The Hidden Life of Trees

Revision as of 02:31, 4 November 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "frameless|center <center> <span style="color:#ff0000"> {{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br> </span> </center> <hr> {{BookCover |cover_image = File:The Hidden Life of Trees-title.jpg |title = The Hidden Life of Trees <center> What They Feel, How They Communicate<br> (Discoveries form a Secret World)<br> P...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


The Hidden Life of Trees-title.jpg


The Hidden Life of Trees

What They Feel, How They Communicate
(Discoveries form a Secret World)

Peter Wohllben

ધ હીડન લાઈફ ઑફ ટ્રીસ

વૃક્ષોનું વિસ્મયપૂર્ણ જીવન
(તેઓ શું અનુભવે છે, કેવી રીતે વાત-વિનિમય કરે છે?વૃક્ષોની રહસ્યમયી દુનિયામાં ડોકિયું)


પીટર વૉલબેન


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


વિષયવસ્તુ :

૨૦૧૫માં જર્મનમાં અને ૨૦૧૬માં અંગ્રેજીમાં પ્રકાશિત વનસ્પતિ જગતમાં વિહાર કરાવતા આ પુસ્તકમાં ૩૬ જેટલાં નાનાં નાનાં રસપ્રદ અને રૂપકાત્મક શીર્ષકો, બીચ-બર્ચ-પાઈન જેવાં વૃક્ષોનાં ચિત્રો સમાવિષ્ટ છે. અસંખ્ય સંકુલ ચક્રો(cydes)માં ગૂંથાયેલા આપણાં વૃક્ષમિત્રો તેના અસ્તિત્વ માટે હવા-પાણી-પ્રકાશ-પોષણ મેળવવા સતત સંઘર્ષરત રહેતાં હોય છે. પરિણામસ્વરૂપે એમનામાં આશ્ચર્યજનક ક્ષમતાઓ વિકસે છે : તમને જાણીને નવાઈ લાગશે કે વૃક્ષો એકબીજા સાથે પ્રત્યાયન(communication) વાત પણ કરે, એકમેકને મદદ કરે, ફૂગ અને બીજાં જીવડાં-જંતુઓ જોડે સહયોગ પણ સાધે, તેમને સ્મૃતિ પણ હોય, અરે, તેમનું પોતાનું વિશિષ્ટ ઈન્ટરનેટ નેટવર્ક સુધ્ધાં હોય છે! વનસ્પતિવિશ્વની આવી વિશ્વાસ ન પડે ને શ્વાસ અધ્ધર કરે તેવી અવનવી માહિતીમંડિત આ પુસ્તક તો વાંચવું જ રહ્યું....

વિષય પ્રવેશ :

આ પુસ્તકમાં મારે માટે શું છે? આ પુસ્તક, વૃક્ષોના સંકુલ સંસારનું મનમોહક અને માહિતીપ્રદ સંશોધન કરે છે. જંગલમાં વૃક્ષો નવાઈ પમાડે તેવી રીતે એકબીજા જોડે સંવાદ, સહકાર અને સ્નેહ પણ કરે છે. જગદીશચંદ્ર બોઝે ‘વનસ્પતિમાં પણ જીવ’ હોવાની શોધ કરી તે પછી આપણી દૃષ્ટિ બદલાઈ, બાકી તે પહેલાં પરંપરાગત રીતે આપણે ઝાડને માત્ર એક સ્થિર પદાર્થ તરીકે ગણતા હતા, પણ હવે માનીએ છીએ કે વૃક્ષો એક અટપટી અને જીવંત-કંપનયુક્ત ecosystem પણ રચે છે. લેખક પોતાના વનવિજ્ઞાનના અનુભવો અને વૈજ્ઞાનિક સંશોધનોને આધારે વન અને વનસ્પતિનાં વણપ્રીછ્યાં રહસ્યો પ્રતિ મોહક અને મઝાની યાત્રા કરાવે છે. વૃક્ષોના જીવન અને આંતર સંબંધોમાં ઊંડી આંતરદૃષ્ટિ કરાવે છે.

સામાન્ય વાચકને નવાઈ લાગે કે વળી ઝાડ વિશે, શું પુસ્તક લખવાનું? એ તો મારા વાડામાં/ખેતરમાં વર્ષોથી ઊગેલું-ઊભેલું-ખીલતું-કરમાતું, લીલાંપાન-ખાખી છાલવાળું એક કંટાળાજનક ઝાડવું જ છે ને? હા, તડકામાં છાંયડો આપે, ફળ-ફૂલ તો એના ઉપર કુદરતી આવે, એની ડાળ ઉપર હીંચકો બાંધી ઝૂલવાની મઝા આવે એટલું જ ! એની વળી કોઈ દુનિયા હોય? એમાં શું જાણવાનું?

વહાલા વાચકો, એવું નથી, તમે માનો એટલું ઝાડ બોરીંગ નથી. ઉપરવાળાની એ અદ્ભુત રચના છે. જાણશો તો તમારો દૃષ્ટિકોણ બદલાઈ જશે. તેમનું પણ એક જાતનું ઈલેક્ટ્રીક ઈન્ટરનેટ નેટવર્ક હોય છે જેના દ્વારા એના ઉપર જંતુઓનો, પ્રાણીઓનો હુમલો કે અન્ય પ્રહાર થાય, કઠિયારાની કુહાડી પડે ત્યારે તે માઈલો દૂર રહેલાં તેનાં મિત્રો, સગા-સંબંધીને ચેતવણીના સિગ્નલ્સ મોકલે છે કે ચેતજો, જોખમ તોળાઈ રહ્યું છે. અથવા જયારે તેની માટીમાં પૂરતો નાઈટ્રોજન નથી હોતો ત્યારે fungi ફંગસ-ફૂગ સાથે સહયોગ સાધે છે. અથવા વૃક્ષ વૃક્ષનાં વ્યક્તિત્વો(વૃક્ષત્વો) અલગ અલગ હોય છે. પાન ક્યારે ખેરવવાં ને ખીલવવાં, ફળ-ફૂલ ક્યારે જન્માવવાં એ બધું તેને ખબર હોય છે.

