સ્વાધ્યાયલોક—૮/પ્રારંભિક


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.


સ્વાધ્યાયલોક — ૮


અંગત





નિરંજન ભગત







ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ 380 001



Svadhyaylok-8
Studies in Literature-8
by Niranjan Bhagat
Published by
Gurjar Granthratna Karyalaya, Ahmedabad, 1997
E-mail: goorjar@yahoo.com
First Edition: 1997
e-Book Edition: 2018
COPYRIGHT © Niranjan Bhagat
All rights reserved.

The copyrights of this book are owned by the person(s) mentioned in the above notice. No part of this publication may be reproduced, stored in a retrieval system or transmitted in any form or by any means, mechanical, electronic, photocopying, recording or otherwise without the prior written permission of the copyright holder(s). e-Shabda can identify and legally challenge any such infringement viz. illegal distribution / copies / usage of this restricted material.

ISBN:
Price: ₨ 120




અર્પણ





અરુણ અને તરલાને








કર્તા વિશે

નિરંજન નરહરિ ભગતનો જન્મ ૧૯૨૬ના મેની ૧૮મીએ અમદાવાદમાં થયો હતો. એમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં કાલુપુર શાળા નંબર ૧, પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ અને નવચેતન હાઈસ્કૂલમાં તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજ અને મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રાપ્ત કર્યું હતું. ૧૯૫૦માં અંગ્રેજી સાથે એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી એ જ વરસથી અમદાવાદમાં વિવિધ આર્ટ્સ કૉલેજોમાં અંગ્રેજીનું અધ્યાપન કર્યું હતું અને ૧૯૮૬માં નિવૃત્ત થયા હતા. તેઓ ૧૯૭૮-૧૯૮૨માં સાહિત્ય અકાદમી, ન્યુ દિલ્હીની જનરલ કાઉન્સિલમાં સભ્ય તરીકે અને ૧૯૭૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૮મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. એમને ૧૯૪૯માં કુમાર ચન્દ્રક, ૧૯૫૭માં નર્મદ સુવર્ણ ચન્દ્રક અને ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણ ચન્દ્રક અર્પણ થયો હતો. ૧૯૯૪માં ગુજરાત સાહિત્ય અકાદમીએ મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે એમનું સન્માન કર્યું હતું. ‘છંદોલય’, ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’, ‘છંદોલય’ (સંકલિત), ‘૩૩ કાવ્યો’, ‘છંદોલય’ (સમગ્ર) — એમના પ્રગટ કાવ્યસંગ્રહો છે. ‘આધુનિક કવિતા’, ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’, ‘મીરાં’, ‘કવિતા કાનથી વાંચો’, ‘મીરાંબાઈ’, ‘કવિ ન્હાનાલાલ’, ‘ડબ્લ્યુ. બી. યેટ્સ’, ‘ટી. એસ. એલિયટ’, ‘વિક્ટર હ્યુગો’, ‘વિક્ટર હ્યુગોની સાહિત્યસૃષ્ટિ’ — એમનાં પ્રગટ ગદ્યલખાણો છે. એમણે બંગાળીમાંથી ‘ચિત્રાંગદા’નો ગુજરાતીમાં ‘ચિત્રાંગદા’, હિબ્રુ-અંગ્રેજીમાંથી બાઇબલના ‘The Book of Job’નો ગુજરાતીમાં ‘યોબ’, સ્પૅનિશ-અંગ્રેજીમાંથી સેન્ટ જ્હોન ઑફ ધ ક્રોસનાં આઠ મુખ્ય કાવ્યોનો ગુજરાતીમાં ‘અષ્ટપદી’ અને સંસ્કૃતમાંથી ‘સ્વપ્નવાસવદત્તમ્’નો અંગ્રેજીમાં ‘The Vision of Vasavdatta’ ગ્ અનુવાદ કર્યો છે. હમણાં તેઓ ફ્રેન્ચમાંથી શાર્લ બૉદલેરના ‘Les Flears du Mal’ અને ‘Petits Poemes en Prose’નો ગુજરાતીમાં ‘દુરિતનાં પુષ્પો’ અને ‘લઘુ ગદ્યકાવ્યો’ શીર્ષકથી અનુવાદ કરી રહ્યા છે. છેલ્લા દોઢેક દાયકાથી તેઓ ઇંગ્લેંડ, યુરોપ અને અમેરિકાનો વારંવાર પ્રવાસ કરે છે. તેઓ લંડન, પૅરિસ, રોમ, ઍથેન્સ અને ન્યુયોર્કના પ્રવાસ-અનુભવો વિશે પણ નોંધ કરી રહ્યા છે. એમણે ૧૯૫૬-૧૯૫૮માં ‘સંદેશ’ દૈનિકમાં ‘સાહિત્ય-સાધના’ સાપ્તાહિક કોલમ, ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિક અને ૧૯૭૮-૧૯૭૯માં ‘સાહિત્ય’ ત્રૈમાસિકનું સંપાદન કર્યું હતું. આજે હવે ‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથોમાં ૧૯૫૧થી આજ લગીના સાડા ચાર દાયકાનાં એમનાં સાહિત્ય વિશેનાં વિવિધ લખાણો પ્રગટ થાય છે.

