેલી બાઈને હાથે દગાથી મર્યો. લોઢાના સળિયા ધગાવી એની આંખોમાં ચાંપી દેવામાં આવ્યાં. ઇ.સ. 1247, ડિસેમ્બર, તા. 24 : અને એના મૃત્યુકાળે જ્યારે એના જીવનસાથી ‘લિટલ જ્હોને’ માગણી કરી કે ‘આ સાધુડીઓના મઠ બાળી નાખવાની મને રજા આપો!’ ત્યારે મરતો મરતો બહારવટિયો શું બોલે છે? —


‘Now nay, now nay’, quoth RobinHood,
That boon I will not grant thee;



1 But look ye do no husband harm
That tilleth with his plough.
No more ye shall no good yeoman
That walketh by Greenwood shaw,
Ne no knight ne no squire
That would be a good fellow.

2 These bishops and these archbishops
Ye shall them beat and bind,
The high sheriff no Nottingham
Him hold ye in your mind.

3 Robin loved our dear Lady,
For doubt of deadly sin
Would he never do company harm
That any woman was in.

I Never hurt a Woman in all my life,
Nor men in women’s company.
I never hurt fair maid in all my time,
Nor at mine end shall it be.

[ના ભાઈ, ના બંધુ! એ નહિ બને. મેં જીવનભર કોઈ સ્ત્રીને સંતાપી નથી, સ્ત્રીના સંગાથી કોઈ પુરુષને પણ નહિ. જીવનભર જે નથી કર્યું તે મૃત્યુટાણે હું શા સારુ કરું?]

ત્રિવિધ પ્રેમથી પ્રેરિત

આ બહારવટિયાના ગીતોમાં અંગ્રેજ વિદ્વાનોને કેવું દર્શન થયું છે? વાંચીએ : “રોબિન હૂડનાં ગીતો અંગ્રેજ પ્રજાના પ્રકૃતિપ્રેમ થકી, સ્વાતંત્ર્યપ્રેમ થકી અને નીતિન્યાયના પ્રેમ થકી પ્રેરાયેલાં છે. રોબિન હૂડ અને એના માણસોનાં પરાક્રમો વિશેની એ પ્રાસબદ્ધ, સાદી, જાડી કાવ્યકથાઓ છે, અને એ સીધેસીધી અંગ્રેજ હૃદયમાંથી ચાલી આવે છે — જે બહાદુર હૃદય સત્તાની સામે પડકાર કરે છે, અને અધર્મના વિચારે અધિક ઉગ્ર ધબકે છે.” (“The RobinHood ballads are inspired by the Norman-English love of Nature, love of freedom and love of justice. They are crude, simple stories in rhyme, of the exploits of RobinHood and his men, and they came straight from the heart of the Englishman, that bold defiant heart which always beats more fiercely at the thought of injustice.”) અજાયબી તો એ છે કે લોક-કલ્પનાના અને કંઠસ્થ સાહિત્યના આટલા જીવન્ત પાત્રની, ચૌદ વર્ષ સુધી કિલ્લાઓ તથા સાધુ-મઠોના પાયા થરથરાવનાર આ વ્યક્તિની ખુદ હસ્તીને વિશે જ ઇતિહાસકારો વચ્ચે ઉગ્ર મતભેદ છે. એને ‘મિથીકલ બીઈંગ’, ‘એક્સીડીંગલી એ ક્રિએશન ઑફ ધ બૅલડ મ્યુઝ’, ‘એ ફિક્શન’ વગેરે વિશેષણોથી વધાવવામાં આવે છે.

ત્રણ ભાઈબંધો

એવા જ બીજા ત્રણ બહારવટિયા ઉત્તરાદા ઇંગ્લન્ડમાં થયા કહેવાય છે. એનાં નામ આદમ બેલ, કલોગનો કીલ અને કલાઉડેસ્લીનો વિલિયમ : એ ત્રણેયનું કથાગીત પ્રો. ગમિયરે પોતાના ‘ધ પૉપ્યુલર બૅલડ’ નામે પુસ્તકમાં ઉતાર્યું છે. એ જણાવે છે કે “તેઓ બહારવટિયા હતા, ધનુર્વિધાની કુશલતાએ જેમ રોબિન હૂડને તથા તેના સાથીઓને મધ્યપ્રદેશમાં સુપ્રસિદ્ધ કરેલા, તેમ આ ત્રણેયને પણ ઉત્તર પ્રદેશમાં નામાંકિત કર્યા હતા. તેઓનું રહેઠાણ કારલાઈલ શહેરથી નજીક ઈંગલવૂડના જંગલમાં હતું.” (“They were the outlaws whose skill in archery made them as famous in the North England as RobinHood and his fellows were in the Midland Countries. Their home was in the forest of Englewood, not far from Carlysle.”) તેઓની કથા કહેતું લાંબું લોકગીત આ રીતે ચાલે છે :

They were outlawed for venision,
These yeomen every one,
They swore them brethren upon a day,
The Englyshe wood to gone.

[આ ત્રણેય જણાને રાજાજીના એકલાના ભોજન માટે જંગલમાં રક્ષાતાં પશુઓ (હરણાં)નું માંસ ખાવાના ગુના બદલ બહારવટિયા જાહેર કરવામાં આવેલા. એક દિવસે તેઓએ મળીને ભાઈબંધીના સોગંદ લીધા અને ઈંગલવૂડના જંગલમાં જઈ રહેવાનો નિશ્ચય કર્યો.] રહે છે. રાજાને ખાવાનાં હરણાં મારીને ખાયપીએ છે. લૂંટે છે. એ ત્રણેયની ચોપાસ ચોકીપહેરો ગોઠવાઈ ગયા હતા. એમાં વિલિયમને અડપ ચડી કે ‘ભાઈઓ, હું મારાં બાળબચ્ચાંને મળી આવું’.

If that I come not tomorrow brother
By prime to you again,
Trust you then, that I am taken,
Or else that I am slain.