જોયું ને? વગડામાં-વનસ્પતિવિશ્વમાં તો સંશોધનની અપાર શક્યતાઓ છૂપાયેલી છે. તેઓ મનુષ્યો-પ્રાણીઓ કરતાં લાખો વર્ષ પહેલાં આવેલાં ધરતીમાતાનાં સંતાનો છે,માટે આપણાં ‘મોટાંભાઈ’ થયાંને? એમણે પોષણ-પાણી-પ્રકાશ-પવન માટે જીવનભર સંઘર્ષરત રહેવું પડે છે. આપણે તો લડાયક પડોશી હોય કે ના ફાવે તો ઘર બદલીને બીજે રહેવા જતા રહીએ, પણ ઝાડ બિચારું! જ્યાં ઊગ્યું ત્યાં જ એણે પાંગરવું પડે, જિંદગી ખેંચી કાઢવી પડે. એને ખેંચી કાઢો તો મરી જાય...આથી એણે સ્થિરતાથી વસવા-શ્વસવા માટે આસપાસની બધી સજીવ સૃષ્ટિ સાથે દોસ્તી-સહકાર કે ક્યારેક દુશ્મની પણ કરવી પડે.

આખું જીવન વૃક્ષો વચ્ચે વસનાર અને વૈજ્ઞાનિક બની વિહરનાર પીટર વૉલબેન સિવાય આ બધું કોણ વધુ સારી રીતે સમજાવી શકે? બાળપણથી જ એને પર્યાવરણ સુરક્ષામાં ભારે રસ. અને ૩૦ વર્ષથી વધુ સમય એમણે વૃક્ષમિત્રો વચ્ચે વનમાં જ વીતાવ્યો. ભગવાન શ્રી રામની જેમ ૧૪ જ વર્ષ નહીં, એનાથી બમણો વનવાસ કર્યો, કામ કર્યું, સંશોધન કર્યું. માનવીય અને કુદરતી હોય તેવી વનવિદ્યા વિકસાવી, વ્યાપક દૃષ્ટિ અને સંવેદનશીલ દૃષ્ટિકોણથી અમાપ વિગતો એકત્ર કરી અને આ એક જ નહિ પણ આવાં સાત-આઠ પુસ્તકો લખ્યાં. જેના શબ્દે શબ્દે, પાને પાને, વન અને વન સૃષ્ટિ માટે એમનો વિસ્મયભાવ છલકે છે.

તો ચાલો, પીટર બ્રધરની આંગળી ઝાલી જંગલની કેડીએ વિહરીએ અને આપણાં હરિયાળાં ‘મોટાંભાઈ’ની મોટાઈ-મહત્તાને નાનામાં નાની વિગતોથી પામીએ.

આ પુસ્તકનાં નાનાં નાનાં વાચનક્ષમ, રસિક એવાં ૩૬ પ્રકરણોને ૩ જ મુદ્દાથી સમજીએ.

  • Aphids જ્યારે વૃક્ષનું લોહી પીએ છે ત્યારે શું થાય છે?
  • બોમ્બવર્ષા કરતાં મશરૂમ્સ (બિલાડીનો ટોપ) કેવી રીતે વધારે જીવંત વસ્તુઓને મારી નાંખે છે?
  • વૃક્ષો સંડાસ કેવી રીતે કરે છે?

ચાવીરૂપ ખ્યાલ.

૧. ધરતીમાતાનાં ફેફસાં એવાં વૃક્ષો વૈશ્વિક જળ અને અંગારવાયુ ચક્રમાં જીવંત-મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

(Our Planet’s lungs: Trees play a vital role in global water and carbon dioxide cycles.)

વૃક્ષોની વિસ્મયજનક અને મોહક ક્ષમતાઓમાં ડૂબકી મારતાં પહેલાં ચાલો, વનસ્પતિના મહત્ત્વ વિશે જરા વિચારી લઈએ.

માનવજાતિ ઉપર વનસ્પતિજગતનો મોટો ઉપકાર છે : તે આપણી શ્વાસમાં લેવાની હવા શુદ્ધ કરે છે. જગતમાં દૂરનાં સ્થાનોમાં પણ તે આપણને પાણી મેળવી આપવામાં મદદરૂપ છે. વૃક્ષો વિના માનવીનું આ અવની ઉપર અસ્તિત્વ જ કલ્પવું દુષ્કર છે. વૃક્ષ પરમ હિતકારી!

વૃક્ષો-વનસ્પતિ વિના ધરતીનું ઉપરનું પડ સુકાઈ જાય. શાળામાં આપણે જળચક્ર ભણ્યા છીએ તે મુજબ ધરતી પરના પાણીની ગરમીમાં વરાળ થાય, તેનાં વાદળ બને, તે સૂકી જમીન ઉપર પવન ફૂંકાય, વરસાદ પડે, તે પાણી ઝરણાં-નદીમાંથી વહીને પાછું સાગરમાં સમાય... પાછી તેની વરાળ થાય...વગેરે.

પણ વાચકો, આ સાદી લાગતી જળચક્ર, પ્રક્રિયામાં વૃક્ષો શું કરે છે તે તો આપણને દેખાયું જ નહિ? બતાવું, આવો. દરેક પાણી ભરેલું વાદળ આગળ કેવી રીતે વધે છે? જો ઝાડ ન હોય તો દરિયા કિનારાના ૬૦૦ કિ.મી.ના વિસ્તાર-પટ્ટામાં જ વાદળો વરસ્યા કરે અને બાકીની દૂરની ધરતી કોરી રહી જાય... અરે, વાદળોના જળરાશિને પાઈપલાઈન વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ વહાવવાનું કામ ઝાડ જેવા ગંજાવર વોટર પમ્પનું છે. દરિયા કિનારા પાસેનાં જંગલોમાં વરસાદ પડે તેનું મોટા ભાગનું પાણી ઝાડનાં પાંદડાં ઉપર અને જંગલની જમીન ઉપર રહે છે. એ પાણી પછી બાષ્પીભૂત થાય, વાદળ બને, પવનથી તે દુનિયાભરમાં ફેલાય ને ત્યાં જ વરસે...

