A Short History of Nearly Everything: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 36: Line 36:
{{Poem2Close}}
{{Poem2Close}}


== <span style="color: red">Atoms : <br>અણુઓ :</span>==
== <span style="color: red">અણુઓ : (Atoms :)</span>==
{{Poem2Open}}
{{Poem2Open}}

Revision as of 01:14, 28 April 2024

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



Bill bryson a short history title.jpg


A Short History of Nearly Everything

Bill Bryson

લગભગ બધી વસ્તુઓનો સંક્ષિપ્ત ઇતિહાસ


બીલ બ્રાયસન
TED (Technology, Entertainment, Design)



“How did it all begin, and how did we get here?

આ સૃષ્ટિ કેવી રીતે રચાઈ, અને આજે આપણે આ તબક્કે કેવી રીતે પહોંચ્યા છીએ?”


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ


‘લગભગ બધી વસ્તુઓનો સંક્ષિપ્ત ઇતિહાસ’ આ પુસ્તક ઇતિહાસ અને વિજ્ઞાનના તાણાવાણા જેવું છે, જે આપણી અનેક જિજ્ઞાસાઓના સંક્ષિપ્ત છતાં ખૂબ જ સચોટ અને સર્વસમાવેશક જવાબો આપે છે. આને તમે વિજ્ઞાનની માર્ગદર્શિકા કહી શકો. કારણ કે પૃથ્વી કે બ્રહ્માંડની ઉત્પત્તિથી માંડીને એના ઉપર માનવજીવ કેવી રીતે પાંગર્યો તેની જ્ઞાનવર્ધક માહિતી વાચકને અહીંથી મળશે.

આપણામાંના ઘણા બીલ બ્રાયસનને એક સિદ્ધહસ્ત વાર્તાકાર અને પ્રવાસ લેખક તરીકે જાણે છે. પરંતુ આ પુસ્તક એમની પ્રવાસવર્ણન શૈલીથી જરા હટકે છે – વૈજ્ઞાનિક શોધખોળોના ઇતિહાસની સફર તેઓ કરાવે છે. વિજ્ઞાનના શુષ્ક અને ભારેખમ વિષયને અકલ્પનીય રીતે રસિક અને આકર્ષક રીતે તેમણે રજૂ કર્યો છે. તેઓ time અને spaceમાં પણ યાત્રા કરાવે છે. સસલાને પણ એના દરમાંથી શોધી કાઢતી એમની વક્ર નજર અને સંશોધક બુદ્ધિ જગતનાં જાતભાતનાં રહસ્યો આપણને બતાવે છે.

આ સૃષ્ટિ ક્યાંથી-કેવી રીતે સર્જાઈ, શૂન્યમાંથી બધું કેવી રીતે બન્યું, જીવન કેવી રીતે ઉદ્ભવ્યું તેના મૂળમાં લઈ જનાર આ પુસ્તક તમને એ દિશામાં વિચારતા કરવા સક્ષમ છે. તમને વિજ્ઞાનમાં કદાચ રસ ન હોય તો પણ, વિજ્ઞાન એટલે માત્ર સંકુલ રાસાયણિક સૂત્રો ને સમીકરણો કે ભૂસ્તરશાસ્ત્રીય સમય-સારણી એટલું જ નથી, ઘણો વ્યાપક, ઊંડો અને રસપ્રદ જ્ઞાનભંડાર છે. એવું તમને અવશ્ય લાગશે. તો ચાલો વાચકો, તમારા સીટબેલ્ટ બાંધી લો. આપણે ધરતીમાતાની ઉત્પત્તિથી માંડીને અનંત પ્રદેશની યાત્રાએ ઉપડવાનું છે.

અણુઓ : (Atoms :)

તમને અદ્વિતીય અને તમારા જેવા વિશિષ્ટ બનાવનારી ચીજ કઈ છે? જરા વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં વિચારો, કે આપણી દરરોજની બીબાંઢાળ જિંદગીમાં આપણે માત્ર ‘અસ્તિત્વ’ ધરાવીએ છીએ, પરંતુ આપણે કેટલા અસાધારણ, અદ્વિતીય છીએ તેનો આપણને ખ્યાલ જ નથી. માનવી એ કોષ (cells) અને DNAનું આશ્ચર્યજનક સંયોજન છે, પરંતુ આપણે આપણો લેન્સ જરા વધુ એડજસ્ટ કરીશું તો જણાશે કે આપણે ટ્રીલીયન્સ અણુઓના અજોડ સંયોજનના બનેલા છીએ. આપણે આપણા શરીરને જોતા કે પૂછતા નથી કે તું શેનું બનેલું છો? આપણે એવા વિશિષ્ટ સંજોગોમાં મૂકાઈએ કે પીડા-યાતના-રોગમાં સપડાઈએ છીએ ત્યારે જ શરીરને સભાનતાથી લઈએ છીએ પણ તમે જાણી કે બીજી બધી વસ્તુઓની જેમ, આપણું શરીર પણ અસંખ્ય અણુઓનું બનેલું છે. અણુઓ પ્રોટોન્સ, ન્યૂટ્રોન્સ અને ઇલેક્ટ્રોન્સના બનેલા છે, અને આપણી આસપાસની બધી વસ્તુઓ આ અણુઓથી જ બનેલી છે. આકાશ, ધરતી, પાણી તમે બેઠા છો એ સોફા/ખુરશી, બધી ભૌતિક વસ્તુઓ અણુની જ બનેલી છે. તેમના વિશેની રસપ્રદ બાબત તો એ છે કે અણુઓ રિસાયકલ થાય છે. તેઓ ટકાઉ પણ હોય છે. અને વિપુલ પ્રમાણમાં હોય છે. લેખક કહે છે, ‘તમે જે અણુ, દરેક અણુ ધરાવો છો, તે તમારા સુધી આવતાં સુધીમાં, કેટલાક સ્ટાર્સમાંથી પસાર થઈને, લાખો ઓર્ગેનીઝમ્સના અંશ તરીકે આવ્યા હોય છે.’ ટૂંકમાં, આપણે સૌ, અણુના વિવિધ વાઈબ્રેશન્સના પુનરાવતાર (Reincarnations) જેવા છીએ. અને જયારે આપણે મરી જઈએ ત્યારે આપણા અદૃશ્ય અણુઓ વિખેરાઈ જાય છે. આગળ વધે છે અને બીજા અણુઓ સાથે જોડાઈને અસંખ્ય વસ્તુઓ બનાવે છે. મૂળભૂત રીતે, બધું અણુથી શરૂ થયેલું છે. બધું સંપૂર્ણપણે શૂન્ય(Nothing)માંથી જ અસ્તિત્વમાં આવેલું છે.