ચિમનલાલ ત્રિવેદી
 


નિવેદન

‘સ્વાધ્યાયલોક’માં ૧૯૫૧થી આજ લગીના સાડા ચાર દાયકાના સમયનાં સાહિત્ય વિશેનાં લખાણો ગ્રંથસ્થ થયાં છે. આ લખાણો મુખ્યત્વે સાહિત્યસર્જકો, સાહિત્યકૃતિઓ, સાહિત્યિક મૂલ્યો-પ્રશ્નો આદિ વિવિધ વિષય પર લેખો, વ્યાખ્યાનો, વાર્તાલાપો, પ્રશ્નોત્તરીઓ, પત્રો, અંજલિઓ, અભિનંદનો, પ્રસ્તાવનાઓ, ઉપરણાં, અવલોકનો આદિ વિવિધ સ્વરૂપમાં લખાયાં હતાં. એમાંનાં જૂજ લખાણો અંગ્રેજીમાં લખાયાં હતાં, એના અહીં અનુવાદ આપ્યા છે. એમાંથી મોટા ભાગનાં લખાણો વિવિધ સામયિકો — મુખ્યત્વે ‘સંસ્કૃતિ’ — માં પ્રસિદ્ધ થયાં હતાં. એમાંનાં થોડાંક લખાણો ગ્રંથસ્થ થયાં હતાં. અહીં એ સૌ સામયિકોના તંત્રીઓ અને પ્રકાશકોનો એકસાથે આભાર માનું છું. જીવનભર કવિતાનું લેખન-વાચન અને સાહિત્યનું અધ્યયન-અધ્યાપન કરવાનું થયું છે. એની એક ઉપલબ્ધિ આ ‘સ્વાધ્યાયલોક’ છે. એથી આ લખાણો ગ્રંથસ્થ કરવાનો નિર્ણય કર્યો ત્યારે ગ્રંથોનું ‘વિવેચનલોક’ નહિ, પણ ‘સ્વાધ્યાયલોક’ એવું નામકરણ કરવાનો નિર્ણય કર્યો. આજ લગીમાં ગુજરાતના ત્રણ વિવેચકો — બલવન્તરાય, રામનારાયણ અને ઉમાશંકર –નું વિવેચન મારે માટે આદર્શ વિવેચન રહ્યું છે. આ લખાણોમાં આદર્શ વિવેચન છે એવો વિશ્વાસ ન હોય તો આ ગ્રંથોનું ‘વિવેચનલોક’ એવું નામકરણ કરવાનું સાહસ ન કરું. તો કોઈને આ લખાણોમાં આદર્શ વિવેચન નહિ, પણ વિવેચન જેવું કંઈક છે એવો વહેમ હોય તો એનો વિવાદ કરવાનું સાહસ પણ ન કરું. ‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથો છે. કારણ કે આ લખાણોની વિષયના સંદર્ભમાં વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો ત્યારે આ પ્રમાણેના આઠ ગ્રંથો કરવાનો નિર્ણય કર્યો: ૧. કવિ અને કવિતા. ૨. અંગ્રેજી સાહિત્ય ૩. યુરોપીય સાહિત્ય. ૪. અમેરિકન અને અન્ય સાહિત્ય. ૫. ગુજરાતી સાહિત્ય: પૂર્વાર્ધ. ૬. ગુજરાતી સાહિત્ય: ઉત્તરાર્ધ. ૭. બલવન્તરાય, ન્હાનાલાલ, સુન્દરમ્, ઉમાશંકર. ૮. અંગત. અંગ્રેજી, અમેરિકન અને યુરોપીય સાહિત્યના સ્વાધ્યાયમાં અનુક્રમે સન્તપ્રસાદ ભટ્ટ, ચુનીલાલ મડિયા અને હરિશ્ચન્દ્ર ભટ્ટ પ્રેરણા અને પ્રોત્સાહનરૂપ હતા. બંગાળી, સંસ્કૃત, ફ્રેન્ચ અને અન્ય સાહિત્યનો સ્વાધ્યાય સ્વપ્રયત્નથી કર્યો છે. ગુજરાતી સાહિત્યનો સ્વાધ્યાય તો વિના પ્રયત્ને થયો છે. સામયિકોમાંથી કેટલાંક લખાણો સુલભ થયાં નથી, તો કેટલાંક લખાણો અપૂર્ણ રહ્યાં છે. આ લખાણો સુલભ થશે અને પૂર્ણ થશે ત્યારે એ વિવિધ વિષયનાં પ્રકીર્ણ લખાણો ‘સ્વાધ્યાયલોક-૯’માં પ્રગટ થશે. આ લખાણો આજે લખાયાં હોત તો કોઈ અન્ય રીતે