ભૂખંડોના અંતરિયાળ પ્રદેશોને ભીંજવવા ઉપરાંત વૃક્ષો અંગારવાયુ ખેંચી લઈ પ્રાણવાયુ પ્રાણીજગત માટે પાથરે છે ને આપણને જીવતા રાખે છે, પર્યાવરણ-સુરક્ષા કરે છે, વાતાવરણમાંથી CO2 લઈને પોતાનમાં સંગ્રહે છે, અને જયારે ઝાડ મરી જાય ત્યારે એમાંનો બચેલો વાયુ એ પાછું વાતાવરણમાં રીલીઝ કરે છે, પણ ઘણો બધો તો એમાં જ રહી જ જાય છે. એ મરેલાં, સૂકાં વૃક્ષો બળતાં, કોલસા કે ધૂમાડા/વાયુના સ્વરૂપમાં તે પાછો વાતાવરણમાં આવે છે, અને ગ્લોબલ વોર્મિંગ વધે છે. આપણે એટલો બધો CO2 પેદા કરીએ છીએ કે વૃક્ષો તેને સંગ્રહી શકતાં નથી. આમ, તમે જોઈ શકો છો કે વૃક્ષો ઉપર કુહાડી મારીને અને ઉદ્યોગોમાં પ્રદુષિત વાયુ પેદા કરીને આપણે જ આપણા પગ પર કુહાડી મારી રહ્યા છીએ. ઝાડ વિના માનવનું અસ્તિત્વ અશક્ય છે.

૨. વૃક્ષ એનાં ઊંડા ભૂમિગત મૂળ દ્વારા જમીન સાથે વિવિધ રીતે આંતર સંબંધ રાખે છે.

(These roots run deep : Trees interact in many different ways with the forest soil.)

વૃક્ષો આપણા વૈશ્વિક પર્યાવરણનો એક અનિવાર્ય અંશ છે એટલું જ નહિ તેઓ આપણી અન્નદાતા ધરતી માતાનો આધાર પણ છે, પોતાને ધારણ કરતી માટી જોડે ઝાડ વિવિધ રીતે ઇન્ટરએક્ટ કરે છે, સક્રિય સંપર્ક રાખે છે.

ધરતી/પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી હશે તેનાં લાખો વર્ષ પછી એના ઉપર જીવન પાંગર્યું હશે. ધરતીનો મોટો ભાગ વનસ્પતિથી છવાયેલો આજે તો દેખાય છે, પણ તે પૂર્વે ખડકો, ખનીજો, ભેખડો, હવા અને પાણી જ બધે નજરે પડતાં હશે. સમય જતાં, પવન અને પાણીના મારથી ભેખડો ધોવાઇને ગ્રેવલ, રેતી બની, જ્યાં લીલ-શેવાળ જેવી એકકોષીય જીવસૃષ્ટિ જન્મી.

એ પ્રારંભિક બાયોમાસ પછી નાનાં નાનાં છોડવાં, ઘાસફૂસ અને વખત જતાં વેલા-વૃક્ષ વિકસ્યાં. એ બધાં એમનું આયુષ્ય પૂરું કરી ધરતીની ગોદમાં પોઢ્યાં અને decomposed થયાં. સડીને પાછાં માટીમાં મળી ગયાં. પાછાં તે નાનાં જીવાણુઓની મદદથી હ્યૂમસ (topsoil)માં પરિણમ્યાં, જે તત્ત્વમાંથી ઊગ્યાં, પાંગર્યા હતાં તેમાં જ વિલીન થયાં. આ લાખો વર્ષો પૂર્વે દટાયેલાં વનસ્પતિ-અવશેષો પછીથી તેલ અને કોલસો બન્યાં.

જીવંત વૃક્ષો પણ ધરતી સાથે અનેક રીતે સંકળાયેલા છે. એમણે તો ઊગવા અને ઊભા રહેવા માટે ધરતીની અંદર મૂળરૂપી લંગર જ નાખેલાં હોય છે ને? પણ જહાજનું લંગર નિર્જીવ લોખંડ અને દોરડા વડે જહાજને સ્થિર રાખે છે, પણ મુળિયાનું જીવંત લંગર તો ઝાડને પાણીને પોષણ પાવાની નાની નાની પાઈપલાઈન જેવું છે. મૂળ દ્વારા ખેંચાયેલું પાણી થડ-ડાળી-ડાળખાંમાં થઈ ઝાડના રસોડામાં-પાંદડાંમાં પ્રકાશ સંશ્લેષણ(ફોટોસીન્થેસીસ) કરાવવા પહોંચે છે. મૂળનું આટલું જ કામ નથી, નજીક નજીક આવેલાં પડોશી-વૃક્ષોનાં મૂળ પોષક તત્ત્વો અને માહિતીની આપ-લે પણ કરે છે. હજી આગળ જુઓ, ઊંડા ઊતરો-ઝાડનાં મૂળ ફંગસ જોડે ભૂમિગત જોડાણો પણ સાધે છે. આ ઘટના વિશે આગળના પ્રકરણોમાં જોઈશું.

હવે પાનબાઈનો વારો...ઝાડ એનાં પાંદડાં ખેરવીને ધરતીને પોષકતત્ત્વો પરત કરે છે. આપણે પણ ભોજનમાં પાચન પછી શરીરને બિનજરૂરી કચરો મળરૂપે બહાર કાઢી નાખીએ છીએ તેમ, ન વપરાયેલાં પોષક તત્ત્વો, પાન ખેરવીને ઝાડ ઉત્સર્ગ ક્રિયા કરે છે.

૩ વૃક્ષોમાં ઊંચો બાળમૃત્યુદર : નાનાં ઝાડ, છોડ ભયગ્રસ્ત જીવન જીવે છે.

(A high rate of child mortality : Young trees live dangerous lives.)

વૃક્ષો વિના તો આપણે તરસે મરીએ, સ્વચ્છ હવા ન મેળવી શકીએ અને જમીન પણ શુષ્ક થઈ જાય. આટલા મહત્ત્વપૂર્ણ હરિયાળાં મિત્રો વિશે આપણે અંધારામાં રહીએ તો કેમ ચાલે? માટે તેમનો પરિચય કરી દોસ્તી કરવાનો સમય પાકી ગયો છે. જાણીએ, એમનું જીવન કેવું (લાગે) છે?

એના જીવનની શરુઆતથી જોઈએ. દરેક વૃક્ષની જન્મપ્રક્રિયા જુદી જુદી હોય છે. કેટલાકનાં બીજ નાનાં હોય તે પવન દ્વારા પ્રસરે છે. તો વળી ઓક અને ચેસ્ટનટ જેવાં મોટાં વૃક્ષનાં બીજ સામાન્ય રીતે પ્રાણીઓ દ્વારા પરિવહન પામે છે. બધાં જ બીજ ઊગે જ એવું નથી હોતું. ઘણાં પરિવહનમાં ખરાબ થાય, તૂટી જાય, નકામાં જાય એમ પણ બને. દરેક પ્રકારનાં ઝાડનું જે તે વિશિષ્ટ સ્થાન, ચોક્કસ પ્રકારનું વાતાવરણ, માટી, હવા, પાણી પ્રકાશની પ્રાપ્યતા ઉપર જીવન આધારિત હોય છે.