બ્રહ્માંડની રેસીપી :

આપણે ધરતી ઉપર આવ્યા તેનાં અસંખ્ય વર્ષો પૂર્વે કંઈક અસાધારણ ઘટના બની હશે, અને આ બ્રહ્માંડનું સર્જન શૂન્યમાંથી થયું હતું. આને વિભાવના તરીકે સમજવું મુશ્કેલ છે કારણ કે કોઈ વિભાવના (consept) સંબંધી-relational નથી હોતી. ‘કંઈક’ દ્વિપક્ષીય હોવાના સંબંધમાં, સંદર્ભમાં આપણે કંઈ જ સમજી શકતા નથી. તો પછી ચાલો જરા દિમાગની કસરત કરી જોઈએ. જો તમે ધારી શકતા હો તો કલ્પના કરો કે એક નાનું ટપકું પણ બીલીયન્સ એન્ડ બીલીયન્સ પ્રોટોન્સ ધરાવે છે. (યાદ રાખો કે પ્રોટોન્સ એ એટમ (અણુ)નો સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશ છે). તો પછી તમે શક્યતઃ કલ્પના કરશો કે પેલું તમારી કલ્પનાનું ટપકું કંઈકથી ઘેરાયેલું હશે, ખરું ને? કદાચ, એ કાગળના ટૂકડા ઉપર પડેલું ટપકું હશે, અથવા અહીં ત્યાં કશેક તરતું એકાદ સાદું ટપકું હશે. બસ, બરાબર અહીં જ માનવનું મગજ, આ બધું કેવી રીતે શરૂ થયું હશે તે પૂર્ણરૂપે સમજવા સુસજ્જ નથી. કારણ કે આપણી પાસે ‘nothing’(શૂન્ય-શૂન્યાવકાશ)ને સમજવાનો કોઈ મૌલિક દૃષ્ટિકોણ જ નથી. બ્રહ્માંડનું પ્રારંભિક ટપકું સંપૂર્ણપણે nothingમાંથી ઉદ્ભવ્યું છે એવું આપણી વિચારણામાં–સમજમાં આવતું જ નથી... એ કોઈના જ દ્વારા ઘેરાયેલું નહોતું. પરંતુ તેની અંદર પેક થયેલો પેલો મેટર અને પાર્ટીકલ રહેલો હતો. તે એટલો બધો સખ્તાઈથી અંદર પેક થયેલો હતો કે તેમાંથી (વિભાજન થતાં) Big Bang પ્રચંડ વિસ્ફોટ થયો. અને જો એ વિસ્ફોટ ન હોત તો શબ્દશઃ nothingમાંથી ‘કંઈક’ વિસ્તાર પામ્યું હોત. ત્યાર પછી, ‘Voila !’ આપણને space નો ખ્યાલ આવ્યો. હવે space (અવકાશ-ખાલી જગ્યા) એટલે કંઈક ખાલીપાને/ખાલી જગ્યાને ભરનારી ચીજ છે એવું નથી. nothing માંથી એના વિસ્તારને લીધે space સર્જાઈ છે. એ ખાલીપાને ભરવાને માટે કંઈ હતું જ નહિ, આથી nothingમાંથી space ઉદ્ભવી એમ ગણાય. અને આ nothingમાંથી એક બ્રહ્માંડ કે વિશ્વ બન્યું ! પેલા Big Bangની પહેલી સેકન્ડમાં gravity-ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન થયું, ત્યાર પછી એકાદ મિનિટમાં, લાખોનાં લાખો માઈલો સુધી વિશ્વનો વિસ્તાર થયો. ત્યાર બાદ, હાઇડ્રોજન, હીલિયમ, લીથીયમ જેવાં તત્ત્વો બન્યાં. આ પછી સમય જતાં, આજે આપણે જે જાણીએ છીએ તે ૯૮% મેટર એક સોફ્ટ-બોઈલ્ડ ઈંડાની જેમ ઉકળવાની શરૂ થઈ. આટલું થવામાં માત્ર ત્રણ મિનિટ લાગી.

