ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/જોગનો ધોધ

From Ekatra Wiki
Revision as of 07:41, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જોગનો ધોધ

કાકાસાહેબ કાલેલકર

છેક નાનપણથી જ, કારવારમાં હતો ત્યારે, ગેરસપ્પા વિશે સાંભળ્યું હતું. તે વખતે સાંભળેલું કે કાવેરી નદી પહાડ પરથી નીચે પડે છે અને તેનો એટલો બધો અવાજ થાય છે કે બે માઈલ ઉપર જો ગાગરોની ઉતરડ રાખી હોય તો તે હવાના ધબકારાથી પડી જાય. પછી એ ધોધનો અવાજ તો કેટલે સુધી પહોંચતો હશે? પાછળથી જ્યારે ભૂગોળ શીખ્યો ત્યારે મનમાં શંકા આવી કે, કાવેરી તો છેક કૂર્ગમાંથી ઊગમ પામી પૂર્વસમુદ્રને મળે છે. એ પશ્ચિમઘાટના પહાડ પરથી નીચે પડી જ ન શકે. ત્યારે ગેરસપ્પામાં પડે છે તે નદી બીજી. એને તો પશ્ચિમસમુદ્રને બનતી ઉતાવળે હોન્નાવર પાસે જ મળવું હતું. એટલા માટે સવાસો-દોઢસો માથોડાં જેટલી ઊંચાઈથી એણે ભૂસકો માર્યો છે. એ નદીનું નામ શું?

નાયગરાના ધોધનાં કેટલાંયે વર્ણનો વાંચવામાં આવ્યાં હતાં. પ્રકૃતિ માતાએ અમેરિકાને આપેલું એ અદ્ભુત ઘરેણું છે. દુનિયાભરના લોકો એની યાત્રાએ જાય છે. મોટા મજબૂત પીપમાં બેસી એ ધોધમાંથી પસાર થવાના કેટલાક લોકોએ પ્રયત્નો કર્યા, વગેરેનાં વર્ણનો જેમ જેમ વધારે વાંચીએ તેમ કુતૂહલ વધતું જાય. અનેક દિશાએથી લીધેલાં ચિત્રો અને અક્ષિપટો (Bioscopes) નાયગરાને નજર આગળ પ્રત્યક્ષ કરવા લાગ્યાં. જેમ જેમ નાયગરાનું દર્શન આમ વધવા લાગ્યું તેમ તેમ નાનપણમાં સાંભળેલા એ ગેરસપ્પાના ધોધની માનસપૂજા વધતી ગઈ. પછી જ્યારે જાણ્યું કે નાયગરા તો ફક્ત ૧૬૪ ફૂટની ઊંચાઈથી પડે છે, જ્યારે ગેરસપ્પાની ઊંચાઈ ૯૬૦ ફૂટ છે, ત્યારે તો મારા અભિમાનનો પાર ન રહ્યો. સૌથી મુખ્ય અને દુનિયાનો સૌથી ઊંચો પહાડ હિંદુસ્તાનમાં છે; સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા જેવી નદીઓ માટે કોઈ પણ દેશ જરૂર મગરૂર થઈ શકે. સૌથી લાંબી નદી પોતાને જ ત્યાં છે, એમ સિદ્ધ કરવા માટે અમેરિકાને બે નદીઓની લંબાઈ ભેગી કરવી પડી છે. મિસોરી અને મિસિસિપી અલગ અલગ ગણીએ તો એમની લંબાઈ કેટલી? જેમ હિંદુસ્તાનનો ઇતિહાસ પૃથ્વીમાં જૂનામાં જૂનો છે તેમ હિંદુસ્તાનની ભૂરચના પણ આખા જગતમાં અદ્ભુત છે.

હિંદુસ્તાન શું એક ધોધની બાબતમાં હારી જાય? આખી દુનિયાએ કબૂલ કર્યું છે કે અશોક જેવો બીજો સમ્રાટ થયો નથી. ભૂગોળમાં પણ લોકોએ સ્વીકારવું જોઈએ કે ભવ્યતામાં ગેરસપ્પા(એનું સાચું નામ જોગ છે.)ની હારમાં બેસે એવો એકે ધોધ નથી.

કારકળ રાજકીય પરિષદ માટે દક્ષિણ કાનડામાં ગયો હતો ત્યારે આશા બંધાઈ હતી કે અગુંબા ઘાટ ચડી શિમોગા થઈને ગેરસપ્પા જોવા જઈશ. પણ તેમ ન બની શક્યું.

मनसा चिन्तितं काय दैवेनान्यत्र नीयते।

નિરાશામાં મેં માની લીધું કે એ ચિરસંચિત આશા આખરે કાયમની વંચિત થઈ અને મારે ગેરસપ્પાનું દર્શન ધ્યાન દ્વારા જ કરવું રહ્યું.

પણ એટલું તો જાણી લીધું હતું કે જોગ મૈસૂર રાજ્યની સરહદ પર છે. ત્યાં જવાના બે રસ્તા છે. ઉપરનો રસ્તો શિમોગા, સાગર થઈને, બીજો મુખ તરફનો. એમાં બંદર હોન્નાવરથી હોડીમાં બેસી જંગલો વટાવી ગેરસપ્પાના ગામડા સુધી જવાનું; અને ત્યાંથી ઘાટ ચડવાનો. બંને રસ્તે જઈ આવેલા લોકો કહે છે કે એક બાજુની શોભા બીજે ન મળે; એક કરતાં બીજી ઊતરતી એમ તો ન જ કહેવાય. એક રસ્તે જાઉં અને બીજી બાજુનો સાક્ષાત્ અનુભવ લીધો ન હોય ત્યાં સુધી મારે કબૂલ કરવું જ પડે કે મેં જોગનાં અડધાં જ દર્શન કર્યાં છે.

ગુજરાતમાં રેલસંકટ ચાલતું હતું એ જ અરસામાં ગાંધીજી પોતાના મંદવાડના દિવસો બૅંગલોરમાં ગાળતા હતા. હું એમને મળવા ગયો હતો. ત્યાંથી મૈસૂર રાજ્યમાં ફરતા ફરતા, ગાંધીજી સાગર સુધી પહોંચ્યા. શ્રી ગંગાધરરાવ અને રાજગોપાલાચારી સાથે હતા. સાગર ગયા પછી ગેરસપ્પા જોવા ન જવું એ તો મારે માટે અશક્ય હતું. મોટરથી એક જ કલાકનો રસ્તો. શિમોગામાં તુંગાને કિનારે ફરવા ગયા હતા ત્યારે મેં ગાંધીજીને આગ્રહ કર્યો હતો કે, “આપ ગેરસપ્પા કેમ ન આવો? લૉર્ડ કર્ઝન કેવળ ગેરસપ્પા જોવા માટે આ બાજુ ખાસ આવેલા. આ બાજુ આવવાનું ફરી ક્યારે થવાનું હતું?” ગાંધીજી બોલ્યા, “મારાથી આટલોયે સ્વચ્છંદ ન કરી શકાય. તમે જરૂર જાઓ. તમે જોઈ આવશો તો વિદ્યાર્થીઓને ભૂગોળનો એકાદ પાઠ ભણાવશો.” મેં ફરી દલીલ કરી, “પણ આ દુનિયાનું એ એક અદ્ભુત દૃશ્ય છે. નાયગરા કરતાં જોગ છ ગણો ઊંચો; ૯૬૦ ફૂટ ઉપર થઈને પાણી પડે છે. આપે એક વાર એ જોવો જોઈએ.”