એવાંયે બર્ચ ટ્રી જેવાં વૃક્ષો હોય છે જેને જંગલમાં એકબીજાની સંગે, સુરક્ષામાં ઊગવાનું, પસંદ હોય છે. જ્યારે પોપલર જેવાં કેટલાંક મોટાં વૃક્ષોને ગૌચરની ખુલ્લી જગ્યામાં એકલાં ઊગી પૂર્ણ સૂર્યપ્રકાશ-હવા-મોકળાશપૂર્ણ જગ્યા માણવાનું ગમે છે. પણ આમ બહાદુરીપૂર્વક એકલાં ઊગવામાં તેમને વા-વંટોળ-ઝંઝાવાત જેવાં ભયસ્થાનોનો સામનો કરવાનો રહે છે.

કમનસીબે, બીજના ઊગી જવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. પરિપક્વ થઈને કે કાચાં, કૂમળાં રહીને, એક યા બીજી રીતે પરિવહન પામી, તેમને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જઈ પડવાની અને વેડફાઈ જવાની શક્યતા વધારે રહે છે. ઊગી ગયાં તો તેનું નસીબ ! વધુ પડતી પાણી ભરાઈ રહેવાની જગ્યાએ કે તદ્દન પાણી વિનાની જગ્યાએ કે પત્થર ઉપર, તિરાડોમાં-ગુફામાં અંધારી જગ્યાએ જઈ પડેલાં કમનસીબ બીજ કેવી રીતે ઊગી શકે? અને કદાચ જગ્યા-જમીન અનુકૂળ મળી પણ જાય તોયે બીજા અનેક ભય તેના માથે તોળાતા હોય છે-પ્રાણીઓ ખાઈ જાય, કચડાઈને તૂટી જાય, તોફાનમાં ખરાબ થાય, ગમે તે થઈ શકે. વાસ્તવમાં દરેક ઝાડના જીવનકાળમાં (કેટલાંક મોટાં ગંજાવર વૃક્ષ તો કેટલીક સદીનું આયુષ્ય ધરાવે છે) માત્ર એકાદ જ વૃક્ષબાળ બધાં ભયસ્થાનોનો સામનો કરતાં કરતાં પૂર્ણ વૃક્ષત્વને પામે છે. પણ નાનું ઝાડ જેમ જેમ મૂળ નાખતું જાય, તેમ શરુઆતમાં વર્ષોમાં ટકી જાય તો પછી તેની આશ્ચર્યજનક ક્ષમતાઓ પ્રગટ કરતું જાય છે.


(૪) વક્તાનાંઅવાજ, હાવભાવ અને બોડી લેંગ્વેજ સુમેળભર્યા હોય ત્યારે જ શ્રોતા સાથે લાગણીભર્યું જોડાણ સધાય છે.

તમને કંટાળાથી બગાસાં આવવા માંડે, ઝોકાં આવવા માંડે એવું ધીમે અવાજે બોલાયેલું ધીમી ગતિએ બોલાયેલું વક્તવ્ય સાંભળ્યું છે કદી? તેમ જ ઝડપથી અને મોટેથી બોલાયેલું ભાષણ પણ સાર્થક નથી થતું, શ્રોતા શું કરતાં કરતાં સાંભળે છે તે પણ અગત્યનું છે.માનો કે તમે ડ્રાયવીંગ કરતાં કરતાં ઑડિયોબુક સાંભળો છો, ત્યારે પ્રમાણમાં ધીમી ગતિએ બોલાયેલું વધુ સમજાય. જયારે તમે સ્વસ્થતાથી બેસી ધ્યાનથી કોઈ પ્રેઝન્ટેશન જોતા હો ત્યારે વક્તા જરા ઝડપથી રજૂઆત કરતા જાય તે જરૂરી લાગે...તો પછી રજૂઆતની યોગ્ય ઝડપ કેટલી? લેખકે શોધ્યું કે એક મિનિટમાં ૧૯૦ શબ્દો વક્તાએ બોલવા જોઈએ. તેમ છતાં, અવાજને કેળવવો એ તો પ્રારંભિક બાબત છે. શ્રોતાને તમારી સાથે જોડવા તમારી બોડી લેંગ્વેજ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. આપણું હલનચલન કેવું છે તે ઘણી માહિતી આપી જાય છે. એક સંશોધનમાં એક શંકાસ્પદ ગુનેગારોના ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ અલગ અલગ કરીને વિદ્યાર્થીઓને સ્ટડી માટે અપાયા કે આમાંથી કયા ગુનેગાર તમને જૂઠું બોલતા જણાય છે? તો વીડિયો રેકોર્ડિંગ જ માત્ર જોનારા વિદ્યાર્થીઓ જૂઠું બોલનાર ગુનેગારને પકડી પાડવામાં/ઓળખવામાં સફળ રહ્યા.(૬૫%સફળતા દર). એની તુલનામાં માત્ર ઓડિયો સાંભળીને જૂઠું બોલનારને સફળતા ઓછી મળી.(૫૫%). તમારી બોડી લેંગ્વેજ તમારા ભાવ-ભાવના, મન-મનસૂબાને વ્યક્ત કરતી હોય છે.

તો વક્તાની બોડી લેંગ્વેજ કેવી હોવી ઘટે? અમેરિકન કમાન્ડર મેટ એવર્સમેન કહે છે કે નેતા અથવા લીડરે સીધા ઊભા રહેવું જોઈએ જેથી એનામાં હંમેશા આત્મવિશ્વાસ સભર મુદ્રાનજરે પડે. તેમજ જાહેર વક્તાએ પણ શ્રોતાની સામે આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો વ્યક્ત કરવાના છે.

બોડી લેંગ્વેજનું બીજું લક્ષણ Gesture-વદન અંગોના હાવભાવ છે. જે વક્તાનો આત્મવિશ્વાસ તેના આંખ, મુખ, હાવભાવથી અનેહાથના હલનચલનથી વ્યક્ત થાય છે તે શ્રોતાનો વિશ્વાસ જીતી શકે છે. પણ વધુ પડતા આંખઉલાળ, બરાડાપાડ અને હાથપછાડ હાવભાવ સારા વક્તા નથી બનાવતા. બહુ મહત્ત્વનો મુદ્દો ભારપૂર્વક પાઠવવો હોય ત્યારે જ હાથ ફેલાવી બોલો.