વિશ્વની પેલે પાર :

શું તમે જાણો છો કે, તમે ચંદ્ર ઉપર એક દિવાસળી પણ સળગાવો છો, તો તેને ધરતી પર રહેલા ટેલિસ્કોપ વડે અવકાશયાત્રી ઊંચકી લઈ શકે છે. તેમ છતાં, તે ઊંચકી /ઉપાડી લઈ શકે છે તેનો અર્થ એવો નથી કે તે દિવાસળીની તીલ્લી/કાંડી/સળી તેને સ્પષ્ટ દેખાય છે. અને અહીં આપણી બીજી એક ગેરસમજ શરૂ થાય છે. તમે જયારે સૂર્યમાળા (solar system) વિશે વિચારો છો ત્યારે તમારા મનમાં શું આવે છે? ઘણાને શાળામાં ભણવામાં આવેલું મોડેલ યાદ આવશે - સૂર્ય અને તેની ફરતે આવેલા ગ્રહો, નવ ગ્રહો તેમની ટપકાં દોરેલી ભ્રમણકક્ષા, તેમના જુદા જુદા રંગો વગેરે. આવું જ આપણે શાળાના એટલાસ કે ભૂગોળપોથીમાં કે મ્યૂઝીયમમાં-પ્લેનેટોરિયમમાં જોયું હશે. પરંતુ વાચકો, વાસ્તવમાં અવકાશમાં રહેલો અવકાશયાત્રી આવું કશું જોતો નથી. પ્લૂટો ગ્રહ એક ધૂંધળા ટપકાં જેવો છે, અને ૧૯૭૮માં ખગોળશાસ્ત્રીઓએ શોધ્યું કે એને તો વળી એક ચંદ્ર (ઉપગ્રહ) પણ છે. આપણાથી આવા અવકાશી પદાર્થો કેટલા દૂર છે તે આપણે માની લઈએ છીએ; અને એની પૂર્ણ સ્પષ્ટતા આપણને ચિત્રકારો, નકશાકારોના અનુમાનથી મળે છે. દા.ત. જો આપણે રોકેટમાંથી છલાંગ લગાવી પ્લૂટોને GPSમાં પંચ મારવો હોય તો આપણને તેના સુધી પહોંચતા સાત કલાક થાય. તેમ છતાં, એ આગમનનો અંદાજીત સમય, એક સેકન્ડના ત્રણ લાખ કિ.મી. જેવી ભયાનક ગતિથી ટ્રાવેલ કરવા જેવો ગણ્યો છે. હાલ જે અદ્યતન ટેકનોલોજી પ્રાપ્ય છે તે મુજબ અને ગ્રહોના મહત્તમ એલાઇનમેન્ટ મુજબ, આ તો એક દશકાની વન-વે ટ્રીપ થઈ. કહેવાનો મુદ્દો એ છે કે, સૂર્યમંડળને માપવું અશક્ય છે, અને એણે બ્રહ્માંડમાં કેટલી જગ્યા રોકી છે તે પણ જાણવું અશક્ય છે. વધુમાં, હજી આપણે બ્રહ્માંડ વિશે કેટલું ઓછું જાણીએ છીએ, તેનો પણ લઘુત્તમ અંદાજ જ આપણને છે. પ્લૂટો આપણને સૌરમંડળની દૂરની ધાર ઉપર દેખાય છે, પણ તેનું કારણ એ છે કે તેની પારનું-આગળનું આપણે જોઈ શકતા નથી. અથવા તો પ્લૂટોની પારનું જે કાંઈ આપણે જોઈ શક્યા છીએ તે મોટેભાગે hypothetical અનુમાન આધારિત છે. અને અન્ય ગ્રહો ઉપર જીવન છે કે નહિ તેનું શું? આકાશ ગંગામાં લાખો સંસ્કૃતિઓ હોવાની સંભાવના છે. અરે, આકાશ ગંગાનું કદ જોતાં, લાખો સંસ્કૃતિ મેં કહીએ તો બહુ નાની સંખ્યા છે. તોયે, આ સંભાવના ખૂબ ઉત્તેજનાપૂર્ણ છે. એનાથી પણ વધુ ઉત્તેજનાપૂર્ણ વાત તો એ છે કે એ બધી સંસ્કૃતિઓ કેવી દેખાતી હશે, કેવા લોકો કે પ્રાણીઓ હશે- એ તો કલ્પનાનો જ વિષય છે. તો વાચક મિત્રો, એટલું તો સ્થાપિત થયું કે બ્રહ્માંડ અકલ્પનીય રીતનું વિશાળ-વ્યાપક છે. પણ થોભો, આપણું મગજ પણ આપણે જેટલું ‘વ્યાપક-વિરાટ’ બોલીએ છીએ એટલું માપી શકતું નથી...એ એટલું તો વિરાટ છે કે જો, કોઈ પરગ્રહી સંસ્કૃતિ, આપણને (ધરતીના જીવોને) શોધી કાઢે, અને આપણને સહેજ પણ કંઈક કરવાનો પ્રયત્ન કરે, તો તેઓ ફ્રેન્ચ ક્રાંતિની પહેલી હરોળમાં હશે, એટલે કે આ બધી સંસ્કૃતિઓ વચ્ચેનું સરેરાશ અંતર અંદાજે ૨૦૦ પ્રકાશવર્ષ હોય છે. તેથી, બ્રહ્માંડમાં આપણને જોનારા બીજા જીવો હશે તેવું વિચારવું એ મગજનું દહીં કરવા જેવું છે.

