ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/પગરવ

From Ekatra Wiki
Revision as of 05:40, 2 January 2023 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પગરવ |}} <poem> પ્રભુ, તારો પગરવ જરી સુણાય, વનવનવિહંગના કલનાદે, મલયઅનિલના કોમલ સાદે. ઊડુગણ કેરાં મૂક વિષાદે ભણકારા વહી જાય, પ્રભુ, તારો પગરવ અહીં સુણાય. ગિરિનિર્ઝરના નૃત્યઉમંગે, સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પગરવ

પ્રભુ, તારો પગરવ જરી સુણાય,
વનવનવિહંગના કલનાદે,
મલયઅનિલના કોમલ સાદે.
ઊડુગણ કેરાં મૂક વિષાદે
ભણકારા વહી જાય,
પ્રભુ, તારો પગરવ અહીં સુણાય.

ગિરિનિર્ઝરના નૃત્યઉમંગે,
સરિત તણા મૃદુમત્ત તરંગે.
ઋતુનર્તકીને અંગે અંગે
મંજુ સુરાવટ વાય,
પ્રભુ, તારો પગરવ અહો સુણાય!

અહોરાત જલસિંધુ ઘૂઘવે,
ઝંઝાનિલ મઝધાર સૂસવે,
વજ્રઘોર ઘન ગગન ધૂંધવે.

ધ્વનિ ત્યાં તે અથડાય,
પ્રભુ, તારો પગરવ દૂર સુણાય.

શિશુકલબોલે, પ્રણયહિંડોળે
જગકોલાહલના કલ્લોલે,
સંત-નયનનાં મૌન અમોલે
પડઘા મૃદુ પથરાય,
પ્રભુ, તારો પગરવ ધન્ય સુણાય.

૧૫-૧-૧૯૪૯
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૫૬)