ગુજરાતી નિબંધ-સંપદા/જયરાય વૈદ્ય/લેખોત્સવ

From Ekatra Wiki
Revision as of 07:24, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
લેખોત્સવ

જયરાય વૈદ્ય

પ્રજાનું પંચાંગ હોય છે તેમ વ્યક્તિનું પણ હોત તો? તો આપણે સૌ તેમાંની ઓછામાં ઓછી બે તિથિને પર્વણી તરીકે જરૂર પાળતાઃ એક જનમની, બીજી લગનની. એ બે તો કંકુના અક્ષરે લખવા જેવી; એ પંચાંગમાં એકાદ કાજળના અક્ષરની અધિકારી પણ નીકળે; જેમ કે, જે દહાડે તમે જિંદગીભરનો સૌથી ખારીલો દુશ્મન કોઈને કર્યો હોય તે, અથવા વહાલામાં વહાલું સ્વજન ‘મૃત્યુ પીને સ્મશાન સિધાવ્યું’ હોય તે. સામસામા નાકાની આવી બે પ્રકારની તિથિઓ ઉપરાંત, કેટલીક બીજી પણ તેમાં ઉમેરાય. પહેલી વાર નિશાળે બેઠા હો તે તિથિ; પહેલવહેલી વાર માસ્તરની મોટી કે ચાર આંગળાંનો સ્વાદ ચાખ્યો હોય તે (જોકે આ યાદ આવવી મુશ્કેલ છે); પહેલું ઇનામ જીત્યા હો તે; નોકરી કે ધંધાની શરૂઆત કરી હોય તે; વહુ જોડે પહેલી વાર વઢ્યા હો તે; તેને પહેલી જ કસબી સાડી અપાવીને તમારું ખીસું હલકુંફૂલ કર્યું હોય તે; (ને તમે જ વહુ હો તો) અધૂરે ભણતરે ‘સનાતની’ પિતાએ નિશાળ છોડાવી હોય તે તિથિ; એથી ઊલટી દશામાં, મૅટ્રિક થઈને સંસારની મૅટ્રિકના–મૅટ્રિમનીના–પંથે પળ્યાં હો તે; માસિકમાં તમારો પહેલો લેખ (પતિની કે મોટા ભાઈની વધુ પડતી મદદથી લખેલો પણ તમારો) છપાયો હોય તે; ધૂની વરે જે દહાડે અસહકારમાં ઝંપલાવેલું તે; સ્ત્રી-સભામાં જે દિવસ તમે પહેલું ભાષણ (જરા થોથવાઈને પણ) આપ્યું હોય તે; અને બાળકો જે જે તિથિ કે તારીખે જન્મ્યાં હોય તે.

આવું પંચાંગ કોઈએ રચ્યું કે છપાવ્યું નથી ને તેમ કરવાની જરૂર પણ નથી. આપણા ઉત્સાહ કે કચવાટના પ્રમાણમાં એ નિરંતર આપમેળે સ્મરણશક્તિમાં રચાતું ને છપાતું રહે છે. ઘણી વાર તો, પ્રજાકીય પંચાંગ કરતાં આ અંગત પંચાંગની તિથિ આપણને વધારે યાદ રહે છે. બીજાને જે થતું હોય તે, પણ મને તો વીર વિક્રમના સંવત કરતાં આ આત્મસંવતની તિથિઓ વધારે ચોકસાઈથી યાદ હોય છે. મેં ગો. તે. હાઈસ્કૂલમાં પ્રવેશ કર્યો, કૉલેજ (ને પછીથી નોકરી) લીધી ને છોડી, જિંદગીનાં નાનાંમોટાં અને ખોટાં સાહસો ખેડ્યાં તથા ખોયાં, એને અંગે તાત્કાલિક કે હમેશના શત્રુઓ સરજ્યા; આ બધું ક્યારે ક્યારે બન્યું તેની વિગતો જ્યારે પૂછો ત્યારે જીભને ટેરવે તૈયાર જ હોવાની. આમાં બે તિથિ મેં નથી ગણાવીઃ જનમની ને લગનની. કારણ દેખીતાં છે: જન્મદિવસ તો ઘણાંખરાં માણસો તેમ હું પણ સંભારીને ઊજવીએ પણ છીએ, એટલે તો ગણાવવામાં કસી વિશેષતા ન હોય; અને લગનનો દિવસ–હા, એ તો મને બરાબર યાદ રહેવો જોઈએ. જીવનને એણે ઘેરા રંગે રંગ્યું છે. પણ હું એકલો શેનો એ ગોખ્યા કરું? મારું લગન મારી જાત જોડે થોડું જ થયેલું, કે એને સંભારવાની જવાબદારી મારી એકની જ હોય? બે હાથ વિના તાળી ન પડે. એ કહેવત આપણે ઘણું-ખરું બે માણસ લઢે ત્યારે વાપરીએ છીએ—એમ સાબિત કરવા કે વાંક બેઉ પક્ષનો હોવો જોઈએ. પણ લઢાઈ ને લગનમાં ક્યાં ઓછું સામ્ય છે? કેટલાકનું તો આખુંય લગ્નજીવન એક અખંડ લઢાઈ નથી હોતું? ને લગ્ન પણ બે જણાંના વાંકનું જ પરિણામ ઘણેભાગે હોય છે ને?

