અષ્ટમોઅધ્યાય/આત્મકથા: સાહિત્યપ્રકાર

From Ekatra Wiki
Revision as of 09:04, 4 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આત્મકથા: સાહિત્યપ્રકાર

સુરેશ જોષી

સર્જનાત્મક સાહિત્યના પ્રકારોમાં આત્મકથાને લગભગ અપાંક્તેય ગણવાનું વલણ હજી સુધી ચાલુ રહ્યું છે. એનું એક કારણ એ હોઈ શકે કે આપણે ત્યાં જે આત્મકથાઓ લખાઈ છે, તે મોટે ભાગે દસ્તાવેજી પ્રકારની છે. એ આત્મકથા રાજકારણ કે જાહેરજીવનમાં પડેલી વ્યક્તિઓની છે. એમાં સમકાલીન પરિસ્થિતિનો જેટલો ચિતાર હોય છે તેટલું સમકાલીન વ્યક્તિઓનું, વ્યક્તિવ્યક્તિ વચ્ચેના માનવીય સમ્બન્ધોનું આલેખન નથી હોતું. આથી એનું ગદ્ય પણ મોટે ભાગે દસ્તાવેજી લખાણને છાજે તેવું, વ્યક્તિત્વના ઝાઝા સંસ્પર્શ વિનાનું, ગદ્યનાં જુદાં જુદાં પોતને પ્રકટ ન કરનારું, એવું હોય છે. આમેય તે હજી આપણું સાહિત્યવિવેચન મોટે ભાગે વસ્તુલક્ષી છે, રૂપલક્ષી ઓછું છે. તેમાંય અસાધારણ વ્યક્તિઓની જ આત્મકથા હજી લખાતી રહેતી હોવાથી એ જીવન જ ધ્યાનનો વિષય બની રહે છે. એમાંથી સમકાલીન રાજકીય કે સામાજિક પરિસ્થિતિ વિશેની માહિતી પ્રાપ્ત કરી લેવાની જ વૃત્તિ મોટે ભાગે દેખાય છે.

પશ્ચિમમાં પણ કંઈક અંશે આવી પરિસ્થિતિ છે ખરી, પણ ત્યાં સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ ઊંચી કક્ષામાં મૂકી શકાય એવી આત્મકથાઓ પણ મળી રહે છે. તો બીજાં સાહિત્યસ્વરૂપોને મુકાબલે આત્મકથાને એક સાહિત્યસ્વરૂપ લેખે મૂલવવી હોય તો એનાં ધોરણો કેવાં હોઈ શકે? પશ્ચિમમાં વેઇન શુમેકર અને જ્યોજિર્સ-ગુસ્ડોર્ફ આત્મકથામાં રસકીય ક્ષમતા રહી છે એમ સ્વીકારીને એનું વિવેચન કરવાના પુરસ્કર્તા છે. એમાં માનવી પરના સાંસ્કૃતિક પ્રભાવ અને વ્યક્તિત્વની મનોવૈજ્ઞાનિક સંકુલતાઓ પ્રકટ થતાં હોય છે. આત્મકથા વીગતોને અવગણીને ચાલી શકે નહિ, છતાં એ વીગતોનું અર્થઘટન, વીગતો વચ્ચેના સમ્બન્ધો, વીગતોના સ્વરૂપનું આકલન – આ બધું કલ્પનાવ્યાપાર વિના નિરૂપવું શક્ય બને નહિ તે સ્વીકારવું જોઈએ. ચરિત્રનાયક જે જે વ્યક્તિઓના સમ્પર્કમાં આવે, એ બધાં સાથે સમ્બન્ધોની જે જુદી જુદી ઉત્કટતાની માત્રા હોય, સ્નેહ, સંઘર્ષ કે ઔદાસીન્યની જે જુદી જુદી ભૂમિકાઓ હોય તેનું નિરૂપણ કેવળ પ્રબળ અને સતેજ સ્મરણને આધારે જ ન થઈ શકે. જો આ બધું ભાષા વડે જ કરવાનું હોય તો નવલકથાના સર્જકની જેમ એણે પણ ગદ્યની બધી શક્યતાઓને તાગવી પડે.

