અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિશ્ચંદ્ર ભટ્ટ/રાઈનર મારિયા રિલ્કેને

From Ekatra Wiki
Revision as of 10:37, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રાઈનર મારિયા રિલ્કેને

હરિશ્ચંદ્ર ભટ્ટ

સમર્પી શું તારી ક્ષણ ક્ષણ બધી આ જગતને
રગે જેના લોહી મહીં અણુ અણુ મૃત્યુજીવન.
કહે, દુઃખાનંદે પુલકિત થઈને કવનમાં
પીધો ને પાયો તેં જીવનરસ એનો જ સહુને?

જુવાની શી વર્ષા પ્રથમ વરસે, ને ઝરણ જે
વહે છે તે સૌયે સતત નહિ ક્યારેય વહતા
કુમારા સ્રોતોને રણ-શિલામાં અટકવું
પડે, વ્હે તોડી એ પુનરપિ ’થવા લુપ્ત જ થતા.

અને જ્યારે તારું ઉરઝરણ સૂક્યું તુજ વ્યથા
હશે કેવી જાણું—મુજ હૃદયની એ જ કથની.
ઉનાં આંસુ અંતસ્તલ ઊકળતો અગ્નિરસ એ
સમાવે તે જાણે ધરતી અથવા કો કવિ-ઉર.

રવિ રશ્મિ ફૂલે; ફળ રસ મહીં આ ધરતીના
અનંતાબ્દોની તેં કિરણ-રસ-સમૃદ્ધિ નીરખી.
મનુષ્યોના હાથે નીરખી વળી શક્તિ, ધરતીની
ભરે માટીમાં જે રસકસની સિદ્ધિ અણખૂટી.

‘અજંપે જાગું હું સતત, પ્રભુ! તારે જરૂર જો
પડે તો આવું હું, તુજ તરસ તો હું જ છીપવું’
કહી એવું અર્પે હૃદય શકું એવું જ અરપી
અ-નામીને કિંતુ, શરણ ઉર-દૌર્બલ્ય ગણતો.

ગુલાબી રાતાં વા ધવલ ગુલ પીળાં ગુલ બધાં
ગુલોના પ્રેમી ઓ! સુમન-સુરભિએ મન ભર્યું
અને પિવાડી એ મઘમઘતી ખુશ્બો જગતને
અરે! એનો કાંટો તુજ મરણનું કારણ થયો.


‘વર્ષે વર્ષે જ્યાં ગુલો ખીલતાં ત્યાં
થાયે છોને મૃત્યુ-લેખો કવિના’ —
તારા એ શબ્દ થાઓ જીવન-મરણ આલેખ મારા સદાના.