પૃથ્વીનું વજન જાણીએ :

આપણી ધરતીનું વજન જાણવાની અને માપન કરવાની શરૂઆત ૧૭૩૫માં થઈ હતી. લોકોને મા ધરતી વિશે વધુ ને વધુ વિગતો મેળવવામાં, જાણવામાં ઉત્કંઠા અભૂતપૂર્વ હતી. તમને ખ્યાલ હશે કે, રોબર્ટ હૂક, સર ક્રિસ્ટોફર રેન, અને એડમંડ હેલી – નામના ત્રણ તજજ્ઞોએ પૃથ્વીની ભ્રમણકક્ષા માટે એક વેજર (Wager) ગોઠવ્યું. એટલે કે હોડ લગાવી. રોબર્ટ હૂક કોષ (cell)નું વર્ણન કરવામાં સુખ્યાત હતો. ક્રિસ્ટોફર જાણીતો આર્કીટેક્ટ હતો અને અવકાશવીર હતો. જયારે હેલી, જેના નામથી એક ખરતા તારાનું નામ પડાયું હતું (Comet Halley). આ ત્રણેની શરત/હોડ સાદી જ હતી. ક્રિસ્ટોફરે શરત લગાડી કે જે કોઈ પૃથ્વીની ભ્રમણકક્ષાનો વળાંક સમજાવી શકે તેને તે ૪૦ શીલીંગ આપશે. સિ હેલીએ, કેમ્બ્રિજ યુનિવર્સીટીના પ્રોફેસર સર આઈઝેક ન્યૂટનનો સંપર્ક કર્યો. તેમના જ્ઞાનના વિનિમયથી ન્યૂટનની પ્રસિદ્ધ શોધ થઈ. ન્યૂટને Principia નામનો તેનો પ્રખ્યાત કઠિન ગ્રંથ લખ્યો, જેનાં તેણે ગતિના ત્રણ નિયમો અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની ચર્ચા કરી છે. હવે આપણા ગુરુત્વાકર્ષણની સ્થિતિઓની સમસ્યા ઉકેલવાની ફોર્મ્યુલા મળી ગઈ. આ નોંધપાત્ર સિદ્ધિએ ન્યૂટનને અભૂતપૂર્વ પ્રસિદ્ધિ અપાવી. ન્યૂટનના નિયમોએ ગુરુત્વાકર્ષણના ખેંચાણથી થતી ભરતી-ઓટ સમજાવી તથા પૃથ્વીના ગોળા ઉપરથી આપણે ગબડી કેમ જતા નથી તે પણ સમજાવ્યું. ન્યૂટનનું વધુ વિવાદાસ્પદ વિધાન છે કે, પૃથ્વી વાસ્તવમાં એકદમ ગોળ નથી. સેન્ટ્રીફ્યૂગલ ફોર્સ-કેન્દ્રગામી બળને લીધે પૃથ્વીની સંપૂર્ણ ગોળાકૃતિ રહેતી નથી-એ સતત બદલાતી રહેતી Ellipsoid છે. ન્યૂટનની આ શોધથી, પૃથ્વીના માપ, આકારની આપણી જૂની સમજદારીમાં ઘણા સુધારા થયા છે. ઘણા બધા વૈજ્ઞાનિકો અને ભૂસ્તરશાસ્ત્રીઓએ વિવિધ સ્તરીય સફળતા સાથે પૃથ્વીને માપવાની કોશિશ કરી છે, પણ હેન્રી કેવેન્ડીશ નામના વૈજ્ઞાનિકના આવવા સુધી આ પ્રયત્નોને સચોટતા અને ચોકસાઈ નહોતી મળી. હેન્રી એના સમય કરતાં ઘણો આગળ હતો, અને એની ચોકસાઈની પદ્ધતિઓ ખતરનાક હતી, ભારે હતી. તેમાં એને લગભગ ૧ વર્ષ લાગ્યું, પણ આખરે ૧૭૯૭માં તેણે જાહેર કર્યું કે પૃથ્વીનું વજન ૬ બીલીયન ટ્રીલીયન મેટ્રીક ટન છે. તેના સમકાલીન વૈજ્ઞાનિકોએ કેવેન્ડીશની આ વજન-માપન ચોકસાઈમાં માત્ર એકાદ ટકાનો જ ફેરફાર કર્યો હશે. હવે આપણી પાસે પૃથ્વીના વજન-કદ માપનની ચોક્કસ સ્થાપિત પદ્ધતિઓ છે જ... હવે પછીનો પ્રશ્ન છે પૃથ્વીની ઉંમર ગણવાનો. આજે આપણે ટી.વી., (મોબાઈલ, ઈન્ટરનેટ, AI વગેરે), અણુ-વિભાજન અને ઈસ્ટન્ટ કૉફીના યુગમાં મઝાથી જીવીએ છીએ, પણ આ બધું હોવા પહેલાં. પૃથ્વીની ઉંમર ૪૫૫૦ મીલીયન વર્ષની છે એ આપણે શોધી કાઢ્યું હતું, તેની તમને ખબર છે?

આ બધું રસાયણશાસ્ત્રને આભારી છે :

