ગુજરાતી નિબંધ-સંપદા/શિરીષ પંચાલ/અપરાધ વિના જ શિક્ષા

From Ekatra Wiki
Revision as of 07:44, 28 June 2021 by NileshValanki (talk | contribs)
Jump to navigation Jump to search
અપરાધ વિના જ શિક્ષા

શિરીષ પંચાલ

ઓગણીસમી સદીના મહાન રશિયન નવલકથાકાર દોસ્તોએવસ્કીની એક નવલકથાનું શીર્ષક છે ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’. આ નવલકથાનો નાયક રાસ્કોલનિકોવ બે ખૂન કરે છે અને પરિણામે સજા ભોગવે છે. એણે અપરાધ કર્યો અને પરિણામે સજા ભોગવવી પડી. સીધોસાદો આ કવિન્યાય સમજી શકાય. ખલનાયકને એની દુષ્ટતાનો બદલો ન મળે તો આપણને ક્યારેય કરાર વળતો નથી; જે કૃતિમાં ખલનાયક નાયકને મારી નાખીને ાનયિકા સાથે પરણી જઈ દુનિયાના રંગરાગ ભોગવે તે કૃતિના લેખકને સામાન્ય રીતે કોઈ માફ ન કરે. પણ જે અપરાધ કરે છે તે જ શિક્ષા ભોગવે છે ખરો? ચિત્રગુપ્તના ચોપડામાં ભલે એનો હિસાબ રખાતો હશે, મરી ગયા પછી વૈતરણી પાર કરવા માટે ભલે એને કોઈ સાધન આપવામાં ન આવે કે અંગારા પર એને ચલાવવામાં આવે, પણ આપણી ધનધાન્યથી ભરેલી વસુન્ધરા, આ ગંધવતી પૃથ્વી પર એવા લોકોના ભાગ્યમાં શું લખાયું હોય છે? તેમને કશી આંચ આવતી નથી. જ્યાં કાયદાએ અનેક છટકબારીઓની સગવડ કરી આપી હોય અને સત્તા, ધનની મદદથી ભલભલાને ભ્રષ્ટ કરી શકાતા હોય ત્યાં શિક્ષા વિનાના અપરાધની વાત પણ સમજી શકાય. આવા જગતમાં માનવી વધુ ને વધુ અપરાધ કરવા લલચાય, જેમ જેમ અપરાધ કરવાની આદત કેળવતો જાય તેમ તેમ એનાં પરિણામોથી બચવા માટે વધુ સત્તા, વધુ લક્ષ્મી મેળવવા બધું જ કરી છૂટે, મંદિરના ભગવાનને પણ એ દલાલ બનાવતા સહેજ પણ સંકોચ ન પામે. પણ એક બીજી પરિસ્થિતિ પરાપૂર્વથી ચાલી આવી છે. વીસમી સદીમાં તો કૅન્સરગ્રસ્ત કોષની જેમ વિસ્તરી છે અને તે છે અપરાધ વિનાની શિક્ષા.

કોઈ પણ ભાષાની, કોઈ પણ યુગની મહત્ત્વની સાહિત્યકૃતિ લો. આવી શિક્ષા ભોગવતાં પાત્રો તમને ખૂણેખાંચરે મળી જ આવશે. પછી સોફોક્લીસનો ઇડીપસ હોય, વાલ્મીકિની સીતા હોય, કાલિદાસની શકુન્તલા હોય, શેક્સ્પિયરની ઓફિલિયા હોય કે ગોવર્ધનરામની કુમુદ હોય. હિન્દુ ધર્મે તો આવી પરિસ્થિતિનો તરત ખુલાસો ધરી દીધો અને બધા શ્રદ્ધાળુઓને ગળે ઊતરી ગયો. આપણને ગળથૂથીમાંથી શીખવવામાં આવ્યું છે કે આગલા જન્મનાં કર્મોનાં ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. આ કર્મફળનો સિદ્ધાંત કેટલાક શંકિત મનના લોકો સમજી શકતા નથી. તેઓ બુદ્ધિની મદદ વડે બધી ઘટનાઓને સમજવા માગતા હોય છે. કોઈ ઘટનાને જ્યારે બુદ્ધિપૂર્વક સમજાવી ન શકાય ત્યારે એના આવા ખુલાસા આપીને માનવીને સમાધાનકારી વલણ સ્વીકારી લેવાની ફરજ પડે છે. ક્યારેક આવા ખુલાસાઓને કારણે માનવી વિદ્રોહી બનતો અટકે છે, પરિણામે એક પ્રકારની વ્યવસ્થા સચવાઈ જાય છે.

