ગુજરાતી નિબંધ-સંપદા/રઘુવીર ચૌધરી/જયંતિ દલાલ

From Ekatra Wiki
Revision as of 09:54, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જયંતિ દલાલ

રઘુવીર ચૌધરી

‘ઢ સદાયનો’ નામની રચનામાં ઉમાશંકરે ‘સહરા માત્ર ભૂગોળમાં જ નહિ, દરેક માનવીને હૈયે છે.’ એમ કબૂલીને એ વાતનું દુ:ખ કર્યું છે કે માણસોનાં હૈયારણોમાં સહરાની ભવ્યતા જોવા મળતી નથી.

આ વ્યાપ્તિ સામે વાંધો ઉઠાવીને મેં અપવાદ શોધી આપેલો: શ્રી જયંતિ દલાલ સહરાની ભવ્યતા ધરાવે છે. મારા આ વિધાનનો કોઈએ વિરોધ કર્યો નથી. જયંતિભાઈ ત્યારે હતા. એક જુદું અમદાવાદ હતું. થોડા વખત પહેલાં શેઠ શ્રી કસ્તુરભાઈનું અવસાન થયું. જૂની પરંપરના છેલ્લા શ્રેષ્ઠીએ વિદાય લીધી. જયંતિભાઈ નાગરિક હતા. એવા ‘નાગરિક’ જેમાં આખો ‘નગર’ શબ્દ સમાય અને સુરક્ષિત રહે. એ અમદાવાદના જાણકાર હતા, ચાહક હતા, ઍથેન્સમાં જેમ સૉક્રેટિસ હતા. ૧૯૬૩ના મે માસ દરમિયાન વલસાડમાં મળેલ વાર્તાકાર સંમેલનમાં મેં એમની વાર્તાઓમાં ઘટનાતત્ત્વની ચર્ચા કરતાં ઐતિહાસિક સંદર્ભમાં પ્રશંસા કરી હતી. એવામાં જ જ્યોતિષ જાનીએ એમનું નામ જેંતિભાઈ રાખીને પોતાની રીતે વિવેચન કરેલું. પરિચયનો એ આરંભિક તબક્કો હતો અને હું પ્રશંસક હતો છતાં જયંતિભાઈ મારા પર ગુસ્સે થયેલા. વિરોધ કે પ્રશંસાના મૂળમાં મુગ્ધતા જ હોય તો એમને મન સરખું હતું. એમના ઠપકાથી મને રીતસર ખોટું લાગેલું. એમને સમજતાં વાર થયેલી. પછી તો એમના વ્યક્તિત્વની એક ખૂબી પણ હાથ લાગેલી.

કોઈ સાહિત્યિક-રાજકીય વ્યક્તિત્વ વિશે જયંતિભાઈનો અભિપ્રાય જાણવા ઇચ્છનારે શરૂઆત એની પ્રશંસાથી કરવાની રહેતી. વક્તાને તુરત વિપરીત અભિપ્રાય સાંભળવા મળતો. જયંતિભાઈનું સત્ય વિરોધમાં પ્રગટતું. એમનો અવાજ નકારમાં પ્રબળ બનતો, વિશ્વાસ રણકી ઊઠતો.

કીર્તિના માધ્યમથી કોઈ એમને પ્રભાવિત કરી શકતું નહીં. સર્વવ્યાપી સિદ્ધિઓને એમણે સરેરાશ ઉદારતાથી કે સભાના વિવેકથી સ્વીકારી લીધી નથી. અને પોતાની નિષ્ફળતાઓને જીવનના એકાંત ખૂણે પણ ઉધાર પાસે નોંધી નથી. એમના અવસાનના ચારેક વર્ષ પહેલાં ‘આધુનિક નારી ગૃહિણી તરીકે નિષ્ફળ નીવડી છે.’ નામના પરિસંવાદમાં એમના મિત્ર આચાર્યશ્રી એસ. આર. ભટ્ટે પરિચય આપતાં કહેલું કે દલાલ કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરીને એમાં પોતાની સઘળી શક્તિઓ કામે લગાડે છે અને પ્રવૃત્તિ સફળ થવાની સ્થિતિએ પહોંચે કે એને છોડી દે છે.

ઉમેરવું જોઈએ કે એ માટે પછી પસ્તાવો પણ નહોતા કરતા. મોટાભાગના સમીક્ષકોનાં ધોરણો બીજાઓ પર પ્રયોજાતાં રહેવાને લીધે ઊંચાં રહી શકતાં હોય છે. દલાલ પોતે જ પોતાનું દૃષ્ટાંત બનીને વાત કરનાર દ્રષ્ટા હતા. પોતે જ પોતાનું પ્રમાણ બનીને લખનાર અને જીવનાર એમના જેવા લેખકો ત્યારે પણ આંગળીને વેઢે ગણાય એટલા હતા.

એ ઊંચા હતા. મોટા મજબૂત ખભાના માણસ, ‘ખભા પરથી સહેજ તમારા તરફ નમતું માથું.’ ચાલવાના શોખીન. સફેદ ઝભ્ભો-લેંઘો પહેરે. શોભે, સાદગીથી. આમ તો એ સાહ્યબીના વિરોધી પણ ઘરમાં અને મિત્રોમાં ‘સાહેબ’ કહેવાતા. એ હુલામણું સંબોધન નાટકમંડળીના પ્રેમાળ નટો દ્વારા સાંપડેલું. તા. ૧૮-૧૧-૧૯૦૯, વિક્રમ સંવત ૧૯૬૫ની કારતક સુદ પાંચમે એટલે કે લાભપાંચમે કે જ્ઞાનપંચમીએ એમનો જન્મ થયેલો, નાગોરી શાળામાં આવેલા નાટ્યમંડળીના મકાનમાં. આમ, વાસ્તવિક અર્થમાં પણ એમનો જન્મ રંગભૂમિમાં થયો હતો. પિતા ઘેલાભાઈ ‘દેશી નાટક સમાજ’ના સંચાલક હતા. જયંતિભાઈનું શૈશવ જૂની રંગભૂમિના નજીકના સંપર્કમાં વીત્યું. પછી પણ એ નાટ્યપ્રવૃત્તિ સાથે કેટલા બધા સંકળાયેલા રહ્યા એ સુવિદિત છે. પણ એ પ્રવૃત્તિને કારણે આવી જતી સુંવાળપ કે સૂક્ષ્મ પ્રકારની બેજવાબદારીથી એ સદંતર બચ્યા છે. ગુજરાત કૉલેજમાં ભણતા ત્યારે યુવાનોની ચળવળનું નેતૃત્વ લીધેલું. ૧૯૨૮ના અરસામાં પ્રિન્સિપાલ શિરાઝ સામે હડતાલ પડાવેલી. રાષ્ટ્રીય ચળવળમાં જોડાવા ૧૯૩૦માં કૉલેજ છોડી.