“વરસાદનું પાણી આકાશમાંથી પડે છે. એ કેટલે ઊંચેથી પડે છે!” હું હાર્યો. મનમાં કહ્યું, “स्थितधी: किं प्रभाषेत किमासीत व्रजेत किम्।”

હું જાણતો હતો કે ગાંધીજીને સંગીતની પેઠે સૃષ્ટિસૌંદર્યનો પણ શોખ ભારે છે. ફરવા જતાં સૂર્યાસ્તની શોભા અથવા વાદળમાંથી ડોકિયું કરતી કોઈ અટૂલી તારાની શોભા તરફ એમણે મારું ધ્યાન કોઈ કાળે ખેંચ્યું નહોતું એમ નથી. પણ પ્રજાની સેવાર્થે ઊપડેલા ગાંધીજી જેવા સેવક મહાત્માઓ સ્વચ્છંદ શી રીતે કરે?

कुलशिखरिण: क्षुद्रा नैते न वा जलराशय:।

આ એક વાત આમ પતી ગઈ એટલે મેં બીજી વાત ગુજારી. “આપ નથી આવતા એટલે મહાદેવભાઈ પણ નથી આવતા. આપ એમને કહો તો જ એ આવે.”

“એની ઇચ્છા હોય તો મહાદેવ ભલે તમારી સાથે જાય. મારી ના નથી, પણ એ નહીં આવે, હું જ એનો ગેરસપ્પા છું.”

બાકીનાં અમે દુન્યવી આદર્શવાળાં રહ્યાં. ચર્મચક્ષુથી પહાડ પરનો ધોધ જોયા વગર અમને તૃપ્તિ થાય એમ ન હતું. એટલે જમ્યા પહેલાં જ સાગરથી અમે ઊપડ્યાં અને મોટરની મદદથી જંગલ પસાર કરવા લાગ્યાં. પહાડ કોતરીને રેલવેવાળા જ્યારે ભોંયરું કે બોગદું બનાવે છે ત્યારે આપણને ખૂબ આશ્ચર્ય થાય છે. પણ મુંબઈની વસ્તી કરતાં પણ ગીચ એવાં સહ્યાદ્રિનાં જંગલોમાંથી રસ્તો તૈયાર કરવો એ એથીયે વધારે મુશ્કેલીનું કામ છે. અહીં તમારું ડાઇનેમાઇટ (સુરંગ) નહીં ચાલે. થડ તોડ્યા પછી પણ એક એક ઝાડ ડાળોની જાળમાંથી મુક્ત કરવું એ તો હિંદુ-મુસલમાનના ઝઘડા પતાવવા જેટલું અઘરું કામ છે. ખંડાળા ઘાટના ઊંડા ભોંયરામાં અધવચ ગયા પછી જે ભયાનક રમણીયતા માણસ અનુભવે છે તેવી જ સ્થિતિ આ જંગલોમાં અનુભવાય છે. આવાં જંગલોમાં શોભે એવાં પ્રાણી તો હાથી, વાઘ અને અજગર. આમાં માણસ એવો તો તુચ્છ પ્રાણી દેખાય છે કે અહીં ક્યાંથી આવી રહ્યો છે એમ જ થાય.

ખેર, અમે જંગલ વટાવીને શરાવતીને કિનારે આવ્યાં. આ તરફ એને ભારંગી પણ કહે છે. ભારંગી એટલે બારગંગે. ગંગા નદી કરતાં બાર ગણું માહાત્મ્ય આ નદીનું છે એમ અહીંના લોકો માનતા હોય તો આપણે એમની જોડે કજિયો નહીં કરીએ, દરેક બાળકને પોતાની મા જ સર્વશ્રેષ્ઠ લાગે ને! વરસાદ ઝીણો ઝીણો પડતો હતો. અહીં ગગનભેદી મહાવૃક્ષો પણ હતાં, અને નાનાંમોટાં ઝાંખરાં પણ હતાં, અમર ઘાસ પણ હતું અને જમીન તેમ જ ઝાડની ઘરડી છાલ પર ઊગતી લીલ પણ હતી. સામા કાંઠા ઉપર નાનાંમોટાં ઝાડ નદીનું પાણી કેટલું ઠંડું છે અથવા ઊંડું છે તે તપાસવા માટે પોતાના પાંદડાંવાળા હાથ પાણીમાં નાખતા હતા અને ધુમ્મસનાં કેટલાંક વાદળાં આળસુ પોઠિયાની પેઠે આમતેમ રખડતાં હતાં.

નદી જોઈ કે સવાલ ઊઠે છે કે આ નદી ક્યાંથી આવી અને ક્યાં જાય છે. મને તો હંમેશ નદી ક્યાંથી આવી છે એ જ સવાલ પ્રથમ ઊઠે છે. ઘણાંને પણ એમ જ થતું હશે. એનું કારણ શું? નદી ક્યાં જાય છે એ તપાસવું સહેલું છે. નદીમાં પડતું મૂક્યું એટલે એ આપણને અનાયાસે સાથે લઈ જાય. હિંમત ન ચાલે તો એકાદ ઝાડનું થડ કોતરીને એમાં બેસો એટલે બસ. પણ ક્યાંથી આવે છે એ તપાસવા માટે પ્રતીપ ગતિએ જવું જોઈએ. એ તો ઋષિઓ જ કરી શકે. ભારંગી કે શરાવતીનાં પાણી પહાડમાંથી આવે છે કે વાદળામાંથી એવી શંકા ઉપજાવે એવું તે દિવસનું દૃશ્ય હતું.

હોડીમાં બેસી અમે સામે કાંઠે ગયાં. કાંઠા પરની જમીનમાંથી કેટલાંયે બાળકો ઝરણાં કૂદી કૂદીને નદીમાં પડતાં હતાં. તે પરથી અમે સહેજે અનુમાન બાંધી શક્યાં કે આગલે દિવસે ભારે વરસાદ પડવાથી નદીનું પાણી ખૂબ વધ્યું હતું. આજે તે લગભગ પાંચ ફૂટ ઊતર્યું હતું. હોડી અમને નીચે ઉતારી બાકીના લોકોને લેવા પાછી ગઈ. શાંત પાણીમાં હોડી હલેસાંનો ડબ ડબ અવાજ કરતી જાય અને આવે, એ દૃશ્ય કેટલું મજાનું! અને આપણા પ્રિયજનોને હોડી જ્યારે પોતાના પેટમાં સ્થાન આપી ઊંડા પાણીના પૃષ્ઠ ઉપરથી ખેંચીને લઈ આવે છે ત્યારે ચિંતાનું કશું કારણ ન હોવા છતાં મનને બીક લાગ્યા વગર રહેતી નથી. રાજગોપાલાચાર્ય પોતાના દીકરા અને દીકરીને સાથે લઈ હોડીમાં બેસવા જતા હતા ત્યારે મેં કહ્યું કે, એક કુટુંબના બધા લોકો એકસામટા એક હોડીમાં બેસે એ બરાબર નથી એમ પૂર્વજોએ કહ્યું છે. કાં તો પિતા અમારી સાથે આવે અથવા તો પુત્ર, બંને નહીં. સાથીઓ એ રિવાજની ચર્ચા કરવા લાગ્યા. કોઈને એમાં પ્રતિષ્ઠાની બૂ આવી, કોઈને બીજું કાંઈ સૂઝ્યું. સર્વનાશનો સંભવ ટાળવા માટે એ નિયમ છે એટલુંય કોઈના ધ્યાનમાં ન આવ્યું. મારે એ અર્થ સ્પષ્ટ કરીને વાતાવરણ વિષણ્ણ કરવું નહોતું. એટલે પૂર્વજોની બુદ્ધિની નિંદા સાંભળતો સાંભળતો હું પેલી પાર પહોંચ્યો. હોડી `મઝધાર’ પહોંચી ત્યારે મંત્ર બોલી આચમન કરવાનું હું ભૂલ્યો નહીં. નદીનાં દર્શન સાથે સ્નાન, પાન અને દાનનો વિધિ થવો જ જોઈએ. તો જ નદીનો પૂરો સાક્ષાત્કાર કર્યો કહેવાય.

