ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કવિનું વસિયતનામું

From Ekatra Wiki
Revision as of 02:09, 11 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કવિનું વસિયતનામું
સુરેશ જોષી

કદાચ હું કાલે નહીં હોઉં–
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે;

કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના
ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;

કાલે સાગર છલકે તો કહેજો કે,
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;

કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;

કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટાવવી બાકી છે

કદાચ હું કાલે નહીં હોઉં.