[જો કાલ સવારના પહોરમાં હુ આંહીં ન આવી પહોંચું, તો જાણજો, ભાઈઓ, કે કાં તો હું પકડાયો છું ને કાં કતલ થઈ ગયો છું.] તીરકામઠું લઈને વિલિયમ ઊપડ્યો. પોતાના ગામમાં રાત્રિએ પહોંચ્યો. ઘરના દ્વાર પર ટકોરા દીધા :

Where be you fair Alice, he said,
My wife and children three?
Lightly let in thy own husband,
William of Cloudeslee.

[એણે સાદ કર્યો : “તું ક્યાં છે ઓ મારી રૂપાળી ઍલિસ? ઓ મારી સ્ત્રી અને મારાં ત્રણ બચ્ચાં! ધીરેથી કમાડ ખોલ અને તારા ધણી ક્લાઉડેસ્લીવાળા વિલિયમને અંદર લઈ લે.”] એની વહાલી સ્ત્રી ઍલિસ આવી. દ્વાર ઉઘાડ્યું. ફફડીને બોલી :

Alas! then said Alice fair,
And sighted wondrous sore;
This place has been beset for you,
This half a year and more.

[‘હાય!’ કહીને એણે ઊંડો નિ:શ્વાસ નાખ્યો : ‘છેલ્લા દોઢ વરસથી તારે માટે આ જગ્યા ઉપર ચોકીપહેરા રહે છે. જાસૂસો ફરે છે.’] ‘એની ફિકર નહિ, વહાલી ઍલિસ!’ કહીને વિલિયમ અંદર ગયો. બચ્ચાંને હેત કરીને હૈયે ચાંપ્યાં. ઍલિસે રાંધ્યું ને પોતે ઊની ઊની રસોઈ જમ્યો. બન્ને જણાં ઘણે દિવસે મળ્યાં છે અને ઘડી બે ઘડીમાં તો પતિ પાછો ચાલ્યો જશે, કાં ઝલાશે એમ સમજી બંનેએ હેત ઠાલવવા માંડ્યાં. ત્યાં તો તેઓના ઘરમાં એક આશ્રિત ડોશી હતી તે સરકીને ન્યાયકચેરીમાં બાતમી દઈ આવી. ધણી-ધણિયાણી પ્યારમાં ગુલતાન છે તે વખતે બારીએથી બહારવટિયાએ પોલિસનું ટોળું, શૅરીફ, ન્યાયાધીશ — તમામને ખડાં થઈ ગયેલાં દીઠાં. પણ એ તો મર્દ હતો. થડક્યો નહિ. એણે શું કર્યું?

He took his sword and his buckler,
His bow and his children three;
And went into his strongest chamber
Where he thought surest to be.

[એણે પોતાની તરવાર તથા પટો ઉઠાવ્યાં. પોતાનું ધનુષ્ય તથા ત્રણેય બચ્ચાંને ઉપાડી લીધાં. અને પોતાના ઘરમાં સૌથી મજબૂત ઓરડામાં, કે જ્યાં પોતે સલામત રહી શકશે એમ લાગ્યું, તેમાં જઈને ભરાયો.] અને એની શૂરી સ્ત્રીએ શું કર્યું?

Fair Alice like a lover true
Took a pollo-axe in her hand
Said, he shall die that cometh in
This door, while I may stand.

[સુંદરી ઍલિસે એક સાચી પ્રિયતમાની અદાથી હાથમાં કુહાડી ઉપાડી અને શત્રુઓને હાકલ કરી કે ‘હું આંહીં ઊભી છું ત્યાં સુધી જો કોઈ મારી ખડકીમાં આવ્યો છે તો એનું મૉત સમજજો!’] એમ ઍલિસે ગિસ્તને રોકી રાખી, એટલે બહારવટિયાએ શું કર્યું?

Cloudeslee bent a right good bow,
That was of a trusty tree;
He smote the Justice on the breast,
That his arrow burst in three.

[બહારવટિયાએ પોતાનું મજબૂત ઝાડની બનાવટનું ધનુષ ખેંચ્યું અને તીર છોડ્યું. એ તીર શત્રુસૈન્યમાં ઊભેલા ન્યાયાધીશની છાતીમાં અથડાઈને ત્રણ ટુકડા થઈ ગયું, કેમ કે ન્યાયાધીશે બખ્તર પહેરેલું હતું.]

Yield thee Cloudeslee, said the Justice
And thy bow and thy arrows the fro;
A curse on his heart, said fair Alice
That my Husband counsolleth so.

[‘ઓ કલાઉડેસ્લી! તારાં ધનુષ્યબાણ લઈને શરણે થઈ જા!’ ‘નહિ નહિ!’ સુંદરી ઍલિસે સામી હાકલ દીધી : ‘મારા ધણીને એવી શિખામણ આપનારનું પીટ્યાનું સત્યાનાશ નીકળજો! મારો મરદ મુછાળો શું હથિયાર મેલશે?’] ‘ત્યારે સળગાવી મૂકો એના ઘરને!’ ન્યાયાધીશે હુકમ દીધો અને —

They fired the house in many a place,
The fire flew up on high;
Alas! then cried fair Alice
I see we here shall die.

[ઠેકઠેકાણેથી તેઓએ ઘર સળગાવ્યું. આગના ભડકા આકાશે ઊઠ્યા. સુંદરી ઍલિસે પોકાર કર્યો કે ‘હાય! હાય! મને લાગે છે કે આપણે આંહીં જ બળી મરશું’.] પણ ત્યાં તો —

William opened a back window
That was in his chamber high,
And there with sheets he did let down
His wife and children three.

[બહારવટિયા વિલિયમે એના દીવાનખાનાની ઊંચી મેડીની પાછલી બારી ઉઘાડી અને ત્યાંથી લૂગડાં બાંધીને એણે પોતાની ઓરત તથા ત્રણ બચ્ચાંને નીચે ઉતાર્યાં.] પછી શત્રુઓને હાકલ દીધી :

Have you here my treasure, said William,
My wife and my children three.
For Christe’s love do them no harm,
But wreke you all on me.