બાલસ્તાવત્ક્રીડાસક્તસ્તરુણસ્તાવત્તરુણીરક્તઃ।

વૃદ્ધસ્તાવચ્ચિંતામગ્નઃ પરે બ્રહ્મેણિ કોપિ ન લગ્નઃ ।।

એમ, લગ્નલાયક જે એકમાત્ર પરબ્રહ્મ, જેને બહાર શોધવાનો નથી, જે અંતર્યામી છે, જેની જોડે ‘આત્મલગ્ન ઊંડે હૃદે’ કરવાનું હરેક નરનારીનું પરમ કર્તવ્ય છે, તે બ્રહ્મનું તો જાણે અસ્તિત્વ જ નકારીને, એક જણ બીજી જણી જોડે લગ્ન કરવા નીકળે, અસાર સંસારમાંથી પણ સાર ખેંચવાનો અવળો ચમત્કાર કરી દેખાડવા કમર કસે, હિંદની નબલીપોચી ને આશરે ચાળીશ કરોડની વસ્તીમાં પણ વર્ષે દોઢ વર્ષે બેધડક વધારો કર્યે જવાની ધૃષ્ટતા ને દુષ્ટતા આચરે–આ બધું બે જણના વાંકનું પરિણામ નહિ તો બીજું શું?

હશે. એ આડકથા હવે આઘી મૂકીએ. જરા પાદરીપણા જેવું પણ તેમાં થયું—જોકે પાદરી અને તેનું ‘પણું’, બેઉની જરૂર લગનથી માંડી લેખ લખવા સુધીની ઘણી પ્રવૃત્તિઓમાં પડે છે, એમ કબૂલ કર્યા વિના તો છૂટકો જ કોનો છે?

ત્યારે–બે હાથની તાળી પડવાથી જે લગ્ન થાય છે, તેની તિથિ યાદ રાખવાની ફરજ પણ બંને હાથના માલિકોની હોય. મને ગયે મહિને એ થોડી થોડી સાંભરેલી. પછી તો હું મગધરાજ્યની મરહૂમ મહત્તાની શોધમાં એટલો ડૂબ્યો કે અમારા આ હયાત ઘરસંસારના જાણે પડઘા જ એ ઊંડાં પાણીમાં રહ્યે રહ્યે સાંભળતો હતો. પણ બિંદુમતી કેમ ભૂલે? હું જેટલો વિદ્વત્તાના સાગરમાં ડૂબું, તેટલાં તેઓ વહેવારસાગરમાં તરતાં રહે એવાં છે. એમણે ગઈ કાલે અર્ધી રાતે, ‘કાલે તો વસંતપંચમી!’ એટલો જ સરલ ઉદ્ગાર કાઢીને, ધ્વનિકાવ્યના રચનારની કલાથી મને સૂચવી દીધું કે વળતે દિવસે અમારી લગ્નતિથિ છે. અલબત્ત, એટલું ખરું કે શબ્દો સાદા હતા, છતાં એમનો સાદ હોંસીલો ને ભાવભીનો હતો; અને સાદમાં એ ગુણોની જરૂર હતી. શબ્દોની જેમ સાદ પણ વણશણગાર્યો કઢાયો હોત તો મારા મગધ લગી એ કદી પહોંચત નહિ, ને હું સપાટી પર આવીને બિન્દુના માનીતા સાગરમાં આજે એની જોડે નફકરે જીવે થોડી વાર પણ સહેલ કરવા નીકળત નહિ.