બીજી ટુકડી આવી પહોંચી અને અમે જમણી બાજુને રસ્તે ચાલ્યાં. નદીનો એ ડાબો કાંઠો હતો. રસ્તા પરનાં મોટાં મોટાં ઝાડ મસીદના થાંભલા જેવાં સીધાં ઊંચાં જતાં જોઈને અમને આનંદ થયો. અમારી ટોળી એટલી મોટી હતી કે એ નિર્જન અરણ્યમાં જોતજોતામાં અમારો વાર્તાવિનોદ અને અમારું અટ્ટહાસ્ય ચારે કોર ફેલાયું. પણ કેટલી વાર? અમે કંઈક દૂર ગયાં અને નદીએ પોતાનો ગંભીર ધ્વનિ શરૂ કર્યો. એ અવાજને શાની ઉપમા અપાય! એટલો ગંભીર અવાજ બીજે સાંભળ્યો હોય તો ને? મેઘગર્જના ભીષણ હોય છે ખરી, અને તે આખું આકાશ વ્યાપે છે એ પણ ખરું, પણ તે સતત નથી હોતી. અહીં તો તમે સાંભળી સાંભળીને થાકો તોય અવાજ તો થોભે જ નહીં. અહીં શું વાદળાં તૂટે છે, તોપો ફૂટે છે, પહાડના મોટા મોટા પથરાઓની ધાણી ફૂટે છે કે નદી પોતાનું ધ્યાનમૌન છોડી મહારુદ્રનો સ્તવરાજ બોલે છે?

“હવે કેવું દૃશ્ય આવશે.” “હવે કેવું દૃશ્ય આવશે” એવા કુતૂહલથી અમે આંખો ફાડીને ચારે કોર જોતાં જોતાં મુસાફરખાના સુધી પહોંચ્યાં. જ્યાંથી ધોધનું દર્શન સૌથી સરસ થાય છે ત્યાં જ મૈસૂર રાજ્ય તરફથી એ અતિથિશાળા બાંધેલી છે. અમે નિરીક્ષણના ઓટલા પર જઈ પહોંચ્યા. પણ શું? સર્વવ્યાપી ધુમ્મસ વગર કાંઈ જ દેખાય નહીં અને ધોધ તો ગંભીર અવાજે આખી ખીણને ગજવતો જ જાય. ખરે બપોરે પણ સૂરજનાં દર્શન ન થાય. જ્યાં જુઓ ત્યાં ધુમ્મસ, ધુમ્મસ ને ધુમ્મસ. ધુમ્મસના ગોટેગોટા જાણે કુરુક્ષેત્રનું મહાયુદ્ધ મચાવે છે અને જોગ પોતાના તાલનો એને જોગ આપે છે. આટલી આશાએ આવ્યા પછી આવો તમાશો અમને કોઈ કાળે મળ્યો ન હતો. મિનિટો જતી જાય અને અમારી નિરાશા સાથે ધુમ્મસ પણ વધતું જ જાય. આખરે અમે મૌન તોડી માંહોમાંહે વાતો કરવા લાગ્યા. વાતો માટે કાંઈ ખાસ વિષય નહોતો. પણ નિરાશાનું પોલાણ ભરી કાઢવા માટે કંઈક જોઈતું હતું એટલું જ.

ઇંદ્રદેવ કોપ્યો છે કે વરુણદેવ રિસાયો છે એનો હું વિચાર કરતો હતો એટલામાં વાયુદેવે મદદ કરી અને એક ક્ષણને માટે – ફક્ત એક જ ક્ષણને માટે – ધુમ્મસનો એ જાડો પડદો દૂર થયો અને જિંદગી આખી જેને માટે તલસતો હતો તે અદ્ભુત દૃશ્ય આખરે નજરે પડ્યું! મહાદેવના માથા પર ગંગા અવતરે તેમ એક મોટો ધોધ, નીચેની કરાડમાંથી બહાર નીકળી આવેલા હાથી જેવા પથરા પર પડી, પાણીનો લોટ બનાવી, બધી દિશાએ એની સેરો છોડે છે!!

ના, એ દૃશ્યનું વર્ણન થાય જ નહીં. આશ્ચર્યમગ્ન થઈ હું બોલી ઊઠ્યો:

नम: पुरस्तात्, अथ पृष्ठतस् ते नमोऽस्तु ते सर्वत एव सर्व। अनन्त-वीर्यामित-विक्रमस् त्वम् सर्वं समाप्नोषि ततोऽसि सर्व:॥

તરત જ સામો હાથી જેવો પથરો માથા પરથી ધોધની જટા ખંખેરતો બોલ્યોઃ

सुदुर्दर्शम् इदं रूपं दृष्टवान् असि यन् मम। देवा अप्यस्य रूपस्य नित्यं दर्शन-काङ्क्षिण:॥

ધુમ્મસનો પડદો ફરી પહેલાંની જેમ જામ્યો અને પછી તો અમે જે જોયું તે સ્વપ્ન હતું કે માયા હતી કે મતિનો ભ્રમ હતો એવી અમારી સ્થિતિ થઈ ગઈ! આવડી વિસ્તીર્ણ ખીણ, પેલું પહોળું પાત્ર, તે ભયાનક ઊંડાણ અને એની વચ્ચે પાણીનો નહીં પણ લોટનો – અરે મેંદાનો – પેલો અદ્ભુત ધોધ: આખું દૃશ્ય કલ્પનાતીત હતું. આપણે નરી આંખે જોઈએ છીએ એ સાચેસાચું જ છે એવી પ્રતીતિ દૃઢ થાય એ પહેલાં જ ધુમ્મસનો ક્ષીરસાગર ફરી ફેલાયો. અને અમે સામેના કાવ્ય સાથે એમાં ડૂબી ગયાં.

હવે કોઈ કોઈની સાથે બોલે નહીં. જે જોયું એના પર વિચાર કરવા લાગ્યાં. કાંઈ ન હતું તેમાંથી આવડી ઊંચી અને ઊંડી સૃષ્ટિ ક્યાંથી પેદા થઈ અને જોતજોતામાં ફરી ક્યાં અલોપ થઈ, એ જ આશ્ચર્યે અમને ઘેરી લીધાં.

મનમાં થયું કે ભલે એક ક્ષણને માટે પણ જે જોવા આવ્યાં હતાં તે જોયું. અદ્ભુત રીતે જોયું. એક ક્ષણને માટે જે દર્શન થયું એના સ્મરણ અને ધ્યાનમાં ગમે ત્યારે ઘડી પછી ઘડીઓ પસાર કરી શકાય.

એટલામાં ધોળી જટાવાળો પેલો પથરો ફરીથી બોલ્યો:

व्यपेतभी: प्रीतमना: पुनस् त्वं तदेव मे रूपम् इदं प्रपश्य॥

ધુમ્મસનું પડળ ફરી દૂર થયું અને હવે તો આ છેડેથી પેલા છેડા સુધી બધું જ સ્પષ્ટ દેખાવા લાગ્યું. સામી બાજુથી છેક ડાબા છેડા પર રાજા ધોધ અર્ધચંદ્રાકાર પથરા પરથી નીચે ભૂસકો મારતો હતો. એનાં પાણી વરસાદના કાદવને લીધે કોફીના રંગનાં થયાં હતાં. પણ વધારેમાં વધારે પાણી રાજાને જ મળે છે. છાતી ફુલાવતો ફુલાવતો જ્યારે એ સીધો સોંસરો નીચે પડે છે ત્યારે કુદરતની શક્તિ કેટલી અમાપ છે તેનો ખ્યાલ આવે છે. રાજા ધોધનો વિસ્તાર પણ કાંઈ નાનો નથી અને એની બંને બાજુઓ ઉપર મોટાં મોટાં મોતીના કેટલાયે હારો લટકતા દોડે છે. સાચે જ એ ધોધ રાજા નામને લાયક છે.