તો આ રીતે તમે શ્રોતાઓ સાથે લાગણી-સેતુ કેવી રીતે રચી શકો તે આપણે જોયું.હવે તમારા પ્રેઝન્ટેશનને બધાથી જુદું, અનન્ય કેવી રીતે બનાવશો તે જોઈશું.

(૫) તમારું પ્રેઝન્ટેશનશ્રોતા માટે અચરજભર્યું અને અવિસ્મરણીય બનાવવા નવી નવી માહિતી આપો.

તમે વિચારો કે તમે છેલ્લે ‘Wow, really?’ જેવો આશ્ચર્યભાવ ક્યારે અનુભવેલો? આવો ઉદ્દગાર તમને એ માહિતીના મૂળ સુધી લઈ જવા પ્રેરનાર બનતો હોય છે. પછી એ ટીવી પ્રોગ્રામ, એક નવું પુસ્તક કે પ્રવચન વિશે કેમ ન હોય...જો તમારે તમારા શ્રોતાવર્ગનું ધ્યાન આકર્ષિત કરવું હોય તો, તેમની કલ્પનાને સતેજ કરવી હોય તો કંઈક નૂતન માહિતી, આશ્ચર્યજનક માહિતી તમારા પ્રવચનમાં પીરસવી પડશે.

સાગર સંશોધક રોબર્ટ બેલાર્ડે એક TED ટૉકમાં ઊંડા દરિયામાં સંશોધન પાછળ વધુ પૈસા શા માટે ફાળવવા જોઈએ તેની અસરદાર દલીલો કરી હતી. એની ઘણી દલીલોમાં બે બહુ જ ધ્યાનાર્હ હતી. એક તો એ કે નાસા(NASA)નું વાર્ષિક બજેટ ૧૬૦૦ વર્ષ માટે NOAA(નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફીયરિક એડમિનિસ્ટ્રેશન)ના બજેટનું સમકક્ષ છે. અને બીજું, દુનિયાની મોટામાં મોટી પર્વતમાળા ધરતી ઉપર નહિ, પણ દરિયાના પાણી નીચે આવેલી છે... આમ નવી અને રસિક માહિતી શ્રોતાને બેઠા કરી દે અને ધ્યાન આપવા વિવશ કરે છે, તે એમને યાદ પણ રહી જાય છે. કારણ કે, સ્મરણશક્તિ મગજના એક કેમિકલ ડોપામાઈન ઉપર આધાર રાખે છે. જયારે તમે કંઈક નવું શીખો છો ત્યારે તમારું મગજ ડોપામાઈન રીલીઝ કરે છે જે ‘Save button’ તરીકે કાર્ય કરે છે. માહિતી જેટલી નવી અને ઉત્તેજનાત્મક હશે તેટલું ડોપામાઈન વધુ રિલીઝ થશે અને તેટલી જ તેને યાદ રાખવાની ક્ષમતા પણ વધારે થશે.

બીજા એક ઉદાહરણમાં, સુસાન કેઈન TED ટૉકમાં, અંતર્મુખી વ્યક્તિની શક્તિ વિશે ચર્ચા કરે છે. આ વિષય ઉપરછલ્લી રીતે જોતાં કંટાળાજનક કે વિસ્મરણયોગ્ય લાગે. તેમ છતાં, કેઈન જાણતા હતા કે તેણે તો શ્રોતાને ખળભળાવી નાખવાના છે. તેથી તેમણે પછી કહ્યું કે, ‘સારા વક્તા હોવું અને સારા-ઉમદા વિચારો કરવા કે રજૂ કરવા એ બે વચ્ચે કોઈ સહસંબંધ નથી...’ તરત જ શ્રોતાઓમાં બેઠેલા એક્ઝીક્યૂટીવ્ઝના કાન સરવા થયા અને ભવા ઊંચા ચઢી ગયા. કેઈનના વિધાને તેમની સામાન્ય માન્યતાને હચમચાવી કાઢી હતી કે મિટિંગોમાં જે લોકો બહુ બોલબોલ કરે છે તેઓ ખૂબ સર્જનાત્મક હોય છે.(મિટિંગમાં શાંત અને અંતર્મુખી લાગતા સભ્યો કરતાં બોલકણા લોકો વધુ હોય છે.)કેઈને એના શ્રોતાઓને નવો વિચાર, નવી રીતે આપ્યો, જેથી તેને યાદ રાખવાની શ્રોતાની શક્યતા વધી ગઈ.

(૬) આત્યંતિક ક્ષણ અથવા અસાધારણ પ્રમાણની વાત શેર કરીને તમારા પ્રેઝન્ટેશનને યાદગાર બનાવો.

શ્રોતાને પૂછો, અચનાક જ, કે તમે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ શું કરતા હતા? અને ૧૧/૯/૨૦૦૨નું શું? (નાઈન ઈલેવનની WTC ટાવર ધ્વંસ થવાની તારીખ)નિઃશંક છે કે તમારી સ્મૃતિમાં એ જડાઈ ગઈ હશે..આવી આત્યંતિક ક્ષણો ભૂલાતી નથી. અને આવી ક્ષણ તમારા પ્રેઝન્ટેશન દરમ્યાન બને/ઉલ્લેખ પામે તો શ્રોતાને તે યાદ રહી જવાની શક્યતા બહુ વધી જાય છે. અને તેઓ તેને સ્પ્રેડ કે બૂટ પણ કરી દે છે.

૨૦૦૯માં, બીલ ગેટ્સે આના પછી આપેલી TED ટૉક ખૂબ વાઈરલ થયેલી. એણે NBC ન્યૂઝ એંકર બ્રીયાન વીલીયમ્સનું પણ ધ્યાન ખેંચેલું અને તેણે NBC સમાચારમાં ગેટ્સની ટૉકના સમાચાર વહાવેલા, જોકે આવી ટૉકને ‘સમાચાર’ ગણવા એ અસાધારણ હતું. એમાં એવી તે શી ખાસ વિશેષતા હતી?