પણ—પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ. એ ગૃહલક્ષ્મી આજે લાડુપુરી જમીજમાડીને કે નવુંનક્કોર વાયલ પહેલી વાર પહેરીને લ્ગનતિથિ ઊજવશે, તો હું (લાડુ પણ મને કડવા નથી લાગતા છતાં, ચકચકતું વાયલ પહેરેલ વધૂને નયન ભરી નીરખવા જેટલો સંસારી હજી હું રહ્યો છું છતાં, બેઉને ગૌણ ગણી) આ લેખ લખીને, એ મારી આદતને અનુસરતો ઉત્સવ ઊજવવા તત્પર થયો છું. ભગવાન મકરકેતુ તેમાં મને સહાય થાઓ; દેવી સરસ્વતી આ અપૂર્વ સાહસ નિર્વિઘ્ન પાર ઉતારો.

અને લેખ તો જેવો નીવડે તેવો, પણ આવા ઉજવણાની ઇચ્છા એ જ સાહસ છે, ને તે પણ અપૂર્વતાવાળું, તેની કોણ ના કહેશે? ગદ્યમાં તો આવી પ્રગલ્ભતા દુનિયામાં કોઈ પણ લેખકે કરી જાણી નથી, એટલે આજે પહેલો જ નવો નો સાહસિક ચીલો પડે છે. પદ્યની વાત જુદી છે. લગ્નતિથિના દિવસમાંથી પ્રેરણા પીને કવિ કવિતા રચવાના મિજાજમાં જઈ પડે, એ તો અવારનવાર બનતું રહે છે; એ કુદરતી પણ છે. પણ લેખ? ગદ્ય જેવું વિચારવાનું જન્મથી જ શુષ્ક વાહન? એમાં બેસીને કયો સાચ્ચો રસિક જન આવો ભાવનાભર્યો ઉત્સવ ઊજવવાનું મન કરે? ને મારો વિચાર પણ પહેલાં તો જુદો હતો એટલું તમને કાનમાં કહી દઉં. આજના મંગલપ્રસંગે કવિતા લખવી, અને તે હાલ ફૅશનેબલ થયેલા પૃથ્વીછંદ કે અંજનીમાં, એટલે સુધી તો નક્કી પણ કરેલું. તે બેઉ છંદરૂપો જુદી જુદી રીતે આ વિષયને કેટલાં બંધબેસતાં આવે તેવાં છે? શુચિતા, ગંભીરતા, આછેરો ઉત્સાહ, સંયમીપણું, થોડુંક દર્દ: આ બધા ભાવો જે આજે મારા હૃદયમાં પ્રગટવા માંડેલ, તે એ રૂપોમાં ઝિલાય એટલા બીજા કયામાં ઝિલાવાના હતા? એટલે, છંદપસંદગી તો બરાબર થયેલ; પણ આ છેડે છંદ, ને પેલે છેડે ભાવ—એ બેને સાંધનારો પુલ ક્યાં? છંદોબદ્ધ વાણી ક્યાં? ‘ભાવ ઉત્કટ હોય, ને છંદ પણ તૈયાર હોય, ત્યારે કવિતાની વાણી તો સ્વયમેવ સ્ફુરે.’ છંદના કો શાસ્ત્રીજી ઉચ્ચરે છે. એમ કહીને, ઓ શાસ્ત્રીજી! તમે મારા ભાવના જોમને ભારે અન્યાય કરો છો. બીજું ગમે તેમ હોય, પણ ભાવો તો તમારાં સકળ કાવ્યશાસ્ત્રોમાં હશે, તેના કરતાં તો જરૂર આજે મારા હૃદયમાં વધુ ઊછળે છે તેની ખાતર રાખશો. ખરી વાત એ છે કે એક-બે મુશ્કેલી મને પાછળથી સૂઝી, એટલે કવિતાનો વિચાર પડતો મૂક્યો. પહેલું તો એ છે કે વાણીનું કાવ્ય જેવું પ્રસાધન સાધારણ માણસના રસદેહને ધરાવાય, ત્યારે ગધેડા પર અંબાડી મૂક્યા જેવો દેખાવ થયા વિના રહેતો નથી. તેને એ કાં તો બેડોળ દેખાય છે, નહિ તો આડંબરી ને કૃત્રિમ લાગે છે. તેમાં પણ, એવો માણસ જ્યારે પ્રાસંગિક કાવ્ય લખે, ત્યારે તો કંટાળીને તેને હાથ જ જોડવા પડે છે. મેં પણ ઘણી વાર ઘણાંને હાથ જોડાવ્યા છે. પણ ક્ષુદ્ર પ્રસંગકાવ્ય લખીને તો નહિ; અને આજે પણ એ દિશામાં ઝળકવાનો લોભ નથી, તેથી લગ્નોત્સવનું કાવ્ય રચવું વગરશોકે માંડી વાળ્યું.

