એકોત્તરશતી/૭. અહલ્યાર પ્રતિ

Revision as of 01:32, 17 July 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭. અહલ્યાને (અહલ્યાર પ્રતિ)


હે અહલ્યા, હોમ અગ્નિ બુઝાવી નાખેલા અને તાપસ વિનાના શૂન્ય તપોવનની છાયામાં પાષાણરૂપે ધરાતલમાં ભળી જઈને તેં લાંબાં દહાડા અને રાત કર્યાં સ્વપ્નમાં કાઢ્યાં? બૃહત્ પૃથ્વીની સાથે એકદેહ થઈને તું જયારે ભળી ગઈ હતી ત્યારે તેના મહાસ્નેહની તને જાણ થઈ હતી? પાષાણ તળે અસ્પષ્ટ ચેતના હતી ખરી? જીવનધાત્રી જનનીની વિપુલ વેદના, માતૃધૈર્યથી મૌન મૂક બધાં સુખદુ:ખ સુપ્ત આત્મમાં તેં સ્વપ્નની પેઠે અનુભવ્યાં હતાં? રોજ રોજ રાત ને દહાડો લાખો કરોડો પ્રાણીઓનાં મિલન, કલહ, આનંદવિષાદક્ષુબ્ધ ક્રન્દન, ગર્જન, હજારો વટેમાર્ગુઓના પદધ્વનિ ક્ષણે ક્ષણે અભિશાપ નિદ્રાને ભેદીને તારા કાનમાં પ્રવેશ કરતાં ખરાં? તને નેત્રહીન મૂઢ કઠોર અર્ધ જાગરણમાં જાગતી રાખતા હતા? મહાજનનીની નિત્યનિદ્રાહીન વ્યથા પોતાના મનમાં તું શું સમજી શકી હતી? જે દિવસે નવવસંતનો સમીર વાતો, (તે દિવસે) ધરણીના સર્વાંગનો પુલકપ્રવાહ તને સ્પર્શ કરતો? જીવન-ઉત્સાહ મરુદિગ્વિજય કરવા માટે હજારો માર્ગે હજારો આકારે દોડતો, તે તને અનુર્વરા બનાવી દેનારા અભિષાપનો નાશ કરવાને તારા પાષાણને ઘેરીને ખળભળી ઊઠતો; તે આઘાત તારા દેહમાં જીવનનો કંપ જગાડતો ખરો? રાત્રિ જ્યારે માનવોના ઘરમાં આવતી ત્યારે ધરતી થાકેલાં શરીરોને પોતાની છાતી ઉપર ખેંચી લેતી, દુ:ખશ્રમ ભૂલીને અસંખ્ય જીવો ઊંઘતા— આકાશ જાગતું—તેમનાં શિથિલ અંગ, સુષુપ્ત નિશ્વાસ ધરણીના હૃદયને વિહ્વળ બનાવી દેતાં. માતૃઅંગમાં તે કરોડો જીવોના સ્પર્શનું જે સુખ, તેનો કંઈક અંશ તને પોતામાં મળ્યો હતો? જે ગોપન અતઃપુરમાં જનની વિરાજે છે—(જ્યાં) પત્રપુષ્પની જાળથી અને વિવિધ વર્ણની રેખાથી સુંદર રીતે ચીતરેલો પડદો(રહેલો છે) તેની પાછળ અસૂર્યમ્પશ્ય રહીને તે હમેશાં ગુપચુપ સંતાનનાં ઘર ધનધાન્યરૂપે જીવનથી અને યૌવનથી ભરે છે— તે ગૂઢ માતાના ખંડમાં તું આટલો વખત ધરણીની છાતી ઉપર ચિરરાત્રી સુશીતલ વિસ્મૃતિ મંદિરમાં સૂતેલી હતી—જ્યાં લાખ્ખો જીવનની કલાંતિ ધૂળની શય્યામાં નિર્ભયતાથી અનંતકાળ સુધી ઊંઘે છે, જ્યાં પળે પળે દિવસના તાપથી સુકાઈ ગયેલાં ફૂલ, બળી ગયેલા ખરતા તારા, જીર્ણ કીર્તિ, શ્રાન્ત સુખ, દાહહીન દુઃખ ખરીને પડી જાય છે. ત્યાં સ્નિગ્ધ હાથ વડે(તારી) પાપતાપરેખાને માતાએ ભૂંસી નાખી છે. આજે ધરિત્રીની સદ્યોજાત કુમારીની પેઠે સુંદર સરલ શુભ્ર(રૂપે) તેં દેખા દીધી છે. વાણીહીન થઈને તું પ્રભાતના જગત તરફ જોઈ રહી છે. રાત્રે જે ઝાકળ તારા પાષાણ ઉપર પડ્યો હતો, તે અત્યારે(તારા) ઘૂંટણને ચુંબતા મુક્ત કૃષ્ણ કેશપાશમાં ઉલ્લાસથી કંપે છે, જે શેવાળે તને ધરણીના શ્યામ શોભાવાળા અંચલની માફક બહુ વર્ષો થયાં ઢાંકી રાખી હતી, (અને જે) બહુ વર્ષાધારા પામીને સરસ સતેજ અને ઘન થયેલી હતી, તે હજી તારા નગ્ન ગૌર દેહ ઉપર માતાએ દીધેલા વસ્ત્રની પેઠે સુકોમળ સ્નેહથી વળગી રહેલી છે. આખો સંસાર પરિચિત હાસ્ય હસી રહ્યો છે. તું અનિમિષનેત્રે જોઈ રહી છે. તારું હૃદય એકલું પોતાની ધૂળથી ખરડાયેલી પદચિહ્નરેખાને ડગલે ડગલે ઓળખતું ઓળખતું કોઈ દૂર કાલક્ષેત્રમાં ચાલ્યું ગયું છે. જોતજોતામાં ચારેકોરથી ચારે દિશામાં જગતનો બધો પૂર્વ પરિચય આવ્યો. કુતૂહલપૂર્વક આખો સંસાર ટોળે ટોળાં વળીને આ તારી સામે આવ્યો; પાસે આવીને ચમકીને થંભી ગયો. વિસ્મયથી તે તાકી રહ્યો. શી અપૂર્વ રહસ્યમયી વિવસ્ત્ર મૂર્તિ, નવીન શૈશવે સ્નાત સંપૂર્ણ યૌવન——શ્યામપત્રપુટમાં પૂર્ણ ખીલેલા પુષ્પની જેમ શૈશવ અને યૌવન ભેગાં થઈ જઈને એક દાંડી ઉપર ખીલી ઉઠ્યાં છે. વિસ્મૃતિસાગરના નીલ નીરમાં પ્રથમ ઉષાની પેઠે તું ધીરે ધીરે ઊઠી છે. તું વિશ્વ તરફ જોઈને વિસ્મય અનુભવે છે, વિશ્વ તારા તરફ જોઈને બોલતું નથી. બંને સામસામા (મોઢા મોઢ–રૂબરૂ) (ઊભાં) છે. અપાર રહસ્યને તીરે ચિરપરિચયની વચ્ચે નવો પરિચય. ૨૪-૨૫ મે ૧૮૯૦ ‘માનસી’

(અનુ. નગીનદાસ પારેખ)