બીલગેટ્સનું પ્રેઝન્ટેશન મચ્છર દ્વારા મેલેરિયા જેવા જીવલેણ રોગ કેવી રીતે ફેલાય તેના ઉપર હતું. એણે જીવતા મચ્છરો ભરેલી પારદર્શક બરણી દર્શકોને બતાવી અને કહ્યું કે માત્ર ગરીબોને જ મેલેરિયાનો ચેપ લાગવાનું જોખમ હોય એવું થોડું છે? અને ચેપ બધાને સરખી જ અસર કરે તે બતાવવા બરણી ખોલીને મચ્છરોને ઉડાડી દીધા. જોકે ગેટ્સે તરત ઉમેર્યું કે, ‘દર્શકો, ચિંતા ના કરશો, આ મેં ઉડાડેલા મચ્છરો મેલેરિયા-મુક્ત હતા !’ પણ આવી આત્યંતિક રીત જોઈને દર્શકો નવાઈ પામી ગયા, એમને મેસેજ યાદ રહી ગયો અને વીડિયો વાયરલ થઈ ગયો. TEDની વેબસાઈટ ઉપર ૨.૫ મીલીયન વ્યૂથી પ્રેઝન્ટેશન ચોકઅપ થયું અને ગૂગલને ૫૦૦,૦૦૦ રીઝલ્ટ મળ્યાં.

પણ માત્ર આવાં આત્યંતિક ગતકડાં જ પ્રેઝન્ટેશનને બીજાથી જુદાં પાડે છે, ચોંકાવનારાં આંકડા કે હકીકતો પણ દર્શકોનું ધ્યાન બરાબર ખેંચે છે. માટે તમારા તર્કને ટેકો આપતા, સમજાવતા આંકડા, રસપ્રદ માહિતી પણ તમારા વક્તવ્યમાં શોધી નાખશો તો બાત બનશે...લો, બીજાં બે ઉદાહરણ TEDનાં લઈએ:

‘૧૯૭૨માં જેલમાં ૩૦૦,૦૦૦ કેદીઓ હતા. આજે ૨.૩ મીલીયન છે. દુનિયામાં મહત્તમ કારાવાસ દર અમેરિકાનો છે.’(બ્રાયન સ્ટીવન્સન)...બીજું, ‘૧૦૦ સરેરાશ લોકોમાંથી એક સાયકોપેથ હોય છે. તો આ હૉલમાં ૧૫૦૦ લોકો બેઠા છે, તો તમારામાંથી ૧૫ સાયકોપેથ હશે.’ (જોન રોન્સન)—આવાં આંકડાકીય ઉદાહરણો વક્તવ્યને રસપ્રદ અને યાદગાર બનાવે છે.

(૭) તમારા વક્તવ્યમાં થોડાં રમૂજ-છાંટણાં હોય તો શ્રોતા તમને વધુ પોઝોટીવ લાઈટમાં જોશે.

છેલ્લાં બે ઉદાહરણો જોયાં તેમાં તમને મઝા આવી ને? એમાં રમૂજ હતી?

વાતચીત કે સમાન્ય વ્યવહારમાં પણ થોડો રમૂજરંગ હશે તો અન્ય સાથે તમારા સંબંધોમાં એક પોઝીટિવ ઈફેક્ટ આવશે. ‘સેન્સ ઑફ હ્યૂમર’વાળા લોકોમાં મૈત્રીભાવ, બુદ્ધિચાતુર્ય અને સાંવેગિક સ્થિરતા જેવાં પોઝીટિવ અને ઈચ્છવાયોગ્ય લક્ષણો વધુ જોવા મળે છે. એ જ રીતે પ્રેઝન્ટેશનમાં ય થોડી રમૂજ મહત્ત્વનો નિર્ણાયક ભાગ ભજવે છે. હાર્વર્ડ બિઝનેસ રીવ્યૂમાં પ્રગટ થયેલ સ્ટડીમાં, બતાવ્યું છે કે રમૂજવૃત્તિથી સહકર્મચારીઓમાં વિરોધયુક્ત શત્રુતા, અને ટેન્શનમાં ઘટાડો અને મનોબળ-જુસ્સામાં વધારો થાય છે.

સાધારણ અને વિશિષ્ટ બિઝનેસ એક્ઝીક્યુટીવ્સ વચ્ચેનો તફાવત શોધતા અભ્યાસમાં જણાયું છે કે સામાન્ય-સરેરાશ બિઝનેસ લીડર્સ કરતાં વિશિષ્ટ બિઝનેસ લીડર્સ ડબલ કરતાં વધુ વખત રમૂજનો ઉપયોગ કરે છે, જે તેમને વધુ સફળ અને સ્વીકાર્ય બનાવવામાં સહાયક થાય છે. રમૂજ-હળવી કોમેન્ટ વગેરેનો આવો ફાયદો હોય તો તમારા વક્તવ્યમાં જરૂર તે ઉમેરવું જોઈએ. એના કેટલાક માર્ગો છે: એક અભિગમ છે- એવા પ્રસંગ-ઘટના શેર કરવાનો. તમારી જોડે અગાઉ બનેલી કોઈ રમૂજી ઘટના તમારો મુદ્દો સમજાવવામાં કામ આવી જાય..તે મોટું હાસ્ય જન્માવે તેવી હોય તે જરૂરી નથી. વાસ્તવમાં, તમારે તો શ્રોતામાં થોડો મલકાટ કે મુસ્કાન લાવી હળવાશ રાખવાની છે.

એક TEDમાં Dan Pollotta-AIDS સેવાઓ અને મેડિકલ રીસર્ચ માટે ફંડ ભેગું કરનારી સંસ્થાના સ્થાપકે, ઘરમાં તેની ભૂમિકા કેવી છે તેના ઉપર કોમેન્ટ કરી હતી કે ‘હું તો gay છું ત્રણ બાળકોનો બાપ છું. મારી ફેમીલી લાઈફ સામાજિક સ્તરે ખૂબ નવીનતાપૂર્ણ અને ઉદ્યોગ સાહસિકતાપૂર્ણ છે’...બીજો અભિગમ વક્તવ્યમાં સાદૃશ્યો અને રૂપકો જેવા અલંકાર-ઉમેરણનો છે.

એક વક્તવ્યમાં નોટીંગહામ યુનિ.ના પ્રૉ.રીચાર્ડ વીલ્કીન્સને આર્થિક અસમાનતાની નકારાત્મક સામાજિક અસર વર્ણવતાં કહેલું કે ‘ડેન્માર્કમાં અસમાનતા દર ખૂબ નીચો છે તેથી સમાજ વધુ સ્વસ્થ-સુખી-સંતુષ્ટ છે.’ હવે આમાં તો રમૂજ નથી, હકીકત જ છે, પણ એમાં વક્તાએ રમૂજ ઉમેરીને કહ્યું કે ‘આથી જો અમેરિકનોએ અમેરિકન ડ્રીમ મુજબ જીવવું હોય તો તેમણે ડેન્માર્ક જઈને વસવું !’ –સ્માઈલ ! હવે તમને ખ્યાલ આવ્યો હશે કે રમૂજરંગ કેવી રીતે છાંટી શકાય. ચાલો, હવે વક્તવ્યને યાદગાર કેમ બનાવાય તે રસ્તે ઉપડીએ.