એની પડખેના જે ધોધનું દર્શન મને સૌથી પહેલવહેલું થયું હતું તે ખરું જોતાં ત્રીજો હતો. એ વીરભદ્ર. વચલો એક ધોધ રુદ્ર આ બાજુથી સ્પષ્ટ દેખાતો જ નથી. એ પગથિયે પગથિયે બરાડતો આખરે રાજામાં ભળી જાય છે.

છેક જમણી બાજુ એક નાનકડો ધોધ છે. એની કેડ કાંઈક પાતળી છે એટલે એનું નામ મેં પાર્વતી પાડ્યું. ધરાઈ ધરાઈને જોયા પછી અમારી વાતો ફરીથી ચાલી. પોતે જે કંઈ જોયું હોય તે બીજાને બતાવવાની હોંશ ન હોય તો તે માણસ, માણસ નથી. માણસ સંચારશીલ છે, સંવાદશીલ છે; પોતે જે અનુભવ્યું, તે જ બીજાઓ પણ અનુભવે છે – અનુભવી શકે છે – એવી ખાતરી કર્યા વગર એને પરમ સંતોષ નથી થતો. રાજાજીએ ધ્યાન ખેંચ્યું, “આ નીચે તો જુઓ! આ ઠંડી વરાળના ગોટેગોટા કેવા ઉપર કૂદી આવે છે?” દેવદાસ કહે, “એ પેલાં પક્ષીઓ જુઓ! કેવાં નિર્ભય થઈને ઊડે છે?” મણિબહેને એવું જ કાંઈક ઉમેર્યું અને લક્ષ્મીએ પોતાના અણ્ણાને તામિલ ભાષામાં ઘણું ઘણું સમજાવી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. અમારી સાથે એક ભાઈ હતા તે રસ્તામાં વગર કારણે ચિડાયા હતા. અમે જ્યારે આ સ્વર્ગીય દૃશ્યના આનંદમાં ગાંડાંતૂર થયાં હતાં ત્યારે પેલા ભાઈને પોતાનું માની લીધેલું અપમાન જ વાગોળવું હતું. ચંદ્રશંકરે એની એ સ્થિતિ તરફ મારું ધ્યાન ખેંચ્યું. હું મનમાં બોલ્યો:

पत्रं नैव यदा करीर-विटपे दोषो वसंतस्य किम्? नोलूकोप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम्?

આ જગતમાં નિરાશા, ગેરસમજ, અપ્રતિષ્ઠા કે વિયોગ એ સાચાં દુ:ખો નથી, પણ અહંકાર એ જ મોટામાં મોટું દુ:ખ છે. અહંકારની વિકૃતિ મોટા ધન્વંતરિ પણ દૂર ન કરી શકે.

પેલા ભાઈની અનેક જાતની મૂંઝવણો અને વિકૃતિઓ હું જાણતો હતો. તેથી ગેરસપ્પાના ધોધ આગળ પણ એને ચાર ક્ષણ આપ્યા વગર મારાથી રહેવાયું નહીં. મેં એને ગેરસપ્પાની થોડીક માહિતી આપી અને એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો.

રાજા ધોધની પાછળની બખોલમાં અસંખ્ય પક્ષીઓ રહે છે અને દૂર દૂરનાં ખેતરોમાંથી વીણી લાવેલા `ઉચ્છિષ્ટ’ અને ઉત્કૃષ્ટ દાણા સંઘરે છે. એ સંગ્રહ એટલો મોટો હોય છે કે સરકાર તરફથી એની હરાજી થાય છે, એમ એક વાર કોઈની પાસેથી સાંભળેલું. મધમાખોનું મધ લૂંટનાર માનવપ્રાણી પક્ષીઓનો સંગ્રહ પણ લૂંટે એમાં નવાઈ શી? જે સંગ્રહ કરે તે લૂંટાય એવી સૃષ્ટિની જ વ્યવસ્થા દેખાય છે: परिग्रहो भयायैव ।

ફરી પડળ ફેલાયું અને મને અંતર્મુખ થઈ વિચારમાં ડૂબી જવાની તક મળી. આવા ભવ્ય દેખાવોનું રહસ્ય શું? ભૂગોળવેત્તાઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓ ઝટ કહી દેશે કે અહીંનો પહાડ નિસ્ કોટિનો પથરાના પડનો બનેલો છે. ખીણમાંથી એક કરાડ તૂટી હશે તેથી આસપાસની માટી ધોવાઈ ગઈ. એક વાર ધોધ શરૂ થયો એટલે નીચલી જમીનને વધુ ને વધુ ઊંડી ખોદતો જાય અને જ્યાંથી ધોધ શરૂ થાય છે તે ખૂણાને ઘસતો જાય. ઉપરનું એ કપાળ જો સખત પથરાનું હોય તો ઊંચાઈ હજારો વર્ષ સુધી ટકે. ધોધથી સમુદ્ર બહુ દૂર નહીં હોવાથી નદીનો આગળનો ભાગ સાફ થઈ ગયો છે અને ધોધની ઊંચાઈ કાયમની રહી છે. આ તો ધોધનું જડ રહસ્ય થયું. કોઈ આધુનિક યાંત્રિકને પૂછશો તો તે કહેશે: એકલા ગેરસપ્પાના ધોધમાં એટલું પ્રચંડ સામર્થ્ય છે કે મૈસૂર અને કાનડા બંને જિલ્લાઓને જોઈએ એટલી શક્તિ એ પૂરી પાડી શકે. પછી તમે એમાંથી વીજળી લો. દરેક શહેર અને ગામડાને પ્રકાશિત કરો. કારખાનાં ચલાવો અને તમારા મુલકના કે બીજા મુલકના ગમે તેટલા માણસોને મજૂરી વગરના બનાવી દો.

જે કંઈ કુદરત પાસેથી લાભ મળે તે પૃથ્વીનાં બધાં જ બાળકો અંદર અંદર સમજીને વહેંચી લઈએ અને જીવનયાત્રાનો બોજો હળવો કરીએ, એવી બુદ્ધિ માણસોને સૂઝે ત્યારની વાત જુદી છે, પણ આજે તો માણસના હાથમાં કોઈ પણ જાતની શક્તિ આવી ગઈ કે તરત જ એ બીજા માણસો ઉપર સરસાઈ ભોગવવાને જ મથે છે. પછી એ સરસાઈ મારીને મળતી હોય, ગુલામ બનાવીને મળતી હોય કે અર્ધપેટે રાખીને મળતી હોય.

મૈસૂર રાજ્ય સુધરેલું છે. મોટા મોટા એન્જિનિયરોએ દીવાનપદ શોભાવીને અહીંની સમૃદ્ધિ વધારવાના પ્રયત્નો કર્યા છે. આખી દુનિયાને જોઈતું ચંદનનું તેલ તો એકલું મૈસૂર રાજ્ય જ પૂરું પાડે છે એમ કહીએ તો એમાં ઝાઝી અતિશયોક્તિ નથી. હિંદુસ્તાનની મોટામાં મોટી સોનાની ખાણો મૈસૂરમાં જ છે. ભદ્રાવતીના લોખંડના કારખાનાની કીર્તિ વધતી જ જાય છે અને કૃષ્ણસાગર તળાવ માનવી-પરાક્રમનો એક સુંદર નમૂનો છે. એ મૈસૂર રાજ્યને ગેરસપ્પાનો ધોધ વટાવી ખાવાની બુદ્ધિ નથી સૂઝી એમ તો ન જ બને, પણ હજી એ અમલમાં નથી આવી, એટલું જ. આટલી શક્તિનો ઉપયોગ શો કરવો એ સૂઝ્યું નથી, કે સરહદનો ઝઘડો આડે આવે છે, કે ત્રીજું જ કારણ છે તે હું ભૂલી ગયો છું. પણ એટલું ખરું કે ગેરસપ્પાની શોભા હજી એટલી ને એટલી જ પ્રાકૃતિક, ઉદાત્ત અને અક્ષુણ્ણ રહી છે.

