અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/સપૂત

From Ekatra Wiki
Revision as of 15:24, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સપૂત

કૃષ્ણલાલ શ્રીધરાણી

(દાંડીકૂચ પ્રારંભ, ૧૨-૦૩-૧૯૩૦)


આવવું ન આશ્રમે – મળે નહિ સ્વતંત્રતા!
જંપવું નથી લગાર – જો નહિ સ્વતંત્રતા!
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા!
જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા!
પુત્ર-દાર!
જન્મમૃત્યુના જુહાર!
જંપવું ન, જાલિમો ય જંપશે ન, સૌ ખુવાર!
મૃત્યુ કે સ્વતંત્રતા: લખી ન આ લલાટ હાર!”
આકરા પુકારી કોલ, વીરલા રણે ચડ્યા!
ખેતરો ખૂંદ્યાં અને ભમ્યા અનેક ગામડાં!
મહી વટ્યા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા!
ઝૂંપડે જઈ વસ્યા, પ્રજા-અવાજ પામવા!
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો!
સર્વ સાથ – કોઈ ના – બધું સમાન : એકલો!
રાષ્ટ્રદેવ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા!
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા!
પગો પડે!
સુવર્ણ માટીમાં મઢે!
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે!
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે!
જીવશે ન – જીવવા દઈ સપૂત – જાલિમો!
મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો!