હરીશ મીનાશ્રુની કવિતા/જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને

From Ekatra Wiki
Revision as of 00:59, 27 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને

જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને
નિષ્પલક આંખો તકાઈ તીર શી તાતી બને

દડદડે આ રાત ને દાડમકળી રાતી બને
ફૂલ બદબોઈ કરે, વાયુ જ વિખ્યાતિ બને

લડખડે પ્યાલી અમારા હોઠને સ્પર્શ્યા પછી
ને સ્વયં એંઠી મદિરા કેવી મદમાતી બને

શાહીમાં આંસુનાં સત સ્હેજે ભળ્યાં ના હોય તો
શી રીતે સ્વચ્છંદી શબ્દો આમ ઉપજાતિ બને

પાનખરનો આજ તેજોવધ થશે કે પાંદડાં
સ્હેજ ફફડી સાવ સુક્કાં પંખીની જાતિ બને

એમણે જ્યાં શબ્દથી આડશ કરી અજવાશને
શુદ્ધ ઝંઝાવાત મધ્યે પણ અચલ બાતી બને

હંસની ક્ષુધા જ મુક્તાફળ બનીને તગતગે
સંતના લોચનમાં જોઈને ક્ષણો સ્વાતિ બને

નામ નરસિંહનું પડે કે ઓ મુલકની પારના
સૌ ફરિશ્તા વેશ બદલી સદ્ય ગુજરાતી બને