ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સ્યાવશનામું’

Revision as of 13:06, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘સ્યાવશનામું’ [ર.ઈ.૧૬૭૯/સં.૧૭૩૫, ભાદરવા વદ ૭] : ફિરદોસીના ‘શાહનામા’ની અંદર આવેલા ‘સ્યાવશનામા’ કથાનક પર આધારિત ઈરાની બાદશાહ કએકાઉસના પુત્ર સ્યાવશ અને પૌત્ર કએખુશરુનાં પરાક્રમો, ઔદાર્ય અને સ્વાભિમાન તથા સ્યાવશપત્ની ફરંગેજના સદ્શીલને આલેખતું પારસી કવિ રૂસ્તમકૃત આખ્યાનકાવ્ય (મુ.). કૃતિનું કથાવસ્તુ ૨ ખંડમાં વહેંચાય છે. ઈરાનના બાદશાહ કએકાઉસનો રાજ્યઅમલ, ગેબી સુંદરી સાથેનું તેનું લગ્ન, તેનાથી પુત્ર સ્યાવશનો જન્મ, બાળવયે જ ગેબીસુંદરીનું અલોપ થઈ જવું, કએકાઉસનું હમાવરાનની શાહજાદી સોદાબેહ પર મોહિત થઈ તેની સાથે લગ્ન કરવું, યુવાન સ્યાવશ તરફ આકર્ષાઈ અપરમાતાની તેની પાસે અઘટિત માગણી કરવી, સ્યાવશના વિનયપૂર્ણ ઇન્કારથી છંછેડાઈ માતાનો સ્યાવશ પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવો, સ્યાવશનું જાતે સ્વીકારેલી અગ્નિકસોટીમાંથી પાર ઊતરવું, યુદ્ધ દરમ્યાન પિતાએ દાખવેલા અવિશ્વાસથી નારાજ થઈ વતનનો ત્યાગ કરવો, અનેકવિધ પરાક્રમો કરી તુર્કસ્તાનની શાહજાદી ફરંગેજ સાથે લગ્ન ને તુર્કસ્તાનની બાદશાહતનો અસ્વીકાર કરી રાક્ષસો અને જંગલી જનાવરોથી ભરેલા જંગલને સાફ કરી ત્યાં ‘સ્યાવશગેરદ’ નામનું નગર વસાવવું અને યુવાવસ્થામાં જ સસરા અફરાસિયાબને હાથે ખૂનના ભોગ બનવું-એ ઘટનાઓ પહેલા ખંડમાં નિરૂપાઈ છે. બીજા ખંડમાં સ્યાવશની વિધવા પત્ની ફરંગેજની કૂખે કએખુશરુનો જન્મ, વિધવા માતાએ જંગલમાં વસી અનેક આપત્તિઓ સહી પુત્રનો કરેલો ઉછેર, ઈરાની પહેલવાન ગેવની મદદથી ઈરાન પહોંચી કએખુશરુએ સ્વપરાક્રમથી ઈરાનની બાદશાહત મેળવી અને વધુ વખત રાજ્ય ન કરતાં ગુફાવાસી તરીકેનું જીવન સ્વીકારવું-એ ઘટનાઓ નિરૂપાઈ છે. કૃતિનું શીર્ષક નાયકના નામ પરથી રખાયું છે, પરંતુ કૃતિનું તેજસ્વી પાત્ર તો સ્યાવશની પત્ની ફરંગેજનું છે. વૈધવ્ય પછી એ પાત્રનો વિકાસ અત્યંત આકર્ષક રીતે થયો છે. કવિ રૂસ્તમે આ આખ્યાનમાં મૂળ કથાનું શુષ્ક-નીરસ અનુકથન માત્ર ન કરતાં, પ્રમુખ પાત્રો અને પ્રસંગોને પોષક નીવડતાં મૌલિક ઉમેરણો કરી કાવ્યને વિશેષ રોચક તેમજ પ્રતીતિકર બનાવી પોતાની સ્વતંત્ર સર્જકપ્રતિભાનો પરિચય આપ્યો છે. ‘શાહનામા’માં મૂળ લાંબા વર્ણનોને લાધવપૂર્વક નિરૂપી વસ્તુગુંફનની કુશળતા પણ દાખવી છે, તેમ છતાં કથાનો ઉતાવળે અંત લાવી દેવાની કવિની અન્ય રચનાઓમાં જોવા મળતી નબળાઈ અહીં પણ દેખાય છે. કવિની પ્રૌઢ કલમે લખાયેલ આ રચનામાં પ્રાસયોજના અને અલંકારોનો રુચિર પ્રયોગ જોવા મળે છે, પંરતુ છંદ અને ઢાળના લયસૂઝની મર્યાદા તરત જણાઈ આવે છે. [ર.ર.દ.]