કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૧. અલબેલો

From Ekatra Wiki
Revision as of 08:29, 21 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૧. અલબેલો

પ્રિયકાન્ત મણિયાર

અલબેલો અડકે મને આંખથી રે
એનો કરવો તે કેમ રે ઉપાય?
ઝાઝેરો તાણું મારો ઘૂમટો તો રે
નાનેરો જીવ આ મૂંઝાય!

બળતે બપોરનાં પાણીડાં સીંચતાં ઓચિંતા થંભ્યા શું શ્વાસ,
કેટલે તે વેગળેથી વેણુના નાદ મને ઘેરીને ઊભા ચોપાસ;

આઘેરા બજવો જી, નિજની નિકુંજમાં
બેઠાને કેમ રે કહેવાય!
અલબેલોo

રૂપેરી રૂપેરી ચડતે પૂનમપૂર આસોનું ઝૂમતું અંકાશ,
ગોપી ને ગોપના ઘૂમરાતા ઘેરમાં જામ્યા છે રંગતમાં રાસ;
મારે તે જોડમાં આવ્યો અલબેલ એ જ
તાલી એની કેમ રે ઠેલાય?
અલબેલોo

(આ નભ ઝૂક્યું, પૃ. ૮૫-૮૬)