[‘આ લ્યો આ મારો ખજાનો — મારી ઓરત અને મારાં ત્રણ બચ્ચાં. ઇસુને ખાતર તમે એને ઈજા કરશો નહિ. પણ ખુશીથી તમે તમામ મારા એકલા ઉપર તૂટી પડો!’] એમ કહીને એણે ધીંગાણું આદર્યું.

William shot wondorous well,
Till his arrows were all ago,
And the fire so fast upon him fell,
That his bow-string brent in two.

[બહારવટિયા વિલિયમે અજબ ચાલાકી અને બહાદુરી સાથે બાણ છોડ્યાં. છેવટે એનાં તમામ તીર ખૂટી ગયાં. અને બીજી બાજુ ઘરની આગે એને એવી ઝડપથી ઘેર્યો કે છેવટે એના ધનુષ્યની પણછના બે ટુકડા થઈ ગયા.] બહારવટિયાને મૉત સૂઝી આવ્યું. પણ એણે વિચાર્યું : ‘આમ ભીંત હેઠળ ભીંસાઈને શીદ મરવું? તે કરતાં ધીંગાણે ન મરું?’

He took his sword and his buckler
And among them all he ran,
Where the people were most in prece
He smote down many a man.

[તરવારપટો લઈને એણે ટોળા સામે દોટ કાઢી અને જ્યાં શત્રુઓનું જૂથ જાડું હતું ત્યાં જઈને કેટલાયને ઢાળી દીધા.]

There might no man abide his strokes
So fiercely on them he ran;
Then they threw windows and doors on him
And so took that good yeoman.

[એવો ઝનૂની બનીને એ તૂટી પડ્યો કે કોઈ પણ આદમી એના ઘા સામે ટક્કર ઝીલી શક્યો નહિ. પછી તો તેઓએ એના ઉપર બારીઓ અને બારણાં ઉપાડી ઉપાડીને ફગાવ્યાં. અને એ રીતે એ બહાદુર ધનુર્ધારીને કેદ પકડ્યો.] એને બંદીખાને નાખ્યો, ફાંસીની સજા ફરમાવી, ખાસ નવી ફાંસી ઘડાવી. એને ફાંસી દેવાને દિવસે ગામના દરવાજા બંધ કરાવ્યા. એ વખતે એક છોકરો ત્યાં ઊભો ઊભો ફાંસી ખોડાતી જોતો હતો :

A little boy among them asked
What meaned that gallow-tree?
They said, to hang a good yeoman
Called William of Cloudeslee,

[છોકરાએ પૂછ્યું, ‘અરે ભાઈ, આ કોના સારુ?’ તેઓ બોલ્યા, ‘ક્લાઉડેસ્લી ગામવાળા ભરાડી તીરંદાજ વિલિયમને લટકાવવા સારુ’,] છોકરાને ઓસાણ આવ્યું. એણે દોટ દીધી. ઈંગલવૂડના જંગલમાં જઈ પહોંચ્યો. બહારવટિયાના બન્ને ભેરુઓને જાણ કરી. “શાબાશ, દોસ્ત! ઠીક ખબર દેવા આવ્યો,” એમ કહી, ઇનામ તરીકે એને એક હરણકું મારી દીધું અને બેઉ જણા શહેર પર ચાલ્યા. આવે ત્યાં દરવાજા બંધ દીઠા. હવે શું થાય? પણ હતા હિકમતબાજ. બન્યા રાજાજીના કાસદિયા. દરવાજા ભભડાવ્યા :

Who is there now, said the porter,
That maketh all this knocking?
We be two messengers, quoth Clym of Clough
We come right from our king.

‘કોણ અત્યારે કમાડ ભભડાવે છે?’ દરવાણીએ અંદરથી પૂછ્યું. ‘અરે ભાઈ, ઉઘાડ ઝટ!’ ક્લોગ ગામવાળા ક્લીમે કહ્યું, ‘અમે રાજાજીના ખેપિયા સીધા રાજાસા’બની કનેથી જ આવીએ છીએ.’ દરવાણીએ દરવાજા ખોલ્યા, એટલે એને મારી, પાછા આવવા સારુ ચાવીઓ પડાવી લઈ, બેઉ ભેરુ ફાંસી દેવાતી હતી તે ઠેકાણે પહોંચ્યા. ઊભા ઊભા મામલો જુએ છે. શી બીના બની રહી છે?

The justice called to him a lad,
Cloudesle’s clothes he should have :
To make the measure of that yeoman
Thereafter to make his grave.

[ન્યાયાધીશ સાહેબ એક છોકરાને આજ્ઞા દઈ રહ્યા છે કે બહારવટિયા વિલિયમનાં કપડાં કાઢીને લઈ આવ. એની કબર ખોદાવવી છે તે માટે માપ લેવા જોઈશે.] એ સાંભળીને બહારવટિયો બોલ્યો :

He that maketh a grave for me
Himself may lie therein;

[બચ્ચાજી! મારે માટે કબર ખોદાવનારને જ એ કબરમાં સૂવું પડશે.] સાંભળીને ન્યાયાધીશને ગુસ્સો ચડ્યો :

Thou speakest proudly, said justice,
I will thee hang with my hand.

[તું ફાટતું બોલે છે, પણ જોજે, હું મારે હાથે જ તને લટકાવીશ.] આ વાત સાંભળતા બે ભેરુબંધ ઊભા હતા, તેઓએ મસલત કરી :

Then spake good Adam Bell,
To Clym of the Clough so free :
Brother, so you mark the Justice well
Lo, yonder you may him see.

[બેમાંથી વીર ઍડમ બેલે બહાદુર ક્લીમને કહ્યું : ‘ભાઈ, પેલા ન્યાયાધીશને જોયો? તું એને આંટજે હો કે? હું આંટું છું શેરીફને.’]

And at the Sheriff shoot I will
Strongly with an arrow keen;
A better shot in merry Carlisle
This seven year was not seen.