પણ લેખ લખવામાં એવડું પાપ નથી થતું. આ વિચારે મને ધરપત આપી. મેં પૅડ પાસે લીધું, ઉઘાડ્યું ને મથાળું બાંધ્યું: ‘બારમી લગ્નતિથિ.’ એ લખાયું ને મને થયું, કેટલું સાદું છતાં સૂચક નામ? પણ બીજી પળે એ જરા અલ્પરસ લાગ્યું. સાદું તો છે. પણ એમાં સૂચકતા તે શી છે? ઊલટું આખી વાતને એ તો કાચી ભોળપથી ખુલ્લેખુલ્લી કહી નાંખે છે. એવું મથાળું મને સૂઝ્યું જ શા માટે?

એક બીજો વાંધો પણ નડવા આવેલ—જોકે મેં એને ફાવવા ન દીધો. સવાલ થયો કે આજ પહેલાંની અગિયાર લગ્નતિથિને અક્ષરના સાધને અમર ન કરી, તો વળી આ બારમીનાં આટલાં માન શાં? જેવી પાંચમી, જેવી આઠમી કે દશમી, તેવી જ બારમી લગ્નતિથિ. તો પછી, આનો એકનો જ લેખ શા માટે? પણ આ સવાલોનો ખુલાસો ઘડીક વાર રહીને એની મેળે મળી આવ્યો. ધર્મ, ઇતિહાસ તથા સાહિત્યના મારા ઓછાઅધૂરા જ્ઞાને પણ મને તુર્ત સૂચવ્યું ક ગમે તેમ, પણ બારની સંખ્યાનો મહિમા મોટો છે. ત્રણ ને સાતની સંખ્યાઓ, કોઈ વાર પાંચની પણ, પવિત્ર કે વિશેષતાવાળી ગણાય છે. પણ એ ત્રિપુટીની પછી વારો આવે, તે બારનો જ. આટલું મનમાં નક્કી થયું ન થયું ત્યાં તો પેલી ત્રિશિખ જ્ઞાનજ્યોતિ મગજમાં એટલી પ્રજ્વલિત થઈ કે તેમાંથી તેજસ્વી સ્ફુલિંગો ઊડીને, તેનું એક નાનું શું દ્વાદશમહિમ્નસ્તોત્ર પણ રચાઈ ચૂક્યું:

