અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/શા માટે?

From Ekatra Wiki
Revision as of 11:53, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શા માટે?

ગની' દહીંવાળા

જે શોધમાં ગુમ થઈ જાવું હો, એ શોધનો આરો શા માટે?
નૌકાને વળી લંગર કેવું? સાગરને કિનારો શા માટે?

રોકાઈ ચૂક્યું છે કૈંક સમે સૌન્દર્યની ઉષ્માથી જીવન,
આંખોને ફરી આકર્ષે છે રંગીન બહારો શા માટે?

મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,
તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે?

પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં :
રાત્રિએ અવિરત જાગે છે આ એક બિચારો શા માટે?

મૃત્યુએ વધારી દીધી છે સાચે જ મહત્તા જીવનની,
અંધાર ન હો જ્યાં રજનીનો, પૂજાય સવારો શા માટે?

અપમાન કરીને ઓચિંતાં મહેફિલથી ઉઠાડી દેનારા!
મહેફિલમાં પ્રથમ તેં રાખ્યો ’તો અવકાશ અમારો શા માટે?

તોફાન તો મનમાન્યું કરશે પણ એય વિમાસણ છે મોટી :
નૌકાને ડુબાડી સર્જે છે મઝધાર કિનારો શા માટે?

વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક્ દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?

(ગાતાં ઝરણાં, ૧૯૫૩, પૃ. ૧૧)