[બેઉ તીરંદાજોએ નિશાન તાક્યાં, તીર છોડ્યાં. બેઉ અમલદારોને વીંધી નાખ્યા. આખા કાર્લાઈલ શહેરમાં છેલ્લા સાત વર્ષમાં આ તીરંદાજોને ટપે તેવો કોઈ દેખાયો નહોતો.] અમલદારો પડ્યા કે લોકો નાઠા. ત્યાં તો વિલિયમ ફરસી લઈને ઠેક્યો. એક અમલદારને ઢાળી દીધો. ત્રણેય ભેરુઓએ રણથળ મચાવ્યું :

They fought to-gether as brethren true
Like hardy men and bold,
Many a man to the ground they threw,
and many a heart made cold.

[સગા ભાઈઓ સરખા એ ત્રણેય જણા અડીખમ બહાદુરોની માફક ધીંગાણે ઘૂમ્યા. ઘણાઓને તેઓએ ધરતી પર ઢાળી દીધા અને કેટલાયનાં કલેજાં થિજાવી દીધાં. એવે ટાણે ગામનો મેયર (નગરશેઠ) આવ્યો. સાથે મોટી ફોજ લાવ્યો. બહારવટિયા ભારી લડ્યા, પછી જંગલમાં નાસી ગયા.]

Thus be these good yeomen to the wood
As lightly as leaf on bynde (tree);
They laugh and be meery in their mood,
Their enemies were far behind.

[આ રીતે આ ભલા તીરંદાજો ઝાડનાં પાંદડાં ઊડી જાય તેવાં તરવરિયાં હળવાં પગલાં ભરતાં જંગલમાં ચાલ્યા ગયા, હસવા અને મોજ ઉડાડવા લાગ્યા. એમના દુશ્મનો તો ક્યાંયે પાછળ રહી ગયા.]

They set them down and made cheer
And ate and drank full well.

[બેઠક જમાવીને લહેરમાં ચડ્યા. પેટ ભરીને ખાધુંપીધું. ત્યાં તો વિલિયમ રસ્તા પર ઍલિસને આવતી દેખી બોલી ઊઠ્યો.]

Have here the best Alice, my wife!
Said William of Cloudesless,
Because you so boldly stood by me
When I was slain full nigh.

[ઓ મારી વહાલી ઍલિસ! આ લે, આ મીઠામાં મીઠી મદિરાની પ્યાલી પી! કેમ કે હું જે વેળા લગભગ કપાઈ જતો હતો તે વેળા તું બહાદુરીથી પડખે ઊભી રહી હતી.]

Then went they to supper,
With such meat as they had,
And thanked God their fortune,
They were both merry and glad.

[પછી તો બધાં વાળુ કરવા બેઠાં. જે કાંઈ માંસ મળેલું હતું તે જમ્યાં. પોતાના સુભાગ્ય બદલ પ્રભુનો અહેસાન ગાયો અને લહેર કરવા લાગ્યા.] રાજીખુશીથી તેઓ રાજાજીના દરબારમાં હાજર થવા લંડન ગયા.

They proceed prestly into the hall,
Of no man they dread,
The porter came after and did them call,
And with them began to chide.

[સડેડાટ તેઓ મહેલમાં ચડી ગયા. એમને કોઈનો ભય નહોતો. દરવાન બૂમો પાડીને વઢવા લાગ્યો.] રાજાજીની પાસે ખડા થઈ તેઓએ હથિયાર છોડ્યાં; પગે પડી માફી માગી; રાજાને ઓળખાણ આપી. રાજાજી રોષે ભરાયા. ત્રણેયને કેદ કર્યા. ફાંસીની સજા ફરમાવી. એ વાતની રાણીને જાણ થઈ. રાણીનું હૈયું બહારવટિયાની વીરતા પર ઢળી પડ્યું હતું. એણે રાજાજી પાસે જઈને વીનવ્યું :

Then good my lord I you beseech :
These yeomen grant ye me.

[ઓ મારા ભલા ખાવંદ! તમારી પાસે પાલવ પાથરીને માગું છું કે આ તીરંદાજો મને સુપરત કરી દો!] રાજાએ ઉત્તર દીધો :

Ye might have asked towers and towns
Parks and forests plenty.

[ઓ રાણીજી! એથી તો તમારે કોટકાંગરા ને નગરો માગવા હતાં; મન માને તેટલા બાગબગીચા માગવા હતા.] રાણી બોલ્યા :

None so pleasant to my pay, she said,
Nor none so lefe (dear) to me.

[હે ખાવિંદ! એમાનું કશુંયે મને આટલું મનગમતું નથી.] પછી તો રાજાજીને બહારવટિયાની કારકિર્દીનો બધો અહેવાલ મળે છે. રાજા બહારવટિયા પાસે જાય છે, કહે છે કે ‘તમારી તીરંદાજીનું પારખું કરવું છે. તૈયાર થાઓ’. રાજાએ મેદની ભરી. એની વચ્ચે બહારવટિયાને બોલાવ્યા ને પછી વિલિયમના વહાલા દીકરાને મેદાનમાં બેસારી તેના માથા પર રાજાએ જમરૂખ મુકાવ્યું. મુકાવીને કહ્યું કે ‘સાચો તીરંદાજ હો તો આ તારા દીકરાના માથા પરથી જમરૂખ ઉડાવી દે’. ‘ઉડાવી દઉં, નામદાર!’ કહીને વિલિયમ ઊભો થયો.

And when he made him ready to shoot
There was many a weeping eye.

[જ્યારે એણે તીર છોડવા પણછ તાણી, ત્યારે ઘણી ઘણી આંખો રડતી હતી.] બહાદુર વિલિયમે તીર છોડ્યું. પહેલે જ ઘાએ જમરૂખ ઉડાવી દીધું. દીકરાને જરીકે ઈજા ન થઈ. રાજાજી આફરીન બન્યા. બહારવટિયાઓને સારી નોકરી આપી…

Thus endeth the life these good yeomen,
God send them eternal bliss,
And all that with a hand-bow shooteth,
That of heaven may never miss.