ગુસ્ડોર્ફ તો આગળ વધીને એમ કહે છે કે આત્મકથા હંમેશાં કાવ્ય જ હોય છે, સત્ય નહીં. જીવનનું પૂરું સત્ય તો કદી જાણી શકાય નહીં કારણ કે આત્મકથા લખાતી હોય છે તે દરમ્યાન એનો લખનાર એનો અંશ હોય છે, આથી એ જેનું નિરૂપણ કરે છે તેનાથી દૂર કે અસંલગ્ન ન રહી શકે. એનો પ્રયત્ન આત્મકથાના લેખન દ્વારા જીવનની સંરચના કે રૂપનો આવિષ્કાર કરવાનો હોય છે. દરેક સર્જક આ જ તો કરવા મથતો હોય છે.

આત્મકથા વિશે જો કશુંક અર્થપૂર્ણ કહેવું હોય તો વિવેચક એ સાહિત્યપ્રકારની રસકીય ક્ષમતાની દૃષ્ટિએ એને નવલકથાથી અભિન્ન લેખે છે. એનું સાદૃશ્ય નવલકથા સાથે છે તે સાચું છે. એમાં પ્રસંગોનું નિરૂપણ હોય છે, વસ્તુવિકાસ હોય છે, પાત્રાલેખન હોય છે, સંવાદ હોય છે, વાતાવરણ હોય છે અને માનવસન્દર્ભમાં રહેલી સંકુલતા અને વિવિધતાનું નિરૂપણ હોય છે, તવારીખની તાસીર ઉપસાવી આપનાર કૃતિ કરતાં માનવજીવનની કથા કહેનાર આત્મકથા જ સાહિત્યકૃતિઓની વધુ નજીકની ગણાય. પોતાના વ્યક્તિત્વનો તાગ કાઢવા ઇચ્છનારને નવલકથાકારની આલેખનપદ્ધતિનો વિનિયોગ કરવો પડે. બન્નેના લક્ષ્યમાં ભેદ હોય, પણ નિરૂપણરીતિ મળતી આવતી હોય એવું કાઝીન માને છે. આત્મકથા મટીને નવલકથા બની જતી કૃતિઓને જ સાહિત્યિક ધોરણોથી તપાસી શકાય એવું બીજા કેટલાક વિવેચકો માને છે. જો આત્મકથાનો લેખક પોતાના જીવનની ઘટનાઓમાં રહેલી પ્રતીકાત્મકતાની ઝાંખી કરીને એમની વચ્ચે અન્વય સ્થાપી ન શકે તો સાહિત્યિક દૃષ્ટિએ એ ક્ષતિરૂપ જ લેખાય. આમ છતાં આત્મકથાકાર નવલકથા રચી આપતો નથી તે દેખીતું છે.

સાહિત્યસ્વરૂપ તરીકે આત્મકથા પાસે આપણી એ અપેક્ષા રહે છે કે એ કૃતિ સ્વયંપર્યાપ્ત લાગવી જોઈએ, એને બીજું કશું પામવાના સાધન તરીકે જોવી ન જોઈએ. પણ વિવેચકો અને ચરિત્રનાયકના જીવન રૂપે જ મોટે ભાગે જોતા હોય છે. આથી ગદ્યની છટાઓને કેવળ અલંકાર રૂપે જોવાની એઓ ભૂલ કરે છે. વીગતો પરત્વેની વફાદારી શુષ્ક ગદ્યથી જ સાચવી શકાય એવું નથી. દરેક પરિસ્થિતિ સાથે આગવું વાતાવરણ સંકળાયેલું હોય છે, એક વ્યક્તિ પણ જુદા જુદા સન્દર્ભોમાં પોતાનું જુદું જુદું રૂપ પ્રકટ કરતી હોય છે. ભાવદશાઓ બદલાતી રહે છે. આ બધાંને અનુરૂપ ગદ્ય પણ આત્મકથાકારે ખીલવેલું હોવું જોઈએ.

