હરીશ મીનાશ્રુની કવિતા/કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર

From Ekatra Wiki
Revision as of 00:56, 27 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર

કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર
શક્ય છે, આવી ચડ્યા હો આપણા ધામે કબીર

એ જ માણસ ભીડમાં એકાંત સાચવતો હશે
સત્ત્વથી સાહેબ જે ને હાડ ને ચામે કબીર

ગંધનો તાણો ને વાણો ગૂઢ મલયાનિલનો
જો, કમલપાંદડીઓ ગૂંથે એક જણ, નામે કબીર

નાવમાં ડૂબેલી નદીઓમાંથી એકાદી જડી
જેના આ બાજુના કાંઠે હું અને સામે કબીર

બીજની માયા વિદારી વૃક્ષમાં વિકસી ગયા
ને પછી હળવે બિરાજ્યા વડના વિસામે કબીર

મર્મસ્થળનાં સૌ રહસ્ય એમને અર્પણ હવે
તીર તાકીને ઊભાં છે આપણી સામે કબીર

તારા અપરંપાર ચ્હેરા તું ઘડી ભૂંસી શકે
તો પછી તારાં પ્રતિબિંબોમાં તું પામે કબીર

આજ દેખી મીન પિયાસી ફિરસે ગહરે પાની મેં
ઢાઈ અચ્છરકા વો યાદ આયા હૈ પૈગામે કબીર

શબ્દસ્નેહી જ્યાં સુધી વસતા હશે તારે નગર
આ ગઝલને ઘૂંટતા રહેશે નવા નામે કબીર