[આ રીતે આ ભલા તીરંદાજોના આયુષ્યનો સુખી અંત આવ્યો. ઈશ્વર તેઓને અખંડ શાંતિ આપજો! એમની તીરંદાજી સ્વર્ગનું પણ નિશાન અચૂકપણે આંટજો!] પછી આપણે સ્કૉટકૃત ‘રૉબરોય’ નામની સ્કૉટિશ નવલમાં રૉબરોય નામના ઇતિહાસમાન્ય બહારવટિયાનો પરિચય પામીએ છીએ. એ લૂંટારાનો આખો વંશ, અન્ય એક શત્રુ-કુળ સાથેના ધીંગાણામાં, એક નિર્દોષ પાદરી-સંઘની કતલ કરીને ગુનેગાર ઠર્યો ને પછી બહારવટે નીકળ્યો. તેના વેરની, ઘાતકીપણાની, લુચ્ચાઈની, જોરાવરીની અને દિલાવરીની ઘટનાઓ એ નવલમાં ગૂંથી લેવાઈ છે.

સ્વ. શ્રદ્ધાનંદજીનો વીરમૂર્તિ સંગ્રામસિંહ

દેશી રાજસ્થાનો અને પહાડી પ્રદેશો હોય ત્યાં જ બહુધા બહારવટે ચડવાના સંજોગો હોય છે. તેમ છતાં આપણે સત્યવીર શ્રદ્ધાનંદની આત્મકથામાં બાળક મુનશીરામે આપેલું, સંગ્રામસિંહ નામના એક બહાદુર બહારવટિયાની સરકાર સામેની લડતનું નીચે મુજબનું રોમાંચક વર્ણન વાંચીએ છીએ : કાશીથી મારા પિતાની બદલી બાંદા થતાં મારા બાલહૃદય ઉપર બે બીનાઓએ અજબ પ્રવાહ છાંટી દીધો. એક તો બહારવટિયા સંગ્રામસિંહનું દર્શન. બનારસ જિલ્લાના એક ગામડામાં સંગ્રામસિંહ ખેતી કરી પેટગુજારો ચલાવતો હતો. એક દિવસ એ ઘેર નહોતો તે વખતે પોલીસે આવીને એના ઘરની જડતી લીધી અને એની પત્નીનું શિયળ લોપવાની કોશિશ કરી. ઘેર આવતાં રજપૂતને આ વાતની જાણ થઈ અને એ પોલિસના મોટા અધિકારીની પાસે રાવે દોડ્યો, ત્યાં એની સાથે પણ પોલીસે પિચાશી આચરણ બતાવ્યું. સંગ્રામસિંહનુ રજપૂત રક્ત ઊકળી ઉઠ્યું. ઘરમાં છુપાઈને પડેલી કાટેલી જૂની તરવાર ઉઠાવી. પહેલા પ્રથમ પોતાની નિરપરાધી અર્ધાંગિનીને સદાને માટે બદનામીમાંથી બચાવવા સારુ ઠાર કરી; ને પછી પોતે પહાડી જંગલમાં નીકળી ગયો. સાથે હાથીસિંહ નામનો એક રજપૂત જઈ ભળ્યો. હાથીસિંહની બંદૂકનું નિશાન કદી ખાલી જતું નહોતું. વીસ-પચીસ બીજા સિપાઈઓ ભેગા કરી લીધા. એ રીતે સંગ્રામસિંહ એક નાનીસરખી સેનાનો સરદાર બની ગયો. જોતજોતામાં તો અંગ્રેજી ઇતિહાસમાં અને નવલકથાઓમાં દેશભક્ત બહારવટિયાઓની જેવી વાતો આવે છે, તેવી વાતો સંગ્રામસિંહને નામે પણ લોકોમાં પ્રસરવા લાગી. સંગ્રામસિંહ તો અમીરોને લૂંટી લઈ ગરીબોને આપે છે : વનવગડામાં વારાંગનાઓને બોલાવી નાચગાનથી જંગલમાં મંગલ કરે છે : દાયરા ભરે છે : એવાં એનાં યશોગાન ગવાવા લાગ્યાં. જિલ્લાજિલ્લામાં એનાં રમખાણ બોલવા લાગ્યાં. દોઢસો હથિયારબંધ સિપાહીઓને લઈ ગોરા પોલીસ-ઉપરીએ સંગ્રામસિંહના રહેઠાણને ઘેરી લીધું. સાહેબ પોતે બે અર્દલીઓને સાથે રાખી ધીમે પગલે આગળ વધ્યા જાય છે. ઘોર અંધારું છે. એકાએક બે આદમી આવી ચઢ્યા. છલંગ મારીને બે અર્દલીઓને બાથમાં ઝકડી લીધા. ત્રીજો નીકળ્યો તેણે સાહેબબહાદુરને ઘોડા ઉપરથી નીચે પટકી, છાતી પર ચડી બેસી તમંચો બતાવ્યો. પછી બોલ્યો કે ‘આટલી વાર છે, નહિ તો કાઢો પૈસા’. સાહેબે પોતાનું સોનાનું ઘડિયાળ, અછોડો, નોટ રૂપિયા વગેરે બધો માલ બહારવટિયાને સુપરત કર્યો. બહારવટિયો ઊભો થયો. સાહેબને સલામ કરી અને કહ્યું : ‘સંગ્રામસિંહને પકડવા માટે આવી ગફલતથી હવે પછી ન આવજો, સાહેબબહાદુર!’ ઊઠીને ગોરા સાહેબે તો ઘોડાને એવો દોડાવી મૂક્યો કે વહેલો આવે પોતાનો બંગલો!

