હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણઃ મનહર મોદી

From Ekatra Wiki
Revision as of 01:03, 27 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પુણ્ય સ્મરણઃ મનહર મોદી

'એથી વિશેષ ખોટ કશી હોય તો કહો
ઘરમાં અમે હતા છતાં અંદર હતા જ ક્યાં?

ઘરમાં અમે હતા છતાં અંદર હતા જ ક્યાં?
અંદર જઈ શકાય એવાં ઘર હતાં જ ક્યાં?

તહેવાર સમો ગોખ ન’તો એકે ભીંત પર
એકેય ખુલ્લી બારીના અવસર હતા જ ક્યાં?

એવું તે શું બન્યું કે ઉલંઘી જ ના શક્યા
પળના પહાડ એવા કદાવર હતા જ ક્યાં?

ઘડિયાળ ગોળ ગોળ જવાબો દીધા કરે
મોડા ન’તા પડ્યા તો સમયસર હતા જ ક્યાં?

કરતી ભલે સુગંધ નિરંતર મુસાફરી
પુષ્પો તો આ સફરમાં ખરેખર હતાં જ ક્યાં?

સ્પર્ધા અમારી મુફલિસી સાથે કરી શકે
ઈશ્વર તમારા એટલા સધ્ધર હતા જ ક્યાં?

જન્નતની યાદીમાંથી કમી નામ અમારું
ઓ શેખ, અમે એટલા કાફર હતા જ ક્યાં?

નાહક અખાની વાદે ચઢીને લખ્યા કર્યું
સાચું કહું? શબ્દો અખેપાતર હતા જ ક્યાં?

અમને દીઠા કે આ તો જરા સત ચઢી ગયું
મુરશિદ અમારા બાકી સિતમગર હતા જ ક્યાં?