ભગિની નિવેદિતાએ કરેલી પ્રખ્યાત તુલનાનું અહીં સ્મરણ થાય છે. કોઈ પણ સ્થાનની રમણીયતા હિંદવાસીને આકર્ષે કે તરત એણે એનું ધાર્મિક રૂપાંતર કર્યું જ છે. હિંદનું હૃદય કોઈ અદ્ભુત, રમણીય કે ભવ્ય દૃશ્ય જુએ કે તરત એને થાય છે કે આ તો ગાય વાછરડાને બોલાવે તેમ પરમાત્મા જીવાત્માને બોલાવે છે. નાયગરાનો ધોધ જો હિંદુસ્તાનમાં ગંગામૈયાના પ્રવાહમાં હોત તો અહીંની જનતાએ એનું કેવું વાતાવરણ કરી મૂક્યું હોત! આમોદપ્રમોદ અને ઉજાણીની ટોળીઓને બદલે અને રેલવેના મુસાફરોને બદલે ધોધની પૂજા કરવા માટે વાર્ષિક અથવા માસિક યાત્રાળુઓનાં ટોળેટોળાં ભેગાં થાત. ભોગવિલાસનાં બધાં સાધનો પૂરાં પાડનાર હોટેલોને બદલે ધોધને કાંઠે, અથવા ધોધની વચોવચ પણ, ઊભરાતા હૈયાની ભક્તિ ઠાલવવા માટે મોટાંમોટાં મંદિરો હોત. સૃષ્ટિનો વૈભવ જોઈ ભપકાદાર અમનચમન અને મોજમજાને બદલે લોકોએ અહીં તપ કર્યું હોત અને આવડી પ્રચંડ શક્તિને માણસના ફાયદા માટે અને સુખસગવડ માટે બંદીવાન કરવાનું સૂઝવાને બદલે કુદરત સાથેનું ઐક્ય અનુભવતી મસ્તીમાં ભૈરવજાપ ખાઈ પાણીના પ્રવાહમાં પોતાનો જીવનપ્રવાહ ભેળવી દેવાનું જ સૂઝત. સ્વભાવભિન્નતામાં કંઈ બાકી રહે છે!

પણ શું કુદરતની ભવ્યતા જોઈ એમાં પોતાનો દેહ છોડી દેવો એમાં આધ્યાત્મિકતા છે? ના. દેહનાં બંધનો તૂટી જાય, “ગમે તે ભોગે જીવીશ જ” એ જાતની પામર જીવનાશા માણસ છોડી દે, એમાં આધ્યાત્મિક પ્રગતિ છે એ વિશે શંકા નથી. પણ એ સ્થાયી વૃત્તિ હોવી જોઈએ. ક્ષણિક ઉન્માદનો કાંઈ જ અર્થ નથી. ફના થવાની ઇચ્છા એ દરેક માણસમાં કોક વખતે આવે જ છે. ઇશ્કની એ એક વિકૃતિ છે. એમાં અમુક આધ્યાત્મિક તત્ત્વોની ઝાંખી જોઈ એના પર ફિદા થવું એ મનુષ્યજીવનની મહત્તાને શોભતું નથી. બુદ્ધ ભગવાને પોતાની અચૂક નજરે એને વિભવતૃષ્ણાનું નામ આપી ધિક્કારી કાઢી છે. વિભવ એટલે નાશ. ભગવાન મનુએ પણ એ જ વસ્તુ સ્પષ્ટ શબ્દોમાં કહી છે:

नाभिनन्देत मरणम्; नाभिनन्देत जीवितम्॥

ગેરસપ્પાના જોગ જેવા રોમહર્ષણ દૃશ્ય આગળ યંત્રનો, શક્તિનાં હોર્સપાવરનો, વીજળીના પ્રકાશનો અને કારખાનાંઓનો વિચાર કરવો એ આત્માને ભૂલી જઈ બાહ્ય વૈભવનું ધ્યાન કરવા બરાબર છે, એ વિશે શંકા નથી. પણ આસપાસનો મુલક દુષ્કાળથી પીડાતો હોય, લોકો અનેક રોગોના ભોગ થઈ પડતા હોય અને પ્રજાનું એ દુ:ખ દૂર કરવાનો ઉપાય આ ધોધનાં પાણી બીજી રીતે વાપરવાથી જ થતો હોય, તો તે વખતે આપણો કેવો આગ્રહ હોય? સૃષ્ટિસૌંદર્યના રસિયા એવા આપણા ચિત્તના આહ્લાદક સાધનને – ધોધને – એમ ને એમ રાખીએ કે આપદગ્રસ્ત એવા આપણા ભાઈઓને દુ:ખમુક્ત કરવા માટે એનો ભોગ આપીએ? અનાજ પૂરતું મળતું ન હોય એવે વખતે એને ઠેકાણે એ અનાજની ખેતી છોડીને ગુલાબની ખેતી કરીએ તો એથી આપણો હૃદયવિકાસ થશે ખરો? ગુલાબમાં કાવ્ય છે, અનાજમાં કારુણ્ય છે. બેમાંથી કયું પસંદ કરીએ? ઇંગ્લૅન્ડમાં પ્રાચીન રાજાએ અનેક ગામડાંઓ ઉજ્જડ કરી મૃગયા માટે એનું મહાન ઉપવન તૈયાર કર્યું. રાજા મરદાની રમતનો રસિયો હતો એ વિશે શંકા નથી, પણ સવાલ એ છે કે એને પ્રજાસેવક ગણાય કે નહીં. કળા સામે સેવાનો સવાલ આવીને ઊભો રહે, કાવ્યની કે કારુણ્યની કઈ વૃત્તિ પોષવી એ નક્કી કરવાનું હોય, ત્યારે નિર્ણય કઈ કસોટી પર કસીને આપવો? રોમ બળતું હોય અને નિરો ફિડલ વગાડવા બેસે અને મિથિલા બળતી હોય ને જનક રાજા આધ્યાત્મિક ચર્ચા કરતા હોય એમાં ફરક છે. પ્રજાસેવામાં જેટલું થઈ શકે એટલું બધું કર્યા પછી નાહકની ચિંતામાં હૈયું બાળવા કરતાં હૈયામાં અંતર્યામીનું સ્મરણ દૃઢ કરવાનો પ્રયત્ન આર્યવૃત્તિને સૂચવે છે. મુઠ્ઠીભર લોકોનાં વિલાસ કે ઐશ્વર્ય માટે કુદરતની શક્તિનો ઉપયોગ કરવો અને પ્રાકૃતિક સૌંદર્યનો નાશ કરવો એ અધર્મ છે. પણ પ્રાણીઓના આર્તિનાશનથી થતો હૃદયવિકાસ છોડી પ્રકૃતિના વિભૂતિદર્શનમાંથી તે શોધવાની ઇચ્છા રાખવી એ ઇષ્ટ છે કે કેમ એ વિચારવા જેવું છે.

