ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ દલાલ/અમદાવાદ

From Ekatra Wiki
Revision as of 09:43, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અમદાવાદ

સુરેશ દલાલ

આ અમદાવાદ છે અને વૈશાખ મહિનો છે. કોઈ સત્તાધીશ જેવું અમદાવાદ આખો દિવસ લાલચોળ રહે છે. અમદાવાદથી થાકેલા એક ઓળખીતાએ અમદાવાદને રિક્ષાઓનું જંગલ કહ્યું હતું એ વાત ભુલાતી નથી. ‘આવ્યા’તા’ની જગ્યાએ ‘આયા ’તા’—અડધો ‘વ’ પણ ખોટો ન વાપરી નાખવો એટલી બધી કરકસર માટે અમદાવાદ યોગ્ય રીતે જાણીતું છે. બંગલાના પ્રવેશદ્વારને ઝાંપો અને અગાસીને ધાબું કહેવામાં આવે છે. અહીંનાં પાણીની જેમ અહીંની ભાષાનો પણ એક સ્વાદ છે.

રાતનો સમય છે અને અત્યારે હું ધાબા પર છું. કોઈ કરતાં કોઈ નથી. કોઈની હાજરીમાં લખવાની કે વિચાર કે શબ્દો માટે વલખવાની મઝા નથી આવતી. અમસ્તું પણ કોઈ આવતું-જતું હોય તો એની આવનજાવનના કાગળ પર ઉઝરડા પડે છે. એટલે જ લખતી વખતે એકલા રહેવાનું પસંદ કરું છું.

‘લૂ જરી તું ધીરે ધીરે વા કે મારો મોગરો વિલાય, કોકિલા તું ધીમે ધીમે ગા કે મારો જીયરો દુભાય!’

ગીતનો આવો ઉપાડ અમદાવાદના કવિ સિવાય કોઈને સૂઝે નહીં. ઉમાશંકરની પ્રતિભાને આપણે પૂરેપૂરો યશ આપીએ—પણ આ ગીતના ઉપાડમાં અમદાવાદનો પણ ઓછો ફાળો નહીં હોય. પાઠ્યપુસ્તકમાં જો આ ગીત આવતું રહે તો આ ગીતનો કમમાં કમ અડધો પુરસ્કાર અમદાવાદને નિત્ય મળતો રહે એવું બકુલ ત્રિપાઠી ઉમાશંકરને સૂચવે પણ ખરા. આટલા ઉકળાટમાં પણ પોતાની રમૂજને બકુલ સાચવી રહ્યા છે એ બદલ ઘનશ્યામભાઈ ઓઝાએ એમનો ખાસ આભાર માનવો જોઈએ.

અમદાવાદ એટલે? સાબરમતીનો આશ્રમ? મિલમાલિકોના બંગલા? નવી નવી ઊભી થયેલી સોસાયટીઓ? પોળેપોળે પ્રકટ થયેલી કૉલેજો? અમદાવાદ એટલે સાહિત્ય પરિષદ? અમદાવાદ એટલે સાહિત્ય અને સાહિત્યકારોનું તીર્થધામ? અમદાવાદ એટલે કાંકરિયા? અમદાવાદ એટલે ઉત્તર વિનાના પ્રશ્નો?

અમદાવાદ આવું છું અને મણિનગર નામ સાંભળીને ફફડી ઊઠું છું. અમદાવાદનું આકાશ મડિયાની ચિતાનો ધુમાડો પીને બેઠું છે. જયંતિ દલાલ, મણિલાલ દેસાઈ અને રાવજી પટેલ… અમદાવાદમાં તાપ અસહ્ય છે.

લખી શકું એટલા માટે અગાસીમાં મીણબત્તી સળગાવી છે. ઘડીકમાં જ બૂઝવી નાખે એટલી જોરદાર લહેરખી આવી ગઈ. મીણબત્તી બચી ગઈ. મીણબત્તી તો દેવળમાં હોય; પણ સ્વજનોની સ્મૃતિ જાગે છે ત્યારે મનમાં અને દેવળમાં કશો ભેદ હોતો નથી.

અગાસી પર આવ્યો એ પહેલાં કોઈકે કહ્યું હતું કે આવતી કાલે પૂનમ છે. આકાશમાં ક્યાંય તારા દેખાતા નથી. આવતી કાલે બધું જ બદલાઈ જશે એમ માનીને ચૌદશનો ચાંદ આજે તો રસ્તો કાપી રહ્યો છે. પવન ન હોય અને ઝાડનું પાંદડું પણ ન હલે એટલું બધું આકાશ સૂનમૂન છે. કોણ જાણે કેમ પણ વિપિન પરીખની પંક્તિ યાદ આવે છે: ‘આકાશ એટલે નિયત સમયે હાજર થવાની ચાંદ-સૂરજની ઑફિસ…’

દિવસના આકરા તાપ પછી અહીંની રાત સોહામણી લાગે છે, દુઃખ પછીના આવતા સુખ જેવી. ઉશનસ્ કવિએ અમદાવાદના સ્ક્રેચિઝ આલેખ્યા છે. એમાં ‘ગ્રીષ્મ સાંજ’ નામના મુક્તકમાં ‘હોળીમાંથી ઉગારેલા પ્રહ્લાદ’ સાથે સાંજના અમદાવાદની ઉત્પ્રેક્ષા ક રી છે. જયંત પાઠકની વર્ણનાત્મક પંક્તિ ઘૂંટ્યા કરું છું:

‘આકરા તાપને અંતે રાત્રિ શી સૌમ્ય ને શીત! આકરા તપને અંતે જાણે પાર્વતીનું સ્મિત.’

અમદાવાદની સવાર તો વૈશાખમાં પણ સારી હોય છે. પણ ભરબપોરે એની સ્થિતિ સીતા રાવણની લંકામાં હોય એના જેવી થઈ જાય છે — શિયાળામાં એટલી ઠંડી પડે છે કે કોઈને સજા કરવી હોય તો જ ધાબે મોકલાય અને ચોમાસું? કોઈકે ટકોર કરી’તી કે મુંબઈમાાં વ્યક્તિદીઠ એક છત્રી ઓછી પડે અને અમદાવાદમાં તો ઘર દીઠ એક છત્રી વધારે પડે.

માણસ અહીં વટે ભરાય અને પોતાનો કક્કો સાચો છે એની ખાતરી હોય ત્યારે અડધી પ્લેટ આઇસક્રીમની શરત મારે છે. અને પછી અંતે અડધી પ્લેટ પોતપોતાને પૈસે ખાઈ લે છે તો ક્યારેક ખાધા વિના જ છૂટા પડે છે.

પ્રાચીન હસ્તપ્રતને ઉકેલવા જેવું કામ અમદાવાદને ઓળખવાનું છે. અક્ષર ઊકલે તોપણ અર્થ બેસે એવું કંઈ નક્કી નથી. અને પાઠાંતર તો એટલાં બધાં શક્ય છે કે બધાં નોંધીએ તો પાર ન આવે. (‘સાવ એકલો દરિયો’માંથી)