પણ વ્યવસ્થા આમ જોવા જઈએ તો બે પ્રકારની છે. એક–પ્રકૃતિએ ઊભી કરેલી અને બીજી–માનવીએ ઊભી કરેલી. અપરાધ વિનાની શિક્ષા જેવી ઘટના માનવસર્જિત વ્યવસ્થાનો એક ભાગ છે. છૂટાછવાયા કિસ્સાઓમાં આવી શિક્ષાઓ થાય ત્યારે સ્વાભાવિક રીતે આપણું ધ્યાન તેમના પ્રત્યે ન જાય. કોઈ ધ્યાન દોરે તો કદાચ એનો વિચાર કરીએ. પણ મોટે ભાગે તો આવે વખતે આપણે જાણે કશું બન્યું જ નથી એમ માનીને આપણી જાડી ચામડી નીચે ડૂબકી મારી જવાનું વધુ પસંદ કરીએ. ભોગજોગે કોઈ બળ્યોજળ્યો આવી ઘટનાઓ પર વધારે લક્ષ આપવા માંડે તો શાણા માણસો એને મૂરખ, વેદિયો, ગમાર કહીને ઓળખાવે. પણ સામૂહિક સ્તર પર જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ઇતિહાસને એમની નોંધ લેવાની ફરજ પડે. ક્યારેક તો આવી ઘટનાઓને ચમત્કાર ગણાવવી પડે એવાં વિરાટ પરિમાણ એ ધરાવતી હોય છે. એ જોઈને આપણે હેબતાઈ જઈએ છીએ, આપણી બુદ્ધિ એમને સ્વીકારવાની ના પાડી દે છે, વધુ સમય જો એના વિશે વિચાર કર્યા કરીએ તો બુદ્ધિ ભ્રમિત થઈ જાય એવો ડર રહે છે. એટલે તરત જ પીછેહઠ શરૂ થાય છે. સિનેમા, ટી. વી. ગપસપ, ખાણીપીણીના કાર્યક્રમોમાં ડૂબી જઈએ છીએ.

ઇતિહાસમાં નોંધાયેલી અને નહીં નોંધાયેલી બધી લડાઈઓમાં નિર્દોષ પ્રજા જે ત્રાસ અનુભવે છે તેમાં એમનો કોઈ વાંક હોતો નથી. બીજા વિશ્વયુદ્ધ વખતે યહૂદી પ્રજાએ જે યાતના અનુભવી તે કયા અપરાધ માટે? ગયા દાયકામાં રાતોરાત કટોકટી જાહેર થઈ અને સાઠ કરોડ લોકો ગુલામ બની ગયા… કોના વાંકે, કોના પાપે? ભોપાળના લોકો એક મધરાતે જાગી ગયા. ભાગવા માંડ્યા અને ગણતરીની પળોમાં યમલોક ભેગા થઈ ગયા, સાવિત્રીઓને ખબર પણ ન પડી અને સત્યવાનો ઝૂંટવાઈ ગયા. બચ્યા તેમાંના કેટલાય પ્રજ્ઞાચક્ષુ બની ગયા. હજુ જુલાઈ-ઑગસ્ટ સુધીમાં જનમ લેનારાં દુર્ભાગી બાળકો ધરતી પર પહેલો શ્વાસ લીધા પછી જિંદગીભર પોતાના ભાગ્યને રડ્યા કરશે. કોના પાપે? દિલ્લીમાં હુલ્લડો થયાં અને હજારો મોતને ઘાટ ઊતરી ગયા. ગુજરાતમાં ત્રણ મહિનાથી ચાલી રહેલા આંદોલનમાં ઢગલાબંધ માણસો મરી ગયા, હજારો લોકોનાં ઝૂંપડાને ઠેકાણે બળેલીજળેલી ધરતી જ રહી, લાખો લોકો રોજીરોટી ગુમાવી બેઠા, ઘર જ કારાવાસ બની ગયાં–કોનો વાંક? કોનાં પાપ? કોની ભૂલો? કિકેગાર્દ તો કહેતો હતો કે અતિ સંવેદના યાતના નોતરે. સહદેવ અતિજ્ઞાનને કારણે હેરાન હેરાન થયો. પણ આ બધા પાસે એવું કોઈ જ્ઞાન નથી, એવી કોઈ સંવેદનાની અતિ માત્રા નથી, તોય વેઠ્યે જ જવાનું? જાણે આવી પરિસ્થિતિથી ટેવાઈ ગયા વિના બીજો કોઈ ઉપાય જ નથી!