લખાયાં હોત! આ લખાણોની લખાવટમાં જે દોષો-દૂષણો છે એથી કંઈક ક્ષોભનો અનુભવ થાય છે. પણ આ લખાણો જો આજે લખાયાં હોત તો એમાં વળી અન્ય દોષો-દૂષણોનો પ્રવેશ થયો હોત! એથી આ લખાણો જેવાં લખાયાં હતાં તેવાં જ અહીં પ્રગટ કર્યાં છે. એમાં છેક-ભૂંસ, કાપ-કૂપ, સુધારા-વધારા કર્યાં નથી. કેટલાંક લખાણોમાં ક્યારેક એકના એક વિષય પર એકથી વધુ વાર બોલવાનું કે લખવાનું થયું હતું એથી એમાં ક્યાંક ક્યાંક પુનરાવર્તન થયું છે પણ એમાં ભિન્ન પ્રસંગ કે સંદર્ભ હતો એથી એ પુનરાવર્તન સહ્ય અને ક્ષમ્ય ગણાશે એવી આશા છે. તો ક્યાંક ક્યાંક કોઈ કોઈ વિચાર એના એ જ શબ્દઝૂમખાં, વાક્યો કે પેરેગ્રાફમાં એકથી વધુ વાર વ્યક્ત થયો છે. પણ કોઈ પણ વિચાર એક વાર સ્પષ્ટ અને સરલ શબ્દોમાં અંતિમતાપૂર્વક વ્યક્ત થયો હોય પછી એને એથી ઓછા સ્પષ્ટ અને સરલ શબ્દોમાં અંતિમતાપૂર્વક વ્યક્ત કરવો અશક્ય છે, એટલું જ નહિ પણ અનિચ્છનીય પણ છે. એથી એ પુનરાવર્તન પણ અનિવાર્ય અને સ્વીકાર્ય ગણાશે એવી આશા છે. કવિતાનું લેખન-વાચન-અધ્યાપન કરવાનું થયું એથી જીવનભર સતત લગભગ સાડા ચાર દાયકા લગી વિવેચનનું લેખન-વાચન-અધ્યાપન કરવાનું થયું છે. ‘સ્વાધ્યાયલોક’નાં લખાણોમાં પૂર્વ અને પશ્ચિમના પ્રાચીન અને અર્વાચીન અનેક વિવેચકોનાં વિવેચનો અને વિચારોનો પ્રભાવ છે. આ લખાણોમાં એમનાં નામનો ઉલ્લેખ થયો છે અને એમનાં વિચારો-વિધાનો અવતરણચિહ્નોમાં રજૂ થયાં છે. કોઈ વિવેચકોનું વિવેચન અને એમના વિચારો દીર્ઘ સમય લગી અતિપ્રિય અને અતિપરિચિત હોય તો અંતે એ પરકીય અને ઉપાર્જિત છે એનું વિસ્મરણ થાય અથવા એ સ્વકીય અને ઉત્પાદિત છે એવો વિભ્રમ થાય, એથી શક્ય છે કે આ લખાણોમાં ક્યાંક ક્યારેક કોઈ વિવેચકોનાં નામનો ઉલ્લેખ ન થયો હોય અને એમનાં વિચારો-વિધાનો અવતરણચિહ્નોમાં રજૂ ન થયાં હોય. એથી એ અનભિજ્ઞ અને અનીપ્સિત ગણાશે એવી આશા છે. આ સૌ નામી-અનામી વિવેચકોનો અહીં એકસાથે કૃતજ્ઞતાપૂર્વક ઋણસ્વીકાર કરું છું. મારા મિત્ર અને મારાં લખાણોના માર્ગદર્શક ભાઈશ્રી ચિમનલાલ ત્રિવેદીએ આ લખાણો આટલા લાંબા સમય લગી અગ્રંથસ્થ રહ્યાં એમાં મારી ઉપેક્ષા અને ઉદાસીનતા વિશે મને સભાન કરવાનું નૈતિક સાહસ ન કર્યું હોત અને આપણા એક અગ્રણી અને અનુભવી પ્રકાશક ભાઈશ્રી મનુભાઈ શાહે આટઆટલાં લખાણોનું એક સાથે પ્રકાશન કરવાનું આર્થિક સાહસ ન કર્યું હોત તો કોણ જાણે હજુ કેટલાય સમય લગી આ લખાણો અગ્રંથસ્થ રહ્યાં હોત! એમનો હૃદયથી આભાર માનું છું. ‘સ્વાધ્યાયલોક’ એ વિવેકશૂન્ય દુ:સાહસ નથી એવું જો વાચકો માનશે તો હું એને મારું સદ્ભાગ્ય માનીશ.

