ખરા બપોર/પરિચય

Revision as of 04:58, 15 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પરિચય
સર્જક જયંત ખત્રી

ઠીકઠીક લાંબી, પણ કથા-ઘટનાના ઘટ્ટ પોત વાળી વાર્તાઓના સર્જક જયંત હીરજી ખત્રી (જ. ૨૪ સપ્ટેમ્બર ૧૯0૯ – અવ. ૬ જૂન ૧૯૬૮)ની જન્મભૂમિ તેમ જ કર્મભૂમિ કચ્છ. ૧૯૩૫માં એલ.સી.પી.ઍસ. થઈને કચ્છ-ભૂજમાં જ ડૉક્ટરનો વ્યવસાય કર્યો. શ્રમજીવીઓ વચ્ચે વસ્યા. લેખકમિત્ર બકુલેશના સંગે સામ્યવાદી વિચાર-ચિતનનો રંગ એમને લાગ્યો. કચ્છની તળ ભૂમિ અને રણપ્રદેશનો એમનો સંસર્ગ અને અનુભવ એમની વાર્તાઓમાં ઝીણવટથી ઝીલાતાં રહ્યાં. એ કારણે, એમની વાર્તાઓ પરિવેશકેન્દ્રી, વાતાવરણ-પ્રધાન બની. પરંતુ, પાત્રના મનનાં ઊંડાણો આલેખવા તરફ એમની નજર વધુ રહી. કૅન્સરની બીમારીથી ૧૯૬૮માં એમનું અવસાન થયું. એમની વાર્તાઓના ત્રણ સંગ્રહ પ્રગટ થયા છે.

ખરા બપોર

લેખકનો આ છેલ્લો સંગ્રહ એમના અવસાન પછી (૧૯૬૮માં) પ્રકાશિત થયેલો. આધુનિક સમયની હોવા છતાં આ વાર્તાઓમાં ઘટના પાતળી નથી, સઘન અને પ્રલંબ છે. કચ્છ પ્રદેશની ભૂમિનો પરિવેશ અને એમાં ધબકતાં એમનાં પાત્રો કથા-આલેખનનો એક વિશિષ્ટ સ્વાદ આપે છે. જયંત ખત્રીની શૈલી વેગીલી છતાં વાસ્તવને ઘૂંટનારી છે. જીવનની સંકુલતા, વિષમતા, કરુણતા એના વિષયો છે. એનું નિરૂપણ કોઈ ચલત્ ચિત્ર જેવું છે. એમની ‘ધાડ‘ વાર્તા પરથી દસ્તાવેજી છતાં કલાત્મક ફિલ્મ તૈયાર થઈ છે. ‘ખરા બપોર‘ ખત્રીની જ નહીં, ગુજરાતી ભાષાની પણ એક ઉત્તમ વાર્તા છે.