એમણે ભજવેલા નાટક ‘વીણા-વેલી’માં મેં એમને કરમચંદની ભૂમિકામાં અમદાવાદના ટાઉન હૉલમાં જોયેલા. કહે છે કે પૂર્વે એમણે એ નાટકની મુખ્ય ભૂમિકા પણ કરેલી. આકાશવાણીનાં નાટકોમાં પણ અભિનય-દિગ્દર્શનની જવાબદારી ઉપાડતા રહેતા. રંજનબહેન સાથેનો શરૂઆતનો પરિચય પણ નાટકને કારણે. ઉમાશંકર-કૃત એકાંકી ‘દુર્ગા’માં એમની મુખ્ય ભૂમિકા અને જયંતિભાઈનું દિગ્દર્શન. લગ્ન આઠેક વર્ષ પછી ૧૯૪૭માં કર્યાં. આ વિલંબ પણ એમના વ્યક્તિત્વનો પરિચય આપી રહે છે. એ અરસામાં મોટાભાઈના કુટુંબની જવાબદારી આવી પડી હતી, ધૈર્યપૂર્વક અદા કરતા રહ્યા ને પછી જ પોતાની જવાબદારી વધારી. કહે છે કે રંજનબહેન ત્યારે બહુ સુંદર અને તેજસ્વી લાગતાં હતાં એ સાચું હશે. પણ એમનું આ પુનર્લગ્ન હતું. એ જમાનામાં પણ પુનર્લગ્ન માટે જરૂરી હિંમત પૂરી પાડીને એ દંપતીએ સામાજિક સુધારાનું કેવું મોટું દૃષ્ટાંત પૂરું પાડ્યું હશે? એથી પણ મોટી વાત તો બીજી છે. રંજનબહેનને બે બાળક હતાં. એ બાળકો અટક દલાલ ન લખે. એમના પિતાની લખે એમ ઇચ્છવું એટલું અશક્ય ન લાગે. પરંતુ પોતાનાથી બાળકો ન હોય એમ ઇચ્છવું ને એવા સંકલ્પથી જીવવું વિરલ છે. લાગણીની વહેંચણીનો પ્રશ્ન જ ઊભો ન થાય. આ અશ્રદ્ધાનો પ્રશ્ન નથી કે નથી માત્ર સાવચેતી. કોઈક વિરલો જ સિદ્ધ કરી શકે એવો આદર્શ છે. એમની નિર્ભયતા સાથે એમના અનન્ય પ્રેમતત્ત્વને યાદ કરતાં ઉમાશંકરે અંજલિ આપતાં કહેલું: “અમે લોકો યુવાવસ્થામાં કહેતા કે જયંતિભાઈ એટલે ‘સનશાઈન’, સૂર્યનો ખુશનુમા તડકો, હૃદયની ઉષ્મા. દલાલ હોય અને આસપાસ કોઈ પણ માણસ વિષાદમય હોય એ બની શકે નહિ.” આ અનુભવ એમના અનેક સમકાલીનોનો હતો.

શ્રી બી. કે. મઝૂમદાર સાથે એમને બેએક વાર જીવન અને જગતની ચર્ચા કરતા સાંભળ્યા છે. સમકાલીન જગતના બધા જ પ્રશ્નો જીભને ટેરવે. વાત ક્યાંથી ક્યાં પહોંચે? માહિતી અને જ્ઞાન બંનેમાં રસ. સમાજવાદી દૃષ્ટિબિંદુથી દરેક વસ્તુને જોવાની ટેવ, વૈજ્ઞાનિક અભિગમ.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ગુજરાતી રંગભૂમિની સવાશતાબ્દી ઊજવી ત્યારે આ નગરની કેટલીક ઉજ્જ્વળ પરંપરાઓ વિશે વાત કરતાં મને જયંતિભાઈ સાંભરેલા. મહાગુજરાત આંદોલન ચાલતું હતું એ દિવસોમાં હું વિસનગરના સેવાદળ છાત્રાલયમાં રહું. ઉપવાસ પછી મોરારજીભાઈની સભા વખતે સેવાદળના સૈનિકો સાથે આવવાનું થયેલું. એ આંદોલન દરમિયાન એમનું નામ સામે પક્ષે ગાજતું થયેલું. કૉન્ગ્રેસીઓ ઘણાં આંદોલનકારીઓની ટીકા કરતા પણ જયંતિભાઈ વિશે એલફેલ બોલવાની કોઈની હિંમત ન હતી. એમની રાજકીય પ્રતિભા નિષ્કલંક હતી. લેખક તરીકે આગલા વર્ષે જ જોયેલા. મુનશી સામે શાંત અને દૃઢ પ્રતિકાર કરીને ગુજરાતી સાહિત્ય પરિષદને લોકશાહી બંધારણ આપવામાં એમનો પણ ફાળો હતો. પછી એ થોડાંક વર્ષ પરિષદના મંત્રી પણ રહેલા. પણ આ તો એ પહેલાંની વાત છે. ઉમાશંકર દ્વિભાષી મુંબઈ રાજ્યમાં પ્રજાનું સવિશેષ હિત જોતા હતા. જયંતિભાઈ મહાગુજરાતની લડતમાં સક્રિય હતા. ’૫૬ પછી પણ કેટલીક જવાબદારીઓ એમણે સંકલ્પપૂર્વક અદા કરી. શહીદ સ્મારક અને એ માટેના લોકઆંદોલનને એમણે સમય આપ્યો. સાહિત્ય પરિષદ ટેકો આપતો ઠરાવ કરે એમ પણ ઇચ્છ્યું. મતભેદ પડ્યો. અન્ય લેખકોને લાગ્યું કે ઠરાવનું સ્વરૂપ રાજકીય બની જશે. જયંતિભાઈએ તત્કાળ આગ્રહ જતો કર્યો પણ પછી પરિષદની કાર્યવાહીમાં તટસ્થ થતા ગયા. એ અરસામાં મહાગુજરાત શહીદ સ્મારકના આંદોલનને એમણે જે અહિંસક નેતૃત્વ પૂરું પાડ્યું હતું એને ઉમાશંકરે ઐતિહાસિક સંદર્ભમાં મૂલવી એમાં જયંતિભાઈના જાહેર જીવનની સુવર્ણક્ષણ જોઈ છે:

‘અમદાવાદના મહાજનમાં શાંત તાકાત છે. શેઠ શાંતિદાસે શાહજહાન પાસેથી ન્યાય મેળવીને, ઔરંગઝેબે ઝૂંટવી લીધેલું મંદિર ફરી પાછું સોંપવા માટે ફરમાન કઢાવેલું, એ અમદાવાદના મહાજનની મહાન પરંપરા જાણે ફરી સજીવન થયેલી જોવા મળતી. એક વાર ત્રણ દરવાજા આગળ દલાલ પચાસ હજાર ઉપરાંતની મેદની સાથે ઊભા હતા અને સંપૂર્ણ શાંતિ જળવાય એ રીતે આખી વસ્તીનું નેતૃત્વ એમણે લીધું હતું તે એમના જીવનની એક સુવર્ણ ક્ષણ હતી.’ (પૃ. ૧૬૫, હૃદયમાં પડેલી છબીઓ-૧).

પેટલીકર સામાજિક પ્રશ્નોમાં રસ લે કે દર્શક લોકોની સાથે કામ કરતાં કરતાં લખે એ વલણો જયંતિભાઈની દૃષ્ટિએ આવકાર્ય લેખાવાં જોઈએ. પરંતુ આદર્શવાદને એ મુગ્ધતા માનતા. અને ભલભલા બૌદ્ધિકોમાં પણ એમને મુગ્ધતા દેખાતી. એમને વિશે પણ પરસ્પર વિરોધી વિધાનો થઈ શકે એમ હતાં. રૂઢ અર્થમાં એમને શ્રદ્ધાળુ કહી શકાય તેમ નથી અને છતાં શ્રદ્ધા વિશે એમણે અભિનિવેશથી લખ્યું છે. બધાં અજવાળાં અલોપ થઈ જાય પછી પણ ચાલતા રહેવાની શક્યતા એમનામાં જોઈ શકાતી. એમને સ્વતંત્ર ભારતના એક બૌદ્ધિકમાં જરૂર મૂકી શકાય પણ બુદ્ધિને — વ્યવહારુ બુદ્ધિને દેખાયેલી દિશામાંથી એ ક્યારે લાગણીના વળાંકે વળી જશે એ કહેવું મુશ્કેલ હતું. એમને ‘સીનિકલ’ કહેવા જતાં એમની અપેક્ષાઓને – ધોરણોને ન સમજવા જેવું થાય. એ માત્ર વંધ્ય પ્રવૃત્તિઓના જ નહીં, વંધ્ય ટીકાઓના પણ વિરોધી હતા. એ માત્ર નકારાત્મક પ્રતિભાવો આપનાર માણસ ન હતા. મુદ્દા કહેનાર વિચારક હતા. જયંતિભાઈ વક્તા તરીકે તો પ્રભાવક હતા જ પણ ક્યારેય એમણે માત્ર વાણીની છટાઓ પર નભવાનું આવતું નહીં. લખવામાં કે બોલવામાં ‘એમની પાસે વિચારો વધારે હોય.’ સજ્જતાવાળા વાચકો અને શ્રોતાઓ એમને સતત આદરથી જોઈ શકતા. હું બહુ સારો શ્રોતા નથી. ગમે તેને સાંભળતી વખતે આડ-વિચારે ચઢી જાઉં પણ જયંતિભાઈને સાદ્યંત સાંભળી શકતો. થોડીક આત્મસ્તુતિ થશે છતાં કહું કે એમને સમજી પણ શકતો.

જયંતિભાઈ જાણતા કે ન સમજવા જેવું તો થતું જ રહેવાનું. માણસ માણસ વચ્ચે સંવાદની ઘટેલી શક્યતા અંગે એમણે આ યુગના સંદર્ભમાં લખ્યું છે. સ્વગતોક્તિની બલ્કે આત્મોક્તિની અનિવાર્યતા એમણે સ્વીકારી છે. આ અર્થની સૂક્ષ્મતામાં એ વ્યક્તિવાદી છે. એમના લેખનમાં ઊંડા ઊતરનારને લાગશે કે સમાજ વચ્ચે રહીને આકારતા જે માણસને એ આલેખે છે એ વ્યક્તિ મટી જતો નથી. જયંતિભાઈ પોતે સમાજવાદી ન હતા, તેથી કોઈ વર્ગ-વિશેષનું એકમ ન હતા, વ્યક્તિ હતા. વ્યક્તિત્વ હતા, પ્રતાપી વ્યક્તિત્વ. મુનશીને ‘મહાવ્યક્તિ’ કહી શકાયા હોય તો દલાલ માટે આ એક વિશેષણ જરૂર ઉમેરી શકાય. પ્રતાપી! પ્રતાપ તાપ વિના તો ક્યાંથી હોય? પણ એમના તાપના મૂળમાં સ્નેહ હતો, અનૌપચારિક સ્નેહ. સમકાલીનોને ‘સનશાઇન’નો અનુભવ કરાવનાર અનુગામીઓ માટે તો નર્યા વત્સલ હતા. વિમુખ કરી દે એવા અભિપ્રાયો, પરંતુ ખેંચી રાખે એવો સ્નેહ! એમની સાથે જિજ્ઞાસાથી ગયેલાને જલદ વિધાનો સાથે ઊંડો નિર્મળ સ્નેહ સાંપડે.