પેલા રિસાયેલા ભાઈ પોતાના કલ્પેલા અપમાનની બળતરામાં સામેના દૃશ્યને ભૂલી ગયા હતા અને હું મારા તાત્ત્વિક કલ્પનાવિહારમાં શૂન્ય નજરે સામે જોતો હતો. બંને અભાગિયા હતા, કેમ કે કલ્પના કે બળતરા ચલાવવાને માટે પાછળથી ગમે તેટલો વખત મળત. ધુમ્મસનું પડળ ફરી ઘેરાયું. હવે કંઈ ધોધ ફરી દેખાવાનો હતો? રાજાજીએ કહ્યું, “ઉનાળામાં જ્યારે ધોધ પડે છે ત્યારે પાણીનાં તુષાર ઉપર જાતજાતનાં ઇન્દ્રધનુષ દેખાય છે. તે વખતની શોભા સાવ જુદી જ હોય છે.” અને ચાંદની રાત્રિમાં પણ કંઈ ધનુષ્ય નથી નીકળતાં એમ નથી. મૈસૂરનો સર્વસંગ્રહ(ગૅઝેટિયર) લખે છે કે ઘાસના મોટા મોટા ભારા સળગાવી ધોધમાં છોડી દેવાથી અંધારી રાત્રિએ આખી ખીણ સળગી ઊઠી હોય એમ દેખાય છે. કેટલાક લોકોએ રાત્રે આતશબાજીનાં અનેક બાણ છોડીને પણ અહીં અદ્ભુત આનંદ મેળવ્યો છે. ઉત્પાતિયો માનવી શું શું ન કરે? મને તો એવું કશું ન ગમે. આવે ઠેકાણે કુદરત જે ખોરાક પીરસે તેની સ્વાભાવિક રુચિ અનુભવવામાં જ ખરી રસિકતા છે. માનવી-મસાલા ઉમેરવાથી સ્વાદ અને પાચનશક્તિ બંને બગડી જાય.

હવે અમે બંગલાની અંદર પહોંચ્યાં. સાથે ખાવાનું આણ્યું હતું તે ઉદરસ્થ કર્યું. અહીંનું પાણી તો પિવાય નહીં, તુરત મલેરિયા તાવ લાગુ પડે. ઘણાખરાઓએ તો ગરમ ગરમ કૉફી પીને જ તરસ છિપાવી. મેં તો તે દિવસે ચાતકની પેઠે વરસાદનાં થોડાંક ટીપાં મેળવીને જ સંતોષ માન્યો.

ધોધનું ફરી એક વાર દર્શન કરી અમે પાછાં ફર્યાં. હવે તો બધી રીતે સ્પષ્ટ થયું કે ધોધ ત્રણ નથી પણ ચાર છે. ડાબી બાજુનો પહેલો મોટો ધોધ તે રાજા, એની પડખેની ખીણમાં આક્રોશ કરતો અને એને આવીને મળનાર `રોઅરર’ (Roarer) તે મારો રુદ્ર. માથા પર ફુવારાની ધોળી જટા ફૂલેલી બતાવનાર તે `રૉકેટ’. તેને હવે વીરભદ્ર કહ્યા વગર છૂટકો નહોતો. અને છેલ્લે આવતા બાજુના ધોધનું તન્વંગી પાર્વતી એ જ નામ મેં કાયમ કર્યું. અંગ્રેજોએ રુદ્રને Roarer નામ આપ્યું છે, વીરભદ્રને Rocket, અને પાર્વતીનું નામ Lady પાડ્યું છે.

હવે અમે પાછાં ચાલ્યાં. પગે જળો બાઝવાની બીક હતી. અહીંના લોકોએ અમને બધાંને ચેતવણી તો આપી જ હતી કે ચેતીને ચાલજો. જળો ચોંટશે તો ખબરે ન પડે અને લોહી ચુસાશે. મેં કહ્યું, તેની ચિંતા નહીં કરતા. અંગ્રેજોને ઓળખતા થયા છીએ તો જળોથી નહીં ચેતીએ? છતાં લગભગ એકેએકના પગે એકેક જળો તો ચોંટી જ ગઈ. મારા શરીરમાં લોહીનું ઝાઝું આકર્ષણ નહીં હોવાથી, કે મારું લોહી કડવું હોવાથી, કે કાકદૃષ્ટિથી હું જોઈ જોઈને ચાલતો હતો તેથી, કોણ જાણે હું તો બચી ગયો હતો. અમે થોડાંક આગળ ચાલ્યાં પણ મણિબહેનથી રહેવાયું નહીં. “જરા રહો. ફરી એક વાર બની શકે તો આ બાજુથી ધોધનાં દર્શન કરી આવું.” “પણ ધુમ્મસ ઊઘડે જ નહીં તો?” “ન ઊઘડે તો કંઈ નહીં, પાછાં આવીશું, પણ એક વાર જોવા તો દો.”

પાછાં આવતાં રસ્તાનો એક ફાંટો ફંટાયો હતો એ રસ્તે જઈને કેટલાકોએ પાર્વતીનું નજીકથી દર્શન કર્યું અને ત્યાં જમીન લપસણી હોવાથી પાર્વતીને `વંદે માતરમ્’ કહી સાષ્ટાંગ પ્રણિપાત પણ કર્યો!

જતાં જે રસ્તે અજ્ઞાત અને અનનુભૂત દશાનું કાવ્ય અનુભવ્યું હતું તે જ રસ્તે પાછાં વળતાં સંસ્મરણોનું સ્મૃતિકાવ્ય અમે અનુભવવા લાગ્યાં. જોકે એ ને એ જ દૃશ્યો ઊલટી દિશાથી જોવામાં નવીનતા ઓછી ન હતી. જે ઝાડ વિશે, જતાં અમે વાતો કરી હતી એ જ ઝાડ પાછાં આવતાં ધ્યાન ખેંચે જ; એટલે એ ઓળખીતા ભાઈઓને “કેમ છો” કરીને કુશળ પૂછ્યા વગર તો આગળ શી રીતે જવાય? અને ઝાડ ઝાડ વચ્ચે પ્રેમનો પુલ બાંધનાર વેલાઓ? એમની નમ્રતાને નમન કર્યા વગર આગળ જાય તે અરસિક. અમે ધીમે ધીમે નદીના કાંઠા સુધી આવી પહોંચ્યાં. હવે એ ને એ જ શાંત પ્રવાહ ઉપર થઈને પાછા જવું હતું. ધુમ્મસનાં વાદળાં વિખેરાયાં હતાં. નદીનાં શાંત પાણી ધીમે ધીમે ધોધ તરફ જતાં જોઈ મારા મનમાં બલિદાન માટે જતાં ઘેટાંના ઝુંડનું ચિત્ર ખડું થયું. મેં એ પાણીને કહ્યું કે, “આવડું મોટું અધ:પતન તમારા ભાગ્યમાં લખાયેલું છે એનો ખ્યાલ સરખો તમને નથી, તેથી જ આટલા સ્વસ્થ ચિત્તે તમે આગળ વધો છો. અથવા નહીં – હું જ ભૂલું છું. તમે જીવનધર્મી છો. તમને વિનાશનો ભો શો!”

प्राय: कन्दुक-पातेन पतत्यार्य: पतन्नपि।

જેટલી ઊંચાઈથી પડશો તેટલાં જ ઊંચાં ઊછળશો. “તમારી દયા ખાનાર હું કોણ?” શરાવતીનાં પવિત્ર પાણીનો સ્પર્શ કરવા મેં મારો હાથ લંબાવ્યો ત્યાં પાણી ખળખળ હસીને બોલ્યાં: ‘न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात! गच्छति।’ હોડી આ કાંઠે આવી ગઈ અને અમને સૂઝ્યું કે મોટર આ બાજુ જરા નીચે દોડાવીએ તો એ જ ધોધની ફરી જમણી જાત્રા પણ થશે. અમે જઈ આવ્યાં હતાં એ બાજુને મૈસૂર-બાજુ કહે છે. અને જમણી બાજુએ જવા ઊપડ્યાં એ મુંબઈ-બાજુ તરીકે ઓળખાય છે, કેમ કે જોગ એ બે રાજ્યની સરહદ ઉપર છે.