(૮) ૧૫ થી ૨૦ મિનિટના વક્તવ્ય દરમ્યાન વક્તાએ ૩ થી વધુ મુદ્દાઓ કવર ન કરવા જોઈએ...

સ્ટેજ પર તમે બે ત્રણ વક્તાઓ બેઠા હો, અને એક વક્તાનું ભાષણ લાંબુ ચાલે તો તમે કંટાળી જાવ, શરીરથી અકળાઈ જાવ-થાકી જાવ એવું બને છે ને? તો શ્રોતાની હાલત એનાથીએ ખરાબ થતી હોય છે. તો પછી ઉપાય શો?-તમારું વક્તવ્ય ટૂંકું રાખો. KISS-અપનાવો-‘Keep It Short, Stupid !’ તો શ્રોતાને યાદ રાખવાનુંયે ઘણું સરળ થશે. દા.ત. ટેક્ષાસ ક્રિશ્ચિયન યુનિ.ના પ્રો. પોઉલ કીંગ એના વીકલી ૩ ક્લાસના ક્લાસને, પ્રત્યેક ૫૦ મિનિટના એવા ૩ વર્ગોમાં વહેંચી દે છે. પરિણામસ્વરૂપે વિદ્યાર્થીઓને આપેલું મેટર વધુ સારી રીતે યાદ રહે છે અને તેઓ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે છે.

TEDનાં પ્રેઝન્ટેશન પણ સામાન્યતઃ૧૮મિનિટનાં રખાય છે, જે ૧૫થી ૨૦ મિનિટના દાયરામાં બરાબર આવી જાય છે, એટલું જ નહિ, એટલા સમયમાં ૩ જ વિષયો કે મુદ્દાની ચર્ચા કરવી, કારણ કે હાર્વર્ડ સંશોધન કહે છે કે મોટા ભાગના લોકોને એકી વખતે ૭ નવી બાબતો યાદ રાખવામાં તકલીફ પડતી હોય છે.જોકે ત્યાર પછી સંશોધકોએ રીવાઈઝ કરી અને ૭ને બદલે ૩ જ ટૂકડામાં કે વધુમાં વધુ ૪માં જ તમારી વાત રજૂ કરવાની થીયરી આપી છે. જેમ કે સંખ્યા 2,222 છે, તેને નંબર છે, તેને નંબર 3,948કરતાં યાદ રાખવી સરળ છે. પહેલી સંખ્યા ‘2’ એક માહિતી-ટૂકડો વર્ણવશે અને બીજો કમ સે કમ બે ટૂકડા-39 અને 48 વર્ણવશે...આમ, જેમ ઓછા ટૂકડા હશે તેટલું યાદ રાખવું સરળ થશે. આમાંથી પણ શ્રોતાને સૌથી મહત્ત્વનો મુદ્દો તમારે કયો યાદ રખાવવો છે તે ભારપૂર્વક પહેલાં લો. પછી બીજા બે ઉમેરો. પણ ૩થી વધુ ના લેશો. પહેલા મુદ્દાને મોટા અક્ષરે હેડલાઈનમાં મૂકો. પછી બીજા બે મુદ્દાને તેની નીચે સ્થાન આપો-sub. heading તરીકે. અંતે, આ ત્રણેય સહાયક મેસેજની નીચે તેના વિશિષ્ટ મુદ્દાને રેખાંકિત કરો. એ તમારા વક્તવ્યનું ‘નવનીત’ હશે.

(૯) રજૂઆત દરમ્યાન શ્રોતાઓની બધી જ્ઞાનેંદ્રિયોને ઉદ્દીપ્ત કરવાથી તેમને તમારા વિચારો યાદ રાખવામાં મદદ મળે છે.

તમે છેલ્લે ક્યારે સૂર્યસ્નાન કરેલું? ત્યારે ત્વચાને કેવું લાગેલું? તમને આસપાસનું વાતાવરણ, ત્યાંની ગંધ-સુગંધ કેવી લાગેલી? આ બધી વિગતો તમને કેટલે અંશે યાદ છે?... ટૂંકમાં, કોઈપણ વસ્તુ/ઘટનાને આપણે પંચેન્દ્રિયોથી અનુભવીએ તો એ આપણને વધુ સ્પષ્ટ રીતે યાદ રહી જાય છે.સાન્તા બાર્બરાની યુનિ. ઑફ કેલિફોર્નીયાના રીચર્ડ મયેર મલ્ટીસેન્સરી ઉદ્દીપન અને સંવર્ધિત સ્મૃતિ વચ્ચેના સંબંધના ક્ષેત્રને ભવિષ્યના cognitive મનોવિજ્ઞાનનું રસિક ક્ષેત્ર માને છે. એમના અનુભવ મુજબ, જે વિદ્યાર્થીઓ બહુ-ઇંદ્રિય(મલ્ટીસેન્સરી) શિક્ષણ પર્યાવરણ (વીડીયો, ટેક્ષ્ટ, ચિત્રો, કલ્પનો)માં ભણે છે. તેઓ, એકેન્દ્રિય પર્યાવરણમાં ભણનાર(માત્ર વાચન કે શ્રવણ) કરતાં વધુ માહિતી યાદ રાખી શકે છે, ભણવામાં આગળ વધી શકે છે.

જો તમારે રજૂઆતને યાદગાર બનાવવી હોય તો એકથી વધુ ઇંદ્રિયોને અપીલ કરે તેવું પ્રત્યાયન કરો. તો આવો, દૃશ્ય અને શ્રાવ્ય-બે કેંદ્રીય જ્ઞાનેન્દ્રિયો દ્વારા માહિતી –સંક્રમણ કેવી રીતે કરવું તે જોઈએ: (ચલ)ચિત્ર અને ટેક્ષ્ટ : મોટા ભાગના TED ટૉકર્સ PPT કરતાં ચિત્રોનો વધુ ઉપયોગ કરે છે. PPTમાં ઘણી ટેક્ષ્ટ ભરી હોય, વધુ પડતા શબ્દો હોય જે દર્શકને માર્ગચલિત કરે છે, કારણ કે આપણી ગ્રહણક્ષમતા મર્યાદિત હોય છે. એકાદ બે શબ્દો કે પંચલાઈનવાળાં ચિત્રો તમારી વાતને સબળ રીતે રજૂ કરી શકે છે. પુનરાવર્તન જેવી સંભાષણકલા દ્વારા આપણી શ્રવણેન્દ્રિય વધુ સતર્ક-ઉદ્દીપ્ત થાય છે.

