ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/પરિચય

From Ekatra Wiki
Revision as of 16:34, 23 February 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સર્જક-પરિચય
શૈલેશ પારેખ


ShaileshParekh.jpg


શૈલેશ પારેખનો પરિચય ગુજરાતી સાહિત્યમાં એક ઉત્તમ અનુવાદક અને આસ્વાદક તરીકે હવે દૃઢ થયો છે. એમનો રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્ય ને જીવન પ્રત્યેનો ઊંડો અનુરાગ-અભ્યાસ તથા અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અને બંગાળી ભાષાનો વિશેષ પરિચય એમ તેમના બે મુખ્ય પાસા છે.

એમની આ સાહિત્યાભિમૂખતાના મૂળમાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચાલતા રવીન્દ્રભવનની પ્રવૃત્તિમાં સક્રિય સામેલગીરી છે. એમની ઉત્તમ સાહિત્યની ખેવના, કવિ શ્રી નિરંજન ભગત અને અનુવાદક, વિવેચક ભોળાભાઈ પટેલ સાથેના સાહિત્ય અનુબંધમાં પરિષ્કૃત થતી ગઈ. સતત પરીશીલનરત રહેવાની એમની વિશેષતા અને અનુવાદ કરવાની કાબેલિયતને પરિણામે એમનો અભ્યાસ અને એમની સાહિત્યપદાર્થ માટેની નિસબત વધુને વધુ સમૃધ્ધ થઈ છે.

શૈલેશ પારેખના અનુવાદો અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં થયેલા છે. અંગ્રેજી અને ગુજરાતીમાં પરસ્પર કરેલા અનુવાદ, ગુજરાતી અને બંગાળીમાંથી અંગ્રેજીમાં તથા બંગાળીમાંથી ગુજરાતી અને અંગ્રેજીમાં અનુવાદોનું વિશદ કાર્ય તેમણે કરેલું છે. અંગ્રેજી ગીતાંજલિમાંથી (2002) ગુજરાતીમાં અનૂદિત કાવ્યો ગુજરાતી સાહિત્ય જગતમાં પોંખાયાં છે. આ ઉપરાંત રવીન્દ્રનાથના બીજા કાવ્યસંગ્રહો, નૈવેદ્ય, પ્રાંતિક, શેષ લેખાનો એમણે ગુજરાતીમાં અનુવાદ આપ્યો છે. નિરંજન ભગતના 66 કાવ્યોનો ગુજરાતીમાંથી અંગ્રેજી અનુવાદ, Niranjan Bhagat in English, ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યો છે. બંગાળીમાંથી અંગ્રેજીમાં અનુવાદ એ એમનું બીજુ મહત્વનું અનુવાદ કાર્ય છે. જેમાં Naibedya(2002), Prantik(2004),Shesh Lekha(2004) કાવ્યસંગ્રહ પ્રકાશિત થયાં છે. Who is Rabindranath Tagore?, Chitrangda and other Dramatic Poems, Tagore in Ahmedabad, Gandhi vs Tagore, Tagore and Poetry, Chicago એમના અંગ્રેજીમાં સ્વતંત્ર પુસ્તકો છે.

એમણે અંગ્રેજીમાં Gandhi Vs. Tagore (2009) નામે નાટક લખેલું છે, જે વિશ્વભારતી, કોલકત્તાએ પ્રગટ કર્યું છે. તેના પર આધારિત The Poet and the Prophet પ્રથમ વાર ૩૦ જાન્યુઆરી, ૨૦૦૯ના દિવસે સાબરમતી આશ્રમમાં ભજવાયું હતું તથા માર્ચ ૨૦૦૯મા પશ્ચિમ બંગાળના તત્કાલીન ગવર્નર શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીની ઉપસ્થિતિમાં રવીન્દ્રનાથના જન્મસ્થાન જોડાસાંકોમાં, અને શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથના નિવાસસ્થાન, શ્યામલીના પ્રાંગણમાં ભજવાયું હતું. એ એક વિશિષ્ટ ઘટના કહી શકાય. ત્યાર પછી આ નાટકના દેશવિદેશમાં સોથી વધુ પ્રયોગ થયા છે.

શૈલેશ પારેખ મૂળે એમ.આઈ.ટી, યુ.એસ.એના અનુસ્નાતક છે, એંજિન્યર છે અને અમદાવાદના એક જાણીતા વ્યવસાય ગૃહનું નેતૃત્વ સંભાળતા હતા. વિજ્ઞાનના વિદ્યાર્થી અને વ્યવસાયમાં રત હોવા છતાં એમના અનુવાદ કાર્ય અને સાહિત્ય અભ્યાસથી સાહિત્યજગત અને સમાજને એક નવી પ્રતિભાનો પરિચય થયો છે.

– રાજેન્દ્ર પટેલ