કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૩. અજવાળું

From Ekatra Wiki
Revision as of 05:32, 13 November 2022 by Kamalthobhani (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૩. અજવાળું

અંદર તો એવું અજવાળું અજવાળું...
ટળવળતી હોય આંખ જેને જોવાને
          એ મીંચેલી આંખેયે ભાળું!
                    અંદર તો એવું અજવાળું અજવાળું...

ઊંડે ને ઊંડે ઊતરતા જઈએ ને તોય
          લાગે કે સાવ અમે તરીએ,
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને, એમ
          ઝળહળતા શ્વાસ અમે ભરીએ!

પછી આરપાર ઊઘડતાં જાય બધાં દ્વાર —
                    નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું...
                    અંદર તો એવું અજવાળું અજવાળું!

સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ
          ઓતપ્રોત એવા તો લાગીએ —
ફૂલને સુવાસ સ્હેજ વાગતી હશે ને, એવું
          આપણને આપણે જ વાગીએ!
આવું જીવવાની એકાદ પળ મળે... તો એને
                   જીવનભર પાછી ના વાળું!
                    અંદર તો એવું અજવાળું અજવાળું!

(અંતરનું એકાંત, પૃ. ૧૩૭)