એરિસ્ટોટલે કહ્યું હતું કે માનવજીવનમાં કળાકૃતિમાં હોય છે તેવી સુગ્રથિત એકતા હોતી નથી. વ્યક્તિત્વની અખણ્ડતા ચરિત્રનાયકે સિદ્ધ કરી જ લીધી હોય છે એવું પણ બનતું નથી. કૃતિ રચતાં રચતાં એનાં ઇંગિતો જોઈને એ પોતે પણ અચરજ પામે એ સમ્ભવિત છે. આવી એકતા કૃતિ લેખે આત્મકથાને આવશ્યક છે; પણ ડાયરી કે અંગત નિબન્ધમાં એવી સુશ્લિષ્ટતા જરૂરી લાગે નહિ. આત્મકથા લખતાં લખતાં કશાક પ્રલોભનને વશ થઈને ચરિત્રનાયક યેટ્સની જેમ પોતાના વાસ્તવિક જીવનનું ગદ્યકાવ્યમાં રૂપાન્તર કરી નાંખે કે બેન્જામિન ફ્રેન્કલિનની જેમ પોતાનું ઠઠ્ઠાચિત્ર રજૂ કરે એવું પણ બને.

આત્મકથામાં ભૂતકાળને સજીવન કરવાનો પ્રયત્ન રહ્યો હોય છે. એને તાદૃશ બનાવવો હોય તો નિરૂપણરીતિમાં મૂર્તતાની માત્રા વધારે હોવી ઘટે. ગદ્ય અહેવાલ આપનારું નહીં, પણ છબીઓને તાદૃશતાથી અને ગતિશીલ રીતે રજૂ કરવાની ચપળતાવાળું હોવું ઘટે, આત્મકથામાં ચરિત્રનાયક પોતાના સમસ્ત જીવનને જ વિષય બનાવે એવું જરૂરી નથી. એ અમુક મહત્ત્વના ગાળાનું નિરૂપણ કરે એમ પણ બને. આમ આત્મકથા એ સભાનપણે અમુક ચોક્કસ આશયથી રચવામાં આવતી શાબ્દિક રચના છે. આ આશય તે કૃતિની સંરચના માટેનું વિધાયક બળ બની રહે છે. સાહિત્યકૃતિ તરીકે આત્મકથાને મૂલવનારા વિવેચકો એની સંરચનાની એકતાને અવગણીને એના, એમની દૃષ્ટિએ, વધુ આસ્વાદ્ય લાગતા છૂટક અંશોની વાત કરતા હોય છે. જો આત્મકથાનો લેખક પણ અમુક પ્રસંગોને બહેલાવે, સમજાવીને મૂકવાના લોભમાં પડે તો કૃતિની સમગ્રતાને ખમવું પડે, આથી જ ચાર્લ્સ નાઇડરે કહ્યું છે, ‘One of the ironies of art is that it is possible to win a war and lose the battles, and it is more tragic to lose the battles than the war.’

વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે જીવનના અમુક ક્ષેત્રમાં ઠીક ઠીક પ્રતિષ્ઠા પામ્યા પછી, આત્મતુષ્ટિને સારી માત્રામાં માણ્યા પછી બીજાને પોતાના અનુભવનો લાભ આપવાને બહાને પોતાની મહત્તાનું ચિત્ર આલેખવાનો પ્રયત્ન મોટા ભાગની આત્મકથાઓમાં હોય છે. આથી આત્મકથાઓમાં પૂરક માહિતી, પત્રો, દસ્તાવેજી વીગતો વગેરેનો અવિવેકી ઉપયોગ થયો હોય છે. ત્યાં ગદ્ય વિશેની સૂઝપૂર્વકની માવજત નહીં થાય તે દેખીતું છે.