ચંદ્રગ્રહણનું ગંગાસ્નાન

પછી તો કાશીનગરી ઉપર બહારવટિયાના હુમલા થવા લાગ્યા. એમાં આલમસિંહ નામના રજપૂત કોટવાળે બડાઈ મારી કે ‘અરે ભાર શા છે સંગ્રામસિંહના! એક મહિનામાં તો એ બેટાને પકડીને માજિસ્ટ્રેટ પાસે હાજર કરીશ’. ચારપાંચ દિવસે આલમસિંહ પર જાસાચિઠી આવી પહોંચી. એમાં લખ્યું હતું કે ‘હવે અમારા ધામા કાશીનગરીમાં જ નખાઈ ગયા છે. અને ચંદ્રગ્રહણનું સ્નાન કરવા માટે પણ હું આવવાનો છું. જો ક્ષત્રીના પેટનો હો તો આવી જજે’. ચંદ્રગ્રહણની રાત આવી પહોંચી. પહાડમાંથી પોતાની માતાને ગંગામૈયામાં સ્નાન કરાવવા માટે બે સાથીઓને લઈ સંગ્રામસિંહે મણિકર્ણિકા ઘાટનો માર્ગ લીધો. માતાને નવરાવી, બન્ને સાથીઓની સાથે રવાના કરાવી, સંગ્રામસિંહ એકલો ચાલ્યો. ક્યાં ચાલ્યો? એના ઓડા બાંધીને જ્યાં આલમસિંહ ફોજ સાથે વાટ જોતો હતો ત્યાં! ચોકીપહેરા ફોકટ ગયા. કોઈ એને ઓળખી શક્યું નહિ. ફક્ત એક કામળો જ ઓઢીને એ જવાંમર્દ સડસડાટ ફોજ વચ્ચેથી પસાર થયો. આલમસિંહની લગોલગ આવી પહોંચ્યો. મોં પરથી કામળી ઉઘાડી કરીને પડકાર્યું : ‘જોઈ લે, રજપૂત! સંગ્રામસિંહ સ્નાન કરીને જાય છે’. આલમસિંહ ચમકી ઊઠ્યો. મોંમાંથી વેણ નીકળે ત્યાં તો સંગ્રામસિંહની કટાર, વીજળી-શી ઝબૂકી ઊઠી. આલમસિંહ દિગ્મૂઢ બનીને પાછો હટ્યો. સંગ્રામસિંહ અદૃશ્ય થયો. અને ‘દોડો દોડો! પકડો પકડો! ઓ જાય, ઓ જાય!’ એવા એવા હાકલા થવા લાગ્યા. પણ કોને પકડે? દાંતોમાં દઈને ગયો.

સંગ્રામસિંહને ફાંસી

આખરે પોલીસની આવજા માટેના તમામ રસ્તા ઉજ્જડ બન્યા એટલે ત્રણેય જિલ્લામાં નવી પોલીસની ભરતી થઈ. હજારો પોલીસોએ તમામ રસ્તા પર ઓડા બાંધી લીધા. મારા પિતા પણ એક સ્થળે મોટી સંખ્યા લઈને નાકું બાંધી ઊભા. પાંચ દિવસ સુધી નદીના પાણીની અંદર છુપાઈ રહ્યા પછી ખાવાને માટે સંગ્રામસિંહ પાંચ-છ સાથીઓની સાથે બહાર નીકળ્યો. એમાંથી એક આદમી પિતાજીના હાથમાં પકડાયો. એની પાસેથી પત્તો મેળવીને પોલીસ આગળ વધી. સંગ્રામસિંહ એક ચમારની ઝૂંપડીમાં પેસી ગયો. ઝૂંપડીને પોલીસે આગ લગાવી. બહાદુર રજપૂત બહાર નીકળ્યો, પણ પાણીમાં પડવાથી દારૂ નકામો થઈ ગયો હતો એટલે બંદૂક ન વછૂટી. તરવાર ખેંચવા જાય તો તરવાર મ્યાનમાંથી બહાર જ ન નીકળી. આ બાજુ પોલીસે ગોળીઓની ઝીંક બોલાવી. પાંચેય સંગાથી પટકાયા. સંગ્રામસિંહે બંદૂક ઊંધી ઝાલીને લાકડી તરીકે વીંઝી. જોતજોતામાં ત્રણ-ચાર સિપાઈને ઢાળી દીધા. પિતાજીના ઘોડાની ગરદન પર પણ એવી ચોટ લાગી કે ઘોડો પંદર કદમ પાછો હટી ગયો. પ્રથમ તો પિતાજીએ આ એકલા દુશ્મન પર ગોળી ચલાવવાની મના દીધી હતી પણ આખરે પોતે ક્ષત્રીવટ ચૂક્યા. ગોળીબારનો હુકમ દીધો. પચીસ ગોળીઓ ખાઈને સંગ્રામસિંહ પડ્યો, એને બાંધીને કાશીની ઇસ્પિતાલમાં લઈ આવ્યા. સિવિલ સર્જને જ્યારે એના શરીર પર પચીસ જખ્મો જોઈને કહ્યું, ‘કાં! પકડાઈ ગયો ને!’ ત્યારે એ વીર ક્ષત્રીએ જવાબ વાળ્યો કે ‘એમાં શી બહાદુરી કરી! એક વાર મારા હાથમાં તરવાર આપો ને પછી મારી સામે વીસ આદમી આવી જાય! જોઈ લઉં મને કોણ પકડે છે!’ સાંભળી સાહેબ તાજુબ થયા. સંગ્રામસિંહને ફાંસી મળી, પણ હિંદુસ્તાની પોલીસ અમલદારોને એ વીરના મૃત્યુથી બહુ જ દિલગીરી થઈ. ખાટલા પર સૂતેલા એ સંગ્રામસિંહનો દેખાવ મને હજુ યાદ છે. મારા જીવન પર એની ઊંડી છાપ છે.[1]

દક્ષિણના દાત્યા-મોન્યા

દક્ષિણ પ્રાંતોમાં ‘દાત્યા-મોન્યા’ નામના બે બહારવટિયા થઈ ગયા. તે એટલા બધા લોકપ્રિય હતા કે આજે પણ જે બે જણ વચ્ચે ગાઢ મૈત્રી હોય તેઓને કહે છે કે ‘તમે તો દાત્યા-મોન્યા છો’. એ ઉપરાંત વર્તમાનકાળના રાજકીય ક્ષેત્રમાં પંજાબના બબ્બર અકાલીઓ, યુ.પી. કાકોરી કેસના રામપ્રસાદ બિસ્મિલ વગેરે, અને બંગાળના રાજશાહી જિલ્લાના યુવકો જે સરકારી લશ્કરને હાથે સામી છાતીએ લડતા લડતા મરાયા, તે સહુ ‘બહારવટિયા’ નામ સાર્થક કરે છે. ભીલ બહારવટિયા ટંડ્રાની કારકિર્દી પણ મશહૂર છે. એને પકડવા માટે તો સરકારને ખાસ ટંડ્રા પોલીસની ફોજ રાખવી પડેલી. એવો જ રસિક અને રોમાંચક અહેવાલ પંજાબી કૂકાઓનો છે.