સાતમા દાયકાના નવલેખકોની ઘણી કૃતિઓની એમની સાથે ચર્ચા થઈ છે. સહેજ પણ ક્ષમતા વર્તાય તો વાંચ્યા વિના રહે નહીં. ચર્ચા કરે. મારી પહેલી નવલકથા ‘પૂર્વરાગ’ વિશે એમની સાથે જે ચર્ચા થઈ છે! એમણે મધુ રાયની શરૂઆતની કૃતિઓ પણ વાંચેલી. સુરેશ જોષી વિશે તો વારંવાર ચર્ચા થતી. લેખન અને સામાજિક પ્રવૃત્તિ વચ્ચે પણ એ સર્જાતા સાહિત્યના વાચન માટે સારો એવો સમય ફાળવી શકતા. ટેવ હતી. એનાં મૂળ ઊંડાં હતાં.

૧૯૩૯-૪૦ની વાત છે. ‘રેખા’ માસિક શરૂ કર્યું. એની સાથે નવલેખકોની ગોષ્ઠી પણ આરંભી: રેખામંડળ. ‘નાનકડી એ ઑફિસ અને એની બહારની ખુલ્લી જગામાં એ વખતના બૌદ્ધિકો, લેખકો, કલાકારો, સામાજિક કાર્યકરોનો અડ્ડો જામતો.’ એમાં ભાગ લેનાર લેખકો આજેય એની વાત કરતાં થાકતા નથી. જયંતિભાઈને આદરથી યાદ કરે છે. એમના વ્યક્તિત્વને કારણે એ શક્ય બનેલું. પાયામાં આ પ્રવૃત્તિ હોઈ પછી સહજ રીતે જ એ નવલેખનમાં રસ લેતા હશે. કહો કે ટેવ. પોતે પ્રોત્સાહન આપીને ઉપકાર કરે છે એવા કશા ખ્યાલ વિના જ, શક્ય હતું તે થતું. આમ તો પાછા એ દુરારાધ્ય હતા. એક લેખકે આગ્રહ કરીને પ્રસ્તાવના લખાવેલી. એમણે મહેનત કરીને લખી આપી. પેલા લેખક તો સ્તબ્ધ થઈ ગયા. પ્રસ્તાવનામાં કૃતિના દોષોની પણ ચર્ચા થશે એવું એમણે ધાર્યું ન હતું. જયંતિભાઈએ તો લાગ્યું હતું એ લખેલું. પેલા ભાઈ પ્રસ્તાવના છાપી ન શક્યા. જયંતિભાઈએ પછી સ્વતંત્ર લેખ તરીકે એ છપાવી હતી.

પ્રતિભા કહે છે કે જયંતિભાઈ દલાલને તોફાની છોકરાં ખૂબ જ ગમતાં. એ આંબાવાડીના ફ્લૅટમાં રહેતા હતા ત્યારે નીચે એક પટેલકુટુંબ રહેતું હતું. એનાં બાળકોમાંના એકને સહુ જાડિયો કહે. આ જાડિયા સાથેનો જયંતિભાઈનો નાતો ભૂલ્યો ભુલાય તેમ નથી.

એક દિવસ એ શાકભાજીની થેલીમાં કુરકુરિયાં ભરી લાવે છે અને જયંતિભાઈની સામે જ થેલી ઠાલવીને એમને રમાડવા લાગે છે. એને માટે કશું જ બંધન નથી. કેવળ સ્નેહ છે, તેથી તો દલાલકુટુંબ શહેરમાં જીવણપોળના મકાનમાં રહેવા આવે છે પછી પણ જાડિયો અઠવાડિયે એક વાર તો મળવા આવે જ છે. એને ઘેર લગ્નપ્રસંગ આવ્યો અને ‘તું ભણતો નથી ને કૂતરાની સાથે રમ્યા કરે છે તો કૂતરાને મોતે મરીશ’ એમ કહીને ધમકાવતી માએ તે દિવસે એને પ્રેમથી સમજાવ્યો. એ કૂતરાને એની બોડમાં મૂકી આવવા રાજી થયો. પણ રસ્તામાં કૂતરાં લડ્યાં અને એક એને કરડી ગયું. આઠ દિવસ પછી એની અસર થઈ. મા સમજી ગઈ કે વાંચવું ન પડે માટે જાડિયો ઢોંગ કરે છે. પણ પછી તો હકીકતે આઘાતજનક રૂપ ધારણ કર્યું, ડૉક્ટરી સારવાર લેવામાં મોડા પડ્યા હતા. હડકવા કાબૂ બહાર હતો એ દશામાં પણ જાડિયાએ કહ્યું કે મારે જયંતિભાઈને મળવું છે. સમાચાર મળતાં જ એ હૉસ્પિટલ પહોંચી ગયા. એમને જોતાં જ જાડિયાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. જયંતિભાઈ એને ભેટી પડ્યા. એક બિસ્કિટ ખવરાવવા પ્રયત્ન કર્યો પણ ગળે ઊતર્યું નહીં. એણે એમની હાજરીમાં, બલકે છાયામાં દેહ છોડ્યો.

તીખા તમતમતા વ્યંગ કટાક્ષ માટે જાણીતા જયંતિભાઈની અંતરંગ છબિ પેલા બુલબુલ સાથેની માયા પણ સૂચવી રહે છે. સામેના આસોપાલવ પરથી ઊડી આવીને જયંતિભાઈના હાથમાંથી કેળું ખાતું બુલબુલ એક દિવસ નિરાશ થઈને પાછું જાત પણ જયંતિભાઈ છેક ટાઉનહૉલ સુધી ચાલતા જઈને એને માટે કેળું લઈ આવે છે. પ્રતિભાનું અનુમાન છે કે ‘મનનો માળો’ વાર્તાના મૂળમાં આ પ્રસંગ હોય.