અહીં તો અમે સાવ નજીક આવી ગયાં. મોટા મોટા ખડક વચ્ચે થઈને હું દોડવા લાગ્યો. બે વરસના માંદા તરીકે મારી ખ્યાતિ ઠીક ઠીક ફેલાયેલી હતી. એટલે મને દોડતો જોઈ રાજાજીને આશ્ચર્ય થયું. કોકે કહ્યું, “એ તો મહારાષ્ટ્રના માવળા છે અને હિમાલયના યાત્રી પણ ખરા જ. માછલાંને પાણી તેમ આ મરાઠાઓને ડુંગર.” મારે ક્યાં આ વચનો સાંભળવા થોભવું હતું? હું તો દોડતો દોડતો રાજા ધોધને પડખે પેલી પ્રખ્યાત કરાડ છે ત્યાં જઈ પહોંચ્યો. અહીં ઊભા ઊભા નીચે જોવાય જ નહીં. ચક્કર આવીને માણસ પડી જ જાય. કાનમાં ચારે ધોધના અવાજ એટલા ભરાઈ ગયા હતા કે બીજું કંઈ સાંભળવા જેટલી એમાં જગ્યા જ રહી નહોતી. જેમ ધોધનાં પાણી ઉપરથી નીચે ખીણમાં પડી ફરી ઊંચે ઊછળતાં હતાં તેમ કાનમાંથી અવાજ પણ પાછા ઊછળતા હોવા જોઈએ. મારું પ્રથમ ધ્યાન ખેંચ્યું રાજાના ગંડસ્થળ પરથી લટકતા મોતીના હારે અને જળપ્રલયમાંથી લોકોને બચાવવા જેમ વીર તારાઓ ભૂસકો મારે તેમ આ બાજુના ધોધમાં થઈને યુક્તિથી પસાર થનાર પક્ષીઓએ. શું આ પક્ષીઓને આ ધોધની ભીષણ ભવ્યતાનો ખ્યાલ જ નથી આવતો, કે ઈશ્વરે એમનાં હૈયાંમાં એટલી હિંમત પ્રેરી છે? મને લાગે છે કે આગંતુક પક્ષીઓ તો આટલી હિંમત નહીં કરે. આ જોગવાસીઓ અહીં જ જન્મેલાં, ધોધના પડળની સુરક્ષિતતામાં ઊછરેલાં. સિંહનાં બચ્ચાં સિંહણથી ન ડરે. સાગરનાં માછલાં મોજાંઓમાં માણે, તેવી જ રીતે આ જોગનાં બાળકો જોગ સાથે રમતાં હશે.

રાજાધોધ મૈસૂર-બાજુએ દૂરથી જોયો હતો ત્યારે એની અસર જુદી થતી હતી. અહીં તો જાણે હાથીના ગંડસ્થળ ઉપર જ સૂતાં હોઈએ એટલાં નજીક અમે હતાં. ઉપરનાં પાણી ધોધ તરફ એવાં તો ખેંચાતાં હતાં કે જાણે કોઈ મહાપ્રજા જાણ્યે-અજાણ્યે, મને-કમને મહાન ક્રાંતિ તરફ ધસતી હોય! મહાપ્રજા જ્યારે સામાજિક અને રાજકીય સુધારાઓના વેગમાં તણાય છે ત્યારે આગળ શું આવવાનું છે એનો એને ખ્યાલ નથી હોતો. અને ખ્યાલ હોય તોય, “આપણી બાબતમાં એ સાચું નહીં ઠરે, આપણે જેમતેમ બચી જઈશું,” એવી આંધળી આશા રાખે છે. દરમ્યાન સુધારાનો કેફ વધતો જ જાય છે. અંતે જહાલ લોકો સંયમ સૂચવે છે, જ્યારે મૉડરેટ લોકો આંધળા થઈ બેજવાબદાર લોકો જોડે ભળી જાય છે અને પછી ઇચ્છે તોય પાછા ફરી શકતા નથી! અથવા પોતે પાછા ફરે તોય શું? ધનુષ્યમાંથી છૂટેલું બાણ કોઈ કાળે પાછું ખેંચાયું છે? જે અટળ ન હોય તે ક્રાંતિ શાની?

ધોધનાં પાણી નીચે ક્યાં પહોંચે છે એ જોવું કે જાણવું અશક્ય હતું, કેમ કે ઊછળતાં પાણીનાં મોટાં મોટાં વાદળાં ધોધના પગને વીંટળાઈ વળ્યાં હતાં. શું એ પાણીનો ગાંડો ઉત્સવ! જાણે મહાદેવ સંહારકારી તાંડવનૃત્ય જ નાચી રહ્યા છે અને સામેનો રુદ્ર એને તાલ દે છે. પણ રોમાંચકારી શોભાનો પરમ ઉત્કર્ષ તો પેલો વીરભદ્ર જ બતાવે છે. તમને લાગે જ નહીં કે અહીં પાણી પડે છે, પાણી ઊડે છે. મોટી મોટી તોપોમાંથી ગોળાને જોરે કોરા લોટના ફુવારા ઊડતા હોય એવો એ દેખાવ હતો. એ દેખાવનું વર્ણન શબ્દમાં આવી જ ન શકે, કેમ કે શબ્દો “શાંતિ અને વ્યવસ્થા” વચ્ચે ઊછરેલા હોય છે.

અમે પડ્યાં પડ્યાં અહીંથી આ દૃશ્ય ધરાઈને જોયું અથવા સાચું કહીએ તો ગમે તેટલા પડ્યા હોઈએ તોયે ધરાવું અશક્ય છે એની ખાતરી થાય ત્યાં સુધી જોયું. અમે ઊઠીને પાછાં ફર્યાં. પાછા ફરવું સહેલું નહોતું. એકાદ જણ ઊઠે જ નહીં. એને ખેંચી લાવવા બીજો જાય એ પોતે જ નયનોત્સવમાં ચોંટી જાય. પહેલો પસ્તાય અને ઊઠે તોય બોલાવવા પાછો ગયેલો ઊઠે નહીં. અને જ્યાં બંને માંડ સંયમ કરી પાછા ફરે છે ત્યાં બંને ઉપર ચિડાઈને વઢવા આવેલા ત્રીજા ભાઈ એક ઘડીક માટે આંખને તૃપ્ત કરવા માટે ત્યાં ઊભા રહે અને પેલા બે જણાના સંયમને જરાક મોળો કરે. બે જણના મનમાં થાય: આટલા ચિડાયેલા સમાજનિયંતા ભાઈ જેટલી છૂટ લે છે તેટલી આપણે લઈએ તો તેમાં કશું ખોટું નથી. આપણે ક્યાં એમના કરતાં વધારે સંયમી હોવાનો દાવો કરીએ છીએ? મને થયું કે એ પેલા ખડક ઉપર પહોંચું તો રાજાના પાણીમાં પગ બોળી શકું, પણ નદીનાં પાણી સહેજ વધતાં હતાં એમાં એ ખડક નાનો સરખો બેટ થયો હતો એટલે રાજાજીએ મને વાર્યો. મને પણ થયું કે એમનું નહીં માનું તો બેવડી ઉદ્ધતાઈ થાય. રાજાજીની આજ્ઞા કેમ ઉથાપાય? અને `રાજા’ને માથે પગ કેમ મુકાય?

અમે પાછાં વળ્યાં. ભક્તિ, વિસ્મય, માનવીજીવનની ક્ષણભંગુરતા, દૃશ્યની ભવ્યતા, આ ક્ષણની ધન્યતા, એમ કેટલીયે વૃત્તિનાં વાદળાં હૈયામાં ભરાયાં હતાં અને ત્યાંથી પેલા વીરભદ્રની પેઠે માથામાં પોતાનાં બાણ છોડતાં હતાં. વિચારની આ આતશબાજી અદ્ભુત હોય છે. હૃદયમાંથી બાણ છૂટે છે અને સોંસરું માથા સુધી પહોંચી ત્યાં ફૂટે ત્યારે સ્વસ્થ શરીર કેવું અસ્વસ્થ થઈ જાય છે, એનો જેણે અનુભવ કર્યો હોય તે જ એનો ચમત્કાર જાણે.