‘હે દ્વાદશ-દેવતા! આપનો મહિમા અગાધ છે. આપની અલૌકિક ગતિનો પાર ત્રિલોકમાં કોઈ પામી શક્યું નથી. સુરાસુર અને મુનિવરો, ગંધર્વો કિન્નરો કે વિદ્યાધરો, અપ્સરાઓ, ને નાગકન્યાઓ, મનુષ્યો જાનવરો ને જંતુઓ, વનસ્પતિ અને પર્વતો, સમુદ્રો ને નદીઓ, પાંચે મહાભૂતો, સમસ્ત પ્રકૃતિ અને મહાન વિરાટપુરુષ પણ—બસ, અખિલ બ્રહ્માંડ આપનું જ રટણ નિશદિન કરી રહ્યું છે. હે દેવ! આપ મહાનમાં પણ મહાન ને ગહનમાં ગહન છો. આપ પરબ્રહ્મની પણ તોલે આવો તેમ છો. બ્રહ્મમાં સારુંનરસું બધું સમાય છે, તેમ આપને પણ સારા પર અસાધારણ પ્રેમ નથી, કે નરસાની સૂગ નથી. આપે એ મહાપિતાના જ વાત્સલ્યથી જગતની ઝાંખી ને ઊજળી બધી બાજુઓ પોતાની જ ગણી છે. આપની એ વિશ્વમમતાનાં સ્તુતિગાન ગાયં જાય તેમ નથી. જ્યાં જોઈએ ત્યાં બારનું જ માહાત્મ્ય એકચકવે રાજ્ય કરતું નિહાળાય છે. અમારાં જીવન પર અનેક રીતનું આધિપત્ય ભોગવનાર રાશિઓ બાર છે; અમારા પુરાણ-પવિત્ર સ્માર્ત ધર્મમાં આમ તો અસંખ્ય શિવલિંગો છે, પણ જે ખરેખરાં, જે જ્યોતિર્લિંગ કહેવાય, તે તો બાર જ; ને અમારા સૌથી અગ્રણી પુરાણ શ્રીમદ્ભાગવતના સ્કંધ પણ બાર; એક દુશ્મન સામે બીજાને જિંદગીભર ઘૂરકતો રાખનાર તે ચંદ્રમા જેમ બારમો હોય છે, તેમ, એક માણસ મરતાં બીજા સેંકડો માણસોની નાત જે મુખ્ય જનમણને વગર પસ્તાવે સ્વાહા કરી જાય છે, તે પણ બારમું કહેવાય છે. એવું જ ઇતિહાસમાં. જૂના રાજાઓ જબ્બર કિલ્લાઓને ઘેરો ઘાલતા, એ બારમે વર્ષે ખતમ કરવાનો રિવાજ હતો, ને એ લોકો પોતાના બળવાન વેરી યા તો કોઈ બંડખોરને દેશવટો દેતા, તે પણ બાર વર્ષનો જ ઘણી વાર હોતો; અને — આ તો કેમ ભુલાય? — હિંદુ પ્રજાનું સ્વાતંત્ર્ય લોપાયું, તે ઈશુની બારમી જ સદી ઊતરતાં. સાહિત્યમાંનો દ્વાદશમહિમા, હે દેવ! એવડો જયવંત નથી, છતાં નજીવોયે નથી. અમારા અદ્ભુતરસિક સોરઠી સાહિત્યમાં અબોલડાં લેવાય છે, તે બરાબર બાર વર્ષનાં જ. અમારા માસિકકારો કોઈ વાર વાચકોને દેશનાં નરરત્નો અેન નારીમૌક્તિકો શોધવા મોકલે છે, ત્યારે બાર બાર જ નામો મગાવે છે; અને જગતના એક મહાકવિએ પોતાના નાટકનું નામ રાખતાં પણ, નહિ તેરમી ને નહિ અગિયારમી, એમ બારમી રાતને જ એ માન આપી આપની મહત્તા વ્યંગ્યથી ગાઈ લીધી છે. છેવટ આવે છે અમારો કહેવતકાર. તેણે બોલી બદલાવવા માટે માપીમાપીને જે બાર ગાઉની સંખ્યા નક્કી કરી તેમાં પણ, હે દેવાધિદેવ, તે આપનું જ ગૌરવ કરવા ઉત્સુક હતો, એમાં સંદેહ શો?’

‘અને—શાં આશ્ચર્ય!’ શી તાજુબી!—આપનો મહિમા વર્ણવતાં આ રંક સેવકે જે દૃષ્ટાંતો આપ્યાં તે પણ, ઓછાં કે વધુ નહિ—બાર જ આવી ગયાં છે. દેવાધિદેવ! દ્વાદશદેવતા! આપનો પ્રભાવ અપાર છે, અગાધ છે, સર્વવ્યાપી છે. ઇતિ શ્રીદ્વાદશમહિમ્નસ્તોત્રં સંપૂર્ણમ્.’

કોની મગદૂર છે કે આ સ્તોત્રનો પાઠ કર્યા પછી તે, જ્યારે ને ત્યારે તીનપાંચ કરી આગળ ધરતી ત્રણ પાંચ ને સાતની સંખ્યાઓની તરફદારી ભૂલેચૂકે પણ કરે! એ પાઠ કર્યા પછી, કોણ એવો અભાગી હશે જે બારની સંખ્યાને સંખ્યા જગતની સમ્રાજ્ઞી કરીને સ્થાપવા તૈયાર ન થાય,—જે બારમી લગ્નતિથિના લેખોત્સવની મહત્તા ને પવિત્રતા ને ભવ્યતા સ્વીકારવા એકપગે થઈ ન જાય?

ઉત્સવની આરતીનો હવે સમય છે, એક રીતે, પૂજા વિનાની એ આરતી છે. આ ઉત્સવને અંગે ખરી પૂજા તો એ હોય કે, મારે વારાફરતી હરખશોકના ગદ્ગદ સ્વરે, ગયાં બારેબાર વર્ષની મારી આત્મકથા અહીં આલેખવી જોઈએ. પણ એક નિબંધિકા પૂરતાં પાનાં ખપી ગયાં ને એ તો કૈં થયું નહિ. અપશોચ?

ઉત્સવનું નૈવેદ્ય વહેંચવાનો હવે સમય છે. આ લંબાયે જ ગયેલા કાંતણપિંજણને હવે બંધ કરીએ. એ વાંચવામાંથી તમને મુક્તિ અપાવી તેના જેવું મીઠું નૈવેદ્ય બીજું કયું હોય?