૧૦ ડિસેમ્બર ૧૯૯૫
 
નિરંજન ભગત
 





ત્રીસેક લાખ વરસ પર મનુષ્ય અસ્તિત્વમાં આવ્યો. ત્યાર પછીના પ્રાગૈતિહાસિક અને ઐતિહાસિક યુગોમાં મનુષ્યની ભૌતિક શક્તિનો જેટલો વિકાસ અને વિસ્તાર થયો છે એટલો એની નૈતિક શક્તિનો વિકાસ અને વિસ્તાર થયો નથી. મનુષ્યની ભૌતિકતા અને નૈતિકતા વચ્ચે આજે જેટલું અંતર છે એટલું પૂર્વે ક્યારેય ન હતું. આજ લગી, ઔદ્યોગિક યુગ લગી, આ અંતર ઉલ્લંઘનીય હતું. એથી એ સહ્ય હતું. આજે હવે યંત્રવૈજ્ઞાનિક યુગમાં આ અંતર આર્નલ્ડ ટૉયન્બી જેને ‘નૈતિકતાની ખાઈ’ — morality gap — કહે છે તે ખાઈ દુસ્તર છે, એથી એ ભીષણ છે. ભવિષ્યમાં આધુનિક કવિતામાં મનુષ્યનો આ ભૌતિકતા અને નૈતિકતાનો દ્વિધાપ્રશ્ન કેન્દ્રમાં હશે. એમાં આ દ્વિધાપ્રશ્નનો ઉત્તર કે ઉકેલ તો, અલબત્ત, ન હોય; પણ જેના વિના એ ઉત્તર કે ઉકેલ અશક્ય એવું યંત્ર અને મનુષ્ય વિશેનું દ્વિકેન્દ્રી દર્શન તો અવશ્ય હશે. એમાં મનુષ્યની ભૌતિક શક્તિ અને નૈતિક શક્તિ વચ્ચે સુમેળ અને સમતુલા સિદ્ધ થાય એ માટે આ વિવાદના બન્ને સામસામા વાદ-પ્રતિવાદ વિશે વિશદતા હશે, આ દ્વિધાપ્રશ્નના બન્ને સામસામા પદ વિશે સ્પષ્ટતા હશે. એમાં યંત્ર સાથે તંત્ર — અર્થતંત્ર અને રાજ્યતંત્ર – દ્વારા મનુષ્યનો સંવાદ સિદ્ધ થાય એ માટેનો મંત્ર હશે. એ આધુનિક કવિતા ભવિષ્યની મંત્રકવિતા હશે. આ કવિતા કોણ, ક્યારે, ક્યાં, કેમ રચશે? – એ પ્રશ્નનો ઉત્તર તો એક કાળભગવાન જ આપી શકે.