Chemistry અને Alchemy- રસાયણ વિજ્ઞાનોનો આરંભ બડો ધમાકેદાર હતો. પણ એને જરા પ્રતિષ્ઠાનો પ્રશ્ન નડ્યો. બીજાં વિજ્ઞાનોની ચમકદમકભરી પ્રગતિમાં રસાયણવિદ્યાને જરા ગ્રહણ નડી ગયું, એને એટલી ગંભીરતાથી લેવામાં ન આવી. ૧૮મી સદીમાં એન્ટની લોરેન્ટ લેવોઈઝરનું આ ક્ષેત્રમાં આગમન ઘણું મહત્ત્વપૂર્ણ બની રહ્યું. તેણે વાસ્તવમાં કાંઈ ખાસ નવી શોધ નહોતી કરી, પણ રસાયણ વિદ્યાના ક્ષેત્રને તેણે એક પ્રકારની વ્યવસ્થિતતા, તર્કબદ્ધતા અને પદ્ધતિસરતામાં મૂકવાનું મહાન કાર્ય કર્યું. તેમ છતાં, પછી, ૧૯મી સદીના લગભગ પહેલાં પચ્ચીસ વર્ષોમાં, રસાયણશાસ્ત્રે થોડો અંતરાલ, વિરામ લીધો. તેનું કારણ ટેક્નોલોજીએ તેના વિચારો ઝીલવામાં કરેલો વિલંબ હતું. વળી રસાયણશાસ્ત્ર ત્યારે બીઝનેસમેનને માટેનું શાસ્ત્ર ગણાતું, જેન્ટલમેનને માટેનું નહિ. એ તો સારું થયું કે કેટલીક નોંધપાત્ર પ્રતિષ્ઠિત સંસ્થાઓ એના સંશોધન અને વિકાસ માટે સ્થપાઈ જેથી રસાયણશાસ્ત્રમાં ગતિ આવી. (સર હમ્ફ્રી) ડેવી જેવા ધ્યાનપાત્ર વૈજ્ઞાનિકે પાંચમું તત્ત્વ શોધ્યું, અને પછી તો બીજાં પણ જોકે શોધાયાં...પરંતુ ડેવીનો જીવનદીવો ૧૮૨૯માં વહેલો બૂઝાયો. તેની કેમેસ્ટ્રીને ખોટ પડી. કેમેસ્ટ્રીએ થોડી પ્રગતિયાત્રા તો કરી જ હતી, પરંતુ એમાં વિજ્ઞાનીઓની વચ્ચે સંયોજન અને કમ્યૂનીકેશનનો અભાવ, અને સાદી ફોર્મ્યૂલાને-પ્રતીકોને-ટૂંકાક્ષરીઓને રજૂ કરતી એક સાર્વત્રિક ભાષાની કમી હતી. તેથી તેનાં સંશોધનોને પ્રકાશમાં આવતાં વર્ષો લાગી ગયાં. સદ્ભાગ્યે, બર્ઝીલીયસ નામના સ્વીડીશ વૈજ્ઞાનિકે રાસાયણિક પ્રતીકો, સંજ્ઞાઓને તેનાં ગ્રીક અને લેટીન નામ મુજબ Abbreviate કર્યા. ટૂંકાક્ષરીમાં મૂક્યાં. રસાયણવિદ્યાની આ ઐતિહાસિક અતંત્રતા, અવ્યવસ્થિતતા ૧૯મી સદીમાં રશિયન વિજ્ઞાની મેન્ડેલેયેવે થોડી સરખી કરી. અને આજે જે Periodic table કહેવાય છે તેમાં રાસાયણિક તત્ત્વોને વર્ગીકૃત કર્યાં, ગોઠવ્યાં. માત્ર ૩૫ વર્ષની વયે તેણે આ table વિકસાવ્યું—જેમાં, આડી લાઈનોમાં periods અને ઊભી લાઈનોમાં જૂથો ગોઠવ્યાં. ત્યાર પછી જે જે નવાં તત્ત્વો શોધાતાં ગયાં તેને એ tableમાં મૂકતા જવાનું સરળ બન્યું. આથી ભારે ગૂંચવણ-ગરબડવાળા આ ક્ષેત્રમાં ઘણી વ્યવસ્થિતતા આવી. આજે પણ આ periodic table યથાવત રહ્યું છે અને ઉપયોગમાં લેવાય છે. ૧૯મી સદીના અંત સુધીમાં, વિદ્યુત, વાયુઓ, મેગ્નેશ્યમ, કાઈનેટીક્ષ વગેરેને સમજવામાં મોટી સહાય મળી, જેને કારણે ભૌતિકવિજ્ઞાનને પણ બહુ મોટો લાભ થયો. જ્ઞાનનો નવો ઉઘાડ થયો, જેથી આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને એડવીન હબલ જેવા વિવિધ મહાન વૈજ્ઞાનિકો નવી શોધો કરી શક્યા. જ્યાં સુધી આપણને ખ્યાલ છે ત્યાં સુધી, પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન પાંગર્યું છે, અને ક્યારેક તે રહેઠાણ યોગ્ય ન પણ હતી. જયારે સજીવો (આપણે) ૪૦૦ મિલિયન વર્ષો પૂર્વે દરિયાથી જમીન ઉપર આવ્યા ત્યારે ૯૯.૫% ધરતીને અજાણતાં કે અસાવધપણે વસવાટયોગ્ય રાખી નથી. આ પુસ્તકના લેખકના મતાનુસાર આ તો એક અંદાજ છે, પણ મુદ્દો એ છે કે, ભૂમિ આધારિત ઘણા વિકલ્પો કપાઈ ચૂકયા છે. દરિયામાં આપણે રહી શકતા નથી. એમાં પાણીમાં આપણે શ્વાસ ન લઈ શકીએ એટલું જ નહિ, પાણીનું દબાણ પણ આપણે માટે અસહ્ય બની રહે. દરિયાનાં ઊંડાણ માપવામાં પણ વિવિધ કૌશલ્યો કેળવાયાં છે. એમાંયે થોડી ભૂલો અને તેના સુધારાઓ થતા રહ્યા છે. છેક ૧૯૯૨માં, અમ્બર્ટો પેલિઝારી, શ્વાસ લેવાનાં કોઈપણ સાધનો લીધા વિના, ૭૨ મીટર ઊંડાઈએ પહોંચેલો અને તેના અનુભવ કહેવા જીવતો પણ આવેલો પણ આ કાંઈ નાનીસૂની સિદ્ધિ નહોતી. એણે સાબિત કર્યું કે આપણું માનવશરીર, અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં ટકવાને માટે સક્ષમ નથી, આપણે fragile તકલાદી શરીરધારી છીએ. તેમ છતાં, સૂર્યના સંબંધે પૃથ્વીની પોઝીશનના સંદર્ભમાં, આપણે તો નસીબદાર છીએ. એ આપણી પ્રાઈમ રીયલ એસ્ટેટ છે. જો સૂર્ય હજી વધુ મોટો હોત, તો પૃથ્વીની આટલી જીવંતતા ન હોત, અને આપણું અસ્તિત્વ ન હોત. સૂર્યથી સપ્રમાણ અંતરે હોવાથી ધરતી એટલી ગરમ થઈ જતી નથી, અને જીવ(ન)ને ટકી રહેવા યોગ્ય વાતાવરણ મળી રહે છે. આંકડા કહે છે કે, જો આપણે સૂર્યથી હજી ૫% વધુ નજીક હોત, અને ૧૫% હજી વધુ દૂર હોત - તો એ બંને સંજોગોમાં, પૃથ્વી ઉપર, આપણું અસ્તિત્વ જ ન હોત.. તો બોલો, આપણે કેટલા ભાગ્યશાળી છીએ ! એટલું જ નહિ, આપણા ચાંદામામા પણ આપણે માટે આશીર્વાદરૂપ છે. તે આપણા વાતાવરણને અસર કરે છે, તેનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ આપણને અવકાશમાં ફંગોળાઈ જતાં બચાવે છે.