રાધેશ્યામે અન્ય સંદર્ભે જયંતિભાઈના આ સ્વરૂપને વધુ છતું કર્યું છે: ‘તેમને રાજકારણમાં કે સાહિત્યકારણમાં અનેક વ્યક્તિઓ સાથે મતભેદ પડતા અને મતભેદો હોય જ, કેમ કે તેમનો પોતાનો સ્વતંત્ર મત હંમેશા રહેતો. ૧૯૬૦ની આસપાસ એક વેળા ડૉ. રામમનોહર લોહિયા અમદાવાદની જીવણપોળમાં દલાલને મળ્યા ત્યારે કહે, ‘તુમ ઍક્ટિવ હો જાઓ!’ લોહિયાથી નારાજ દલાલે મર્મમાં ‘હં… ક્યા દાક્તર…’ કહ્યું કે લોહિયાએ ‘ચલ જયંતિ પતંગ ચગાયે’ કરી વાત પલટી નાખેલી. પ્રથમ દૃષ્ટિએ દલાલ ઉન્નતભ્રૂ લાગે પણ એવા એમણે ‘હાઈબ્રાઉ’ની ઝાટકણી કાઢતાં શેહશરમ નથી અનુભવી. એ તેમનું આત્મવિવેચન હતું. એક રિક્ષાવાળો તેમનાં સલાહ-સૂચન લેવા-સાંભળવા આવેલો ત્યારે તેમની હમદર્દીનું અપ્રકટ પોત અને પાસું આ લખનારે અનુભવેલું.’

આ પ્રસંગો પછી શ્રી નિરંજન ભગતે જયંતિભાઈ માટે પ્રયોજેલાં વિશેષણોમાં અતિશયોક્તિ નહીં પણ કરકસર લાગશે.

જયંતિભાઈ સરલ ઉદાર હૃદયના સજ્જન હતા. સરલ એટલે બાળક જેવા સરલ અને તોય સંકુલતા સહિતના સરલ. સરલ થવું એ સરલ નથી. આથી જ જયંતિભાઈમાં સાહસ હતું પણ તે નિ:સ્વાર્થ સાહસ. નિર્દોષ સાહસ. અભયનું સાહસ. જે ભયો — આક્રમકતા, ક્રૂરતા, દ્વેષ, વેર, હિંસા આદિ — સર્જે છે એની પ્રત્યે પણ એમનામાં અભય હતું, અભયનું સાહસ હતું. એથી જ એ એક વીર્યવંત વીરપુરુષનું જીવન જીવી ગયા. પ્રતીતિનું જીવન જીવી ગયા. જીવવું તો પોતાની શરતે જીવવું. કોઈનીયે શેહશરમ વિના જીવવું. નિ:સંકોચ, નિશ્ચલ, નિર્ભય જીવવું. મરદાનગીથી જીવવું. મુક્ત જીવવું, મૃત્યુમાં જીવવું, મરજીવવું. પોતાને જે સાચું અને સારું લાગ્યું — પછી ભલે બીજાને ગમે એટલું ખોટું અને ખરાબ લાગ્યું હોય — એને સંપૂર્ણપણે સ્વીકારીને જીવવું. વિચાર, વાણી અને વર્તનના અભેદ્ય, ઐક્યથી જીવવું. બૌદ્ધિક પ્રામાણિકતાથી જીવવું. ગાંધીજીનો સત્યાગ્રહ હોય કે સ્વયંસંચાલિત મહાગુજરાત આંદોલન હોય, સમાજવાદ હોય કે ગુજરાતી સાહિત્ય પરિષદ હોય — પ્રજાજીવનમાં જયંતિભાઈનું જે કર્મ હતું એ સાહસનું કર્મ હતું. સ્વાર્થનું, સ્વરક્ષણનું કે સગવડિયા સમાધાનનું કર્મ ન હતું.

શબ્દ અને કર્મના અભેદ જેવો જ બીજો મહત્ત્વનો મુદ્દો છે વતન સાથેના ઐક્યનો. નિરંજનભાઈ ડિકન્સની નવલકથાઓમાં જીવંત લંડનનો દાખલો આપીને જયંતિભાઈકૃત ‘શહેરની શેરી’ની વિશેષતાઓ જણાવે છે. વિનોદિની નીલકંઠ કહે છે કે ‘ઉત્તરાયણના દિવસે જીવણપોળના મકાનની અગાસી ઉપર જાણે મોટો મેળો જ ભરાતો. અન્નપૂર્ણા સમાં રંજનબહેનના રસોડામાંથી જથ્થાબંધ નાસ્તો ઉપર આવતો જે બધાં મોજથી આરોગતાં.’ ખાવા કરતાં ખવડાવવામાં વધુ રસ પડતો અને આજે પણ ઘણાને એ અનુભવ રંજનબહેન કરાવે છે. પિનાકિન ઠાકોરે તો નાટકનાં સંસ્મરણો લખવાં હતાં પણ એ આતિથ્ય પર ભાર મૂક્યા વિના રહી શકતા નથી. સાચે જ આ દંપતીની સૌથી મોટી સાહ્યબી છે આતિથ્ય.

મારે જાણવું હતું જયંતિભાઈના ગુસ્સા વિશે. જેના કટાક્ષ મર્મભેદી હોય એ પ્રતાપી પુરુષ અંગત જીવનમાં કેવી રીતે વર્તતા હશે એવો પ્રશ્ન કરતાં રંજનબહેને કહેલું કે મને યાદ નથી કે સાહેબ મારા પર ગુસ્સે થયા હોય. મને એમ કે સદ્ગત પતિ પ્રત્યેના આદરને કારણે રંજનબહેન આવી શિષ્ટતા દાખવતાં હશે. તેથી પ્રશ્નોત્તરી વખતે ભારપૂર્વક પૂછ્યું તો કહે: ‘સાહેબને મેં ગુસ્સે ભરેલા ચહેરામાં જોયા જ નથી. એક વખત પણ મારી પર ગુસ્સે થવા જેવું બન્યું હોત, તો હું દૃષ્ટાંત આપી શકત કે સાહેબ ક્યારે, કેવી રીતે ગુસ્સે થયા હતા. તેઓ તો મને એવી રીતે સાચવતા કે જાણે હું ફૂલની કળી હોઉં.’ જયંતિભાઈ ક્યારેક અપવાદ રૂપે ગુસ્સા થયેલા છે એ હકીકત શ્રી મહેન્દ્રભાઈ દેસાઈના લેખમાંથી જાણવા મળી. મુંબઈ રાજ્યના કેળવણીખાતાનાં નિર્મળા રાજેએ ધારાસભ્યોના જવાબમાં ‘તમારું સૂચન ધ્યાનમાં છે જ — વિચારાશે.’ કહીને જ જવાબદારી અદા કરી છતાં તેથી એમનો ઉપહાસ કરવા કેટલાક ધારાસભ્યોની તજવીજથી શ્રી પી. સી. પટેલે પૂછ્યું: ‘માનનીય નાયબ મંત્રીશ્રી અમને આમ ક્યાં સુધી ધવડાવ્યા કરશે?’ ગુજરાતી જાણનારાઓના હાસ્યથી આખું સભાગૃહ ગાજી ઊઠેલું પણ જયંતિભાઈ નહોતા હસ્યા. ગુસ્સેથી લાલ લાલ થઈ સભાગૃહ છોડી ગયા હતા.