સૌરાષ્ટ્રમાં બહારવટાનાં કારણો

આઘે આઘે છેક રા’ માંડલિકના અમલ સુધી આ દેશનાં બહારવટાંના ઇતિહાસની આંખો પહોંચી શકે છે. મોટા રાજ્યનો માલેતુજાર સ્વામી કાં તો પોતાના પડોશના નાના ગરાસદારને એક સ્વતંત્ર પડોશી તરીકે જીવવા દેવામાં ભવિષ્યનું જોખમ સમજે, કાં તો પોતાના કોઈ ભાયાતને કે મૂળ ગરાસિયાને પોતાના કાયદા-કાનૂનોનો અનાદર આચરતો દેખે, અથવા તો એ રાજા પોતાની કોઈ મલિન મતલબને વશ બની પોતાના તાબાના ગરાસદાર પાસેથી કોઈ એની પ્રિય વસ્તુ કે વ્યક્તિની માગણી કરે, ત્યારે ત્યારે એ રાજા ને એ પ્રજાજન વચ્ચે વૈરની આગ ઝરે. એ એક સંજોગ. બીજો સંજોગ હતો પરદેશી સત્તાના આક્રમણનો : અમદાવાદની મુસ્લિમ સૂબાગીરીના જૂનાગઢ પર કિલ્લેબંદી : વડોદરાથી ગાયકવાડનો પગેપસારો : અને એ તમામ કરતાં અધિક ઉશ્કેરણીનું મનાયેલું તત્ત્વ એ અંગ્રેજી રાજસત્તાના દરમ્યાનગીર આગમનનું. સહુ રાજ્યોને પોતાની રિયાસતના સીમાડા પહોળા કરવા હતા. પરસ્પર એ સહુ જમીનોની ખેંચતાણ કરતા હતા, અને એ સહુને દળબળ પૂરાં પાડનારી ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી પહોંચી હતી. એના પ્રતિનિધિઓની, મોટાં રાજ્યો પ્રતિની પક્ષકારનીતિ નાના ગરાસદારોના દિલમાં વધુ આક્રોશનું નિમિત્ત બનતી હતી.

કિનકેઈડે કથેલાં કારણો

શ્રી કિનકેઈડ આ મુદ્દાને વધુ સ્પષ્ટ બનાવે છે  : એ ખાસ તો કાઠી બહારવટિયા વિશે લખે છે : “At first mere robbers, they, after many struggles, established themselves at the breakup of the Mogul empire firmly in the centre of the province. They were, however, like Sikhs before the time of Ranjitsing, a loosely knit confederacy, and they were unable in the 18th century to make headway against the growingof Junagadh. Thus it was that many of the smaller landholders wrote over part of their lands to the surrounding administration in order to secure protection for the reminder. But this promised protection was not always obtained. It always happened that when the protecting state had acquired part of the Kathi’s land, it hungered for the remainder. It would then provoke quarrels, and on some pretext or other violate its agreement. It was useless for the Kathi to seek redress in the State’s own court; so, calling together his servants and relatives, and placing his wife and children in some friendly shelter, he would turn his back on the homestead where his family had lived for centuries, and making Gir his Sherwood forest proceed to rob and murder in every direction until death, treachery or redress closed his picturesque but baneful career.” [2] એ સંજોગોમાંથી ત્રણ-ચાર પ્રકારના બહારવટિયા જન્મ્યા.

પહેલો પ્રકાર : ગરાસદારો

પોતાના ગરાસ ઉપર થયેલા અન્યાયી આક્રમણ સામે મરવા-મારવાનો નિરધાર કરીને ઊઠેલા : 1. જેસોજી-વેજોજી : જૂનાગઢ-અમદાવાદની મુગલ સૂબાગીરી સામે : ઇ.સ. 1472-94 : વીસ વર્ષ : બહારવટું પાર પડ્યું. 2. ભીમો જત : ગોંડલની સામે : ઇ.સ. 1800થી 1850 સુધીમાં : બાર વર્ષે ધીંગાણે કતલ થઈ ગયો. 3. હીપો ખુમાણ : પાલિતાણા સામે : 100 વર્ષની અંદર : મરાયો. (‘સૌરાષ્ટ્રની રસધાર’.) 4. જોગીદાસ ખુમાણ : ભાવનગર સામે : 1816થી 1829 સુધી : પાર પડ્યું. 5. બાવા વાળો : જેતપુર દરબાર દેવા વાળા સામે : ઇ.સ. 1829ની આસપાસ : ધીંગાણે કતલ થયો. 6. વરજાંગ ધાધલ : જેતપુર દરબાર દેવા વાળા સામે : 1800 પછી : ધીંગાણે મર્યો : પણ બહારવટું પાર પડ્યું. (‘સૌરાષ્ટ્રની રસધાર.) 7. જોધો માણેક ને મૂળુ માણેક : ગાયકવાડની સામે : ઇ.સ. 1859થી 1867 (વૉટસન પ્રમાણે 1860) : ધીંગાણે કામ આવી ગયા. 8. કાદુ મકરાણી : જૂનાગઢ રાજ સામે : ઇ.સ. 1884-87 : ફાંસી દેવાઈ. 9. રવોજી કલોજી : ગોંડળ રાજ સામે : પાર પાડ્યું. 10. રામ વાળો : ગાયકવાડ સરકાર સામે : ઇ.સ. 1816થી 1917 : ધીંગાણે ઠાર થયો. તે સિવાય નાના નાના જેનો ઇતિહાસ જનસમુદાયમાં નીતર્યો નથી તેવા ઘણા હોવા જોઈએ.