આપણું વાતાવરણ મોટો આશીર્વાદ છે :

ધરતીની આસપાસના વાતાવરણને લીધે આપણે બહારના –૫૦ ડીગ્રી સેલ્શ્યસમાં થીજી જતા નથી. આપણું વાતાવરણ આપણો ધાબળો છે, એ આપણને ઠંડીથી જ નહિ, UV કિરણો, કૉસ્મિક કિરણો અને વિવિધ રજકણોથી બચાવે છે. ધરતીના વાતાવરણનાં ચાર સ્તરો છે : ૧. ટ્રોપોસ્ફીયર ૨. સ્ટ્રેટોસ્ફીયર ૩. મેસોસ્ફીયર ૪. થર્મોસ્ફીયર આપણને ટ્રોપોસ્ફીયરમાંથી પ્રાણવાયુ અને ઉષ્મા અને જીવનજરૂરી રક્ષણ મળે છે. એનાથી ઉપરના સ્ટ્રેટોસ્ફીયરમાં ઓઝોન સ્તર રહેલું છે. વાતાવરણની વાત કરીએ છીએ ત્યારે, ૧૯મી સદીની શરૂઆતમાં મીટરોલોજીનો વિકાસ શરૂ થયો હતો. ત્યાં સુધી ઉષ્ણતામાપન માટે સંશોધકો સચોટમાપન માટે ફાંફાં જ મારતા હતા. ૧૭૧૭માં ડેનિયલ ગ્રેબ્રિયલ ફેરનહીટે એક સાધન બનાવ્યું—તેણે ૩૨ ડીગ્રીએ ફ્રીઝીંગ પોઈન્ટ (ગલનબિંદુ) અને ૨૧૨ ડીગ્રીએ બોઈલીંગ પોઈન્ટ(ઉત્કલનબિંદુ)ની માપણી કરી. ૧૭૪૨માં, એન્ડર સેલ્શિયસે જુદી પદ્ધતિ શોધી. તે મુજબ ૧૦૦ એ ગલનબિંદુ-પાણી ઠરે ને બરફ થાય, અને ૦ ડીગ્રીએ ઉત્કલન બિંદુ –પાણી ગરમીથી વરાળ થાય-એમ માપન કર્યું. તેમ છતાં, થોડા સમય બાદ એને ઊલટું કરી સ્વીકારાયું. તે મુજબ હવે આપણે ૦ ને ગલનબિંદુ અને ૧૦૦ને ઉત્કલનબિંદુ ગણીએ છીએ. ઉષ્ણતામાનનું ઠેકાણું પડ્યું પછી, કેટલાક વૈજ્ઞાનિકોએ મીટરોલોજીના ક્ષેત્રને વિસ્તારવાનું કામ કર્યું. હોવર્ડે વાદળોનું પણ વર્ગીકરણ શોધ્યું. અને અન્યોએ વાતાવરણની તરાહો અને અન્ય ઘટનાઓ ઉપર પડતા દરિયાના પ્રભાવ વિશે સંશોધનો કર્યાં.

જીવનની નાની નાની બાબતો :

આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે અમુક પ્રોડક્ટ્સ ૯૯.૯% બેક્ટેરિયાને મારી નાખે છે. આ સાંભળવું સારું લાગે છે, ખરુંને? પણ, બધા હેતુઓ માટે બેક્ટેરિયા તેને ધ્યાન પર લેતાં નથી. ચાલો, જરા વિગતે વિચારીએ. હાલમાં, જો તમે તંદુરસ્ત છો, તો અત્યારે તમારી ચામડીનો બુફેની ડીશ તરીકે ઉપયોગ કરનારાં એક ટ્રીલીયન બેક્ટેરિયા તમારા શરીર ઉપર હાજર છે. જ્યાં સુધી તમે સાબુનો ઉપયોગ ન કરો ત્યાં સુધી તેઓનો નિવાસ ત્યાં જ રહે છે. એ ટ્રીલીયન બેક્ટેરિયા ત્વચાની સપાટી ઉપર છે, પણ બીજાં એનાં સાથીઓ ત્વચાની અંદર ઊતરેલાં છે. અરે, એટલું જ નહિ, તમારા નાક, કાન, વાળ, દાંત વગેરેમાં પણ એવડી જ સંખ્યામાં બેક્ટેરિયા લટકે છે, રહે છે ને મઝા કરે છે. તમને તેની ખબર પડે છે? આવાં અસંખ્ય બેક્ટેરિયા બધ્ધે જ હોય છે, અને આપણા શરીરોમાં તેઓ આરામથી બેરોકટોક આવનજાવન કરતાં જ રહે છે. આ દુનિયાની ભવ્ય યોજનામાં, ઝીણાં ઝીણાં–સૂક્ષ્મ બેક્ટેરિયાએ અડ્ડો ઝમાવેલો છે....! અને ગળચટી વાત તો એ છે કે તેઓ આપણી આ ચર્ચાનાં ‘baddies’ છે. હકીકત તો એ છે કે બેક્ટેરિયા નાનાં તો છે, પણ બહુ મોટાં મોટાં કામો કરી આપે છે આપણને – કચરાનું પ્રોસેસીંગ, પાણીનું શુદ્ધિકરણ, ધરતીનું ફળદ્રુપીકરણ, આપણા ખોરાકનું વિભાજન વગેરે વગેરે કેટલુંયે....જે આપણાથી થઈ જ ન શકે તેવી કપરી અને જટિલ કરામતભરી કામગીરી તેઓ નિઃસ્વાર્થભાવે કર્યે જ જાય છે. તેઓ ટકી રહેવામાં પણ એક નંબર છે. પ્રતિકૂળ વાતાવરણમાં તે સુષુપ્ત અવસ્થામાં ચાલી જાય છે. અને અનુકૂળતા મળતાં પાછાં સક્રિય થઈ શકે છે. ૧૯૯૭માં વૈજ્ઞાનિકોએ એન્થ્રેકસનાં બીજકણો (spores)ને સજીવન કર્યા હતા, તેઓ ૮૦ વર્ષોથી સુષુપ્તાવસ્થામાં હતા. આમ તો આપણા શરીરને માટે અમુક બેક્ટેરિયા અનિવાર્યરૂપે આવશ્યક છે. પરંતુ તકલીફની બાબત એ છે કે તેઓ ક્યારેક ગાંડપણ કરીને શરીરના ખોટા અંગમાં ઘૂસી જાય છે, જ્યાં તેમની જરૂર કે કાર્ય હોતું જ નથી, ત્યારે તે રોગ પેદા કરે છે. મિત્ર બેક્ટેરિયા ત્યારે શત્રુ બની જાય છે. દા.ત. મોટાં આંતરડામાં મળમાં રહેતાં બેક્ટેરિયા સુખેથી જીવે-રહે છે, કોઈ નુકસાન આપણને કરતાં નથી. પરંતુ જો એ ગંદીનાલીનાં ઉપયોગી મિત્રો, આપણા શરીરના રક્તપ્રવાહમાં ઘૂસી જાય તો ભારે ઉથલપાથલ મચાવી દે છે. આવું ક્યારે થાય? જો આપણને આંતરિક ઈજા થાય ને અંદર જ બ્લીડીંગ થાય તો જે તે બેક્ટેરિયા તેનો પ્રદેશ છોડી અન્ય ખોટા અંગમાં ઘૂસી જાય છે અને તબિયતની ખરાબી ખડકી દે છે. આમ, ગળામાં રહેનારાં બેક્ટેરિયા મેનીન્જાયટીસનું કારણ બની શકે છે. તેઓ જો ગળામાં જ રહીને પોતાનું સોંપાયેલું કાર્ય કરતા રહે તો વાંધો નથી પણ જો તે રક્તપ્રવાહમાં જો ત્યાંથી ભળી જાય તો બાર કલાકની અંદર શરીરના બાર વગાડી દે, મોતને દ્વારે મૂકી આવી શકે છે. આવી જ દુનિયા વાયરસની પણ છે. તેઓ બેક્ટેરિયાથી પણ સૂક્ષ્મ, છતાં ઓછાં જટિલ છે. પણ તેઓ અનુકૂળ યજમાન મળે તો તરત તેના મહેમાન બની બેસે છે, તેને પાંગરવામાં વાર નથી લાગતી. તેમને પીટર મેડાવર ‘ખરાબ સમાચારથી આવૃત્ત ન્યૂક્લીક એસિડના અંશ’ તરીકે ઓળખાવે છે. લગભગ પાંચ હજાર પ્રકારના વાયરસ-વીષાણુ-હોય છે, તેઓ આમ તો ડાહ્યા-ડમરાં અને મૈત્રીપૂર્ણ રહેતાં હોય છે, પણ જો વીફર્યા કે છંછેડાયાં તો પછી કોઈને છોડતાં નથી, સીધા આપણને સ્મશાને જ પહોંચાડે છે.(કોરોના વાઈરસે આખી દુનિયાને કેવી ઘમરોળી, ૨૦૧૯માં તે યાદ છે ને?) દા.ત. શીતળાએ ૩૦૦ મીલીયન લોકોને, ગ્રેટ સ્વાઈન ફ્લુએ/સ્પેનિશ ફ્લુએ ૨૧ મીલીયન માથાંને ચાર જ મહિનામાં મોતને ઘાટ ઉતારેલાં. કેટલાક ફ્લૂ ખૂબ જીવલેણ હોય છે. જયારે અન્ય કેટલાક નથી હોતા એ શાથી તે જાણવાનું હજી રહસ્યમય જ છે. બાળકો, વયસ્કોને કેટલાક વાયરસ તરત અસર કરી જાય-માંદા પાડી દે છે. જ્યારે કેટલાક વાયરસ કંઈપણ કર્યા વિના અદૃશ્ય થઈ જાય છે તે પણ રહસ્યમય જ છે. આપણે તો સજ્જ રહેવું પડશે, કારણ કે નવા વાયરસ ગમે ત્યારે, ગમે ત્યાંથી ટપકી પડે અને આપણને ટપકાવી દે, કારણ કે આપણે હવે વૈશ્વિકરણના યુગમાં જીવીએ છીએ અને મન ફાવે ત્યાં દુનિયામાં ઝડપથી ફરીએ છીએ.