જયંતિભાઈના જીવનમાં જે માનવમૂલ્યો ઊપસ્યાં છે એમાં આ સ્ત્રીપુરુષની સમાનતાની સમજણથી હું સવિશેષ પ્રભાવિત છું. વસુબહેન કરતાં પણ વધુ આ અંગે વિચારતાં લાગે છે કે મૂળ વાત તો જીવનસંખ્યાના દાખલામાં દેખાય છે એથીયે વધુ મોટી છે. જયંતિભાઈ કોઈના પર ગુસ્સે થયા નથી. પેલાં મહિલા મંત્રી સામે શ્લેષની રમત રમાઈ એમાં બધા હાસ્યથી જોડાઈ ગયા, ત્યાં જયંતિભાઈ જુદા તરી આવ્યા. કેવો વિવેક, કેવો સંયમ! એમણે કેળવેલો સંયમ એ સૂચવે છે કે એ મોટા ગજાના માણસ હતા. આ સંયમ એ એમના વ્યાપક પ્રભાવનું એક કારણ હોઈ શકે. કેવો હતો એ પ્રભાવ? વિનોદ અધ્વર્યુ લખે છે: ‘વિનોબાજીને સભામાં — લોકભીડમાં થઈને મંચ સુધી કેમ પહોંચાડવા તેની મૂંઝવણમાં કાર્યકરો ચિંતિત હતા ત્યારે દલાલના સહેજ ઇશારે આત્મશિસ્તથી લોકોને ભીડ વચ્ચે આપોઆપ ગલી પાડી દેતા જોયા છે, ડર લાગે એવા દેખાતા માણસને, દલાલનું નામ ઉચ્ચારતાં ચોરેલી ચીજ પરત કરી દેતા જાણ્યા છે. દલાલની સહેજ નજરને ઠપકે પત્નીને પીડતા દારૂડિયા પતિને શરમાતો સાંભળ્યો છે, તો દલાલનેય માણકચોકની લૂંટાયેલી, બાળેલી દુકાનને, કોઈની રહેંસી નાખેલી લાશ જોઈએ તેમ લાગણીપૂર્વક નિહાળતા જોયા છે.

દલાલ આ બધાં કારણે પ્રજાપુરુષ તરીકે જુદા પડે છે. જાહેર જીવનમાં પડેલા માણસો જાણે કે એકપાર્શ્વી (વન ડાયમેન્શનલ) હોય, એવી છાપ પડે છે. જયંતિભાઈ જીવનની સઘળી વિધેયાત્મક સંકુલતા ધરાવતા પ્રજાપુરુષ હતા એ હકીકત અહીંનાં અનેક સંસ્મરણો દ્વારા પુષ્ટ થાય છે. ભારતમાં લોકશાહી સમાજના વિકાસમાં કેવા પ્રજાપુરુષો સવિશેષ ફાળો આપી શકે એનો એક ઉત્તર જયંતિભાઈ હતા. શ્રી પુરુષોત્તમ માવળંકરે ‘વિરોધ-અસંમતિમાં પ્રગટતું સત્ય’ નામના લેખમાં જણાવ્યું છે તેમ જગતના લોકશાહી દેશોના પ્રશ્નો અને એને લગતી જ્ઞાનગોષ્ઠીમાં જયંતિભાઈ રોજેરોજ રસ લેતા. મનુષ્ય એની તુચ્છતાઓમાંથી બહાર આવી વિચારપૂર્વક જીવતો થાય, અહિંસા અને પ્રેમ દ્વારા વિશ્વચેતના સાથે જોડાય એવી શક્યતા સ્વીકારીને ચાલનાર એ એક સ્વપ્નદ્રષ્ટા હતા. એ વિરાટ મેદનીમાં ઊભા છે અને અનાગત પ્રકાશ ભણી એમની નજર છે.

એ સર્વસ્વીકૃત હકીકત છે કે જયંતિભાઈ મોટા ગજાના માણસ હતા. દેશમાં જે સ્થાન જયપ્રકાશજીનું હતું એવું સ્થાન ગુજરાતમાં જયંતિભાઈનું હતું. શ્રી સનત મહેતાએ નોંધેલો એક પ્રસંગ અહીં યાદ આવે છે. જયપ્રકાશજીને સાંભળવા આવેલી વિશાળ મેદનીને એમણે કેટલી સહજ શ્રદ્ધાથી જીતી લીધી! ગમે તેવી કટોકટીભરી પરિસ્થિતિને સ્વસ્થતાથી હલ કરવાની અજબ તાકાત જયંતિભાઈમાં હતી.