બીજો પ્રકાર : પરોપકારપ્રેરિત

પરોપકાર કરવા જતાં, અન્યને ખાતર મારફાડ કરીને પછી બહારવટે નીકળેલા : 1. સંઘજી કાવેઠિયો : સાણંદ રાજ સામે : સફળ થયો. (‘સૌરાષ્ટ્રની રસધાર’). 2. અભો સોરઠિયો : ભાવનગર રાજ સામે : ઇ. સ. 1800 લગભગ : ધીંગાણે કતલ થયો. (‘સૌરાષ્ટ્રની રસધાર’.) 3. ચાંપરાજ વાળો : ગાયકવાડ તેમ જ એજન્સીની સામે : ઇ.સ. 1835 : કેદની શિક્ષા પામ્યો ને પછી છૂટ્યો. 4. નાથો મોઢવાડિયો મેર : જામનગર સામે : આશરે ઇ.સ. 1830 : કામ આવ્યો.

ત્રીજો પ્રકાર : અંગત વેર

અંગત વેરને કારણે બહાર નીકળી જઈ કાયદા વિરુદ્ધ પરંતુ બહારવટાના નિયમો મુજબ જીવન ગાળનારા : 1. ગીગો મહિયો : જૂનાગઢ સામે ઇ.સ. 1855-60 : કતલ થયો. 2. મિયાણો વાલો નામોરી : 1890 : કતલ થયો : 3. સાલોલીનો ચારણ નાગરવ ગિયડ. 4. રાયદે બુચડ ચારણ : જામનગર સામે : મરાયો.

ચોથો પ્રકાર : ચોર-લૂંટારા

કેવળ ચોરીલૂંટને જ માટે નીકળેલા : પણ બહારવટાના નિયમો પાળનારા : 1. મોવર સંધવાણી : માળિયાનો મિયાણો : ઇ.સ. 1880-86 : વર્ષ છ : બહારવટું પાર પડ્યું. 2. એકલિયો (પુનરવ) : મોવર સંધવાણીનો સમકાલીન. એનું વૃત્તાંત અપ્રકટ છે.

સૌરાષ્ટ્રના રોબિન હૂડ

પ્રથમ કોટિના બહારવટિયા વિશે કિનકેઈડ યથાર્થ લખે છે કે [3] “પહેલા વિભાગના બહારવટિયા વધુમાં વધુ રસભરપૂર છે, અને તેઓ ઇંગ્લન્ડના વહેલા કાળના બહારવટિયાને સારી પેઠે મળતા આવે છે. એ તો યાદ હશે કે જ્યારે હન્ટિંગ્ડનના અમીરની જાગીર રાજા જ્હોનના સગીર-કારોબારમાં ઝૂંટવી લેવામાં આવી, ત્યારે એ અમીર પોતાનાં માણસો એકઠાં કરીને શેરવૂડ વનમાં ચાલ્યો ગયો. અને આજ સુધી પણ ‘રોબિન હૂડ’ નામથી એ ઘરોઘર સુપ્રસિદ્ધ છે. એનો મુખ્ય હેતુ ગુના કરવાનો નહોતો, જોકે સાચોસાચ તો એણે એ જ કામ કર્યા કર્યું હતું. એની ઇચ્છા એ રાજ્યનું શાસન અટકાવી પાડવાની હતી. એ ફાવ્યો અને મધ્યસ્થ સત્તા પાસેથી પોતાની જાગીર તથા પદવી એણે પાછાં મેળવ્યાં. સૌરાષ્ટ્રના ગરાસિયા બહારવટિયા પણ અચૂક એ જ ધોરણે વર્તન ચલાવતા. તેઓમાંના ઘણાખરા તો કાઠી જાગીરદારો જ હતા, કે જેનાં માલમિલકત વધુ બળિયા પડોશીઓએ ઝુંટવી લીધેલાં. (બધા જ કાઠી નહોતા, કેમ કે હજુ 1902માં જ જ્યુડિશિયલ આસિસ્ટંટે જૂનાગઢ ઉપર બહારવટે નીકળનાર એક મુસલમાન ટોળીને ગુનેગાર ઠરાવેલી). આ રીતે રઝળી પડેલા કાઠીઓ પોતાના નોકરો ને સંબંધીઓને એકઠા કરી લૂંટફાટ તથા ખૂનખરાબી ચલાવતા કે જેથી છેવટે કાં તો તેઓ નાબૂદ થઈ જતા, અથવા તો અન્યાય કરનારને એમ સમજાતું કે પોતાના તાલુકાનું શાસન ચલાવવા ચાહે તે ભોગે સુલેહ કરવી એ જ એક માર્ગ છે, અને તેથી તે બહારવટિયાને એની જાગીર પાછી સુપરત કરતો. આ દ્વીપકલ્પમાં સંખ્યાબંધ જુદાં જુદાં રાજ્યો હતાં અને એ દરેક રાજ્ય હમેશાં પોતાના તાબાના જાગીરદારને ઓહિયાં કરી જવાનો ડર દેખાડતું હોવાને કારણે આ બહારવટિયાને ઘણી સગવડ પડતી. એને લીધે તમામ જાગીરદારો પોતાના પડોશીને એના ન્યાય મેળવવાના પ્રયાસમાં સહાયભૂત થવા વધુ આતુર રહેતા. ઉપરાંત, તેઓનાં કૃત્યો ગુનારૂપ તેમ જ ક્રૂર હોવા છતાં પણ તેઓની નેમ તો દેશની ચાલુ સ્થિતિ વચ્ચે પોતાના અન્યાય સામે વાજબી દાદ મેળવવાની જ બતી. એ વાતને લીધે પ્રજામત ઘણે ભાગે તેઓના પક્ષમાં ઢળતો અને પ્રજા એ લોકોની માગણી સંતોષાતી જોવા રાજી હતી.”

સંતાવાનાં સ્થાન
  1. જુઓ આ લેખકનું પુસ્તક ‘બે દેશદીપક’
  2. The Outlaws of Kathiawar (1905)
  3. ‘ધિ આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’.