જરા વધારે વિચારીશું તો શરૂઆતની વાતને સુધારવી પડશે. કોઈ પણ શિક્ષા અપરાધ વિનાની ન હોઈ શકે, પણ એ જરૂરી નથી કે જે શિક્ષા વેઠે છે તેણે અપરાધ પણ કર્યો હોવો જોઈએ. એટલે વાસ્તવમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અપરાધ કોઈ કરે અને શિક્ષા ભોગવે કોઈ? નફ્ફટાઈ તો એટલી બધી કોઠે પડી ગઈ છે કે અપરાધો હવે રાતના અંધારામાં, બીજાઓની નજર બચાવીને થતા નથી, જે લોકો શિક્ષા વેઠે છે તે આપણી નજરે પડતા નથી, એમને માટે રહેમનો છાંટોય આપણી પાસે નથી. કઈ ઇલમની લાકડી વડે આ બધા પ્રેક્ષકોનાં હૃદય વજ્ર જેવાં થઈ ગયાં છે! યાતના ભોગવનારાઓ કેમ કકળતા નથી? એમની કકળતી આંતરડી કેમ શાપ વરસાવતી નથી? શાપ વરસાવતી હોય તોપણ એની કશી અસર થતી નથી કે પછી શાપનાં મારણો અને વારણો અગાઉથી જ અપરાધીઓએ મેળવી લીધાં લાગે છે?

બીજી મોટી કરુણા તો એ છે કે આવી શિક્ષા ભોગવવાનું જ જેમના કરમમાં લખાયું છે એ લોકો અને પોતાની જાતને સંવેદનશીલ તરીકે ઓળખાવનારા વચ્ચે કોઈ સેતુબંધ રચનારા રહ્યા નથી. આવા સેતુબંધ રચનારા હોય તો જ એક માનવીને બીજા માનવીમાં રસ જાગી શકે, નહીંતર તો એક પ્રકારની ઉદાસીનતા વકરતી જ જાય. આમેય આપણા જમાનાનો માનવી વધુ ને વધુ ઉદાસીન બને એવા સંજોગો સાધનો વચ્ચે ડચકાં લઈ રહ્યો છે. એટલે સેતુનિર્માતાઓની કામગીરી વિકટ બની છે, પણ જો આ લોકો સુધ્ધાં નાર્સિસસનો પાઠ ભજવવા માગે તો? આત્મરતિ એમને માટે તો ખતરનાક છે, આપણા બધા માટે પણ ખતરનાક છે. દુર્ભાગ્યે પોતાની જાતમાં ડૂબકાં મારવાની નાર્સિસસોની પ્રવૃત્તિને ગૌરવ આપનારા હૈયાફૂટાઓ ઓછા નથી. ક્યારેક આવા દર્પણપ્રેમીઓ કરુણા બતાવે છે, પણ નકરી બનાવટ એમાં હોય છે. રશિયન વાર્તાકાર એન્તન ચેખવ આવી બનાવટનો એક ટુચકો કહે છે તે બધાએ યાદ રાખવા જેવો છેઃ એક ઉમરાવ સ્ત્રી શિયાળાની કડકડતી ઠંડીમાં, બરફના વરસાદમાં ગાડી તૈયાર કરાવીને નાટક જોવા ગઈ, તે તો રૂંવાવાળાં કપડાંમાં સુરક્ષિત હતી, થિયેટરના હૂંફાળા વાતાવરણમાં સુરક્ષિત હતી. બહાર ત્રણ કલાક સુધી એનો ગાડીવાન ખુલ્લામાં થથરતો, બરફની ઝડીઓ સહેતો, પવનના વજ્ર જેવા પ્રહારો સહેતો નાટક પૂરું થાય તેની રાહ જોતો હતો. પેલી સ્ત્રી ટ્રૅજેડી જોતાં જોતાં આંખોનાં આંસુ રૂમાલ વડે લૂછતી હતી. ચેખવના ટુચકાનો વ્યંગ તેજાબ જેવો દાહક છે. જે જીવનની પ્રત્યક્ષ કરુણા જોઈ ન શકે, સમજી ન શકે તે નાટકની કરુણા કેવી રીતે માણી શકે! આપણા દર્પણદાસો સમાજના મોટા ભાગના વર્ગ માટે આંસુ સારતા જ નથી, અને જ્યારે સારે છે ત્યારે તેમનાં આંસુ આ ઉમરાવ સ્ત્રીનાં આંસુ જેવાં હોય છે. (૧૭-૩-૮૫)