મેં વાર્તાસંગ્રહ ‘આકસ્મિક સ્પર્શ’ એમને બીજા બે લેખકો સાથે અર્પણ કરેલો. એમને ઘેર કે પ્રેસ પર વારંવાર જાઉં પણ વાર્તાસંગ્રહ લઈ જવાનું ચૂકી જાઉં. એ વાતને બેએક વરસ થઈ ગયાં હશે. ટાઉનહૉલ પાસે કશીક વાત નીકળી ને મેં કહ્યું: ‘એ સંગ્રહ પહોંચાડવાનું રહી ગયું.’ કહે: હવે તો આખું બંડલ લઈને આવજો. ‘બંડલ’ પરનો શ્લેષ સમજાય એવો કાકુ. હું કંઈક વધુ ઝડપથી લખું છું એવી છાપ પડી હશે. ‘અશોકવન’ અને ‘ઝૂલતા મિનારા’ પહેલી આવૃત્તિમાં ભેગાં છાપેલાં. એમની સાથે લાભશંકરનો પત્ર મૂક્યો હતો. ‘આ નિમિત્તે તમારી મૈત્રી સંધાઈ એ સારું થયું.’ — એમ કહીને લેખન સાથે માનવસંબંધને એમણે ભારપૂર્વક જોડેલો. હું ને લાભશંકર દ્વારકામાં લડેલા ત્યારેય અને એની આગળપાછળ નજીકના મિત્રો રહ્યા છીએ એ જાણીને રાજી થયેલા. ‘અશોકવન’ વિશે ચર્ચા કરવા મને બોલાવેલો. એમને કેટલીક સંદિગ્ધતાઓ દેખાયેલી. ‘નાટક વિશે’ એમના મરણોત્તર પ્રકાશનમાં એ લેખ છે, અધૂરો… એ એમનો છેલ્લો વિવેચન-લેખ છે. અવસાનના ત્રણ દિવસ પૂર્વે ૨૨મી ઑગસ્ટે એ અધૂરો લેખ ‘ગ્રંથ’ના તંત્રીને મોકલતાં સાથેના પત્રમાં એમણે લખાવ્યું હતું: ‘થોડુંઘણું લખ્યું અને પછી તો તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે એટલા માટે ‘ગ્રંથ’નું રોકી રાખવું મુનાસિબ નથી. જો બન્ને નાટક બીજા કોઈને આપી શકો તો એક દૃષ્ટિ સાંપડે, ને મને એમાં જરાકે ઓછું નહીં લાગે. જેટલું લખેલું છે તેટલું આ સાથે બીડ્યું છે. ઠીક લાગે તો ઉપયોગ કરશો, નહિ તો કાઢી નાખજો.’ (પૃ. ૧૬૨, નાટક વિશે). મુદતી કામોને અગ્રતા આપી પૂરાં કરવાની એમની ચીવટ અનેક પ્રસંગે વરતાતી.

નાટ્યપ્રવૃત્તિ સાથે એ સાદ્યંત સંકળાયેલા રહ્યા. નાટક જોવા જવાનો એમને થાક ન હતો. પ્રયોગશીલ કે અમુક કક્ષાની ફિલ્મો પણ એ અચૂક જોતા. ૧૯૩૪ના અરસામાં એમણે એક ફિલ્મનું દિગ્દર્શન પણ કરેલું: ‘બિખરે મોતી’. ટિકિટબારી પર ન ચાલ્યું. ઉમાશંકરને એમણે કહેલું: ‘આમાં ખરી મજા તો થિયેટરવાળાની છે. એ કહે છે કે મારા થિયેટરને કલંક લાગ્યું.’ જયંતિભાઈ સમજતા કે સારી વસ્તુ માટે સહન કરવાની, ખોટ ખાવાની તૈયારી બહુ ઓછાની હોય છે. કોઈ ન હોય ત્યારે છેવટે એ એકલા પોતાનો ખભો ધરવા તૈયાર હતા.

ભારતીય ભાષાઓમાં બોલતાં ચલચિત્રોનો આરંભ ૧૯૩૦થી થયો. એમાંય પ્રથમ કથાચિત્ર તો ૧૯૩૧માં ઊતર્યું. ગુજરાતીની પહેલી ફિલ્મ ‘નરસી મહેતા’ ૧૯૩૨માં ઊતરી અને ૧૯૩૪માં જયંતિભાઈ કલાનો પ્રયોગ કરવા ગયા!

મહાગુજરાત આંદોલનના અરસામાં રાજકીય કેસની ઊલટતપાસમાં વકીલ પૂછે કે ‘બિખરે મોતી’ના વાર્તાલેખક, મુખ્ય અભિનેતા, દિગ્દર્શક એ બધું તમે પોતે જ હતા? તો જયંતિભાઈનો આ જ જવાબ હોય! ‘હા જી, અને બે દિવસ પછી એનો પ્રેક્ષક પણ હું એકલો જ હતો!’ નાનામોટા ઘણાનો અનુભવ છે કે જયંતિભાઈની ઉત્તમ મજાકો એમના પોતાના ભોગે જ હોય!

આવી એક ઉત્તમ મજાક તે એમનું ધારાસભામાં હારવું! એક વાર ચૂંટાઈને સુંદર કામગીરી કર્યા પછી ૧૯૬૨ની ચૂંટણીમાં એ હાર્યા હતા! કોઈ કહેતાં કોઈ કારણે એમણે હારવા જેવું ન હતું. મતદારો પણ કાચા અને પછાત ન હતા. છતાં એ હારેલા એ હકીકત છે. અમદાવાદમાંના એમના મતદાર વિસ્તારની એકેએક પોળથી એ પરિચિત હતા. એ કોને નહોતા ઓળખતા? મવાલીઓ, મજૂરો, લારીવાળાઓ, નાનામોટા દુકાનદારો, ઘડિયાળના કાંટે જીવતા મુનીમજીઓ, નાટકવાળા, છાપાંવાળા, લખનારા, લખવાનું છોડી ચૂકેલા જુદા જુદા રાજકીય પક્ષોના કાર્યકરો — સહુને એ ઓળખે, માત્ર નામથી નહીં, એમના જીવનની નાની વિગતો સાથે. કોણ ક્યારે મરી ગયું એ પણ એમને યાદ હોય. ખબર કાઢવા ન જઈ શક્યા હોય તો છેવટે સ્મશાને તો જઈ આવ્યા હોય જ.

સર્જનને એ લેખકના વ્યક્તિત્વનો આવિષ્કાર માનતા. લેખકના વ્યક્તિત્વમાં સમકાલીન સમાજ એની સંકુલતા સાથે સમાયો હોય. તટસ્થતાપૂર્વકના તાદાત્મ્યની વાતમાં રહેલો ઉપકારક અંશ એ સ્વીકારતા પણ સર્જકે એની સૃષ્ટિમાં ગેરહાજર રહેવું જોઈએ એવું એ માનતા નહીં. સર્જક અને સર્જનનો નાતો સ્વીકારતા, સર્જનના સ્વાતંત્ર્ય સાથે જે સર્જાયું એમાં લેખક પ્રતિબદ્ધ છે એમ પણ એ કહેતા.

એ લોકાભિમુખ તો સંકલ્પથી જ હતા પણ એમની લોકાભિમુખતા કોઈ પ્રચારકની ન હતી, એક સર્જકની હતી. સમકાલીનોને સર્જક દલાલ અઘરા પડ્યા છે. મેઘાણી જેવા મેઘાણી પણ જયંતિભાઈની નવલકથા ‘ધીમુ અને વિભા’ને ફુલાવેલી વાર્તા કહી બેઠેલા. એ અરસામાં આ કૃતિમાં અદ્યતન નવલકથાનો આરંભ તો કોઈ વિવેચકને દેખાયો નથી. કેટલાકે પછી પશ્ચાત્દર્શન કર્યું છે. ‘પાદરનાં તીરથ’માં માનવવાસનાનું નક્કર ચિત્રણ ભૂલ્યું ભુલાય તેમ નથી. વાર્તા અને એકાંકીમાં એમની પહેલ સ્વીકારાઈ છે. વાર્તાકાર તરીકે એમની સિદ્ધિઓ મોટી છે. નિબંધ પ્રકારના લેખનમાં એમની ભાષાશક્તિ સાથે એમનાં વ્યક્તિત્વનાં લક્ષણો પ્રગટે છે. સહેજ પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે ગુજરાતી ભાષા એમને બરોબર આવડે છે. એક જ લેખ પરથી એમના અધ્યયનનો ખ્યાલ મેળવવો હોય તો એગેમેમ્નોનના અનુવાદ સાથેની એમની પ્રસ્તાવના જોવી.

એમણે કરેલા અનુવાદોની શલાકાપરીક્ષા કરી કોઈએ અર્થચ્છાયાના વિકલ્પો સૂચવ્યા હશે. એ ખરું કે એ ઝડપથી અનુવાદ કરતા. લખવાની ઝડપ જ વિરલ. અક્ષર સુંદર. એમની કેટલીક ટૂંકી વાર્તાઓ અને નાટક ‘જાણતે છતે’ એમના અક્ષરમાં વાંચવા મળેલાં. અનુવાદો થતા અને છપાતા. પણ તૉલ્સ્તૉયકૃત ‘યુદ્ધ અને શાંતિ’ જેવી મહાનવલનો અનુવાદ કરવાનો એમને વિચાર આવ્યો અને આરંભ કરી દીધો. ગુજરાતીઓએ પર્વતારોહણ તો પછી શરૂ કર્યું. કદાચ ભારતીય ભાષાઓમાં આ પ્રથમ અનુવાદ છે. ગંજાવર કામો પણ એમની શક્તિઓને અનુકૂળ હતાં.

જેનું નામ પાછળથી ‘નિરીક્ષક’ નક્કી થયું એ સાપ્તાહિકની પૂર્વયોજનાની પહેલી બેઠકમાં એ જતા હતા. વસંત પ્રેસમાંથી અમે ચાલતા નીકળેલા. મને સૂઝ્યું તે કહ્યું: ‘તમે તંત્રી થાઓ તો સાપ્તાહિક સારું ચાલે.’ એ જરા ઊભા રહ્યા. બોલ્યા: ‘એવી જવાબદારી સ્વીકારી શકું તેમ નથી. માથે દેવું છે અને વારસામાં હું દેવું મૂકી જવા માગતો નથી.’

એ પૂર્વે અનેક વાર મળેલો. અંગત વાતો પણ થયેલી. ખ્યાલ આવેલો નહીં કે એમને માથે દેવું હશે. હું એમ જ માનતો હતો કે એ જીવણપોળમાં રહે છે એ ત્રણ માળનું, પુસ્તકોના વજનવાળું મકાન, પ્રેસની જગા અને આ ઘેલાભાઈની વાડીનો વિસ્તાર — એ બધું એમને વારસામાં મળ્યું હશે. આ બધામાંથી એમનું કશું જ નથી એ હકીકત મને વાજબી ન લાગી. બલ્કે સહેજ આંચકો લાગ્યો.

અવસાનના ત્રણેક વર્ષ પહેલાં ૧૯૬૭માં એમણે લાંબી બીમારી ભોગવી. એલોપથી માટે સલાહો તો મળી જ હશે, કોઈકે આગ્રહપૂર્વક કહ્યું હશે, પણ એમણે હોમિયોપથી ન છોડી. ખૂબ ધીમી ગતિએ સ્વાસ્થ્ય પાછું મળ્યું. કહેતા હતા કે હવે જે વર્ષો મળ્યાં છે એ મારાં નથી, આ લોકોનાં છે — રંજનબહેન અને કુટુંબીજનોની ગેરહાજરીમાં સારવાર વિશે કહેતા હતા.

એમને થતું કે એક દાયકો એમની પાસે છે. બધી ગ્રીક ટ્રૅજેડી ગુજરાતીમાં ઉતારવી હતી. ગુજરાતી ભાવકોને કરુણ ભવ્યનો અનુભવ આપતા જવું હતું. પણ દસમાંથી સાત વરસ સિલકમાં રાખીને એમણે વિદાય લીધી.

એમના અવસાનના દિવસે હું મારે ગામ ગયેલો હતો. આવ્યા પછી પણ એ બાજુ જવાની હિંમત ન ચાલી. એમના વિનાના અમદાવાદના એ વિસ્તારમાં પગ મૂકવો એટલે વાતશૂન્ય અવકાશમાં શ્વાસ લેવા પ્રયત્ન કરવો.