ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/કાદવનું કાવ્ય

From Ekatra Wiki
Revision as of 07:38, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કાદવનું કાવ્ય

કાકાસાહેબ કાલેલકર

સવારે પૂર્વ તરફ કંઈ ખાસ મજા ન હતી. રંગની બધી શોભા ઉત્તર તરફ જામી હતી. એ દિશામાં માત્ર લાલ રંગે આજે કમાલ કરી દીધી હતી, પણ એ બહુ જ થોડા વખત માટે. પૂર્વ દિશા જ જ્યાં પૂરેપૂરી રંગાઈ ન હતી ત્યાં ઉત્તરદિશા કરી કરીને કેટલાં નખરાં કરવાની હતી? જોતજોતામાં ત્યાંનાં વાદળાં ધોળાં પૂણી જેવાં થઈ ગયાં. અને દિવસે હંમેશ મુજબ શરૂઆત કરી.

આપણે આકાશનું વર્ણન કરીએ છીએ; પૃથ્વીનું વર્ણન કરીએ છીએ; જલાશયનું વર્ણન કરીએ છીએ; કાદવનું કોઈએ વર્ણન કરેલું જોયું છે? કાદવમાં પગ નાખવાનું કોઈને ગમતું નથી, કાદવથી શરીર ખરડાઈ જાય છે, કપડાં મેલાં થઈ જાય છે, પોતાના શરીર ઉપર કાદવ ઊડે તે કોઈને ગમતું નથી અને તેથી કાદવ માટે મનમાં પણ કોઈને સહાનુભૂતિ નથી હોતી. આ બધું ખરું છે. પણ તટસ્થતાથી વિચાર કરતાં કાદવમાં કંઈ ઓછું સૌંદર્ય નથી હોતું. પહેલાં તો એ કે અહીંના લાલ કાદવનો રંગ બહુ સુંદર હોય છે. ચોપડીનાં પૂંઠાં ઉપર, ઘરોની દીવાલો ઉપર અથવા શરીર ઉપરનાં કીમતી કપડાં માટે આપણે બધા કાદવના આવા રંગ પસંદ કરીએ છીએ. કલાભિજ્ઞ લોકોને ભઠ્ઠીમાં શેકેલા માટીના વાસણનો પણ તે જ રંગ હોય એ બહુ ગમે છે. ફોટો કાઢતાં જો તેમાં કાદવનો ઠીકરો રંગ આવી જાય તો તેને warm tone કહી તજ્જ્ઞ લોકો ખુશ ખુશ થઈ જાય છે. કાદવનું નામ લઈએ તો માત્ર બધું બગડી જાય.

નદીકાંઠે કાદવ સુકાઈને તેનાં ચોસલાં પડે છે ત્યારે તે કેટલાં સુંદર દેખાય છે! તે જ ચોસલાં નંદવાય અને વાંકાં વળી જાય ત્યારે સુકાયેલા કોપરા જેવાં દેખાય છે. નદીકાંઠે માઈલો સુધી સપાટ અને લીસો કાદવ પથરાયેલો હોય ત્યારે તે દૃશ્ય ઓછું સુંદર નથી હોતું. આ કાદવનો પૃષ્ઠભાગ કંઈક સુકાતાં તેના ઉપર બગલા, ગીધ અને બીજાં નાનાંમોટાં પક્ષીઓ જ્યારે ચાલે છે ત્યારે તે ત્રણ નખ આગળ અને અંગૂઠો પાછળ એવાં તેમનાં પદચિહ્નો મધ્ય એશિયાના રસ્તાની જેમ દૂર દૂર સુધી કાદવ ઉપર પડેલાં જોઈ આ રસ્તે આપણે આપણો કાફલો (caravan) લઈ જઈએ એમ આપણને થાય છે.

આગળ જતાં કાદવ વધારે સુકાઈ જમીન નક્કર થતાં ગાય, બળદ, પાડા, ભેંસો, મેંઢાં, બકરાં ઇત્યાદિનાં પગલાંની તે ઉપર છાપ પડે છે. તેની શોભા વળી જુદી છે. અને આ પછી જ્યારે બે મદમસ્ત પાડા શિંગડાંથી કાદવ ખૂંદીને એકબીજા સાથે લડે છે ત્યારે નદીકાંઠે પડેલાં પગલાં અને શિંગડાંનાં ચિહ્નોથી જાણે મહિષકુળના ભારતીય યુદ્ધનો ઇતિહાસ જ આ કર્દમલેખમાં લખી રાખ્યો છે એવો ભાસ થાય છે.

કાદવ જોવો હોય તો એક ગંગા નદીને કાંઠે કે સિંધુને કાંઠે. અને તેટલાથી તૃપ્તિ ન થાય તો સીધા ખંભાત જવું. ત્યાં મહી નદીના મુખ આગળ નજર પહોંચે ત્યાં સુધી બધે સનાતન કાદવ જ જોવાને મળે. આ કાદવમાં હાથી ડૂબી જાય એમ કહેતાં, ન શોભે એવી અલ્પોક્તિ કરવા જેવું છે. પહાડના પહાડ એમાં લુપ્ત થાય એમ કહેવું જોઈએ.

આપણું અન્ન કાદવમાંથી જ પેદા થાય છે એનું જાગ્રત ભાન જો દરેક માણસને હોત તો તે કાદવનો તિરસ્કાર ન કરત. એક નવાઈની વાત તો જુઓ. પંક શબ્દ ઘૃણાસ્પદ લાગે છે અને પંકજ શબ્દ કાને પડતાં જ કવિઓ ડોલવા અને ગાવા માંડે છે. મલ(ળ) તદ્દન મલિન ગણાય પણ કમલ(ળ) શબ્દ સાંભળતાંવેંત પ્રસન્નતા અને આહ્લાદકત્વ ચિત્ત આગળ ખડાં થાય છે. કવિઓની આવી યુક્તિશૂન્ય વૃત્તિ તેમની આગળ મૂકીએ તો કહેવાના કે, “તમે વાસુદેવની પૂજા કરો છો એટલે કંઈ વસુદેવને પૂજતા નથી; હીરાનું ભારે મૂલ આપો છો પણ પથ્થરનું આપતા નથી; અને મોતીને ગળામાં બાંધીને ફરો છો પણ તેની માતુશ્રીને ગળામાં બાંધતા નથી.” કવિઓ સાથે ચર્ચા ન કરવી એ જ ઉત્તમ. ૨૮–૪–’૩૨