અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/આણાતના અભાવનું ગીત...

From Ekatra Wiki
Revision as of 11:54, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આણાતના અભાવનું ગીત...

મનોહર ત્રિવેદી

ગમતું નથી ક્યાંય —
ઘરમાં સૂની સાંજ ઉદાસી આજ છવાતી જાય —

રોજ તો મારું ખોરડું રે’તું એ...ય લીલી નાઘેર
ઓરડે ને ઓશરીએ વ્હેતી હોય ભીનેરી લ્હેર
આંગણે તારા બોલથી, વહુ! તડકાઓ ભીંજાય —

કાલ લગી ઝલમલતો હતો તક્‌તો ભીને વાન
ફૂલને અડે હાથ ને ઝૂલે દાડમડીનાં પાન
ઝાંઝરનું ગીત ઠેઠ પણે પામીશેરડેથી સંભળાય —

ઊઘડ્યાં ભાળું નંઈ બે દી’થી હોઠનાં પારિજાત
એકલવાયાં લોચન ઝીલે સાવ, પીળું પરભાત
ઠીબમાં બોળી ચાંચ અરે, ક્યાં કાગડા ઊડી જાય? —
૧૧-૫-’૭૨