માર્ટિન લ્યૂથર કીંગનું પ્રખ્યાત વક્તવ્ય આ ચાર શબ્દોને પુનરાવર્તિત કરતું હતું: ‘I have a dream.’ હજી શ્રોતાના કાનમાં ગૂંજે છે અને એ માર્ટિન લ્યૂથરની યાદ અપાવે છે.. એ જ રીતે, અમેરિકન પ્રમુખપદની ચૂંટણી જીતેલા બરાક ઓબામાના ૩ શબ્દો ‘Yes, We can!’ જગમશહૂર થયા, મતદારોને સંગઠિત કર્યા અને અશ્વેતોનો આત્મવિશ્વાસ ખૂબ વધારનારા બની રહ્યા.

સમાપન :

Talk Like TED પુસ્તકમાં લેખક કાર્માઇન ગેલો પ્રભાવક અને અસરદાર પ્રેઝન્ટેશનની ચાવીઓ બતાવે છે. અસંખ્ય સફળ TED વક્તાઓની રજૂઆતોનું પૃથક્કરણ કરીને ‘જાહેર વક્તવ્યકળા’ માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ આપે છે. વાર્તાકથન, સાંવેગિક જોડાણ, વક્તવ્યનું સુગ્રથિત માળખું, વિચારોની ધારદાર રજૂઆત, આંકડાકીય, ઘટનાકીય આધારો વગેરે તમારા વક્તવ્યને શ્રોતાના દિલોદિમાગમાં ગૂંજતું કરી દે છે. તમે શિખાઉ વક્તા હો કે અનુભવી વક્તા હો, આ પુસ્તક તમારી ‘કમ્યુનિકેશન સ્કીલ’ સુધારવામાં અને શ્રોતાઓ ઉપર તમારી ચિરસ્થાયી છાપ છોડવામાં ખૂબ સહાયક થશે.

૨૧મી સદીના યુગમાં તમારા વિચારોને વિશ્વ સમક્ષ પ્રભાવક રીતે મૂકવા, દર્શકોને ગળે ઉતારવા આ કૌશલ્યો ખૂબ જરૂરી છે.તમારું પ્રેઝન્ટેશન બધાથી અલગ, હટકે હોવું જોઈએ, અને તેમ કરવા તમારે શ્રોતા જોડે ઈમોશનલી કનેક્ટ થવું પડે. અને શ્રોતાઓ તમારા વક્તવ્યને યાદ રાખે એવું તમે ઈચ્છતા હો તો વક્તવ્ય સંક્ષિપ્ત રાખો, વીસ મિનિટના ભાષણમાં ત્રણ જ મુદ્દાઓ સમાવો અને શ્રોતાની જ્ઞાનેન્દ્રિયોને અપીલ કરો.

ચાવીરૂપ મુદ્દાઓ :

૧. TED ફોર્મ્યુલા :

બાઈબલના ‘ટેન કમાંડમેન્ટ્સ’ની જેમ સફળ ટૉકની ફોર્મ્યુલાને ‘ટેડ કમાન્ડમેન્ટ્સ’ કહેવાય છે. જેમાં વાર્તાકથન, ઈમોશનલ કનેક્શન, સ્પષ્ટ સંદેશાસૂચક માળખાનો સમાવેશ થાય છે.

૨. વાર્તાકથનની તાકાત :

તમને યાદ રહી જાય તેવું વક્તવ્ય/પ્રેઝન્ટેશન બનાવવું હોય તો વાર્તા/ઘટના/પ્રસંગ નિરૂપણ ખૂબ અગત્યનું થશે. તમારી વ્યક્તિગત કે અન્યની વાત સાંભળવાથી શ્રોતા સાંવેગિક સ્તરે તમારી સાથે જોડાશે અને તમારો મુદ્દો વધુ યાદગાર બનશે.

૩. ઉત્કટ આવેગ અને ઉત્સાહ :

TED વક્તાઓ તેમના પોતાના વિષયના/ક્ષેત્રના ઉત્સાહી, સફળ, ઝૂનૂનવાળા વ્યક્તિઓ તરીકે પ્રખ્યાત હોય છે. શ્રોતાઓને તમારી સાથે જોડવામાં તમારી ખરી ઉત્કટતા અને ઊર્જા કેવી રીતે વધારવી તે લેખક બતાવે છે.

૪. દૃશ્ય-શ્રાવ્ય અને ઈમોશનલ અપીલ :

સ્લાઈડ્સ, ચિત્રો વગેરે દૃશ્ય માધ્યમોને વક્તવ્યમાં કેવી રીતે જોડવાં અને પ્રેઝન્ટેશન અસરકારક બનાવવું તે આ પુસ્તક સુપેરે સમજાવે છે. આનાથી પણ શ્રોતાને સાંવેગિક સ્પર્શ મળે છે.

૫. વ્યવહારુ ટીપ્સ :

વક્તાની જાહેર વક્તવ્યકળા સુધારવા તેનાં બોડી લેંગ્વેજ, શબ્દ અને ભાષા પ્રયોગ, વક્તવ્યનું રીહર્સલ, ચહેરાના હાવભાવ, આંખ અને હાથના હાવભાવ વગેરે ટેકનિકવાળી કેટલીક વ્યવહારુ ટીપ્સ પણ આ પુસ્તકમાં આપી છે.

અવતરણો:

  • “ઉમદા વિચારો એ એકવીસમી સદીનું ચલણ છે.”
  • “તમારા વિચારો જ તમારા શૉના સિતારા છે.”
  • “ પેશન-ઉત્કટ આવેગ-એ મહાન વક્તવ્યોની આધારશિલા છે.”
  • “વધારે પડતી માહિતી અને ઓછા પડતા સમયના આ યુગમાં, સુગ્રથિત-સુનિયોજીત પ્રેઝન્ટેશનનું સદા મહત્ત્વ રહેવાનું છે.”
  • “આપણા મગજને આશ્ચર્યો ગમે છે.”
  • “ બોલે તેનાં બોર વેચાય”