કોઈ પણ લેખક સભાન બન્યા વિના લખી શકતો નથી. સામગ્રીના વિનિયોગમાં તિરસ્કાર-પુરસ્કારનો વિવેક એણે કરવાનો રહે છે. એ ઉપરાંત અમુક પર ભાર મૂકવો, શબ્દની પસંદગી સન્દર્ભને ઉચિત રીતે કરવી, વાક્યવિન્યાસ પ્રયોજન પ્રમાણે બદલવો – આ બધા વિશેના નિર્ણયો પણ એણે સભાનપણે જ કરવાના રહે છે. આથી વ્યક્તિએ પોતાના જીવનની ચોંકાવી મૂકે એવી કે આશ્ચર્યચકિત કરી નાંખે એવી વીગતો રજૂ કરી હોય છે તે જ આત્મકથા વાંચવાનું કારણ બની રહેતું નથી. સાચી કૃતિ એની પ્રાસંગિકતાના જોરે આપણું મન ખેંચવા મથતી નથી. ભાષાના સર્જનાત્મક ઉપયોગના બળે કરીને એ આપણને આકર્ષે છે. એની પ્રાસંગિકતા તો સરી જાય છે. પ્રસંગોનું આકર્ષણ ઓસરી જાય છે. જો ગદ્ય દ્વારા કશુંક અવિસ્મરણીય સિદ્ધ થઈ શક્યું હોય છે તો જ એ કૃતિ ટકી રહે છે. અધિકારી વિવેચક સારી આત્મકથાના ગુણોને બહાર લાવી તેને વધુ સારી રીતે આસ્વાદ્ય બનાવી આપે છે.

આત્મકથાને પ્રકારગત ત્રણ મર્યાદાઓ નડે છે: એક તો એ કે એની સામગ્રી લેખકના પોતાના જીવનમાંથી જ આવતી હોવી જોઈએ. બીજું એ કે એણે ભૂતકાળનું નિરૂપણ અનિવાર્યતયા કરવાનું રહે છે અને ત્રીજું એ કે વીગતોના સત્યને એને વફાદાર રહેવાનું છે. દરેક નવલકથાકાર પણ આમ તો પોતાના અનુભવમાંથી જ સામગ્રી મેળવતો હોય છે, પણ પોતાના જીવનના ઇતિહાસના કેન્દ્રવર્તી પ્રસંગોનું જ નિરૂપણ કરવાને એ, આત્મકથાકારની જેમ, બંધાયેલો હોતો નથી. આત્મકથા એ સોનેટ કે વ્યંગચિત્રના જેવી સંજ્ઞા નથી. સોનેટ કે વ્યંગચિત્ર બન્ને એક જ વિષયનું નિરૂપણ કરી શકે. સોનેટ સંજ્ઞાને રચનારીતિ જોડે સમ્બન્ધ છે. અમુક વિશિષ્ટ પ્રકારની પ્રાસરચના, અમુક પંક્તિઓની સંખ્યાઓનો નિર્દેશ એથી થાય છે. આત્મકથા સંજ્ઞા રચનારીતિનું કોઈ પાસું દર્શાવતી નથી, એના વસ્તુનો જ એ નિર્દેશ કરે છે.

રચનારીતિ પરત્વે આત્મકથાકારને કશાં બન્ધન નથી. પ્રથમ પુરુષ એકવચનમાં લખાતી નવલકથા જેવી એની રચના હોય છે. એ પરિપ્રેક્ષ્યને આધારે આત્મકથાનું જગત આપણી આગળ ઉખેળાતું આવે છે. એ અવાજમાં એકવિધતા ન આવી જાય એ રીતે એણે ગદ્યનો વિનિયોગ કરવાનો રહે છે. આ ‘હું’ તે પોતે નહીં, પણ એક પાત્ર છે એ રીતે જો એ જુએ તો એ વધારે ઉપકારક નીવડે. પણ એક પ્રલોભનમાંથી આત્મકથાના લેખકે હંમેશાં બચવાનું રહે છે. એ પોતાનું જીવન જ એક ઉત્તમ કળાકૃતિ છે એવું આત્મરતિથી પ્રેરાઈને ઠસાવવા માટે આત્મકથાનો સાધન લેખે ઉપયોગ કરે તો કૃતિ વણસી જાય અને એ જે છાપ પાડવા માગતો હોય તે પણ પડે નહીં. આમ ગદ્યની કળાના આશયથી થયેલી માવજત અત્યારે તો વિરલ કૃતિઓમાં અંશત: જ દેખાય છે.