આપણને માનવીય શું બનાવે છે?:

લેખક બ્રાયસન જણાવે છે કે આપણે ભૌતિક જગતના જાદુ જેવા છીએ. બીજું બધું તો ખેર, જે હોય તે, પણ રસાયણશાસ્ત્રીય સ્તરે. જીવન આપણું અદ્ભુત રીતે ઐહિક-mundane છે: કાર્બન, હાઇડ્રોજન, ઓક્ષિજન, નાઈટ્રોજન, થોડું કેલ્શ્યમ, જરાક સલ્ફર, બીજાં ચપટીક ચપટીક તત્ત્વો - બધું તમને ફાર્મસીમાંથી જડી આવશે - અને બસ, આ જ આપણને જોઈતું હોય છે - માનવદેહને માટે. બાકી તો આપણે અણુઓના જ બનેલા છીએ. બસ, આ જ રસાયણિક તત્ત્વો અને ભૌતિક અણુઓનું સંયોજન એટલે તમે અને હું, આપણું શરીર ! આ પૃથ્વી પર વસતી, શ્વસતી દરેક પ્રજાતિ એકબીજા સાથે સંલગ્ન છે. ચાર્લ્સ ડાર્વિન તો તર્ક આપે છે કે આપણે આપણા પર્યાવરણના સંદર્ભમાં જ ઉત્ક્રાંત થયા છીએ. આપણે જન્મીએ કે મરીએ, પ્રાકૃતિક પસંદગીનો જ આધાર છે એમાં સબળો જીવી જાય ને નબળો મરી જાય. પરંતુ અનેક અવરોધો અને વિપરીતતાઓની વચ્ચે પણ માણસે જાતે ટકી જવાનું ને ઉત્ક્રાંતિ પામવાનું શીખી લીધું છે. અગાઉ જણાવ્યું તેમ, આપણે બધા જીવો સંલગ્ન છીએ, કેવી રીતે? DNA થી શરુ કરો. આપણા બધા માનવોના ૯૯.૯% DNA કૉમન છે. અને જો આપણે ફળ ઉપર બેઠેલી માખીનું પૃથક્કરણ કરીએ તો તેની જોડે આપણું ૬૦% જીનેટીક મટીરીયલ મળતું આવે છે. આપણને બધા ધરતીવાસીઓને અલગ દેશ, અલગ રંગ, અલગ જાતિના હોવાનો ફાંકો છે, પણ દૂરના ભૂતકાળમાં જઈએ તો આપણે એકબીજા જોડે ઘણી સમાનતા ધરાવતા હોવાનું જણાશે. બ્રાયસન વિધાન કરે છે કે “બધા જ જીવો એકસમાન છે એવું વારંવાર કહેવાતું નથી. પણ મને શંકા છે કે અને જે ભવિષ્યે સાચી પડે પણ ખરી કે હા, ખરેખર જીવમાત્ર એક સમાન છે.”

સમાપન :

આ પુસ્તક A Short History Of Nearly Everything એ ખૂબ રસપ્રદ અને જકડી રાખનારું વાચન છે. એ આપણને, ‘ધરતી કેવડી મોટી-મહાકાય છે છતાં કેવડી નાની પણ છે-‘ બંને વસ્તુ એકસાથે બતાવે છે. એના વિશે આપણે કેટલું બધું જાણીએ છીએ અને છતાં સમગ્ર બ્રહ્માંડમાં હજી કેટલું બધું અજ્ઞાત અગોચર છે તે પણ ચર્ચે છે. ‘લગભગ બધી વસ્તુઓ’ને લેખક આવરી લે છે, સાંકળી લે છે, સમજાવી દે છે અને આ પુસ્તકને શોધખોળની યાત્રાનો ભોમિયો-વૈજ્ઞાનિક સહાયક બનાવી દે છે. જેને વિજ્ઞાન કે ઇતિહાસ નીરસ, શુષ્ક કે કંટાળાજનક લાગતાં હોય, તેમને માટે નૂતન જ્ઞાનવિશ્વની રસપ્રદ બારી ખોલી આપે છે. લેખકની શૈલી એવી છે કે વાર્તા કહેતાં કહેતાં લગભગ બધી વસ્તુઓને ખૂબ જ રોચક, મોહક બનાવી શકાય છે, પછી તે ગમે તેટલી બોરીંગ કે ઐહિક કેમ ન હોય ! આખરે, આપણે બધા જ, અણુઓની શાખા જેવા જ છીએ ને? આશરે ૬૫૦,૦૦૦ વર્ષોથી આપણે આ પૃથ્વી ગ્રહ ઉપર છીએ, તો આપણને ‘માણસ’ (દેહ) બનાવનારા અણુઓ કેટલા પ્રતિબદ્ધ છે તેનો વિચાર કરો. તોયે, સમયાવધિએ /જીવનાવધિએ એ તમને છોડી જવાના છે અને તમને માટીમાં કે રાખમાં મેળવી દેવાના છે. કેટલાક તમને ચોંટી રહેશે, તો બીજા કેટલાંક એનો જુદો માર્ગ શોધી લેશે. કદાચ બીજા કોઈ અણુઓ સાથે જોડાઈ જશે, અને શાશ્વત રીતે આમ કંઈક નવું નવું સર્જતા રહેશે. એ જ છે આપણું આ ધરતી ઉપરનું આવાગમન ! બ્રાયસન કહે છે, ...કારણ કે અંતે તો – All Life is one-જીવન તત્ત્વ તો એક જ છે. બધા જીવો એક છે!