આ ઠેકાણે મંદિર કેમ નથી? આપણાં લોકોનાં મંદિરો એટલે જન્મભૂમિનાં કાવ્યમય સ્થાનો. પહાડનું અમુક શિખર ઉત્તુંગ છે? ત્યાં કોઈ ઋષિ ધ્યાન ધરવા જઈ બેઠા જ છે અને ભક્તોએ ત્યાં એક મંદિર બાંધ્યું જ છે. પછી એ પૂના પાસેની પર્વતી હોય, ચંપાનગરી પાસેનું પાવાગઢ હોય, જૂનાગઢ પાસેનું ગિરનાર હોય કે હિમાલય પાસેનું કૈલાસ શિખર હોય. દક્ષિણ તરફ દોડનારી નદી અમુક ઠેકાણે ઉત્તરવાહિની થઈ છે? ચાલો ત્યાં ગોઠવો એક તીર્થ. કરોડો લોકો આવે અને પાવન થઈ જાય. મોટી મોટી બે નદીઓ એકબીજીને મળે છે? તો એ પ્રયાગ ઉપર આપણા સંતોએ ત્રીજી પોતાની સરસ્વતી વહેવડાવી જ છે. બધી યાત્રાઓ પૂરી થઈ અને સમુદ્ર સુધી પહોંચ્યાં? ત્યાં ભક્તોએ જગન્નાથને અથવા સેતુબંધ મહાદેવને બેસાડ્યા જ છે. જ્યાં જમીનનો અંત દેખાયો ત્યાં કાં તો કન્યાકુમારી હોય અથવા દેવેન્દ્ર હોય. લાંબા લાંબા રણમાં એકાદ સરોવર દેખાય તો એ નારાયણનું જ સરોવર છે, એની પૂજા થવી જ જોઈએ. અને ક્ષીરભવાની!

આપણા સંતકવિઓએ તીર્થસ્થળો ક્યાં ક્યાં કલ્પ્યાં છે એ શોધવા જઈએ તો હિંદુસ્તાનની આખી ભૂગોળ પૂરી કરવી પડશે. મુસલમાન સંતોએ અને રોમન કૅથલિક પાદરીઓએ પણ આપણા દેશમાં એવી જ રીતે અદ્ભુત કાવ્યમય સ્થાનો પસંદ કર્યાં છે અને ત્યાં પૂજા-પ્રાર્થનાની સગવડ કરી છે. ત્યારે આ ધોધ પાસે મંદિર કેમ નથી? શું જીવનરાશિનો આવડો મોટો અધ:પાત જોઈ મુનિઓ ખિન્ન થયા હશે? ભૈરવઘાટીની માફક અહીં દેહ છોડી દેવાનો કેફ પેદા થશે એ ખ્યાલથી લોકસંગ્રહકાર મુનિઓએ લોકયાત્રા માટે આ સ્થાન નાપસંદ કર્યું હશે? અથવા મગજને ભરી દેનાર અખંડ અને ભીષણ ગર્જના ધ્યાનને માટે અનુકૂળ નથી એમ સમજીને ઉપાસકો અહીંથી વિમુખ થયા હશે? અથવા આ ધોધ પોતે જ અભયબ્રહ્મની મૂર્તિ છે, એની પડખે ધ્યાન ખેંચે એવી કઈ મૂર્તિ ઊભી કરવી, એ મૂંઝવણમાં તેઓ નિવૃત્ત થયા હશે? કોણ કહી શકે? આપણા પૂર્વજોએ અહીં મંદિર ન બાંધ્યું એનું મને જરાય દુ:ખ નથી, પણ એમણે આ સ્થાન જોઈ સૂઝેલા ભાવોનું એકાદ તાંડવસ્તોત્ર તો જરૂર લખવું જોઈતું હતું. પાર્થિવ મૂર્તિ જ્યાં કામ ન આવે ત્યાં વાઙ્મયી મૂર્તિ જરૂર ઉદ્દીપક થઈ શકે છે.

આ બધી શોભા અમે ધોધને માથેથી જોતાં હતાં. હોન્નાવર તરફથી આવનાર લોકો ઉત્તર કાનડા જિલ્લાના મહાકાંતારમાં થઈને જ્યારે આવે છે ત્યારે એમને નીચેથી આ ધોધનું આ-પાદ-મસ્તક દર્શન થતું હશે. કયું સારું એ અનુભવ્યા વગર કોણ કહી શકે? અને અનુભવ્યા પછીયે શું? કુદરતની જુદી જુદી વિભૂતિઓમાં કોઈ કાળે સરખામણી થઈ છે! હિમાલયની ભવ્યતા, સાગરની ગંભીરતા, રણની ભીષણતા અને આકાશની નમ્ર અનંતતા વચ્ચે કોણ સરખામણી કે પસંદગી કરી શકે? એટલે એક વાર હોન્નાવરને રસ્તે જોગને દર્શને આવવું જોઈએ.

દરિયાઈ કાફલાનો અનુભવ લઈને કુશળ થયેલા કેટલાક લશ્કરી અમલદારો ધોધનું માપ લેવા આવ્યા હતા અને પારણામાં લટકતા ધોધ પાછળ પહોંચી ગયા હતા, તેમને કેવો અનુભવ થયો હશે? જોગિયાં પક્ષીઓએ એમનું કેવું સ્વાગત કર્યું હશે? ધોધના પડદામાંથી અંદર ફેલાતો બહારનો પ્રકાશ એમને કેવો દેખાયો હશે? અને અંધારી રાત્રિએ ધોધ પાછળ જો ઘાસ સળગાવીને મોટો પ્રકાશ કર્યો હોય તો આખી ખીણમાં કેવી ગંધર્વનગરી પેદા થાય એની કલ્પના કોઈને આવી છે! જ્યારે અહીં વીજળીનું કારખાનું થશે ત્યારે કેટલાક કલ્પનાશૂરો જરૂર આ ધોધ પાછળ વીજળીની બત્તીઓની હાર ગોઠવવાના અને દુનિયાએ ન જોયેલી એવી ઇન્દ્રજાળ પાથરવાના. તે વખતે આખી ખીણ એક મહાન રંગભૂમિ થશે અને ચારે ખંડના ભૂદેવો એ જોવા અવતરશે. પણ તે વખતે કોઈને ઈશ્વરનું સ્મરણ થશે ખરું? માણસે પોતાની બુદ્ધિશક્તિ ઈશ્વરને ઓળખવાને માટે વાપરવાને બદલે ઈશ્વરને ભૂલી જવાની યુક્તિઓ અને પદ્ધતિઓ શોધવામાં જ વાપરી લાગે છે!

વખતે એમ પણ હોય કે બુદ્ધિ બધી રીતે હાર્યા પછી જ ઈશ્વરને વધારે સારી રીતે સમજી શકશે.

દરેક વસ્તુનો અંત આવે છે એટલે અમારી આ જોગ-યાત્રાનો પણ અંત આવ્યો. અત્યંત પવિત્ર અને મીઠાં સ્મરણો સાથે અમે પાછાં ફર્યાં, પણ ફરી એક વાર અહીં આવવાની વાસના તો રહી જ ગઈ. એટલે पुनरागमनाय च એવા શાસ્ત્રોક્ત શબ્દોથી જ અમે ભારતવૈભવની આ અસાધારણ વિભૂતિની વિદાય લઈ શક્યાં. સપ્ટેમ્બર, ૧૯૨૭